IPL 2020: સંયુક્ત આરબ અમીરાતમાં યોજાઈ શકે છે આઈપીએલ-13

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

એશિયા કપ અને ટી-20 વિશ્વ કપ તો કોરોના મહામારીને કારણે રદ થઈ ચૂક્યા હતા પરંતુ ક્રિકેટપ્રેમીઓ માટે એક સારા સમાચાર છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સિઝન કોરોનાને કારણે નહીં અટકે અને તેને સંયુક્ત આરબ અમિરાતમાં યોજવામાં આવશે.

ટી-20 વિશ્વ કપ ઑક્ટોબર-નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં રમાવાની હતી પરંતુ કોરોનાને કારણે તેને રદ કરી દેવાઈ હતી.

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના ચૅરમૅન બ્રજેશ પટેલે આ સંબંધમાં પોતે જાણકારી આપી હતી.

આઈપીએલ-13 પહેલા આ વર્ષે 29 માર્ચથી શરૂ થવાની હતું પરંતુ કોરોનાને કારણે તે વખતે તેને સ્થગિત કરવું પડી હતી. ત્યાર પછી ચર્ચા હતી કે આઈપીએલ થશે કે નહીં. પરંતુ હવે કદાચ તમામ અટકળોને વિરામ મળ્યો છે.

શું કહ્યું બ્રજેશ પટેલે?

સમાચાર એજન્સી એએનઆઈ અને પીટીઆઈ ભાષા પ્રમાણે બ્રજેશ પટેલે પુષ્ટિ કરી હતી કે કોરોનાને કારણે જે આઈપીએલનું આયોજન સ્થગિત કરી દેવાયું હતું, તેને યુએઈમાં કરાવવામાં આવશે.

તેમણે કહ્યું કે બીસીસીઆઈએ આ બાબતમાં સરકાર પાસેથી પરવાનગી માગી છે અને સરકારની મંજૂરી મળ્યા પછી આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં બાકીની બાબતો નક્કી કરી લેવામાં આવશે.

તેમના મુજબ આવતા એક-બે અઠવાડિયા કે દસ દિવસમાં આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક થશે. તારીખને લઈને અત્યાર સુધી નિર્ણય નથી થયો અને કાઉન્સિલની બેઠકમાં આ વિશે અંતિમ નિર્ણય કરવામાં આવશે.

આની પહેલા બીસીસીઆઈ અધ્યક્ષ સૌરભ ગાંગુલીએ કહ્યું હતું કે ખાલી સ્ટેડિયમમાં પણ આઈપીએલ કરાવવાનો વિચાર થઈ રહ્યો છે. આને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા હતી.

જો આઈપીએલની 13મી સિઝન યુએઈમાં યોજાઈ તો આ બીજી વખત હશે જ્યારે આઈપીએલ યુએઈમાં રમાશે. 2014માં પણ યુએઈમાં આઈપીએલ રમાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો