You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચ્છમાં હાઇઍલર્ટ : ઉગ્રવાદી હુમલાની આશંકા
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 2 મિનિટ
અનુચ્છેદ 370 નાબૂદ કરાયા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. ત્યારે કચ્છની સીમા ઉપર હુમલાની સંભાવનાને પગલે ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સમાચાર સંસ્થા એએનઆઈએ આપેલી માહિતી મુજબ ઉગ્રવાદીઓ કચ્છના અખાતમાં કે સિરક્રીકમાં ઘૂસણખોરી કરે એવી આશંકા ઇન્ટેલિજન્સ વિભાગે વ્યક્ત કરી છે.
આ આશંકાને પગલે સીમાસુરક્ષાદળ અને કોસ્ટગાર્ડને હાઇઍલર્ટ કરાયા છે.
દીનદયાળ પૉર્ટ ટ્રસ્ટ (કંડલા બંદર)ના સિગ્નલ સુપરિન્ટેન્ડેન્ટ અપૂર્વ જાડેજાએ બીબીસી ગુજરાતીને પરિપત્ર બહાર પાડ્યા અંગેની પુષ્ટિ કરી છે અને કહ્યું કે આ સર્ક્યુલર અમે ગઈકાલે (બુધવારે) જાહેર કર્યો હતો.
આજે તેને પગલે સુરક્ષાદળો અને એજન્સીઓ ઍલર્ટ પર છે.
ગતિવિધિઓ પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે અને પેટ્રોલિંગ સુરક્ષા વધારે ચુસ્ત કરવામાં આવી હોવાની માહિતી પણ તેમણે આપી છે.
એમના તરફથી જાહેર કરાયેલા પરિપત્ર મુજબ કંડલા બંદરે તમામ વહાણો અને સંબંધિત એજન્સીઓ તેમજ લોકોને સાવચેતી રાખવા અને કોઈ શંકાસ્પદ હલચલ દેખાય તો ધ્યાને લેવા અને જાણ કરવા કહેવાયું છે.
બીબીસીના સહયોગી પ્રશાંત ગુપ્તાએ આપેલી માહિતી મુજબ કંડલા બંદરે સુરક્ષા બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે આ ઍલર્ટ અગાઉ નૌસેનાધ્યક્ષ ઍડમિરલ કરમબીર સિંહે દેશમાં જૈશ-એ-મોહમ્મદના ઉગ્રવાદીઓ અંડરવૉટર હુમલો કરી શકે છે, એવી શંકા વ્યકત કરી ચૂક્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત સમાચાર મુજબ, તેમણે એવું કહ્યું હતું કે અમને જૈશ-એ-મોહમ્મદ ઉગ્રવાદીઓને અંડરવૉટર હુમલા માટે તાલીમ આપી રહ્યું હોવાના ખુફિયારિપોર્ટ્સ મળ્યા છે અને અમે એનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.
પાકિસ્તાન દ્વારા મિસાઇલ પરીક્ષણ
આ દરમિયાન પાકિસ્તાને આજે ગઝનવી બૅલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે.
290 કિલોમીટર સુધીના વિસ્તારમાં પ્રહાર કરી શકતી, આ મિસાઇલનું નામ ભારત ઉપર હુમલો કરનાર મહોમ્મદ ગઝનવીના નામ ઉપરથી તેનું નામ રાખવામાં આવ્યું છે.
આ મિસાઇલ અણુ હથિયારોનું પણ વહન કરી શકે છે.
ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે બપોરે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું:
"પાકિસ્તાન સામાન્ય પાડોશી રાષ્ટ્રની જેમ વર્તવાનું શરૂ કરી દે તે ઇચ્છનીય છે. તે ભારતમાં ત્રાસવાદીઓને ન મોકલે."
"તેઓ સામાન્ય રીતે વાતચીત કરે છે અને વેપાર કરે છે. પાકિસ્તાન જે કંઈ કરી રહ્યું છે, તે સારો પાડોશી ન કરે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો