ઉત્તર પ્રદેશ : કાનપુરમાં અથડામણ દરમિયાન ડીસીપી સહિત આઠ પોલીસકર્મીનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, બીબીસી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 2 મિનિટ
કાનપુરમાં મોડી રાતે બદમાશોને પકડવા ગયેલી પોલીસની ટીમ પર તાબડતોબ કરાયેલા ગોળીબારમાં ડીસીપી સહિત આઠ પોલીસકર્મીઓનાં મૃત્યુ થયાં છે.
આ ઘટનામાં કેટલાય પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસદળની તહેનાતી કરી દેવાઈ છે.
રાજ્યના પોલીસ મહાનિદેશક હિતેશચંદ્ર અવસ્થીએ જણાવ્યું, "કાનપુરના એક કુખ્યાત ગુનેગાર અને હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનો ઘેરો ઘાલવા માટે પોલીસ ચૌબેપુર ચોકીવિસ્તારના બિકરુ ગામમાં ગઈ હતી. "
"પોલીસને અટકાવવા માટે તેણે પહેલાંથી જ જેસીબી લગાવીને રસ્તો રોકી રાખ્યો હતો. પોલીસદળના પહોંચતાં જ બદમાશોએ છત પરથી ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું, જેમાં પોલીસના આઠ લોકો શહીદ થઈ ગયા."
"આમાં ડેપ્યુટી એસપી દેવેન્દ્ર મિશ્ર, ત્રણ સબ ઇન્સ્પેક્ટર અને ચાર કૉન્સ્ટેબલ સામેલ છે. ઘટનાસ્થળ પર એડીજી કાયદો અને વ્યવસ્થા પહોંચી રહ્યા છે. એસએસપી અને આઈજી ઘટનાસ્થળે જ છે. "
"કાનપુરની ફૉરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. એટીએફ પણ લગાવાઈ છે. "
ઘાયલ પોલીસકર્મીઓને કાનપુરની રિજેન્સી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમાંથી એક પોલીસકર્મીની હાલત ગંભીર ગણાવાઈ રહી છે.
ડીજીપી અવસ્થીએ જણાવ્યું કે વિકાસ દુબે પર 60 કેસ નોંધાયેલા છે અને ગત દિવસોમાં કાનપુરમાં રાહુલ તિવારી નામની વ્યક્તિએ તેના પર 307નો એક કેસ નોંધાવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ જ મામલે પોલીસ દુબેને પકડવા માટે એના ગામ બિકરુ ગઈ હતી, જ્યાં પોલીસની ટીમ સાથે એની અથડામણ થઈ.

સર્ચ ઑપરેશન ચાલુ

ઇમેજ સ્રોત, ANI
કાનપુરના પોલીસ મહાનિરીક્ષક મોહિત અગ્રવાલે બીબીસીને જણાવ્યું કે હિસ્ટ્રીશીટર ગુનેગાર વિકાસ દુબેને પકડવા માટે ગયેલી પોલીસટીમ પર ગુરુવાર અડધી રાત બાદ બદમાશોએ હુમલો કરી દીધો.
તેમના જણાવ્યા અનુસાર, "ઘરોની છત પરથી પોલીસ પર ગોળીઓ વરસાવી. આત્મરક્ષા માટે પોલીસે પણ ગોળીઓ ચલાવી. ગોળીબારમાં સીઓ બિલ્હૌરે દેવેન્દ્ર મિશ્ર સહિત આઠ પોલીસ કર્મીઓનાં મૃત્યુ થઈ ગયાં."
ઘટનાની સૂચના મળતાં જ કાનપુર પરિક્ષેત્રના અપર પોલીસ મહાનિદેશક જયનારાયણ સિંહ, પોલીસ મહાનિરીક્ષક મોહિત અગ્રવાલ અને વરિષ્ઠ પોલીસ અધીક્ષક દિનેશ કુમાર પી સહિત કેટલાય પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પોલીસદળે ગામને ચારેય તરફથી ઘેરી લીધું છે અને સર્ચ ઑપરેશન શરૂ કરી દીધું છે.
પોલીસના મતે વિકાસ દુબ સાથે સંપર્ક રાખનારા સોથી વધુ લોકોના મોબાઇલ ફોન સર્વિલાન્સ પર મૂકી દેવાયા છે.
કાનપુર નગર ઉપરાંત કાનપુર ગ્રામ્ય અને કન્નોજ જિલ્લામાંથી પણ પોલીસબળને બોલાવાયું છે.
વિકાસ દુબે પર વર્ષ 2003માં સંતોષ શુક્લાની હત્યાનો આરોપ લાગ્યો હતો. જોકે, એ વખતે કોર્ટે એમને દોષમુક્ત કર્યા હતા.
યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે રાજ્યના પોલીસ મહાનિદેશકને આ ઘટનાને અંજામ આપનારા ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને તત્કાલ ઘટનાસ્થળનો રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















