TV9 ગુજરાતીના પત્રકાર પર હુમલો, ભાજપના નેતાના ભાઈ પર આરોપ

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

ગુજરાતમાં ટીવી9ના પત્રકાર પર હુમલો કરવાની ઘટના બની છે. ચેનલનો આરોપ છે કે ભાજપના નેતાના ભાઈ દ્વારા કથિત અપહરણ કરીને પત્રકારને માર મારવામાં આવ્યો છે.

'ટીવી9 ગુજરાતી'ના બનાસકાંઠાના રિપોર્ટર કુલદીપ પરમાર અને કૅમેરામૅન આકાશ પરમાર હાલમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાંથી કુલદીપની હાલત ગંભીર હોવાનું 'ટીવી9 ગુજરાતી'ના ઍસોસિએટ એડિટર નરેન્દ્રસિંહ જાદવે જણાવ્યું છે.

જાદવના જણાવ્યા અનુસાર બનાસકાંઠામાં આ ઘટના બની હતી.

કુલદીપ અને આકાશ બનાસકાંઠાના કુવારશી ગામમાં ભાજપના સ્થાનિક નેતા લક્ષ્મણ બારડની આશ્રમશાળામાં સરકારી સહાયના મામલે થઈ રહેલી કથિત ગેરરીતિને કવર કરવા ગયા હતા.

જેને પગલે લક્ષ્મણના ભાઈ વદનસિંહે સાત-આઠ ઇસમો સાથે બન્ને પત્રકારોનું કથિત અપહરણ કરીને નજીકમાં આવેલા ફાર્મહાઉસમાં લઈ ગયા હતા. જ્યાં તેમને કથિત માર માર્યો હતો.

ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની બાંહેધરી

કથિત અપહરણની ઘટના અંગે કુલદીપના ભાઈને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

જેના અઢી કલાક બાદ બન્ને પત્રકારોને મુક્ત કરાવાયા હતા.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં નરેન્દ્રસિંહ જાદવે આ મામલે અપહરણ, જીવલેણ હુમલો અને લૂંટનો કેસ દાખલ કરવાની વાત કરી છે.

ગુજરાત સરકારે આ ઘટનાને વખોડી કાઢી છે.

મીડિયા સાથેની વાતચીતમાં ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની બાંહેધરી આપી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો