You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

યુક્રેન સાથે વાતચીત માટે રશિયા તૈયાર, મૂકી આ શરત

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના પ્રવક્તાએ કહ્યું કે રશિયા યુક્રેન સાથે વાત કરવા માટે પ્રતિનિધિમંડળ બેલારુસની રાજધાની મિન્સ્ક મોકલવા માટે તૈયાર છે.

લાઇવ કવરેજ

  1. અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં આશરો મેળવી રહ્યા છે યુક્રેનવાસીઓ

    રશિયાના હુમલા બાદ યુક્રેનવાસીઓ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો સ્ટેશનમાં આશરો મેળવી રહ્યા છે.

    તસવીરો દર્શાવે છે કે, વૃદ્ધો અને બાળકો સહિત પરિવારોએ રશિયાના હુમલાની પ્રથમ રાત મેટ્રો સ્ટેશનમાં વીતાવી હતી.

    લોકો પોતાના સામાનની આસપાસ ધાબળો ઓઢીને સૂતા નજરે પડ્યા હતા.

    યુક્રેનમાં કરફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે અને મેટ્રો સ્ટેશનોને બૉમ્બ શૅલ્ટર તરીકે ઉપયોગમાં લેવા માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે.

    હજારો યુક્રેનિયન નાગરિકો પોતાના ઘર છોડીને પાડોશી દેશોમાં જઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર હાઇ કમિશનર ઑફ રૅફ્યૂજીઝે શરણાર્થીઓનો આંકડો એક લાખથી વધુ દર્શાવ્યો છે.

  2. કિવમાં ગોળીબારનો અવાજ સંભળાયો

    રશિયન સેના જ્યારે યુક્રેનની રાજધાની કિવ તરફ કૂચ કરી રહી છે ત્યારે કિવમાંથી અનેક સ્થોળો પરથી ગોળીબારનો અવાજ સંભળાયો છે.

    બીબીસી સંવાદદાતાએ આ સાંભળ્યું :

    ઇન્વેસ્ટિગેટિવ પત્રકારિતા માટે જાણીતી વેબસાઇટ બેલિંગકૅટના કાર્યકારી ડાયરેક્ટર ક્રિસ્ટો ગ્રોવેઝ :

    ત્યારે યુક્રેનનાં પત્રકાર નિકા મેલ્કોઝેરોવાએ વિસ્ફોટોનો અવાજ સાંભળ્યો હતો:

  3. રાહુલ ગાંધીએ કહ્યું - મોદી સરકારની રણનીતિક ભૂલો મોંઘી પડશે

    કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર ભારતીય મીડિયાના કેટલાક રિપોર્ટ્સની હૅડલાઇન શૅર કરીને નિશાન સાધ્યું.

    તેમણે લખ્યું છે કે સરકારની રણનીતિક ભૂલો બહુ મોંઘી સાબિત થશે.

    રાહુલ ગાંધીએ આ વખતના બજેટ સત્રમાં લોકસભામાં કહ્યું હતું કે મોદી સરકારની રણનીતિક ભૂલને કારણે ચીન-પાકિસ્તાન સાથે આવી ગયાં છે.

    રાહુલ ગાંધીએ બંને દેશોના સાથે આવવાને ભારત માટે ખતરનાક ગણાવ્યું છે.

    રાહુલ ગાંધીના નિવેદન પછી જે ઘટનાક્રમ રહ્યો છે, તેનાથી જોડાયેલી હૅડલાઇન શૅર કરતા તેમણે લખ્યું છે કે તેમની વાતો સાચી સાબિત થઈ રહી છે.

    અત્યારે યુરોપની મુલાકાતે ગયેલા ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે ચીન સાથે ભારતનો સંબંધ મુશ્કેલીભરેલો છે.

    એક હૅડલાઇન છે જેમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને એક સવાલનો જવાબ આપ્યો છે.

    ઇમરાન ખાને પૂછ્યું હતું કે શું ચીન પાકિસ્તાનને રશિયા સાથે આવવામાં મદદ કરશે?

    જવાબમાં ઇમરાન ખાને કહ્યું, 'હા'. તેમણે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું.

    ત્યાર બાદ 23 ફેબ્રુઆરીના ઇમરાન ખાન યુક્રેન સંકટ દરમિયાન રશિયાની મુલાકાતે ગયા હતા અને માનવામાં આવી રહ્યું છે કે બંને દેશો નજીક આવી રહ્યા છે.

    રાહુલ ગાંધીના નિવેદનનો અર્થ એમ સમજી શકાય કે મોદી સરકારની ભૂલને કારણે અત્યાર સુધી ચીન અને પાકિસ્તાન જ નજીક આવ્યા હતા, હવે રશિયા અને પાકિસ્તાન પણ નિકટ આવી રહ્યા છે.

  4. રશિયા-યુક્રેન તણાવ : પુતિને યુક્રેન પર કરેલા હુમલાને કારણે પેટ્રોલ-ડિઝલના ભાવ વધશે?

    રશિયાએ યુક્રેનના પૂર્વીય ભાગમાં કરેલા આક્રમણને પગલે દુનિયાભરમાં ચિંતાની સ્થિતિ છે.

    ઇન્ડિયન સ્ટૉક એક્સચેન્જ સહિતના સ્ટૉક માર્કેટ તૂટ્યા હતા.

    યુદ્ધ છેડાયાના ગણતરીના કલાકોમાં ક્રૂડ ઓઇલના ભાવ 100 ડોલર પ્રતિ બૅરલ પાર પહોંચી ગયા છે.

    રશિયાએ પૂર્વીય યુક્રેનના દોનબાસ ક્ષેત્રમાં લશ્કરી કાર્યવાહી શરૂ કરી છે.

    ગત વર્ષની સરખામણીએ આ તેલના સૌથી વધારે ભાવ છે, આ અઠવાડિયાની શરૂઆતમાં રશિયાના પ્રતિબંધ અને રશિયાની ગૅસ પાઇપલાઇનને બ્લૉક કરતા ક્રૂડના ભાવ વધવાની શરૂઆત થઈ હતી.

  5. યુક્રેનમાં ક્યાં થઈ રહ્યા છે હુમલા, ક્યાં બે દેશોની સેના વચ્ચે થઈ રહી છે અથડામણ?

    જો તમે જાણવા ઇચ્છતા હો કે યુક્રેનમાં બન્ને દેશોની સેના વચ્ચે ક્યાં-ક્યાં અથડામણ થઈ રહી છે અને રશિયાએ યુક્રેનમાં ક્યાં હુમલા કર્યા છે? તો આ રહી લેટેસ્ટ અપડેટ્સ

    • યુક્રેનની રાજધાની કિવમાં રશિયન સેનાએ શુક્રવારે સવારે મિસાઇલ હુમલા કર્યા હોવાની પુષ્ટિ રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કરી છે. અહીં બન્ને દેશોની સેના વચ્ચે ગોળીબાર અને વિસ્ફોટોના અહેવાલો પણ સામે આવ્યા છે.
    • યુક્રેનના આંતરિક મામલાના મંત્રાલયના એક સત્તાધીશે દાવો કર્યો છે કે, એક રશિયન ઍરક્રાફ્ટને કિવ પાસે પાડી દેવામાં આવ્યું છે. જોકે, આ દાવાની પુષ્ટિ થઈ નથી.
    • કિવ પાસે આવેલી એક ઍરફિલ્ડમાં બન્ને દેશોની આર્મી વચ્ચે અથડામણ ચાલી રહી છે. જો રશિયન સૈનિકો તેનો કબજો મેળવી લે તો તેઓ સરળતાથી કિવમાં પ્રવેશી શકે છે.
    • યુક્રેનના ડૅપ્યુટી ડિફૅન્સ મિનિસ્ટરે કહ્યું કે, રશિયન સેનાઓ આજે સાંજ સુધીમાં કિવમાં પ્રવેશી શકે છે.
    • રશિયન સેનાએ યુક્રેનના ઉત્તરમાં આવેલ ચર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટ પર કબજો મેળવી લીધો છે. આ પ્લાન્ટ બેલારુસ-યુક્રેનની બૉર્ડર પર અને કિવથી માત્ર 93 કિલોમીટર દૂર આવેલું છે. અમેરિકાએ કહ્યું કે, અહીં યુક્રેનિયન સૈનિકોને બંધક બનાવીને રાખ્યા છે.
    • રશિયાની ઘૂસણખોરીની શરૂઆતથી જ યુક્રેન રશિયન સૈનિકોને પાછા ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યું છે. રશિયા યુક્રેનમાં ઉત્તર, દક્ષિણ અને પૂર્વ તરફથી હુમલો કરી રહ્યું છે.
  6. યુક્રેન સંકટ વચ્ચે રશિયન અબજપતિઓએ ગુમાવ્યા 90 અબજ ડૉલર્સ: ફૉર્બ્સ

    ફૉર્બ્સમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે, યુક્રેનમાં થઇ રહેલા હુમલાને કારણે રશિયન અબજપતિઓએ અંદાજે 90 અબજ ડૉલર્સ ગુમાવ્યા છે.

    ફૉર્બ્સના આ અહેવાલમાં ઇયન માર્ટિને રશિયન સમાચાર એજન્સી તાસને ટાંકીને જણાવ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના દેશના શીર્ષ અબજપતિઓની બેઠક પણ બોલાવી છે.

    જ્યારથી રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન પર હુમલાની ઘોષણા કરી છે, ત્યારથી શૅરબજાર પણ ધડાકાભેર પડી ભાંગ્યું છે. આ કારણથી લોકોને મોટું નુક્સાન થયું છે. આ વચ્ચે અમેરિકા, બ્રિટન અને યુરોપીયન સંઘે લગાવેલા પ્રતિબંધોથી પણ રશિયન બૅન્કો અને અબજપતિઓ પર નિશાન સાધવામાં આવ્યું છે.

  7. યુક્રેન-રશિયા સંકટ મુદ્દે ભારતના વલણ અંગે બોલ્યા બાઇડન

    યુક્રેન પર રશિયાના હુમલાને લઇને ભારત પર દબાણ સતત વધતું જઇ રહ્યું છે. સમગ્ર મામલે ભારતનું વલણ અત્યાર સુધી રશિયા વિરુદ્ધ રહ્યું નથી.

    જોકે, ગુરુવારે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને પૂછવામાં આવ્યું હતું કે, જો ભારત અને અમેરિકા મોટા રક્ષા ભાગીદારો હોય તો શું બન્ને દેશો રશિયા મામલે એકસાથે છે?

    આ પ્રશ્નના જવાબમાં જો બાઇડને કહ્યું, "અમેરિકા આજે ભારત સાથે વાત કરશે. અત્યાર સુધી તેનું કોઇ સમાધાન નીકળ્યું નથી."

    રાષ્ટ્રપતિ બાઇડન રશિયા પર કડક પ્રતિબંધોની ઘોષણા કરી રહ્યાં હતાં. ત્યારે તેમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

    રાષ્ટ્રપતિ બાઇડનના નિવેદન બાદ અમેરિકાના વિદેશ મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે વિદેશમંત્રી ઍન્ટની બ્લિન્કને ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર સાથે ફોન પર વાત કરી છે અને તેમને કહ્યું છે કે, રશિયા વિરુદ્ધ મજબૂત પ્રતિક્રિયાની જરૂર છે. જેથી તાત્કાલિક અને વગર કોઇ શરતે યુદ્ધવિરામ થઇ શકે.

  8. યુક્રેનમાં ફસાયેલા ગુજરાતીઓ માટે હેલ્પલાઇન નંબર

    ગુજરાત રાજ્ય બિનનિવાસી વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે, જેની મદદથી યુક્રેનમાં ફસાયેલા લોકોને જાણકારી મળી શકે છે.

  9. રશિયા અને યુક્રેન વચ્ચે લડાઈ કેમ થઈ રહી છે? પુતિન શું ઇચ્છે છે?

  10. બ્રેકિંગ, યુરોપીયન યુનિયને રશિયા પર લગાવ્યા કડક પ્રતિબંધો

    યુરોપીયન યુનિયનનાં પ્રમુખે કહ્યું કે પ્રતિબંધોના કારણે રશિયાની ઑઇલ રિફાઇનરી માટેની ટેકનૉલૉજી અને ઍરકાર્ફ્ટ માટેના સ્પૅરપાર્ટ ખરીદવાં અસંભવ થઇ જશે. ઈયુ પ્રમુખે ટ્વીટ કરીને કહ્યું કે પ્રતિબંધને મંજૂરી મળી ગઇ છે.

    ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મેક્રૉંને કહ્યું છે કે 33.6 કરોડ ડૉલર યુક્રેનને મદદ માટે આપવામાં આવશે અને સાથે જ સૈન્યઉપકરણો પણ અપાશે.

    યુરોપીયન યુનિયનમાં રશિયા પાસેથી ગૅસની ખરીદીને પ્રતિબંધમાં શામેલ કરાઈ નથી, જેને લઇને પણ સવાલ ઊઠી રહ્યા છે.

    ઈયુ પ્રમુખે કહ્યું કે રશિયાની ઊર્જા પર યુરોપની નિર્ભરતા ઓછી કરવાના વિકલ્પ શોધવામાં આવી રહ્યા છે.

    ઈયૂ પ્રમુખે કહ્યું કે પ્રતિબંધોના કારણે રશિયાની ઑઇલ રિફાઇનરી માટેની ટૅક્નોલોજી અને ઍરકાર્ફ્ટ માટેના સ્પૅરપાર્ટ ખરીદવા અસંભવ થઇ જશે. ઈયૂ પ્રમુખે ટ્વીટ કર્યું કે પ્રતિબંધને મંજૂરી મળી ગઇ છે.

    ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુઅલ મેક્રૉને કહ્યું કે, 33.6 કરોડ ડૉલર યુક્રેનને મદદ માટે આપવામાં આવશે અને સાથે જ સૈન્ય ઉપકરણો પણ અપાશે. યુરોપીયન યુનિયનમાં રશિયા પાસેથી ગેસની ખરીદીને પ્રતિબંધમાં શામેલ નથી કરવામાં આવ્યું. જેને લઇને પણ સવાલ ઊઠી રહ્યાં છે. ઈયૂ પ્રમુખે કહ્યું કે રશિયાની ઉર્જા પર યુરોપની નિર્ભરતા ઓછી કરવાનાં વિકલ્પ શોધવામાં આવી રહ્યાં છે.

  11. યુક્રેનમાં ભારતીયોની સ્થિતિ પર હાર્દિક પટેલનો કટાક્ષ

    યુક્રેનમાં ગુજરાતના વિદ્યાર્થીઓની સાથે દેશના બીજા ઘણા વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો ફસાયા છે અને તેમને ત્યાંથી દેશ પરત લાવવા માટે સરકારના પ્રયાસો વિશે હાર્દિક પટેલે કટાક્ષ કર્યો છે.

  12. રશિયાએ પશ્ચિમી દેશોના પ્રતિબંધોનો સામનો કરવા કેવી યોજના બનાવી?

    રશિયાએ યુક્રેન પર હુમલો કરતાં અમેરિકા, જર્મની, બ્રિટન અને તેમના સહયોગી દેશોએ રશિયા પર પ્રતિબંધ મૂક્યા છે.

    રશિયા આ પ્રતિબંધોની અસરથી બચવા માટે શું કરી રહ્યું છે?

  13. બ્રેકિંગ, યુક્રેનમાં શુક્રવારે મિસાઇલ હુમલાની રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કરી પુષ્ટિ

    યુક્રેનની રાજધાનીમાં હાલ વહેલી સવારનો સમય છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કી ફરી એક વખત વીડિયો દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે.

    યુક્રેનિયન અને રશિયન એમ બન્ને ભાષામાં તેઓ રશિયાને યુદ્ધવિરામ માટે અપીલ કરી રહ્યા છે.

    વીડિયો સંદેશમાં તેમણે આજે શુક્રવારે મળસકે કેટલીક મિસાઇલો વડે હુમલો થયો હોવાની પુષ્ટિ કરી છે.

    તેમણે કહ્યું કે આ મિસાઇલ હુમલા શુક્રવારે સવારે સ્થાનિક સમયાનુસાર ચાર વાગ્યે શરૂ થયા હતા. જેનાથી સૈન્યમથકો અને સામાન્ય વિસ્તારોમાં પણ પ્રભાવિત થયા છે.

    આ ઉપરાંત તેમણે કહ્યું કે, "રશિયાએ અત્યારે અથવા તો બાદમાં આ ઘૂસણખોરી અને ક્રૂરતા રોકવા માટે અમારી સાથે વાત કરવી જ પડશે. તો જેટલી જલદી વાત કરશે તેમને તેટલું ઓછું નુકસાન થશે."

    તેમણે વધુમાં કહ્યું હતું કે જ્યાં સુધી આ હુમલા રોકવામાં નહી આવે, ત્યાં સુધી તેઓ પોતાના દેશનો બચાવ ચાલુ રાખશે.

  14. રશિયનો મને ખતમ કરી દેવા માગૈ છે: યુક્રેનના રાષ્ટ્રપતિ

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કહ્યું છે કે રશિયનો તેમને ખતમ કરી દેવા માગે છે.

    એક વીડિયો સંદેશમાં રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું, "તેઓ (રશિયા) યુક્રેનના પ્રમુખને ખતમ કરીને રાજનૈતિક રૂપે નષ્ટ કરવા માગે છે. દુશ્મનોના નિશાના પર સૌથી પહેલા હું છું અને બીજા નંબરે મારો પરિવાર છે."

    રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું કે તેઓ રાજધાની કિવમાં આવેલા તેમનાં સરકારી ઘરમાં જ છે. તેમણે આ અંગે અન્ય કોઈ જાણકારી આપી નથી.

    ઝૅલેન્સ્કીએ યુક્રેનના અધિકારીઓને સાવચેત કર્યાં છે કે દુશ્મનો રાજધાની કિવમાં ઘૂસી ગયા છે.

    રશિયા ઝૅલેન્સ્કીને અમેરિકા સમર્થિત રાષ્ટ્રપતિ ગણાવે છે. પુતિને ત્યાં સુધી કહ્યું છે કે ઝૅલેન્સ્કીએ યુક્રેનને અમેરિકાની કૉલોની બનાવી દીધી છે.

    2014માં યુક્રેનમાં રશિયા સમર્થિત સરકાર પડી ભાંગ્યા બાદ પુતિન ત્યાંની નવી સરકારથી નારાજ છે. ઝૅલેન્સ્કી નાટોમાં શામેલ થવા માગે છે. જ્યારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન કોઇ પણ ભોગે તેમ નથી થવા દેવા માગતા. પુતિન નાટોને રશિયાની સુરક્ષા માટે ખતરો માને છે.

  15. યુક્રેનની રાજધાની કિવમાં બ્લાસ્ટના અહેવાલો

    યુક્રેનની રાજધાની કિવમાં કેટલાક બૉમ્બ બ્લાસ્ટ થયાં હોવાનાં અહેવાલો સામે આવ્યા છે. સીએનએનની ટીમે કહ્યું છે કે, શુક્રવારે વહેલી સવારે બે મોટા વિસ્ફોટના અવાજ સાંભળવા મળ્યા છે. ત્રીજો બ્લાસ્ટ રાજધાનીથી થોડે દૂર જ થયો છે.

    પૂર્વ ગૃહ ઉપમંત્રી ઍન્ટોન હરાશચેન્કોએ યુક્રેનની ન્યૂઝ એજન્સી સાથે બ્લાસ્ટ સાંભળ્યા હોવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે ક્રૂઝ અથવા તો બૅલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અંગે યુક્રેનની સેનાએ કંઇ કહ્યું નથી.

  16. યુક્રેન પર હુમલાને લઇને રશિયામાં વિરોધ પ્રદર્શન, અત્યાર સુધી 1700 લોકોની ધરપકડ

    રશિયામાં વિપક્ષને લઈને ધ્યાન રાખનાર એક સ્વતંત્ર માનવાધિકાર સમૂહે કહ્યું કે યુક્રેન પર રશિયાના હુમલા બાદ રશિયાનાં ઘણાં શહેરોમાં યુદ્ધના વિરોધમાં પ્રદર્શન થયાં છે.

    આ વિરોધપ્રદર્શનોમાં અત્યાર સુધી 1700 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    વિપક્ષની રેલીઓમાં થનારી ધરપકડ પર નજર રાખનારી ઓવીડી-ઇન્ફો નામના એક સમૂહે કહ્યું કે મૉસ્કોમાં 900 અને સૅન્ટ પીટ્સબર્ગમાં 400 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો અને તસવીરોમાં જોવા મળે છે કે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરીને યુદ્ધ વિરોધી પ્લેકાર્ડ સાથે રેલી યોજી રહ્યા છે. કેટલાક પ્લેકાર્ડમાં સરકારનાં નિર્ણયની ટીકા પણ કરવામાં આવી છે.

    સમાચાર એજન્સી એએફપી અનુસાર, યુક્રેન પર હુમલાના નિર્ણયનો વિરોધ કરવા માટે મૉસ્કોનાં પુશ્કિન સ્ક્વૅરમાં હજારો લોકો એકત્ર થયા, જ્યારે સૅન્ટ પીટ્સબર્ગમાં અંદાજે એક હજાર જેટલા લોકો એકઠા થયા હતા.

    રશિયન સંસદના નીચલા સદનની ઇમારતના દરવાજા પર સ્પ્રે પેઇન્ટથી લખવામાં આવ્યું કે, 'યુદ્ધને ના કહો'

    રશિયા સિવાય વિશ્વનાં અન્ય ઘણાં રાષ્ટ્રોમાં વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં છે.

    અમેરિકાનાં ન્યૂયૉર્કમાં સેંકડો પ્રદર્શનકારીઓએ યુક્રેનના ધ્વજ સાથે સંયુક્ત રાષ્ટ્રના રશિયન મિશન તરફ કૂચ કરી હતી.

  17. રશિયા-યુક્રેન સંકટ : અત્યાર સુધી શું-શું થયું?

    ગુરુવારે સવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન વિરુદ્ધ વિશેષ સૈન્યઅભિયાનની જાહેરાત કરી. ત્યાર બાદ રશિયન સેના યુક્રેન તરફ આગળ વધવા લાગી.

    રશિયા અને યુક્રેન વચ્ચે હાલની પરિસ્થિતિ ખૂબ જ અસ્પષ્ટ છે અને તેમાં ઝડપથી ફેરફાર જોવા મળી રહ્યા છે.

    • અત્યાર સુધી જે જાણકારી ઉપલબ્ધ છે -
    • ગુરુવારે સવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને યુક્રેન વિરુદ્ધ વિશેષ સૈન્યઅભિયાનનો આદેશ આપ્યા બાદ ત્રણ તરફથી રશિયન સેના યુક્રેન તરફ આગળ વધવા લાગી. અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર, સૌથી વધારે સંઘર્ષના અહેવાલો પૂર્વ યુક્રેનમાંથી આવી રહ્યા છે.
    • યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ કહ્યું કે રશિયન સેનાના હુમલાના પહેલા દિવસે યુક્રેનમાં 137 નાગરિકોનાં મૃત્યુ થયાં છે. તેમાં સૈનિકો અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થાય છે.
    • યુક્રેન સીમારક્ષક સેવાએ કહ્યું કે 18થી 60 વર્ષના તમામ પુરુષોને દેશ છોડીને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અસ્થાયી પ્રતિબંધ માર્શલ લૉ લાગુ રહેવા સુધી રહેશે.
    • અમેરિકા અને બ્રિટને રશિયા પર કડક પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. બન્નેએ રશિયાની મદદ કરવા માટે બેલારુસ પર પણ પ્રતિબંધ લગાવ્યા છે.
    • અમેરિકાએ કહ્યું છે કે ડૉલરમાં બિઝનેસ કરવાની રશિયાની ક્ષમતાને સીમીત કરવામાં આવશે અને રશિયન બૅન્કો પર પણ પ્રતિબંધ લાદવામાં આવશે.
    • વિશ્વની સાત મોટી અર્થવ્યવસ્થાઓના સંગઠન જી7ના નેતાઓ વચ્ચે સહમતિ થઇ છે કે તેઓ ડૉલર, યૂરો, પાઉન્ડ અને યૅનમાં રશિયાની વેપાર કરવાની ક્ષમતાને સીમિત કરાશે.
    • યુરોપીયન યુનિયનના વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે તેઓ રશિયન સંપત્તિઓને ફ્રીઝ કરશે અને યુરોપીયન બજારોમાં તેમની બૅન્કોની પહોંચ રોકશે.
    • જો બાઇડને કહ્યું કે અમેરિકન સેના યુક્રેનમાં નહીં લડે પરંતુ નાટોના દેશોની રક્ષા કરશે. નાટોના હજારો સૈનિકો પૂર્વ યુરોપના લાત્વિયા, ઇસ્ટોનિયા, લિથુએનિયા, પૉલેન્ડ અને રોમાનિયામાં તહેનાત કરવામાં આવશે.
    • યુરોપીયન સંઘના મહાસચિલ જેન્સ સ્ટૉલ્ટનબર્ગે જણાવ્યું કે નાટોએ પૂર્વ તરફ 100 ફાઇટર જૅટને ઍલર્ટ પર રાખ્યાં છે. જોકે, નાટોએ કહ્યું છે કે તેમની યુક્રેનમાં સૈન્ય ટુકડીઓ મોકલવાનો કોઇ ઇરાદો નથી.
    • ચૅર્નોબિલની આસપાસ રશિયા અને યુક્રેનની સેના વચ્ચે જંગને લઇને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીએ કહ્યું કે પરમાણુ મથકોની સુરક્ષાને લઇને શાંતિ કેળવવાની જરૂર છે. એજન્સીએ કહ્યું કે યુક્રેને તેમને જણાવ્યું કે ચૅર્નોબિલ પરમાણુ મથક પર રશિયાએ કબજો કરી લીધો છે.
    • યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકિવમાં સ્થાનિક લોકોએ જણાવ્યું કે સામસામે ગોળીબારથી ઇમારતની બારીઓ ધ્રૂજી રહી છે.
    • રશિયાએ યુક્રેનનાં સૈન્યમથકોથી લઈને હવાઇમથકો પર હુમલા કર્યાં છે. યુક્રેનિયન સેનાએ દાવો કર્યો છે કે તેમણે છ રશિયન યુદ્ધવિમાનો તોડી પાડ્યાં છે. જોકે, રશિયાએ દાવો કર્યો છે કે તેમણે યુક્રેનનાં 70 સૈન્યમથકોને નષ્ટ કરી દીધાં છે.
    • યુક્રેનમાં ઘણા લોકો આશરો લેવા માટે મોટાં શહેરો છોડી રહ્યાં છે. આ જ પ્રયાસોમાં હજારો લોકો કિવ છોડી રહ્યા છે.
    • યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ દેશવાસીઓને કહ્યું કે દેશની રક્ષા માટે તૈયાર રહો. આ સાથે તેમણે તમામ ઇચ્છુક લોકોને હથિયાર આપવાનું આશ્વાસન આપ્યું હતું.
    • રશિયાએ કહ્યું કે આ અભિયાનનો અંત એ વાત પર નિર્ભર કરે છે કે તે કઇ રીતે આગળ વધે છે અને તેમાં કિવની સૈન્ય ક્ષમતાઓને નષ્ટ કરી દેવી જોઇએ.
    • પુતિને યુક્રેન પર હુમલાના નિર્ણયને સાચો ઠેરવતાં કહ્યું રશિયાની સુરક્ષા માટે તેમની પાસે અન્ય કોઇ વિકલ્પ નથી.
  18. 'યુક્રેન સામે સૈન્યઅભિયાન સિવાય કોઈ વિકલ્પ નહોતો'-રાષ્ટ્રપતિ પુતિન

    ગુરુવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે રશિયાની સુરક્ષા માટે તેમની પાસે યુક્રેન વિરુદ્ધ વિશેષ સૈન્યઅભિયાનના આદેશ આપવા સિવાય કોઈ અન્ય વિકલ્પ નહોતો.

    સમાચાર એજન્સી એફપી અનુસાર પુતિને એ પણ કહ્યું કે રશિયા વૈશ્વિક અર્થવ્યવસ્થાને નબળી કરવા માગતું નથી.

    તો રૉયટર્સ અનુસાર પુતિને કહ્યું કે રશિયાએ પૂરી કોશિશ કરી હતી પણ તેમની કોશિશોનું કોઈ પરિણામ ન આવ્યું.

    તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે યુક્રેન પર હુમલાથી જે તબાહી થશે અને તેને કારણે જે જીવ જશે તેના માટે માત્ર રશિયા જવાબદાર હશે.

  19. વડા પ્રધાન મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ટેલિફોન પર વાત, વાતચીત દ્વારા મતભેદ ઉકેલવાની અપીલ

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોન પર વાત કરી છે.

    યુક્રેન અને રશિયા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે એવામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત કરી હોવાનું પીએમઓ દ્વારા જાણવા મળ્યું છે.

    આ વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાનને યુક્રેન અંગેની તાજેતરની સ્થિતિની જાણકારી આપી હતી.

    વડાપ્રધાન મોદીએ રશિયા અને નાટો જૂથ વચ્ચેના મતભેદો માત્ર પ્રામાણિક અને નિષ્ઠાવાન વાતચીત દ્વારા જ ઉકેલી શકાય એમ કહ્યું હતું.

    વડાપ્રધાન મોદીએ તાત્કાલિક હિંસા બંધ કરવાની અપીલ પણ કરી હતી અને રાજદ્વારી વાટાઘાટ અને સંવાદના માર્ગે પાછા ફરવા માટે તમામ પક્ષોથી નક્કર પ્રયાસો કરવા હાકલ કરી હતી.

  20. યુક્રેનથી ભારતીયોના પાછા લાવવા માટે ભારતીય વિદેશ મંત્રાલય શું પ્રયાસ કરી રહ્યું છે?

    ભારતના વિદેશ સચિવે હર્ષવર્ધન ઋંગલાએ કહ્યું કે યુક્રેનમાં 20 હજાર ભારતીયો હાજર છે અને ભારતે યુક્રેનની પરિસ્થિતિ મુજબ કેટલાંક પગલાં લીધાં છે.

    તેમણે કહ્યું કે યુક્રેનમાં ઘટનાક્રમ ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે. પરિસ્થિતિ મુજબ કેટલાંક પગલાં લેવામાં આવ્યા જેમાં ત્યાં રહેતા ભારતીય નાગરિકોનું પંજીકરણ પણ સામેલ છે.

    ઋંગલાએ કહ્યુંકે આ કામ એક મહિના પહેલાંથી શરૂ થઈ ગયું હતું. ઑનલાઇન પંજીકરણથી જાણી શકાય કે યુક્રેનીમ 20 હજાર ભારતીયો રહે છે.

    તેમણે કહ્યુંકે ગત કેટલાક દિવસોમાં 4,000 ભારતીય યુક્રેન છોડી ચૂક્યા છે. દિલ્હી સ્થિત વિદેશ મંત્રાલયના કંટ્રોલ રૂમથી 980 કૉલ્સ અને 850 ઇમેલ મળ્યા છે.

    આ દરમિયાન તેમણે એવું પણ કહ્યું કે યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસ પોતાનું કામ ચાલુ રાખશે.

    તેમણે કહ્યું કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ભારતીય અધિકારીઓને યુક્રેનની નજીક આવેલા દેશોમાં મોકલાયા છે.

    આ અધિકારી રશિયન ભાષા બોલે છે જેથી આ કારણે તેમને પરેશાન નહીં થવું પડે. આમાંથી કેટલાક અધિકારી ત્યાં પહોંચી ગયા છે.

    યુક્રેન, પોલૅન્ડ, રોમાનિયા, સ્લોવાકિયા અને હંગરીમાં હાજર ભારતીય રાજદૂતોને કહેવામાં આવ્યું છે કે યુક્રેનમાંથી કાઢવામાં આવેલા ભારતીયોને આ દેશોમાં પ્રવેશ અપાવે જેથી તેમને ભારત લાવી શકાય.

    બિનનિવાસી ગુજરાત વિભાગ દ્વારા પણ આ માટે ખાસ નંબર જાહેર કરવામાં આવ્યા છે.