બે કોરિયાની મુલાકાતમાં, દુનિયાને કેમ રસ છે?

પ્રકાશિત

શુક્રવારે વિશ્વ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું છે. ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ-ઉન અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈનને મળવા દક્ષિણ કોરિયા પહોંચ્યા છે.

કિમ જોંગ-ઉન 1953ના કોરિયન યુદ્ધ પછી દક્ષિણ કોરિયામાં પગ મૂકનારા ઉત્તર કોરિયાના પહેલા નેતા બન્યા છે.

છેલ્લા કેટલાક દાયકાઓથી વણસેલા સંબંધોને બંને દેશોના વડા મળીને સુધરવાનો પ્રયત્ન કરશે.

પનમુનજોમમાં થનારી બેઠકમાં મૂન જે-ઈનની આશાઓ સ્પષ્ટ છે. તેમનું કહેવું છે કે બંને દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ છે અને શાંતિ સમાધાનના પ્રયત્નો થાય તે જરૂરી છે. જેથી કોરિયન ઉપખંડમાં વર્ષોથી ચાલ્યા આવતો તણાવ શાંત થાય.

તમે આ વાંચ્યું કે નહીં?

આ બંને દેશોના વડાઓની મુલાકાતથી ભારતને શું?

આ બંને દેશોના વડાઓની મુલાકાતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહત્વની માનવામાં આવી રહી છે. ત્યારે ભારતને આનાથી કેટલી અસર થશે

તે જણાવતા જેએનયુમાં કોરિયન સ્ટડીઝના પ્રોફેસર સંદિપ મિશ્રાએ બીબીસી સાથે વાત કરી. પ્રો. મિશ્રાએ કહ્યું કે, આ મુલાકાતથી ભારતને સીધી રીતે કોઇ અસર કે ફાયદો થશે નહીં.

પણ ભારત એક વિકાસશીલ દેશ છે. એશિયા પેસિફિક દેશોમાં આપણું મહત્વ વધી રહ્યું છે. ત્યારે એશિયા પેસિફિક દેશોની નીતિ એકબીજા માટે શાંત રહે તે મહત્વનું છે.

જો પૂર્વ એશિયામાં કે આખા એશિયા પેસિફિકમાં જો ઉત્તર કોરિયાના મિસાઈલ પરિક્ષણને લઈને સંઘર્ષની પરિસ્થિતિ સર્જાય તો તેની માઠી અસરો ભારતને ભોગવવી પડે.

વિશ્વ રાજનીતિની વાત કરતાં પ્રોફેસર મિશ્રાએ કહ્યું, ''અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે થોડા સમય પહેલા મિસાઈલ પરિક્ષણને લઈને આક્રમક માહોલ હતો.''

''જ્યારે આ મામલે ભારતનો મત શાંતિ પ્રસ્તાવની નીતિની વકાલત કરતું આવ્યું છે. એવામાં બે દેશો વચ્ચે આવી વાતચીત થાય તે ભારતીય કૂટનીતિને સમર્થન આપનારું છે.''

દાવતથી ખુલશે દોસ્તીના માર્ગ?

વર્ષોની કૂટનીતિ અને રાજનેતાઓની મહત્વની બેઠકોમાં વાનગીઓની ભૂમિકા મહત્વની હોય છે. ક્યાંક કેવિયાર (માછલીના ઈંડામાંથી બનેલી વાનગી)ને વખોડવામાં આવી, તો ક્યાંક કોઇ રાષ્ટ્રપતિને ઉલટી થઈ ગઈ.

વિશ્વના મોટા રાજનેતાઓ સતત કલાકો સુધી કામ કરે છે. મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરે છે. તેમનો ઘણો સમય લોકો સાથે વાત કરવામાં પસાર થતો હોય છે.

કેટલીક વાર તેઓ આખી-આખી રાત સૂઇ નથી શકતા. પણ સામાન્ય માણસની જેમ તેમની માટે પણ જમવાનું જરૂરી છે.

આ વર્ષે દુનિયાની બે ખાસ બેઠકો થવા જઇ રહી છે. અને આ બેઠકો પછી જમવામાં શું-શું પીરસવામાં આવશે- વિચારવા માટે ભારે જહેમત કરાઈ છે.

એવું મવાઈ રહ્યું છે કે ઉન અને ઈનની આ બેઠકમાં મૂન જે ઈનને સાદી માછલી પીરસવામાં આવશે. જે તેમને પોતાના શહેર બુસાનની યાદ અપાવશે. સાથે જ બટાકા અને બટરમાંથી બનતી કુરકુરી સ્વિસ રોટલી પણ હશે. જે કિમ જોંગને તેમની શાળાના દિવસોની યાદ અપાવશે. કિમ જોંગ ઉનનું સ્કૂલનું ભણતર સ્વિટ્ઝરલેન્ડમાં થયું હોવાનું માનવામાં આવે છે.

કિમ જોંગ ઉનને ફ્રેંચ ચીઝ અને વાઈન પસંદ છે. શું તેમને આ પીરસવું એ દક્ષિણ કોરિયાના તેમની સાથેના સંબંધો સારા કરવાની પહેલ ગણી શકાય?

રિસર્સ સલાહકાર સેમ ચેપલ સોલોક કહે છે કે ''સમ્મેલનોમાં મહેમાનોને જે ભોજન આપવામાં આવે છે તે હકિકતમાં સકારાત્મક ચર્ચાને આગળ વધારવાના હેતુથી પીરસાતું હોય છે. અને આખું મેનુ આકર્ષક હોય છે.''

''કેમ કે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાની નિકટતા અને મિત્રતા માટે આ મુલાકાત થઇ રહી હોવાથી આ મેન્યુ ખાસ હશે. ''

સેમ ચેપલ સોલોક કહે છે કે ઉત્તર કોરિયાની સરકારે ક્યારેય એવો દાવો નથી કર્યો કે કિમ જોંગ ઉન સ્વિટ્ઝરલેન્ડ ગયા હતાં. મેનૂ બનાવનારાનો સ્વિસ ડિશ પીરસવાનો ઈરાદો પોતાની જાણકારીના આધારે પણ હોય શકે.

આ પછીની મહત્વની મુલાકાત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉનની હશે. આ દરમિયાન તેમના ટેબલ પર એવું શું હશે કે તેમના વચ્ચેનો તણાવ વિસરે, તેના પર બધાની નજર રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો