બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને...

પ્રકાશિત

મિત્રો, દર અઠવાડિયે અમે તમારા માટે એવા લેખો લાવીએ છીએ જે અલગ-અલગ ઘટનાઓ વિશે તમને માહિતી આપે છે. જો તમે આ અઠવાડિયે કંઈ ચૂકી ગયા હો તો અહીં વાંચી શકો છો.

અમે તમારા માટે પાંચ એવા લેખો લાવ્યા છીએ જે તમને વાંચવા ગમશે. આખો લેખ વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.

ગુજરાતમાં ઘણા સમયથી નકલી બિયારણને કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાની વિગતો મળી રહી છે.

હાલમાં જ કૃષિ વિભાગે કેટલાક અનધિકૃત બિયારણનો વ્યાપાર કરતા એક ગોડાઉન પર છાપો માર્યો હતો. પણ સવાલો ઊઠે છે કે સરકાર આ પ્રકારે કાર્યવાહી કરતી હોવા છતાં પણ આ પ્રકારે નકલી બિયારણનો કારોબાર અટકતો કેમ નથી?

ખેડૂત આગેવાનોનું પણ કહેવું છે કે ભલે સરકાર ગમે તેટલો દાવો કરે પણ ગુજરાતમાં બીટી કપાસના બીજનું ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણ થતું રહે છે અને તેને કારણે ખુબ મોટી સંખ્યામાં ખેડૂતો નબળા અથવા તો નકલી બીટી કપાસ બીજથી આર્થિક નુકસાનીનો ભોગ બનતા રહે છે.

વાંચો કે નકલી બિયારણને કારણે ગુજરાતના ખેડૂતો કેમ બરબાદ થઈ રહ્યા છે?

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટાના સરદાર હાજી જાન મોહમ્મદે દાવો કર્યો છે કે રવિવારે તેમને ત્યાં 60મા બાળકનો જન્મ થયો છે.

બીબીસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમનાં પાંચ સંતાન મૃત્યુ પામ્યાં છે, જ્યારે 55 સ્વસ્થ અને જીવંત છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ આટલાં સંતાન પેદા કરીને અટકવાના નથી. અલ્લાહ ઇચ્છશે તો તેમને ત્યાં વધુ સંતાનોને જન્મ થશે.

વધુ બાળકો પેદા કરવા માટે તેઓ ચોથા લગ્ન કરવાની યોજના પણ બનાવી રહ્યા છે.

વાંચો પાકિસ્તાનના આ બેગમનાં આટલાં બાળકો પાછળનું રહસ્ય શું છે?

કોરોના વાઇરસ પૃથ્વી પર ત્રાટક્યો તે પહેલાંથી જિઓવાના અલમેડાનું સ્વપ્ન બૅકયાર્ડવાળું એક ઘર અને ઘરે જ ઑફિસ બની શકે તેટલું મોટું ઘર રાખવાનું હતું.

વર્ષ 2015માં તેઓ બ્રાઝિલના બેલો હોરિઝોન્તેથી અમેરિકાના ન્યૂયૉર્કમાં સ્થાયી થયાં. તેમજ જ્યારે મહામારીને કારણે તેમણે ઘરે જ સેલ્ફ આઇસોલેશનમાં જવું પડ્યું ત્યારે તેઓ બ્રૂકલીનમાં હતાં.

તેઓ એ ઘર વિશે અને ત્યાંના તેમના અનુભવો અંગે વાત કરતાં કહે છે કે, “જ્યારે હું ઑફિસ જતી, ત્યારે મને મારા કામના સ્થળે જતાં એક કલાકનો સમય લાગતો.”

પરંતુ ઘરેથી જ મિટિંગ અને કામમાં જોડાવાની તકે આ બ્રાઝિલિયન મહિલાની જિંદગી બદલી નાખી.

ખીલ ચહેરા પર ડાઘ તો છોડી જ જાય છે, પણ તમારા માનસ પર પણ મોટો પ્રભાવ પાડે છે.

ઘણી વાર તો લોકો ખીલને કારણે એટલા પરેશાન થઈ જાય છે કે તણાવ અને હતાશાનો ભોગ બને છે.

ખીલ એ ત્વચાની સામાન્ય સ્થિતિ છે જે મોટાભાગના લોકોને અમુક તબક્કે અસર કરે છે.

ખીલથી ફોલ્લીઓ થાય, તૈલી ત્વચા થાય અને ક્યારેક સ્પર્શ કરતા પીડાદાયક ત્વચાનું કારણ બને છે.

જુનાગઢના ત્વચા અને વાળના નિષ્ણાંત એમડી, સ્કીન ડૉ. શ્યામ માંકડિયા કહે છે, “ખીલ થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. મુખ્ય કારણ હૉર્મોનમાં આવેલા ફેરફારો છે. કિશોરાવસ્થામાં પ્રવેશ કરતી વખતે થતા હૉર્મોનના ફેરફારને કારણે ચહેરા પરની તૈલી ગ્રંથિઓમાંથી તેલનો સ્રાવ વધી જાય છે. એને લીધે ગ્રંથિઓ મોટી થાય છે અને તેના કારણે ખીલ થાય છે.”

બ્રિટિશ આરોગ્ય વિભાગ અનુસાર, ગમે તે અવસ્થામાં ખીલ થઈ શકે છે. પરંતુ 11 થી 30 વર્ષની વયના 95 ટકા લોકો કોઈને કોઈ માત્રામાં ખીલથી પ્રભાવિત થાય છે.

વાંચો કિશોરાવસ્થામાં ચહેરા પર ખીલ થવા પાછળનું આ છે કારણ

વાત આઈપીએલની થઈ રહી છે તો આ સિઝનમાં માત્ર ભારતની જ નહીં, પરંતુ વિશ્વની સૌથી લોકપ્રિય અને ધનાઢ્ય ક્રિકેટ લીગમાં ઘણા ગુજરાતી ખેલાડીઓએ તક સાંપડી છે. જેમાં ગુજરાતના ઉર્વીલ પટેલ ઉપરાંત સૌરાષ્ટ્રના પ્રેરક માંકડ અને સમર્થ વ્યાસ પણ રમવાના છે.

આઈપીએલ અંગે એવી માન્યતા છે કે જે-તે ખેલાડીને હરાજી દરમિયાન જ ખરીદવામાં આવે છે. આ વાત સાવ ખોટી પણ નથી, કેમ કે ખેલાડીને પોતાની ફ્રેન્ચાઇઝીમાં સામેલ કરવા માટે હરાજી જ એકમાત્ર માધ્યમ છે.

વિવિધ ફ્રેન્ચાઇઝી માત્ર હરાજીના સમયે જ નહીં, પરંતુ આખા વર્ષ દરમિયાન આ માટેની કવાયત કરતી હોય અને તેમાં પણ દરેક ફ્રેન્ચાઇઝી આ માટે પોતાના પ્રતિભાશોધ (ટેલેન્ટ હન્ટ) વિભાગ અને તેના સદસ્યો પર આધાર રાખે છે.

આ પ્રતિભાશોધ ટીમ (જેમાં મોટા ભાગના પૂર્વ ક્રિકટેર હોય છે) સમગ્ર વર્ષ દરમિયાન ભારતમાં તથા વિદેશમાં રમાતી વિવિધ ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ખેલાડીએ કરેલા પ્રદર્શનની સમીક્ષા કરે છે.

માત્ર તેમણે ફટકારેલા રન કે જંગી સ્કોર કે ટીમ જ નહીં, પરંતુ કટોકટીના સમયે રમવાની તેમની કાબેલિયત પર પણ ભાર મુકાતો હોય છે અને એ પ્રતિભાશોધનું પરિણામ એટલે ઉર્વીલ પટેલ, સમર્થ વ્યાસ અને પ્રેરક માંકડ.

આ ત્રણ ગુજરાતીઓ તો આ વખતે રમવાના જ છે, પરંતુ તે ઉપરાંત સ્થાપિત થઈ ગયેલા હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા અને કૃણાલ પંડ્યા તો ખરાં જ.