You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દક્ષિણ કોરિયામાં ભયંકર બરફવર્ષા, 52 વર્ષનો રેકૉર્ડ તૂટ્યો – ન્યૂઝ અપડેટ
દક્ષિણ કોરિયાની રાજધાનીમાં ભયંકર બરફવર્ષા થઈ છે. આટલો બરફ સદી પહેલાં વર્ષ 1907માં નોંધાયો હતો.
બુધવારે અહીં 16 સેન્ટિમીટર બરફ પડ્યો હતો. અગાઉ વર્ષ 1972માં 12.4 સેન્ટિમીટર બરફ પડ્યો હતો.
ભયંકર વર્ષાને કારણે દક્ષિણ કોરિયામાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. વિમાન સેવા પણ ખોરવાઈ હતી.
ભારે બરફવર્ષાને કારણે સિઓલના રસ્તા પર થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ સામે હિંસાની ખબરો પર પ્રિયંકા ગાંધીએ આ નિવેદન આપ્યું
બાંગ્લાદેશમાં ઇસ્કૉન મંદિર સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડના મામલે કૉંગ્રેસનાં સાંસદ પ્રિયંકા ગાંધીએ નિવેદન આપ્યું છે.
પ્રિયંકા ગાંધીએ ઍક્સ પર લખ્યું, “બાંગ્લાદેશમાં ઇસ્કૉન મંદિરના સંતની ધરપકડ અને લઘુમતિ હિંદુઓ સામે થઈ રહેલી હિંસાની ખબર ચિંતાજનક છે. મારી કેન્દ્ર સરકારને અપીલ છે કે આ મામલે હસ્તક્ષેપ કરીને બાંગ્લાદેશના તમામ લઘુમતિ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવે.”
આ પહેલા કૉંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ આ જ મુદ્દે લેખીત નિવેદન બહાર પાડ્યું હતું.
ભારત સરકારે બાંગ્લાદેશમાં ચટગામમાં ઇસ્કૉન મંદિર સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ બાદ તેમને જેલ મોકલવા અને જામીન ન મળવા પર નિવેદન જાહેર કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ નિવેદનમાં કહેવાયું હતું કે બાંગ્લાદેશની વચગાળાની સરકારે હિંદુઓ સહિતના તમામ લઘુમતિ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ.
બાંગ્લાદેશની સરકારે આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે ભારતે તેના આંતરિક મામલામાં ટિપ્પણી કરી છે જે દોસ્તીની ભાવના અને બે પાડોશી દેશોની સમજની વિરુદ્ધમાં છે.
શિંદેની પ્રેસ કૉન્ફરન્સ પર ભાજપે શું કહ્યું?
મહારાષ્ટ્રના ભાજપના એકમે કાર્યકારી મુખ્ય મંત્રી એકનાથ શિંદેની પ્રેસ કૉન્ફરન્સ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે.
મહારાષ્ટ્રના ભાજપના પ્રમુખ ચંદ્રશેખર બાવનકુલેએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, “મહારાષ્ટ્રની મહાયુતિના અમારા વરિષ્ઠ નેતા જેઓ મહાયુતિને આગળ લઈને આવ્યા અને તેઓ હ્રદયના સારા નેતા છે. અમારા મુખ્ય મંત્રી એકનાથ શિંદેનો હું આભાર વ્યક્ત કરું છું.”
તેમણે વધુમાં કહ્યું, “જે લોકોના મનમાં શંકા હતી તે શંકાઓને આજે તેમણે સમાપ્ત કરી દીધી. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી કોણ હશે તે તેમણે જણાવ્યું. તેમના જણાવ્યા પ્રમાણે તેનો નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ તથા કેન્દ્રીય નેતૃત્વ કરશે.”
આ પહેલા શિંદેએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમને મહારાષ્ટ્રના સીએમ બનવાની લાલસા નથી અને મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી કોણ હશે તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ તથા ભાજપના વરિષ્ઠ નેતાઓ પસંદ કરશે અને તે તેમને માન્ય રહેશે.
શિંદેએ કહ્યું- પીએમ મોદી અને અમિત શાહ જે નિર્ણય લેશે તે તેમને મંજૂર
મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ રાજ્યના હવે પછીના સીએમ ચહેરાને લઈને પૂછવામાં આવેલા સવાલોના જવાબો આપ્યા છે.
તેમણે કહ્યું છે કે સરકાર બનાવવાને લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ જે નિર્ણય લેશે તે તેમને મંજૂર હશે.
એકનાથ શિંદેએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, “તમે પૂછી રહ્યા છો કે અમે જીતીને આવ્યા છતા સરકાર બનાવવાનો નિર્ણય ક્યાં અટક્યા છે.”
“કાલે મોદી જી સાથે વાતચીત થઈ છે. મેં કહ્યું નવી સરકાર બનાવવામાં મારી તરફથી કોઈ સમસ્યા નથી. મને સીએમ બનવાની લાલસા નથી. જે તમે નિર્ણય લો તે મને મંજૂર હશે. મારા માટે નહીં પરંતુ મહારાષ્ટ્રની જનતા માટે તમે વિચારો અને નિર્ણય લો.”
ગુજરાતના બેટ્સમૅન ઉર્વિલ પટેલે બનાવી ટી20માં સૌથી ઝડપી સદી, તોડ્યો પંતનો રેકૉર્ડ
ગુજરાતના બેટ્સમૅન ઉર્વિલ પટેલે સૌથી ઝડપી ટી20 સદી ફટકારનારા ભારતીય ખેલાડી બની ગયા છે.
તેમણે ત્રિપુરાની વિરુદ્ધમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રૉફીની એક મૅચમાં 28 બૉલમાં પોતાની સદી પૂર્ણ કરી. તેમણે 12 સિક્સ મારી.
આ પહેલા ઋષભ પંત ટી20માં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી હતા. પંતે 2018માં હિમાચલ પ્રદેશની સામે 32 બૉલમાં સદી ફટકારી હતી.
ઉર્વિલ પટેલે 35 બૉલમાં 113 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે આઇપીલની હરાજીમાં તેમને કોઈ ટીમે ખરીદ્યા ન હતા.
ત્રિપુરાએ પહેલી બેટિંગ કરતા ગુજરાતની ટીમને 156 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ગુજરાત માત્ર 10.2 ઑવરમાં જ આ ટાર્ગેટ ચેઝ કરી મૅચ જીત્યું હતું.
ગૌતમ અદાણી મામલે સંસદમાં ચર્ચાની માગ પર હોબાળો, રાહુલ ગાંધીએ શું કહ્યું?
સંસદના શિયાળુ સત્રના બીજા દિવસે ભારે હોબાળો થયો અને લોકસભા અને રાજ્યસભામાં કામકાજ બુધવારના દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
બુધવારના બંને સદનોમાં કૉંગ્રેસ તરફથી અદાણીના મામલે ચર્ચા કરાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.
કૉંગ્રેસ અનુસાર અદાણી પર અમેરિકામાં છેતરપિંડીના ગંભીર આરોપ લગાવાયા છે અને સરકારે તેની પર ચર્ચા કરાવવી જોઈએ.
સંસદની બહાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પત્રકારે કહ્યું કે, એક તરફ જ્યાં નાના-નાના આરોપોમાં સેંકડો લોકોની ધરપકડ થાય છે, સરકાર અદાણીને બચાવવાનું કામ કરી રહી છે.
ગયા અઠવાડિયે જ અદાણી પર પોતાની એક કંપનીને કૉન્ટ્રેક્ટ અપાવવા માટે 25 કરોડ ડૉલરની લાંચ આપવા અને આ મામલેને છુપાવવાનો આરોપ લાગ્યો હતો.
ત્યાર બાદ કૉંગ્રેસે ગૌતમ અદાણીની ધરપકડની માગ કરી.
ઇમરાન ખાનના સમર્થકો વિરુદ્ધ ઇસ્લામાબાદમાં રાતભર ચાલેલા ઑપરેશનમાં 500 લોકોની ધરપકડ
પાકિસ્તાન સરકારે કહ્યું છે કે મંગળવારના ઇસ્લામાબાદના ડી ચોક પર એકત્ર થયેલા પીટીઆઈ સમર્થકો પર પોલીસ અને સુરક્ષા દળોએ વ્યાપક કાર્યવાહી કરી હતી.
પોલીસ અનુસાર ઇમરાન ખાનની પાર્ટીના લગભગ 500 પ્રદર્શનકારીઓની ધરપકડ કરવામાં આવી છે.
ઇમરાન ખાનનાં પત્ની બુશરા બીબીના લાપતા થવાના સમાચારો વચ્ચે એવી માહિતી આવી રહી છે કે તેઓ ખૈબર પખ્તૂનખ્વાહ પ્રાંતમાં છે.
બીબીસી ઉર્દૂ અનુસાર પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફ પેશાવરના પ્રમુખ અરબાબ નસીમે કહ્યું કે તેઓ જલદી જ પ્રેસ કૉન્ફરન્સ કરશે. બીજી તરફ પીટીઆઈએ પોતાનું પ્રદર્શન સ્થગિત કર્યું છે.
આની પહેલાં પીટીઆઈએ દાવો કર્યો હતો કે પ્રદર્શનસ્થળ ઇસ્લામાબાદના ડી ચોકથી બુશરા બીબીનું અપહરણ કરી લેવામાં આવ્યું છે.
યુદ્ધવિરામ શરૂ થયું ત્યાં સુધી ઇઝરાયલ અને હિઝબુલ્લાહ એકબીજા પર હુમલા કરતા રહ્યાં
મંગળવારે લેબનોન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામના કલાકો પહેલાં હિઝબુલ્લાહ અને ઇઝરાયલે એકબીજા પર હુમલા કર્યા હતા.
હિઝબુલ્લાહે કહ્યું હતું કે 'મંગળવારે રાત્રે તેણે તેલ અવીવમાં કેટલાક સંવેદનશીલ લશ્કરી છાવણીઓ પર હુમલો કર્યો હતો. ઇઝરાયેલની સેનાએ આ વાતને અનુમોદન આપ્યું હતું.
સમાચાર સંસ્થા એએફપી() અનુસાર, હિઝબુલ્લાએ કહ્યું હતું કે, રાજધાની બેરૂતને નિશાન બનાવવા અને ઇઝરાયલી સૈન્ય દ્વારા નાગરિકોના સંહારના જવાબમાં, હિઝબુલ્લાએ તેલ અવીવમાં કેટલાક સંવેદનશીલ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા.
બીજી તરફ, ઇઝરાયલે બૈરુતના કેટલાક વિસ્તારોના રહેવાસીઓને તેમના ઘર ખાલી કરવાની સૂચના આપી હતી અને કહ્યું હતું કે ઇઝરાયલની સેના હિઝબુલ્લાહના વિસ્તારોને નિશાન બનાવી શકે છે.
આ પહેલાં ઇઝરાયલે કહ્યું હતું કે હિઝબુલ્લાહે સોમવારે 250 રૉકેટ છોડ્યાં હતાં.
મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને વ્હાઇટ હાઉસમાં પત્રકારોને માહિતી આપી હતી કે લેબનોન અને ઇઝરાયલની સરકારો ફ્રાન્સ અને અમેરિકાની મધ્યસ્થીથી યુદ્ધવિરામ માટે સહમત થયા છે.
આ કરાર અનુસાર, ઇઝરાયલની સેના આગામી 60 દિવસમાં તબક્કાવાર રીતે દક્ષિણ લેબનોન ખાલી કરશે.
જોકે, હિઝબુલ્લાહ યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરશે તો ઇઝરાયલને સ્વ-બચાવમાં વળતો જવાબ આપી શકશે.
ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ પર ભારતના નિવેદન પર બાંગ્લાદેશે શું જવાબ આપ્યો
ઇસ્કૉન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણદાસની સોમવારે ઢાકાના હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી.
બાંગ્લાદેશમાં ઇસ્કૉન સાથે સંકળાયેલા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર ભારતીય વિદેશ મંત્રાલયે નિવેદન જાહેર કર્યું હતું. હવે બાંગ્લાદેશે વળતું નિવેદન આપ્યું છે.
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં કહ્યું છે કે,"બાંગ્લાદેશ સરકાર નોંધ લે છે કે આજે ભારતીય વિદેશ મંત્રાલયે બાંગ્લાદેશ સરકારની આંતરિક બાબત સંબંધિત મીડિયામાં નિવેદન બહાર પાડ્યું છે."
"ખૂબ જ નિરાશા અને ઊંડા દુઃખની વાત છે કે બાંગ્લાદેશ સરકારે નોંધ્યું છે કે શ્રી ચિન્મય કૃષ્ણદાસની ધરપકડને કેટલાક લોકો દ્વારા ખોટી રીતે રજૂ કરવામાં આવી છે કારણ કે શ્રી ચિન્મય કૃષ્ણદાસની ચોક્કસ આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે."
"બાંગ્લાદેશ સરકાર કહે છે કે આવા પાયાવિહોણાં નિવેદનો માત્ર તથ્યોને ખોટી રીતે રજૂ કરે છે એટલું જ નહીં પરંતુ તે બે પાડોશી દેશો વચ્ચેની મિત્રતા અને પરસ્પર સમજણની ભાવનાથી પણ વિપરીત છે."
"આ નિવેદન તમામ ધર્મોના લોકોમાં પરસ્પર સંવાદિતા અને આ સંદર્ભમાં સરકાર અને લોકોની પ્રતિબદ્ધતા અને પ્રયાસને પણ પ્રતિબિંબિત કરતું નથી."
"બાંગ્લાદેશની સરકાર બાંગ્લાદેશના લોકો વિરુદ્ધ કરવામાં આવી રહેલા માનવાધિકાર ઉલ્લંઘનના ગુનેગારોને મુક્ત હાથ આપી રહી છે. એવી જો વાત હોય તો એ બાબત વાસ્તવિકતાથી વેગળી છે."
"બાંગ્લાદેશ સરકાર ફરીથી કહેવા માગે છે કે દેશનું ન્યાયતંત્ર સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને ન્યાયતંત્રના કામકાજમાં દખલ કરતું નથી. જે મામલા પર સવાલ ઊભા થયા છે તે કાયદાની અદાલતમાં છે."
ભારતે જે નિવેદન આપ્યું હતું તેમાં કહ્યું હતું કે, "અમે બાંગ્લાદેશના સમ્મિલિત સનાતન જાગરણ જોટના પ્રવક્તા શ્રી ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ અને જામીન નામંજૂર કરવાને લઈને ખૂબ જ ચિંતિત છીએ. આ ઘટના બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા હિંદુઓ અને અન્ય લઘુમતીઓ પર હુમલા પછી સામે આવી છે."
"બાંગ્લાદેશમાં લઘુમતીઓનાં ઘર અને દુકાનો લૂંટી લેવામાં આવી છે. આ સાથે જ ચોરી, તેમનાં મંદિરોની તોડફોડ અને તેમનાં દેવી-દેવતાઓને અપવિત્ર કરવાના ઘણા કેસ નોંધાયા છે."
"આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યારે આ ઘટનાઓના અપરાધીઓ હજી પણ મુક્ત રીતે ફરે છે. પણ એક ધાર્મિક નેતા સામે આરોપો લગાવાઈ રહ્યા છે. આ નેતા શાંતિપૂર્ણ સભાઓ દ્વારા તેમની માગણી કરી રહ્યા હતા."
નેશનલ ઍન્ટી ડોપિંગ એજન્સીએ બજરંગ પુનિયાને ચાર વર્ષ માટે સસ્પેન્ડ કર્યા, શું કારણ આપ્યું?
નૅશનલ ઍન્ટી ડોપિંગ એજન્સીએ ઓલિમ્પિયન રેસલર બજરંગ પુનિયાને ચાર વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર, બજરંગ પુનિયાએ માર્ચ મહિનામાં ડોપ ટેસ્ટ માટે પોતાનું સેમ્પલ આપવાની ના પાડી દીધી હતી. તેમનું સસ્પેન્શન 23 એપ્રિલ 2024થી લાગુ થયેલું ગણાશે.
નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ તેમને 23 એપ્રિલ 2024ના રોજ સસ્પેન્ડ કરી દીધા હતા, જેની સામે તેમણે અપીલ કરી હતી. તે પછી, એજન્સીની અનુશાસનાત્મક ડોપિંગ પેનલે 31 મેના રોજ આરોપોની નોટિસ મોકલવામાં આવી ત્યાં સુધી આ નિર્ણયને રદ કરી દીધો હતો.
ગત 23 જૂને એજન્સીએ પુનિયાને નોટિસ મોકલી હતી. પુનિયાએ આ વાતને પણ પડકારી હતી. એજન્સીની ડોપિંગ પેનલ આ કેસની સુનાવણી કરી રહી હતી.
જાતીય સતામણીના વિરોધમાં મહિલા કુસ્તીબાજોના સમર્થનમાં પુનિયા ચર્ચામાં રહ્યા હતા.
ગયા સપ્ટેમ્બરમાં, હરિયાણા ચૂંટણી પહેલાં કુસ્તીબાજ વીનેશ ફોગટ સાથે કૉંગ્રેસમાં જોડાયાં હતાં. તેમને અખિલ ભારતીય કિસાન કૉંગ્રેસની જવાબદારી સોંપવામાં આવી હતી.
બજરંગ પુનિયા ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં કાંસાનો પદક જીત્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન