બુઝાસિંહ : આઝાદીના એ ગુમનામ નાયક, જેમણે દેશ માટે લોહી વહાવ્યું પણ સ્વતંત્ર ભારતમાં મળ્યું 'ઍન્કાઉન્ટર'

બીબીસી ગુજરાતી બ્રિટિશ સામ્રાજ્ય સામે ભારતની આઝાદી માટેના ગદર આંદોલન પછી પંજાબમાં ઉદ્ભવેલાં ઘણાં આંદોલનોનો ભાગ રહી ચૂકેલા બુઝાસિંહનું 82 વર્ષની વયે અવસાન થયું હતું.

ઇમેજ સ્રોત, Puneet Barnala

ઇમેજ કૅપ્શન, બ્રિટિશ સામ્રાજ્ય સામે ભારતની આઝાદી માટેના ગદર આંદોલન પછી પંજાબમાં ઉદ્ભવેલાં ઘણાં આંદોલનોનો ભાગ રહી ચૂકેલા બુઝાસિંહનું 82 વર્ષની વયે અવસાન થયું હતું.
    • લેેખક, અવતારસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

સ્વતંત્ર ભારતમાં એક પોલીસ 'ઍન્કાઉન્ટર'માં સ્વાતંત્ર્ય સેનાની બુઝાસિંહનું મોત નીપજ્યા પછી શિવકુમાર બટાલવીએ 'ફાંસી' નામની એક કવિતા લખીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

શિવકુમારે લખ્યું હતું:

"તેના ઘણા દોષ છેઃ તેનાં પાંદડાં તેની જગ્યાએ છે,

તે હંમેશાં લાલ રંગનાં રહેતાં અને વગર પવનેય ઉડતાં."

બ્રિટિશ સામ્રાજ્ય સામે ભારતની આઝાદી માટેના 'ગદર આંદોલન' પછી પંજાબમાં ઉદ્ભવેલાં ઘણાં આંદોલનોનો ભાગ રહી ચૂકેલા બુઝાસિંહનું 82 વર્ષની વયે અવસાન થયું હતું.

આ ઍન્કાઉન્ટર 55 વર્ષ પહેલાં 1970માં 27-28 જુલાઈની રાતે, નૈમજારા (નવા શહેર)ના એક પુલ પર થયું હતું.

આ ઘટનાનો પડઘો શિરોમણિ અકાલી દલની સરકારના શાસનકાળ દરમિયાન પંજાબની વિધાનસભામાં પણ પડ્યો હતો. તે સમયે પ્રકાશસિંહ બાદલ પંજાબના મુખ્ય મંત્રી હતા.

બુઝાસિંહ કોણ હતા?

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી બ્રિટિશ સામ્રાજ્ય સામે ભારતની આઝાદી માટેના ગદર આંદોલન પછી પંજાબમાં ઉદ્ભવેલાં ઘણાં આંદોલનોનો ભાગ રહી ચૂકેલા બુઝાસિંહનું 82 વર્ષની વયે અવસાન થયું હતું.

ઇમેજ સ્રોત, Puneet Barnala

ઇમેજ કૅપ્શન, બુઝાસિંહ ગદર આંદોલન પછી કામદારોના આંદોલન, મુજારા આંદોલન, સામ્યવાદી પક્ષો તથા નક્સલવાદી આંદોલનમાં રાજકીય કાર્યકર તરીકે સામેલ થયા હતા

બુઝાસિંહ બ્રિટિશરો સામેના 'ગદર આંદોલન' પછી કામદારોનાં આંદોલનો, મુજારા આંદોલન, સામ્યવાદી પક્ષો તથા નક્સલવાદી આંદોલનમાં રાજકીય કાર્યકર તરીકે સામેલ થયા હતા અને તેઓ 'બાબા બુઝાસિંહ' તરીકે પણ જાણીતા હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પંજાબના ઇતિહાસકાર અને લેખક અજમેર સિદ્ધુ તેમના પુસ્તક 'બાબા બુઝાસિંહઃ ફ્રૉમ ગદર ટુ નક્સલબારી'માં લખે છે કે, તેમનો જન્મ ચક મૈદાસ ગામમાં થયો હતો, જે હાલ નવાંશહર જિલ્લામાં આવેલું છે. જોકે, તેમની જન્મતારીખ વિશે અનેકવિધ સંદર્ભો મળે છે.

જલંધરની શહીદ સ્મારક સમિતિ પ્રમાણે, બુઝાસિંહનો જન્મ 1888માં થયો હતો.

બ્રિટિશ લાઇબ્રેરી લંડનના ઇન્ડિયા ઑફિસ રેકૉર્ડ્ઝની અંગેની આર્જેન્ટિનામાં બુઝાસિંહના પ્રવાસ અંગેની ફાઇલ અને પાસપૉર્ટ પ્રમાણે, બુઝાસિંહની જન્મતારીખ 19મી ડિસેમ્બર, 1903 છે.

સિદ્ધુ કહે છે કે, ખેડૂતોની કટોકટીને લીધે બુઝાસિંહ 1930માં આર્જેન્ટિના જતા રહ્યા અને ત્યાં ગયા પછી તેઓ તેજાસિંહ સુતાર તથા ભગતસિંહના કાકા અજિતસિંહની સાથે 'ગદર ચળવળ'માં સક્રિય થયા.

'ગદર' અને 'કીર્તિ' ચોપાનિયાંઓએ બુઝાસિંહના મનમાં આઝાદીની ચળવળ માટે ઝનૂન પેદા કર્યું અને તેમણે પક્ષનું સભ્યપદ મેળવ્યું.

રાજકીય કાર્યકર્તા તથા રાજકીય ગુરુ દર્શન ખટકર કહે છે, "બુઝાસિંહ યુવાવસ્થાથી જ અંગ્રેજો વિરુદ્ધ આંદોલનમાં સક્રિય હતા. તેઓ તે સમયે રચાયેલા અકાલી મોરચાઓ માટે લંગરનું આયોજન પણ કરતા હતા. ગદર આંદોલનો પહેલો હુમલો નિષ્ફળ ગયા પછી બુઝાસિંહને આર્જેન્ટિનાથી મૉસ્કો (રશિયા) મોકલવામાં આવ્યા. રશિયામાં ક્રાંતિ પછી તેમણે ત્યાં બે વર્ષ વીતાવ્યાં અને સૈદ્ધાંતિક જ્ઞાન તથા શસ્ત્રો ચલાવવાની તાલીમ મેળવી."

સિદ્ધુના જણાવ્યા અનુસાર, બુઝાસિંહ તેમની રાજકીય સફર દરમિયાન ઘણી વખત જેલમાં ગયા, તેમણે સુભાષચંદ્ર બોઝ સાથે પણ કામ કર્યું અને 1963થી 1968 સુધી તેમણે તેમના ગામના સરપંચ તરીકે જવાબદારી નિભાવી.

બુઝાસિંહ સાથે કામ કરનારાં સુરિન્દરકુમારી કોચર કહે છે, "બુઝાસિંહ માર્ક્સવાદી વિચારધારાના પ્રખર જાણકાર હતા અને સામાન્ય લોકોને તેમના શોષણ અને અમીર-ગરીબ વચ્ચેનું અંતર તેમની જ ભાષામાં સમજાવતા હતા. તેઓ મહિલાઓને પોતાના નિર્ણયો જાતે લેવા માટે અને નોકરી કરવા માટે પ્રેરણા પૂરી પાડતા હતા."

સુભાષચંદ્ર બોઝ અને બુઝાસિંહ

બીબીસી ગુજરાતી બુઝાસિંહ ગદર આંદોલન પછી કામદારોના આંદોલન, મુજારા આંદોલન, સામ્યવાદી પક્ષો તથા નક્સલવાદી આંદોલનમાં રાજકીય કાર્યકર તરીકે સામેલ થયા હતા

ઇમેજ સ્રોત, Netaji research bureau

ઇમેજ કૅપ્શન, સુભાષચંદ્ર બોઝ

પંજાબ પહોંચનારા ગદરી સમુદાયે 'કીર્તિ' નામના સામયિકનું પ્રકાશન શરૂ કર્યું અને તેના પછી 'કીર્તિ પાર્ટી'ની રચના થઈ, પણ બ્રિટિશ સરકારે આ 1934માં આ 'કીર્તિ પાર્ટી'ને ગેરકાયદેસર જાહેર કરી દીધી.

આ પ્રતિબંધ લાગ્યા પછી કીર્તિ પાર્ટીના ઘણા નેતાઓએ કૉંગ્રેસ પાર્ટીનું સભ્યપદ મેળવ્યું.

દર્શન ખટકર જણાવે છે કે, આ દરમિયાન બુઝાસિંહે પણ કૉંગ્રેસ પાર્ટી સાથે કામ કરવાનું શરૂ કરી દીધું હતું.

અજમેર સિદ્ધુ જણાવે છે કે, 1939માં સુભાષચંદ્ર બોઝ કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને આ વિજયમાં બાબા બુઝાસિંહ તથા કીર્તિ પાર્ટીનું પણ મહત્ત્વનું યોગદાન હતું.

તેઓ કહે છે, "1941માં બુઝાસિંહને સુભાષચંદ્ર બોઝને રશિયા લઈ જવાની જવાબદારી પણ સોંપવામાં આવી. ગદરી સમુદાયના કાર્યકર્તાઓ બોઝનો જૉસેફ સ્ટાલિન સાથે પરિચય કરાવવા ઇચ્છતા હતા, પણ બુઝાસિંહની માર્ગમાં ધરપકડ કરી લેવામાં આવી. તેમ છતાં, બુઝાસિંહને સોંપવામાં આવેલી આ જવાબદારી તેમનું મોટું કદ દર્શાવે છે."

સિદ્ધુના પુસ્તક અનુસાર, બુઝાસિંહ અને તેમના સાથીઓએ 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા દરમિયાન થયેલી કોમવાદી હિંસા વિરુદ્ધ એકજૂટ થઈને પ્રદર્શન કર્યું હતું.

1962માં ભારત-ચીન હુમલાને લઈને ભારત સરકારની ટીકા કરવા બદલ બુઝાસિંહની ધરપકડ કરવામાં આવી હતી.

જમીન કબજે કરવાના આંદોલનના નેતા

બીબીસી ગુજરાતી પોલીસ એફઆઇઆર પ્રમાણે, બુઝાસિંહ અને તેમના કેટલાક સહયોગીઓ જડલાના જમીનદાર મોતીસિંહ રાણાની હત્યા કરવા જઈ રહ્યા હતા.

ઇમેજ સ્રોત, Ajmer Sidhu

ઇમેજ કૅપ્શન, પોલીસ એફઆઇઆર પ્રમાણે, બુઝાસિંહ અને તેમના કેટલાક સહયોગીઓ જડલાના જમીનદાર મોતીસિંહ રાણાની હત્યા કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન પોલીસ અથડામણમાં તેમનું મૃત્યુ થયું.

બુઝાસિંહે 1964માં જલંધર જિલ્લામાં સીપીઆઇ(એમ) માટે સમિતિના એક સભ્ય તરીકે કામ કર્યું હતું.

અજમેર સિદ્ધુ લખે છે, "નક્સલબારી આંદોલન થયા પછી 1968માં તેઓ પંજાબ કો-ઑર્ડિનેશન કમિટીમાં જોડાયા હતા. 22મી એપ્રિલ, 1969ના રોજ તેઓ સીપીઆઇ (એમએલ)ની રાજ્ય આયોજન સમિતિના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા."

વધુમાં તેઓ જણાવે છે, "1968ના અચરવાલ ષડયંત્ર કેસમાં તેમની સામે પોલીસ વૉરંટ જારી કરવામાં આવ્યું હતું. 8 ડિસેમ્બર, 1968ના રોજ સમાઓની જમીન જપ્તી તથા જૂન, 1969ના રોજ કિલા હકીમા (સંગરુર)ના જમીન જપ્તીનાં આંદોલનોમાં તેમણે અગ્રણી ભૂમિકા ભજવી હતી."

પુસ્તકમાં દર્શાવેલી પોલીસ એફઆઇઆર પ્રમાણે, બુઝાસિંહ અને તેમના કેટલાક સહયોગીઓ જડલાના જમીનદાર મોતીસિંહ રાણાની હત્યા કરવા જઈ રહ્યા હતા.

આ દરમિયાન, નૈમજારા ખાતે એક પોલીસ ચોકી ઊભી કરવામાં આવી હતી.

"મધરાત બાદ મળસ્કે ત્રણ વાગ્યાની આસપાસ ચાર માણસો મજારા કલાંથી પુલ તરફ આવતા દેખાયા. તે નજીક આવ્યા, ત્યારે પોલીસે બૂમ પાડી, 'ઊભા રહો, કોણ છે?...' અને પછી તે લોકોએ હાથમાં રહેલાં હથિયારો વડે તેમના પર ગોળીબાર કર્યો."

એફઆઇઆર પ્રમાણે, આ સમયે થયેલી અથડામણમાં બુઝાસિંહનું મોત નીપજ્યું.

પરંતુ દર્શન ખટકર કહે છે કે, બુઝાસિંહને પહેલેથી જ ફિલ્લૌર નજીકના એક નાના ગામમાંથી પકડી લેવામાં આવ્યા હતા.

તેઓ કહે છે, "...પોલીસ તેમને પુલ પાસે લઈ ગઈ અને નકલી ઍન્કાઉન્ટરનું નાટક કર્યું."

બુઝાસિંહના મોતનો પડઘો વિધાનસભા સુધી પડ્યો

પછીથી રચાયેલા જસ્ટિસ વીએમ તારકુંડે કમિશને બુઝાસિંહના કેસને અન્ય ઘણા કેસોની માફક અથડામણ વગરની 'એકતરફી હત્યા' ગણાવી અને તેને 'પોલીસ દ્વારા આચરવામાં આવેલી ક્રૂર હત્યા' ગણાવી.

તે સમિતિના સભ્યોમાં કુલદીપ નય્યર અને અરુણ શૌરી જેવા પત્રકારો પણ સામેલ હતા.

સિદ્ધુ કહે છે કે, તત્કાલીન ધારાસભ્યો સતપાલ ડાંગ અને દિલીપસિંહ તપિયાલાએ તે રિપોર્ટ પંજાબ વિધાનસભામાં રજૂ કર્યો હતો.

અજમેર સિદ્ધુના પુસ્તકમાં પ્રકાશિત થયેલી વિધાનસભાની કાર્યવાહી પ્રમાણે, મુખ્ય મંત્રીએ કહ્યું હતું, "સ્પીકર સાહેબ, મૅજિસ્ટ્રેટ દ્વારા તપાસ થઈ ચૂકી છે, આથી આગળ તપાસની કોઈ જરૂર નથી. જે તારકુંડે સમિતિના રિપોર્ટની તેઓ વાત કરી રહ્યા હતા, તે એક ખાનગી તપાસ હતી. સરકારે તેમને કોઈ રેકૉર્ડ આપ્યા નહોતા. કાયદા પ્રમાણે જે થવું જોઈતું હતું, તે થઈ ચૂક્યું છે, આથી બીજી તપાસની કોઈ જરૂર નથી."

'આપણે ક્રાંતિ લાવવી જ પડશે'

બીબીસી ગુજરાતી બુઝાસિંહનાં લગ્ન ધાન્તી (દનકોર) સાથે થયાં હતાં અને તેમને બે પુત્રીઓ - નસીબકોર ઉર્ફે રેશમકોર અને અજિતકોર તથા એક પુત્ર હરદાસસિંહ હતાં.

ઇમેજ સ્રોત, Jaspal Singh

ઇમેજ કૅપ્શન, બુઝાસિંહનાં લગ્ન ધાન્તી (ધનકૌર) સાથે થયાં હતાં અને તેમને બે પુત્રીઓ - નસીબકૌર ઉર્ફે રેશમકૌર અને અજિતકૌર તથા એક પુત્ર હરદાસસિંહ હતાં.

બુઝાસિંહનાં લગ્ન ધાન્તી (ધનકૌર) સાથે થયાં હતાં અને તેમને બે પુત્રીઓ - નસીબકૌર ઉર્ફે રેશમકૌર અને અજિતકૌર તથા એક પુત્ર હરદાસસિંહ હતાં.

હરદાસસિંહનાં 71 વર્ષનાં પુત્રી હરદીપકૌર અમેરિકા રહે છે. તેઓ કહે છે, "બુઝાસિંહની સફર આપણને શીખવે છે કે, એક માણસે કેવી રીતે જીવવું જોઈએ. એક તો, બાબાજીએ ગુરબાનીનો અભ્યાસ કર્યો હતો અને બીજી તરફ તેમણે ચીન, દક્ષિણ અમેરિકા, ઇંગ્લૅન્ડ અને રશિયામાંથી અનુભવોનું ભાથું મેળવ્યું હતું. તેમણે આખી દુનિયાનો અનુભવ મેળવ્યો હતો. જ્યારે તેઓ ભારત પરત ફર્યા, ત્યારે તેમણે કહ્યું કે, પરિવર્તન લાવવું જ પડશે."

હરદીપકૌરે જણાવ્યું, "બુઝાસિંહે કદીયે પોતાના અંગત લાભ માટે કામ નહોતું કર્યું. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વિચારમાં વિશ્વાસ રાખે અને માને કે તે કામ પૂરું કરવું જ પડશે, ત્યારે ઉંમર બિનમહત્ત્વની બની જાય છે. તેમણે સમગ્ર જીવન દરમિયાન સંઘર્ષ ન છોડ્યો. તેઓ યુવાનોને શીખવતા હતા કે, આપણે ક્રાંતિ લાવવી જ પડશે."

તેઓ કહે છે, "સમગ્ર વિશ્વમાંથી જ્ઞાન મેળવ્યા પછી પણ તેમણે પોતાના વિચારોને ન છોડ્યા. તેઓ ઇચ્છતા હતા કે, સમગ્ર વિશ્વમાં જે ભૂલો થઈ, તે પંજાબ કે ભારતમાં ન થાય."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન