You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

યુક્રેનની રાજધાની પાસે રશિયન હેલિકૉપ્ટર તોડી પડાયું, 'ચેર્નોબિલને કબજે કરવાનો રશિયાનો પ્રયત્ન'

યુક્રેનની રાજધાની કીએફ પાસે હોસ્ટોમેલ ઍરપૉર્ટ પર લડાઈ દરમિયાન એક રશિયન સૈન્યનું હેલિકૉપ્ટર તોડી પડાયાના વીડિયોની બીબીસીએ પુષ્ટિ કરી છે.

લાઇવ કવરેજ

  1. યુક્રેનની રાજધાની કિવમાં ઇન્ટેલિજન્સ મુખ્યાલયમાંથી ધુમાડો

    યુક્રેનની રાજધાની કિવના મધ્યમાં સ્થિત રક્ષા ઇન્ટેલિજન્સ મુખ્યાલયમાંથી કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો છે.

    યુક્રેનમાં ચારે તરફ અફરાતફરીનો માહોલ છે.

    યુક્રેનનુું કહેવું છે કે મૉસ્કોએ સેનાનું ઑપરેશન શરૂ કર્યું ત્યાર બાદ આજે સવારે રશિયાએ મિસાઇલોથી યુક્રેનની સેનાના કમાંડ સેન્ટર્સ પર હુમલો કર્યો છે.

  2. રશિયાના હુમલા બાદ યુક્રેનમાં ઇમારતો તબાહ, જ્યાં જુઓ ત્યાં કાટમાળ

    યુક્રેનમાં રશિયાના હુમલાથી થયેલી તબાહીના વીડિયો સામે આવી રહ્યા છે.

    ચુગેવમાં રહેણાક વિસ્તારો પર બૉમ્બથી હુમલો કરવામાં આવ્યો છે. એક બિલ્ડિંગમાં લાગેલી આગને ઓલવવાની કોશિશ ચાલુ છે.

    બિલ્ડિંગ પર હુમલા બાદ નુકસાનનાં નિશાન વીડિયોમાં સાફ દેખાઈ રહ્યાં છે. અહીં રહેતા લોકો હુમલા બાદ ભયમાં છે.

    રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ગુરુવારે સવારે યુક્રેન પર વિશેષ સૈન્ય ઑપરેશન કરવાનું એલાન કર્યું હતું.

  3. 'બેલારુસની સેના પણ પુતિનના સૈન્યઅભિયાનમાં જોડાઈ શકે છે'- લુકાશેંકો

    બેલારુસના નેતા ઍલેગ્ઝેન્ડર લુકાશેંકોએ કહ્યું કે બેલારુસની સેના હાલ યુક્રેનમાં રશિયાના આક્રમણમાં ભાગ નથી લઈ રહી પરંતુ જરૂર પડશે તો જોડાશે.

    રશિયાની સૈનિક ટુકડીઓ બેલારુસમાંથી યુક્રેનમાં પ્રવેશી ગઈ છે.

    રશિયાના સૈનિકો કેટલાંય અઠવાડિયાંથી બેલારુસમાં હાજર હતા, ત્યાં બંને દેશોની સેનાઓ સંયુક્ત અભ્યાસ કરી રહી હતી.

    બેલારુસની સરકારી સમાચાર એજન્સી બેલ્ટા અનુસાર લુકાશેંકોએ કહ્યું કે," હું ફરીથી કહું છું: અમારી સેના ત્યાં નથી. પરંતુ જો જરૂર પડે તો, બેલારુસ અને રશિયા માટે જરૂરી હશે તો અમારી સેના પણ સામેલ થશે."

    બેલારુસ લાંબા સમયથી રશિયાનું સહયોગી છે.

  4. યુક્રેને રશિયા સાથે રાજદ્વારી સંબંધ તોડ્યો, ચારેય તરફ અફરાતફરી

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ જાહેરાત કરી છે કે યુક્રેને પોતાના ક્ષેત્ર પર રશિયાના હુમલા પછી રશિયા સાથે બધા પ્રકારના રાજદ્વારી સંબંધ તોડી દીધા છે.

    સમાચાર છે કે યુક્રેનમાં સામાન્ય લોકો અને લડવામાં સક્ષમ લોકોને હથિયાર ઉઠાવવાની વિનંતી કરવામાં આવી રહી છે.

    યુક્રેનના સરકારી મીડિયા અનુસાર રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ કહ્યું છે કે જે કોઈ પણ હથિયાર ઉઠાવવા માગે છે તેમને હથિયાર આપશે.

  5. બ્રેકિંગ, 'રશિયાની ટૅન્કો યુક્રેનના બીજા સૌથી મોટા શહેરમાં દાખલ થઈ'

    બીબીસી સંવાદદાતા પૉલ ઍડમ્સ અનુસાર યુક્રેનના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે રશિયાની ટૅન્કો ખારખિવ નામના શહેરમાં દાખલ થઈ ગઈ છે. ખારખિવ યુક્રેનનું બીજું સૌથી મોટું શહેર છે.

    બીબીસી સંવાદદાતા પૉલ ઍડમ્સ કહે છે કે યુક્રેનમાં બહુ ઝડપથી પરિસ્થિતિ બદલાઈ રહી છે.

  6. બ્રેકિંગ, યુક્રેનના સૈનિકો હથિયાર મૂકીને ભાગી રહ્યા છે- રશિયાનો દાવો

    રશિયાના રક્ષા મંત્રાલયે દાવો કર્યો છે કે યુક્રેનના સૈનિકો પોતાનાં હથિયાર મૂકીને જઈ રહ્યા છે. રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસ અનુસાર, રશિયન રક્ષા મંત્રાલયે ખુફિયા જાણકારીને આધારે આ કહ્યું છે.

    નિવેદનમાં કહેવામાં આવ્યું કે ખુફિયા જાણકારી અનુસાર યુક્રેનની આર્મ્ડફોર્સના જવાનો મોટી સંખ્યામાં પોતાનાં ઠેકાણાંથી જઈ રહ્યા છે અને પોતાનાં હથિયાર હેઠાં મૂકી રહ્યા છે.

    રક્ષા મંત્રાલયે એ સ્પષ્ટ કર્યું કે જે સૈનિકોએ હથિયાર હેઠાં મૂકી દીધાં છે, તેમનાં ઠેકાણાં પર કાર્યવાહી કરાઈ રહી નથી.

    મંત્રાલય અનુસાર યુક્રેનનાં સૈન્યઠેકાણાં પર ઉચ્ચ ક્ષમતાવાળાં હથિયારોનો ઉપયોગ કરાયો છે.

  7. બ્રેકિંગ, યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું, 'દેશમાં જેને પણ હથિયાર જોતાં હોય તેમને આપીશું'

    યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ દેશમાં જેને પણ હથિયાર જોતાં હોય તેમને આપવા માટે તૈયારી બતાવી છે.

    સરકારી મીડિયા સંસ્થાન અનુસાર તેમણે કહ્યું છે કે જેને પણ હથિયાર જોતાં હશે તેમના નામે તેની નોંધણી કરી આપવામાં આવશે.

    રશિયા સાથે તણાવ વધતાં યુક્રેનમાં નાગરિકોને બેસિક સૈનિક પ્રશિક્ષણ આપવાની તસવીરો પણ સામે આવી હતી.

  8. રશિયા માટે યુક્રેન અગત્યનું કેમ છે? જાણો ત્રણ મોટાં કારણ

    રશિયા અને યુક્રેન વચ્ચે તંગદિલીના કારણે દુનિયાભરના વિદેશ પ્રધાનો ચિંતામાં પડ્યા છે.

    વર્જિનિયા ટેક યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય સંબંધોના પ્રોફેસર ગેરાલ્ડ ટોલે બીબીસીને જણાવ્યું કે "રશિયાને લાગે છે કે તેના પાડોશી દેશો જોખમી લશ્કરી સંગઠનના સભ્યો બની રહ્યા છે એટલે આ પગલાં લઈ રહ્યું છે. યુક્રેન નાટોનું સભ્ય બને અને તેનાં શસ્ત્રો ત્યાં ગોઠવાય તેવી શક્યતાને કારણે આવું થઈ રહ્યું છે".

    ફ્રાઇડમેન કહે છે કે યુક્રેન છેક 1812માં નેપોલિયને હુમલો કર્યો ત્યારથી રશિયા માટે બફર ઝોન તરીકે રહ્યો છે.

    "યુક્રેન રશિયા માટે પશ્ચિમની સરહદ છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેના પર હુમલો થયો ત્યારે વચ્ચે યુક્રેનની ભૂમિને કારણે તેમનો બચાવ થયો. મોસ્કો જવા માટે અહીંથી 1600 કિમીનો પ્રવાસ કરવો પડે. યુક્રેન નાટોમાં ભળી જાય તો તેની સરહદેથી મોસ્કો પછી માત્ર 640 કિમી જ દૂર રહે. નેપોલિયનના હુમલા વખતથી આ રીતે યુક્રેન બચાવતું રહ્યું છે."

    ટોલે કહે છે તે પ્રમાણે રશિયાને એવું લાગી રહ્યું છે કે તેને ચારે બાજુથી ઘેરવામાં આવી રહ્યું છે.

    આ સંકટ શરૂ થયું ત્યારે રશિયાના નાયબ વિદેશમંત્રી 1962ની ક્યુબા મિસાઇલ ક્રાઇસિસનો ઉલ્લેખ કર્યો હતો. બાદમાં મોસ્કોએ એવું કહ્યું હતું કે તેઓ ક્યુબા અને વેનેઝુએલામાં પોતાનાં દળો ગોઠવી શકે છે.

    મંત્રીએ કહ્યું હતું કે "અમેરિકાની પોતાની મોસ્કો ડ્રોક્ટાઇન છે તે ના ભૂલવું જોઈએ, તેમની નજીકની સરહદે પણ આક્રમકદળોની હાજરી હોઈ શકે છે તે ના ભૂલવું જોઈએ."

    ટોલે વધુમાં કહે છે કે "જોકે તેની સામે જવાબમાં કહેવાઈ રહ્યું છે કે યુક્રેનમાં રશિયાએ કેટલોક પ્રદેશ લઈ લીધો છે અને આક્રમણનું જોખમ છે એટલે આવું થઈ રહ્યું છે. યુક્રેન પોતાની સલામતી માટે મદદ માગી રહ્યું છે, તેની સામે મિત્રોનો સહયોગ માગી રહ્યું છે".

  9. યુક્રેનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે વડા પ્રધાન મોદીને દખલ કરવા અપીલ

    પંજાબના મુખ્ય મંત્રી ચરણજીતસિંહ ચન્નીએ વડા પ્રધાન મોદીને અપીલ કરી છે કે તેઓ યુક્રેનમાં રહેતા ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને વિદ્યાર્થીઓ અને પંજાબીઓને સુરક્ષિત પાછા લાવવા માટે દખલ કરે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલી લડાઇને લઈને તેઓ ઘણા ચિંતિત છે.

    યુક્રેનસ્થિત ભારતીય દૂતાવાસે પોતાની તાજેતરની ઍડવાઇઝરીમાં કહ્યું છે કે તમામ ભારતીય નાગરિકોને સૂચિત કરવામાં આવે છે કે યુક્રેનનું હવાઇક્ષેત્ર બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી નિયમિત અને વિશેષ ફ્લાઇટો રદ કરી દેવામાં આવી છે.

    દૂતાવાસે કહ્યું છે કે "ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે વૈકલ્પિક વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે. જેવી જ કોઈ વ્યવસ્થા થશે, તમામ લોકોને સૂચિત કરવામાં આવશે. આ સાથે દૂતાવાસે હૅલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે."

  10. બ્રેકિંગ, યુક્રેનનો તમામ ફ્લાઇટો રદ કરવાનો નિર્ણય, એટીએમ અને પેટ્રોલ પંપ પર લોકોની ભીડ

    યુક્રેન પર હુમલો થતાં યુક્રેનિયન ઍર ટ્રાફિક સર્વિસ દ્વારા દેશની ઍરસ્પેસ બંધ કરી દેવામાં આવી છે.

    તેમણે કિવના સ્થાનિક સમય પ્રમાણે બપોરે 2:45 વાગ્યા બાદથી ઊડાન ભરનારી તમામ ફ્લાઇટ રદ કરવાનો નિર્ણય લીધો છે.

    સરકારી આદેશ અનુસાર, ફ્લાઇટ ઓછામાં ઓછા 14 દિવસ સુધી ઊડાન નહીં ભરી શકે.

    ગુરુવારની સવાર યુક્રેનના નાગરિકો માટે હુમલાની શરૂઆત સાથે થઈ છે. ત્યારે પૂર્વ યુક્રેનમાં બીબીસીના સંવાદદાતા ઑર્લા ગુએરિન મુજબ, સવારથી એટીએમ તેમજ પેટ્રોલ પંપ પર લોકોની કતાર જોવા મળી રહી છે.

    તેમના જણાવ્યા પ્રમાણે, પૂર્વ યુક્રેનમાં લોકોમાં ભય, અનિશ્ચિતતા અને તણાવ જોવા મળી રહ્યો છે.

  11. પુતિન આધુનિક યુગના હિટલર: યુક્રેનના પૂર્વ રાષ્ટ્રપતિ

    યુક્રેનના પૂર્વ રાષ્ટ્રપતિ પેત્રો પૉરોશેન્કોએ કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આધુનિક યુગના હિટલર છે. પોરોશેન્કો આ સમયે યુક્રેનના સાંસદ છે. તેમણે આજના દિવસને દુખદ ગણાવ્યો હતો પરંતુ જીતની આશા વ્યક્ત કરી હતી.

    યુક્રેનની રાજધાની કિવમાં સાંસદોની આપાતકાલીન બેઠક ચાલી રહી છે. બેઠકમાં શામેલ થવા જઇ રહેલા પોરોશેન્કોએ સંસંદ બહાર પત્રકારો સાથેની વાતચીતમાં પુતિનને આધુનિક યુગના હિટલર કહ્યા હતા. પોરોશેન્કો 2014થી 2019 સુધી યુક્રેનના રાષ્ટ્રપતિ રહ્યા હતા.

    ગુરુવારે સવારે વ્લાદિમીર પુતિને યુક્રેનમાં સૈન્ય કાર્યવાહીની ઘોષણા કરી હતી. ત્યાર બાદથી યુક્રેનના ઘણા વિસ્તારોમાં હવાઇ હુમલા થયા છે. યુક્રેનનું કહેવું છે કે હુમલામાં તેમનાં સૈન્યમથકોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે.પુતિને સંબોધનમાં યુક્રેનની સેનાને હથિયાર નાખી દેવા કહ્યું હતું અને ચેતવણી આપી હતી કે કોઇ આ મામલે દખલ ન કરે.

  12. યુક્રેન પર રશિયાની કાર્યવાહીની બજાર પર અસર, શૅર માર્કેટ પડ્યું, તેલની કિંમતમાં ઉછાળો

    રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ગુરુવારે સવારે યુક્રેન પર વિશેષ સૈન્યઅભિયાનની જાહેરાત કરી છે.

    જ્યાર બાદ વૈશ્વિક સ્તર પર ઘટનાક્રમ બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે જેની બજાર પર પણ અસર પડી રહી છે.

    વધતા તણાવના કારણે કાચા તેલની કિંમત 100 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે.

    રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જાહેરાત બાદ સાત વર્ષોનો રેકૉર્ડ તૂટી ગયો છે.

    ગત સાત વર્ષમાં આવું પહેલી વખત થયું કે તેલની કિંમત 100 ડૉલર પ્રતિ બેરલની ઊપર પહોંચી ગઈ છે.

    આક્રમણના સમાચારની અસર એશિયન શૅર માર્કેટ પર પણ જોવા મળી રહી છે. જ્યાં શૅર માર્કેટ બેથી ત્રણ ટકા નીચે આવ્યું છે.

    જોકે ગત કેટલાક દિવસોમાં વૈશ્વિક સ્તર પર વધતા તણાવની અસર બજારને પણ પ્રભાવિત કરી રહી છે.

    બીબીસી એશિયા બિઝનેસ સંવાદદાતા મૈરિકો ઓઈ અનુસાર, રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ ભાગી રહ્યા છે. સોનાની કિંમત એક વર્ષના સૌથી ઊંચા સ્તર પર પહોંચી ગઈ છે.

    આ સિવાય અમેરિકન ડૉલર અને જાપાનની કરન્સી યેન મજબૂત થઈ છે.

    બિઝનેસ ઇન્સાઇડરના સમાચાર અનુસાર, રશિયા-યુક્રેન સંકટની અસર ભારતીય બજાર પર પણ પડી છે.

    ગુરુવારના ભારતીય બજાર ક્રૅશ થઈ ગયું હતું.

    ગુરુવારના સૅન્સેક્સ 1428.34 અંક નીચે આવી ગયું હતું અને 55,803.72 પર ખૂલ્યું હતું . નિફ્ટી 413.35 અંક નીચે આવીને 16,647 પર ખૂલ્યું.

  13. યુક્રેન પર રશિયાની સૈન્ય કાર્યવાહી: અત્યાર સુધી શું-શું થયું?

    રશિયાએ યુક્રેન પર વિશેષ સૈન્ય કાર્યવાહીની ઘોષણા કરી દીધી છે. જ્યાર બાદથી દુનિયાભરના ઘટનાક્રમમાં ઝડપથી ફેરફાર જોવા મળી રહ્યા છે.

    જો આપ બીબીસી ગુજરાતીના આ વિશેષ કવરેજમાં અત્યારે જ જોડાયા છો તો રશિયા-યુક્રેન સંકટને લગતી આજની મહત્વપૂર્ણ અપડેટ્સ આ રહી.

    • રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનના દૉનબાસ પ્રાંતમાં સૈન્યકાર્યવાહીની જાહેરાત કરી છે. તેમણે આ જાહેરાત એક ટેલિવિઝન સ્પીચ દરમિયાન કરી હતી.
    • રશિયા-યુક્રેન તણાવ વચ્ચે રશિયાએ એક સિવિલ ઍવિએશન નોટિસ જારી કરી છે. રશિયાએ પોતાની સરહદ સાથે જોડાયેલ પૂર્વ યુક્રેનમાં તમામ હવાઈક્ષેત્રોને બંધ કર્યાં છે.
    • રશિયન રાષ્ટ્રપતિ પુતિને ટેલિવિઝન સ્પીચમાં જણાવ્યું હતું કે રશિયાનું યુક્રેન પર કબજો કરવાનું કોઇ આયોજન નથી. તેમણે કહ્યું હતું કે યુક્રેનના લોકોને દેશ કોણ ચલાવશે તેની મુક્તપણે પસંદગી કરવાનો અધિકાર મળવો જોઇએ.
    • યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, પુતિને પૂરજોશમાં યુક્રેનમાં ઘૂસણખોરી શરૂ કરી છે. પુતિનને ડર છે કે યુક્રેન ખુદનો બચાવ કરશે અને સમગ્ર વિશ્વ પુતિનને રોકશે.
    • સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝૅલેન્સ્કીએ પુષ્ટિ કરી છે કે રશિયાએ યુક્રેન પર મિસાઇલ હુમલા કર્યા છે.
    • યુક્રેનના રાષ્ટ્રપતિએ નેશનલ સિક્યોરિટી અને ડિફેન્સ કાઉન્સિલની બેઠક બોલાવી છે. આ બેઠક યુક્રેનમાં માર્શલ લૉ લાગુ કરવા માટે બોલાવવામાં આવી છે.
    • યુક્રેનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સૈન્યકાર્યવાહીની ઘોષણા બાદ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાપરિષદે બોલાવેલી કટોકટીની બેઠકમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી.એસ. તિરુમૂર્તિએ ફરીથી એ જ વાત કહી કે તાત્કાલિક તણાવ ઓછો કરવાની જરૂર છે.
    • રશિયાના રક્ષામંત્રાલયે કહ્યું છે કે તે યુક્રેનમાં માત્ર સૈન્યમથકો પર હુમલો કરી રહ્યું છે. રશિયાની સરકારી સમાચાર એજન્સી આરઆઈએએ મંત્રાલયને ટાંકીને જણાવ્યું કે રશિયા આ માટે ઉચ્ચ સ્તરનાં સચોટ હથિયારોનો ઉપયોગ કરી રહ્યું છે.
    • ગુરુવારે સવારે યુક્રેન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સનું એક વિમાન 182 ભારતીય નાગરિકો સાથે દિલ્હી આવી પહોંચ્યું છે. આ પહેલાં ઍર ઇન્ડિયાનું એક વિમાન યુક્રેનથી 242 ભારતીય નાગરિકોને લઇને પરત આવ્યું હતું.
    • યુક્રેનિયન પોલીસના જણાવ્યા પ્રમાણે, રશિયન સેના દ્વારા કરવામાં આવેલા બૉમ્બમારાથી અત્યાર સુધી સાત લોકોનાં મૃત્યુ થયાં છે અને 19 જેટલા લોકો ગુમ થયા છે.
  14. 'રશિયાના હુમલામાં સાત લોકોનાં મૃત્યુ થયાં' - યુક્રેન પોલીસ

    યુક્રેનની પોલીસે દાવો કર્યો છે રશિયાના બૉમ્બમારામાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે.

    યુક્રેન પોલીસે જણાવ્યું કે રશિયન સેના દ્વારા કરવામાં આવેલા બૉમ્બિંગમાં સાત લોકોનાં મૃત્યુ થયાં છે.

    અધિકારીઓએ કહ્યું કે ઓડેસાની બહાર પોડિલસ્કમાં સૈન્ય ઠેકાણે હુમલો થયો હતો જેમાં છ લોકોનાં મૃત્યુ થયાં છે અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.

    19 લોકો હજી લાપતા છે. અને મારિયુપોલ શહેરમાં પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

  15. બ્રેકિંગ, રશિયાના બૉમ્બમારાથી સાત લોકોનાં મૃત્યુ: યુક્રેન પોલીસ

    યુક્રેનિયન પોલીસના જણાવ્યા પ્રમાણે, રશિયન સેના દ્વારા કરવામાં આવેલા બૉમ્બમારાથી અત્યાર સુધી સાત લોકોનાં મૃત્યુ થયાં છે.

    સત્તાધીશોએ જણાવ્યું કે પોડિલ્સ્ક ખાતેના સૈન્યમથક પર કરાયેલા હુમલામાં છ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

    તેમણે વધુમાં જણાવ્યું કે મરિયુપૉલમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને કુલ 19 લોકો ગુમ થયા છે.

  16. જીવ બચાવવા માટે સંઘર્ષ

    રશિયા- યુક્રેન વચ્ચે જ્યાં એક તરફ બૉમ્બવિસ્ફોટોના અવાજો આવી રહ્યા છે, બીજી તરફ પોતાનું, બાળકોનું, પોતાના પ્રેમીનું જીવન બચાવવાનો જંગ થઈ રહ્યો છે... જુઓ યુદ્ધની ફિલ્મોમાં જેવાં દૃશ્યો દેખાય છે, તેવી જ રીતે યુક્રેનમાં વાસ્તવિક દૃશ્યો સર્જાયાં છે અને લોકો પોતાનો અને પરિવારનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

  17. યુક્રેનમાં લોકો સ્થળાંતર કરવા મજબૂર, જુઓ તસવીરો…, રશિયા યુક્રેન પર આક્રમક રીતે હુમલા કરી રહ્યું છે. ત્યારે યુક્રેનમાં અને તેમાં પણ ખાસ કરીને રાજધાની કિવમાં સામાન્ય જનજીવન વેરવિખેર થઇ રહ્યું છે.

  18. રશિયા-યુક્રેન સંકટ પર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?

    રશિયા-યુક્રેન સંકટ વિશે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે જો તેઓ રાષ્ટ્રપતિ હોત તો આવું ન થયું હોત.

  19. બ્રેકિંગ, યુક્રેનથી 182 ભારતીયો સાથે વિમાન દિલ્હી પહોંચ્યું, યુક્રેનમાં રહેતા ભારતીયોને આપી આ સલાહ

    ગુરુવારે સવારે યુક્રેન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સનું એક વિમાન 182 ભારતીય નાગરિકો સાથે દિલ્હી આવી પહોંચ્યું છે.

    આ પહેલાં ઍર ઇન્ડિયાનું એક વિમાન યુક્રેનથી 242 ભારતીય નાગરિકોને લઇને પરત આવ્યું હતું.

    આ સિવાય યુક્રેનમાં ભારતના દૂતાવાસ તરફથી ત્યાં રહેતા નાગરિકો માટે એક ઍડવાઇઝરી જારી કરવામાં આવી છે.

    જેમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેનની સ્થિતિ ખૂબ જ અનિશ્ચિત છે. શાંત રહો અને જ્યાં પણ હોવ ત્યાં જ સુરક્ષિત રીતે રહો. જે લોકો કિવની યાત્રા કરી રહ્યાં હોય તેઓ યાત્રા કરવાનું ટાળે.

  20. રશિયાએ કહ્યું, અમે માત્ર સૈન્યમથકો પર હુમલો કરી રહ્યા છીએ

    રશિયાએ એ વાતથી ઇનકાર કર્યો છે કે તે યુક્રેનના શહેરી વિસ્તારો પર હુમલો કરી રહ્યું છે. રશિયાના રક્ષામંત્રાલયે કહ્યું છે કે તે યુક્રેનમાં માત્ર સૈન્યમથકો પર હુમલો કરી રહ્યું છે. રશિયાની સરકારી સમાચાર એજન્સી આરઆઈએએ મંત્રાલયને ટાંકીને જણાવ્યું કે રશિયા આ માટે ઉચ્ચ સ્તરનાં સચોટ હથિયારોનો ઉપયોગ કરી રહ્યું છે. કિવમાં બીબીસી સંવાદદાતા જૅમ્સ વૉટરહાઉસનું કહેવું છે કે યુક્રેનના એક સરકારી અધિકારીએ રશિયન સૈન્ય કાર્યવાહીની વ્યાપકતાના સંકેત આપ્યા છે.

    અધિકારીનું કહેવું છે કે ગુરુવારે સવારે કિવ પર ક્રૂઝ મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. આ સિવાય પણ યુક્રેનના કેટલાક વિસ્તારોમાં બ્લાસ્ટ થયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. યુક્રેનના આંતરિક મંત્રાલયને ટાંકીને સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક મિસાઇલ હુમલામાં યુક્રેનના સૈન્ય મિસાઇલ કમાન્ડ સૅન્ટર અને કિવમાં સૈન્ય મુખ્યાલયને પણ નિશાન બનાવવામાં આવ્યું છે.