અરુણાચલથી ગુમ ભારતીયોને સોંપશે ચીન, વિવાદ ખતમ કરવા તૈયાર

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ચીનના વિદેશમંત્રી વાંય યીએ કહ્યું છે કે વાસ્તવિક નિયંત્રણરેખા પર ભારત સાથે તણાવ ઓછો કરવા માટે ચીનની સરકાર 'નક્કર પગલાં' ભરવા માટે તૈયાર છે, જેથી સીમા પર વધુ અન્ય ઉલ્લંઘન ન થાય.

ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર સાથે મુલાકાતના એક દિવસ પછી આ વાત કરાઈ. બંને નેતા વચ્ચે ગુરુવારે રશિયાની રાજધાની મૉસ્કોમાં બેઠક થઈ હતી.

આ બેઠકમાં બન્ને દેશોએ સરહદ પર તણાવ ઘટાડવા માટે પોતપોતાની ચિંતા જાહેર કરી હતી.

આ તરફ શુક્રવારે ભારતીય કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે ચીનના સૈન્યે અરુણાચલ પ્રદેશના યુવાનોને પરત આપી દેવાની પુષ્ટિ કરી છે.

તેમના જણાવ્યા અનુસાર ચીનનું સૈન્ય પહેલાંથી નક્કી કરાયેલા સ્થાન પર એ યુવકો ભારતીય સૈન્યને સોંપી દેશે.

શુક્રવારે રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવ સાથે એક સયુંક્ત પત્રકારપરિષદમાં બોલતી વખતે ચીનના વિદેશમંત્રી વાંગ યીએ કહ્યું, "એલએસીથી સૈનિકો અને યુદ્ધની સામગ્રી હઠાવવાની જરૂર છે."

કંગનાએ સોનિયા ગાંધીને પૂછ્યું, મહિલાઓની હેરાનગતિ પર મૌન કેમ?

બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે મહારાષ્ટ્ર સરકાર સાથે વધી રહેલા વિવાદને લઈને સોનિયા ગાંધીને કહ્યું છે કે તેઓ તેમના સહયોગી પક્ષ શિવસેનાને બંધારણનું પાલન કરવા માટે કહે.

કંગનાએ શુક્રવારે કૉંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યું છે કે તેઓ એ વાત તરફ ધ્યાન આપે કે મહારાષ્ટ્રની સરકારી 'એક મહિલા' (તેમની) સાથે કેવું વર્તન કરી રહી છે.

અભિનેત્રીએ ટ્વીટ કર્યું કે સહયોગી પક્ષ દ્વારા 'એક મહિલાને હેરાન' કરવા પર સોનિયા ગાંધીનું મૌન ઇતિહાસમાં નોંધાશે. તેમણે સોનિયા ગાંધીને કહ્યું કે તેઓ મહારાષ્ટ્રમાં પોતાના સહયોગી પક્ષને ભારતીય બંધારણનાં મૂલ્યોનું પાલન કરવા માટે કહે.

કંગનાએ લખ્યું, "આદરણીય કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી. આપની મહારાષ્ટ્રની સરકાર મારી સાથે જે વર્તન કરી રહી છે એના પર એક મહિલા તરીકે તમને ગુસ્સો નથી આવતો? શું આપ આપની સરકારને એ વિનંતી નથી કરી શકતાં કે તેઓ ડૉક્ટર આંબેડકરે આપેલા બંધારણનાં મૂલ્યોનું પાલન કરે?"

આ બાદ વધુ એક ટ્વીટમાં તેમણે લખ્યું, "તમે પશ્ચિમમાં જન્મ્યાં છો અને ભારતમાં રહ્યાં છો. મહિલાઓના સંઘર્ષ અંગે આપને ચોક્કસથી જાણ હશે. આપની સરકાર દ્વારા મહિલાને હેરાન કરવા પર અને કાયદાની મજાક ઉડાડવા પર આપનું મૌન અને ઉદાસીનતા ઇતિહાસમાં નોંધાશે. મને આશા છે કે આ મામલે આપ હસ્તક્ષેપ કરશો."

ગત જૂન માસમાં બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ કંગનાએ બોલીવૂડ ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીમાં ભાઈ-ભત્રીજાવાદ અંગે કેટલાંય નિવેદનો આપ્યાં. જે બાદ તેઓ સતત ચર્ચામાં છે.

રિયા ચક્રવર્તીની જામીન અરજી કોર્ટે ફગાવી, જેલમાં જ રહેવું પડશે

સુશાંતસિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને ડ્રગ્સ કેસમાં મુંબઈની સ્પેશિયલ કોર્ટે જામીન આપ્યા નથી. તેમણે કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.

રિયા સહિત કુલ 6 આરોપીના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. જેથી હવે રિયા ચક્રવર્તીએ મુંબઈની જેલમાં જ રહેવું પડશે.

રિયા હાલ ભાયખલા જેલમાં છે અને તેઓ 22 સપ્ટેમ્બર સુધી આજ જેલમાં રહેશે. આ પહેલાં પણ રિયાએ કરેલી અરજીને કોર્ટે ફગાવી દીધી હતી.

હવે રિયા ચક્રવર્તી જામીન માટે હાઈકોર્ટમાં જઈ શકે છે. રિયાનો આજે જેલમાં ત્રીજો દિવસ છે.

સુશાંતસિંહ મૃત્યુ કેસમાં ડ્રગના મામલે એનસીબીએ રિયા ચક્રવર્તીની ધરપકડ કરી હતી.

કોર્ટમાં નાર્કોટિક્સ બ્યૂરોએ રિયા ચક્રવર્તીની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને તેઓ ડ્રગની ખરીદી સાથે સંકળાયેલા હોવાની દલીલ કરી હતી.

રામમંદિર ટ્રસ્ટના એકાઉન્ટમાંથી 6 લાખ રૂપિયાની ઉચાપત

એનડીટીવીના અહેવાલ અનુસાર અયોધ્યાના રામમંદિર જન્મભૂમિતીર્થક્ષેત્ર ટ્રસ્ટના બૅન્ક ખાતામાંથી ખોટો ચેક લખીને 6 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યાની ફરિયાદ કરવામાં આવી છે.

ત્રીજા 9.86 લાખના ખોટા ચેકના વૅરિફિકેશનની પ્રોસેસ ચાલતી હતી ત્યારે મંદિર ટ્રસ્ટના સૅક્રેટરી ચંપત રાયને ખબર પડતાં તેમણે ફરિયાદ નોંધાવી છે.

અયોધ્યાના સર્કલ ઑફિસર રાજેશ કુમાર રાવે જણાવ્યું, "શ્રીરામ જન્મભૂમિતીર્થક્ષેત્ર ટ્રસ્ટના બૅન્ક એકાઉન્ટમાંથી બે ખોટા ચેક લખીને 6 લાખ રૂપિયા ઉપાડી લેવાની ફરિયાદ ટ્રસ્ટના સૅક્રેટરી ચંપત રાયે નોંધાવી છે. એક 2.5 લાખ અને બીજો 3.5 લાખ રૂપિયાનો ચેક હતો."

"આ ટ્રાન્જેક્શન લખનઉની પંજાબ નેશનલ બૅન્કમાંથી કરવામાં આવ્યાં હતાં."

તેમણે વધુમાં કહ્યું, "જ્યારે ત્રીજો 9.86 લાખ રૂપિયાનો ચેક બૅન્ક ઑફ બરોડામાં જમા કરાવવામાં આવ્યો ત્યારે 9 સપ્ટેમ્બરે બૅન્કે ચંપતરાયને તપાસ માટે બોલાવ્યા હતા. રાયે પોતાની ચેકબૂકમાં તપાસ કરતા જાણવા મળ્યું કે આ નંબરનો ચેક તો હજુ તેમની પાસે છે જેથી તેમણે બુધવારે રાત્રે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી."

ગુજરાતમાં ગટરમાં પડીને 30 વ્યક્તિના મૃત્યુ, દેશમાં પહેલાં ક્રમે

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે દેશમાં ગટરમાં પડી જવાથી સૌથી વધારે મૃત્યુ ગુજરાતમાં થયાં છે.

દેશમાં કુલ 100 લોકો ગટરમાં પડી જવાથી મૃત્યુ પામ્યા છે. જેમાંથી 30 કેસ ગુજરાતના છે.

દેશના કુલ મૃત્યુમાંથી 30 ટકા ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે મહારાષ્ટ્ર 19 મૃત્યુની સાથે બીજા ક્રમે છે.

નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના વર્ષ 2019ના અહેવાલમાં આ વિગતો આપવામાં આવી છે.

2018માં 20 લોકો આ પ્રકારે મૃત્યુ પામ્યા હતા. જેમાં આ વર્ષે 50 ટકાનો વધારો નોંધાયો છે.

40 કરોડ બાળકો ઑનલાઇન શિક્ષણ મેળવવાથી વંચિત

ધ વાયર હિન્દીના અહેવાલ અનુસાર કૈલાશ સત્યાર્થી ફાઉન્ડેશન તરફથી આયોજિત એક કાર્યક્રમમાં રજૂ કરાયેલા એક રીપોર્ટ અનુસાર ઇન્ટરનેટ ન હોવાના કારણે 40 કરોડ બાળકો ડિજિટલ શિક્ષણ મેળવવામાં અસમર્થ છે.

કોરોના વાઇરસની મહામારીના કારણે અનેક દેશોમાં ઑનલાઇન શૈક્ષણિક પર ભાર મૂકવામાં આવ્યો છે.

હાલના સમયમાં બાળકો પર ઊભા થયેલા ભય અંગે નોબલ વિજેતા કેલાશ સત્યાર્થીએ સ્થાપેલી સંસ્થા દ્વારા બે દિવસીય ડિજિટલ શિખર સંમેલન "લૉરિયેટ્સ એન્ડ લીડર્સ ફોર ચિલ્ડ્રન સમિટ"નું આયોજન કરાયું હતું.

જેમાં 'ફેર શૅર ફૉર ચિલ્ડ્રન- પ્રિવેન્ટિંગ દ લૉસ ઑફ ધ જનરેશન ટૂ કોવિડ-19'નામના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી હતી.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જી-20 દેશો દ્વારા આર્થિક રાહત માટે 8.2 લાખ અબજ ડૉલરની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આમાંથી માત્ર 0.13 ટકા એટલે 10.2 અબજ ડૉલર કોરોનાની મહામારી સામે લડવા ફાળવવામાં આવ્યા છે.

સ્કૂલ બંધ હોવાના કારણે 34.70 કરોડ બાળકો પોષણક્ષમ આહારથી વંચિત છે. આગામી છ મહિનામાં 5 વર્ષથી ઓછી ઉંમરના 10 લાખ 20 હજારથી પણ વધારે બાળકો કુપોષણથી મૃત્યુ પામે તેવો અંદાજ છે.

ભારત-ચીનના વિદેશ મંત્રીઓની બેઠકમાં તણાવ ઓછો કરવા સહમતિ બની

લદ્દાખમાં ભારત-ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચાલી રહેલાં તણાવને ઘટાડવા માટે બંને દેશની વચ્ચે પાંચ મુદ્દાઓ પર સહમતિ બની ગઈ છે.

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના ચીનના સમકક્ષ વાંગ યી વચ્ચે ગુરુવારે મૉસ્કોમાં થયેલી મુલાકાતમાં આ નિર્ણય કરાયો.

સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર ચીનના વિદેશ મંત્રાલય દ્વારા બંને દેશના વિદેશ મંત્રીઓની બેઠક પૂર્ણ થયા પછી આ કહેવામાં આવ્યું.

એજન્સી પ્રમાણે ભારતના વિદેશ મંત્રીએ એ સ્પષ્ટ કર્યું કે ભારત એલએસી પર ચાલી રહેલા તણાવને વધારે આગળ વધારવા માગતું નથી ને ચીન પ્રત્યે ભારતની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી.

ભારતનું એમ પણ માનવું છે કે ભારત પ્રત્યે ચીનની નીતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી.

ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે બે પડોશી દેશ હોવાના કારણે એ વાત ઘણી સ્વભાવિક છે કે ચીન અને ભારતમાં કેટલાક મુદ્દાને લઈને અસહમતિ છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે એ અસહમતિઓને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવાય.

સમાચાર એજન્સી એએનઆઈએ ચીનના વિદેશ મંત્રાલયને ટાંકીને કહ્યું, "ચીન અને ભારતના સંબંધ એકવખત ફરીથી ચારરસ્તાની વચ્ચે આવી ઊભા છે. પરંતુ જ્યાં સુધી બંને પક્ષ પોતાના સંબંધોને યોગ્ય દિશામાં આગળ વધારશે, ત્યાં સુધી કોઈ હેરાનગતિ નહીં થાય અને એવો કોઈ પણ પડકાર નથી જેને ઉકેલી ન શકાય."

મૉસ્કોમાં ચાલી રહેલી શાંઘાઈ કૉર્પોરેશન ઑર્ગેનાઇઝેશન (એસસીઓ) વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા બંને દેશના નેતાઓ ગયા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો