પાકિસ્તાનમાં રેલીમાં ભીષણ બ્લાસ્ટ, ઓછામાં ઓછા 44 નાં મોત

ઇમેજ સ્રોત, RESCUE 1122 BAJAUR
પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તૂનખ્વાના બાઝોર જિલ્લામાં રવિવારે જમીયત ઉલેમા એ ઇસ્લામ ફઝ્લ (જેયુઆઈ-એફ)ની એક રેલીમાં થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 44 લોકોનાં મોત થયાં છે. તેમજ ઓછામાં ઓછા 100 લોકો ઘાયલ થયા છે.
પોલીસે બીબીસીને જણાવ્યું છે કે આ એક આત્મઘાતી હુમલો હોઈ શકે તેવા પુરાવા મળ્યા છે.
અધિકારીઓનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. અધિકારીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.
રિપોર્ટો અનુસાર, બ્લાસ્ટમાં જમીયતના એક પ્રમુખ સ્થાનિક નેતાનું પણ મોત થયું છે. તેમનું નામ મૌલાના જિયાઉલ્લાહ જાન જણાવાઈ રહ્યું છે.
હજુ સુધી કોઈ ચરમપંથી સંગઠને આ ધમાકાની જવાબદારી લીધી નથી અને ન તો પોલીસે આનું કારણ જણાવ્યું છે.
ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતની સીમા અફઘાનિસ્તાનને જોડે છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને અન્ય નેતાઓએ આ બ્લાસ્ટની નિંદા કરી છે.

બ્લાસ્ટ બાદ અફરાતફરી

ઇમેજ સ્રોત, RESCUE 1122
અધિકારીઓનું કહેવું છે કે રેલી બાઝોર જિલ્લાના ખાર તાલુકાના વિસ્તારમાં હતી. રેલીમાં ભાગ લેવા સેંકડો લોકો હાજર હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રેસ્ક્યૂ સેવા 1122ના પ્રવક્તાએ કહ્યું કે આ વિસ્ફોટ ખારના દુબઈ મોડ વિસ્તાર પાસે થયો છે.
અધિકારીઓ અનુસાર, ઘાયલોની સંખ્યા મોટી હોવાથી તેમને હૉસ્પિટલમાં ભરતી કરાવવામાં મુશ્કેલી પડી છે, આથી જિલ્લા હૉસ્પિટલમાં 'સ્વાસ્થ્ય કટોકટી' લાદવાનું એલાન કરવામાં આવ્યું છે.
તસવીરોમાં ઍૅમ્બ્યુલન્સથી ઘાયલોને હૉસ્પિટલ લઈ જતા જોઈ શકાય છે. હજુ સુધી બ્લાસ્ટનું કારણ જાણવા મળ્યું નથી.

વિસ્ફોટની નિંદા

ઇમેજ સ્રોત, TARIQ ZAMAN
તેમણે કહ્યું, "આતંકવાદીઓએ એ લોકોને નિશાન બનાવ્યા, જે ધર્મ અને દેશ અંગે વાત કરે છે."
પીએમ શરીફે પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે "આતંકવાદી પાકિસ્તાનના દુશ્મન છે અને આપણે પાકિસ્તાનના દુશ્મનોને ખતમ કરવાના છે."
શહબાઝ શરીફે આ મામલે ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ અને ખૈબર પખ્તૂનખ્વાની પ્રાંતીય સરકારે પાસે રિપોર્ટ માગ્યો છે.
તો ગૃહમંત્રીએ કહ્યું કે ઘટનાના દોષિતોને છોડવામાં નહીં આવે.
જમીયત ઉલેમા-એ-ઇસ્લામના મહાસચિવ અને સૅનેટર મૌલાના અબ્દુલ ગફુર હૈદરીએ વિસ્ફોટની નિંદા કરી છે.
તેમણે કહ્યું કે એક સમજી વિચારીને કરેલા કાવતરાથી દેશનો માહોલ ખરાબ કરાઈ રહ્યો છે.
તેમણે કહ્યું, “જમીયત ઉલેમા શાંતિના રસ્તે ચાલનારી પાર્ટી છે. અમે હંમેશાં શાંતિનો માર્ગ અપનાવ્યો છે.”
પ્રાંતના કાર્યવાહ મુખ્ય મંત્રી મહમદ આઝમ ખાન અને અન્ય નેતાઓએ આ વિસ્ફોટની નિંદા કરી છે અને લોકોનાં મોત પર દુખ વ્યક્ત કર્યું છે.
























