ગુજરાત હવામાન : ચોમાસું હજુ બેઠું નથી તો પછી ગુજરાતમાં કેટલાક જિલ્લામાં વરસાદ કેમ પડી રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં 18 જૂનની રાત્રે અમદાવાદ સહિત ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં વરસાદ પડતાં સ્થાનિકોને બફારાથી આંશિક રાહત મળી હતી.
જોકે, એ બાદ આકાશમાંથી વાદળો ફરી ઓછાં થયેલાં જોવા મળ્યાં હતાં.
નોંધનીય છે કે હવામાન વિભાગની જાહેરાત પ્રમાણે ભારતમાં 4 જૂનથી ચોમાસું બેસી ચૂક્યું છે, પરંતુ પહેલાં 15 જૂનની આસપાસ ચોમાસાની ગુજરાતમાં ઍન્ટ્રીની જોવાતી રાહ લાંબી ખેંચાઈ હતી.
હજુ સુધી ગુજરાતમાં ચોમાસું વિધિવત્ બેઠું નથી, જોકે, જૂન માસના અંત ભાગ સુધીમાં રાજ્યમાં ચોમાસાની ઍન્ટ્રી અને એ બાદ આગેકૂચ અંગેની વાત થઈ રહી છે.
હવે હવામાન વિભાગે ફરી એક વાર રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ અંગે આગાહી જાહેર કરી છે આ સિવાય આગામી દિવસોમાં રાજ્ય તરફ આગળ વધી રહેલું ચોમાસું ક્યાં સુધી પહોંચશે એ અંગે પણ વિગતો જાહેર કરી છે.
ગુજરાતમાં ક્યાં પડી શકે છે વરસાદ?

ઇમેજ સ્રોત, IMD
જો ચોમાસાની આગેકૂચ અંગે હવામાન વિભાગે આપેલી માહિતીની વાત કરીએ તો આગામી 23 જૂનની આસપાસ નૈઋત્ય ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ ભાગોમાં આગળ વધે તે માટેની સાનુકૂળ સ્થિતિ છે.
હવામાન વિભાગે 19 જૂનના રોજ બપોરના 12 વાગ્યે આગાહી અંગે જાહેર કરેલા એક બુલેટિનની માહિતી અનુસાર, 20 જૂનના રોજ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.
તેમજ અન્ય જિલ્લામાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત, 21 જૂનના રોજ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ સિવાય, રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આ દિવસે શુષ્ક હવામાન રહેશે તેવી શક્યતા છે.
22 જૂન માટેની આગાહી પ્રમાણે, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ ખાતે છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ સિવાય, રાજ્યના મોટા ભાગના જિલ્લામાં આ દિવસે શુષ્ક હવામાન રહેશે તેવી શક્યતા છે.
ગુજરાતમાં ચોમાસા પહેલાં જ વરસાદ કેમ પડી રહ્યો છે?

ઇમેજ સ્રોત, IMD
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પાછલા બે-ત્રણ દિવસથી ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ એ વરસાદ ચોમાસાનો નથી, ચોમાસું તો હજુ નબળું જ છે.
હજુ એકાદ અઠવાડિયા સુધી ચોમાસું ફરી મજબૂત બને એવી શક્યતાઓ હજુ દેખાતી નથી.
સાબરકાંઠાથી અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, અમદાવાદ-બોટાદ અને દાહોદના કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ જોવા મળ્યો હતો.
આ વરસાદનું કારણ હતી, પાકિસ્તાન અને રાજસ્થાનની બૉર્ડરે બનેલી સિસ્ટમ. આ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ભારતમાં 18 જૂનના રોજ આવેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ બંનેની અસરને કારણે આ જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. આ સિવાય અન્ય સાયક્લોનિક સર્ક્યુલેશન પણ આસપાસ હોઈ વાદળો બંધાતાં વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગનું કહેવું છે કે હજુ આગામી ચાર-પાંચ દિવસ સુધી ચોમાસું મહારાષ્ટ્રમાં પણ આગળ નહીં વધે. એનો અર્થે એ થયો કે ચોમાસું મહારાષ્ટ્રમાં આગામી 23-24 તારીખ સુધી મહારાષ્ટ્રમાં પણ આગળ વધવાની શક્યતા નથી, તેથી હાલ ચોમાસું ત્યાં સુધી મજબૂત નહીં બને.
જુદાં જુદાં મૉડલોનાં અનુમાનો મુજબ, આગામી 25 જૂનથી ચોમાસું સક્રિય અને ફરી મજબૂત થતું દેખાઈ રહ્યું છે.
એ બાદ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ વધવાની શક્યતા છે. મૉડલો પ્રમાણે, 26-27 તારીખ સુધી મુંબઈમાં વરસાદની શરૂઆત થાય તેવી શક્યતા છે.
જોકે, મૉડલો જણાવે છે એ પ્રમાણે, ગુજરાતમાં હજુ સુધી 30 જૂન સુધી વરસાદી ઍક્ટિવિટીમાં કોઈ ખાસ વધારો થાય એવી શક્યતા નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

























