You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસને લીધે ગુજરાત કૉંગ્રેસના નેતા બદરુદ્દીન શેખનું નિધન

ઇટાલી, સ્પેન, અમેરિકા અને ફ્રાન્સ બાદ યુ.કે.માં પણ મરણાંક 20 હજાર કરતાં વધુનો થયો.

લાઇવ કવરેજ

  1. નજર હઠશે, દુર્ઘટના ઘટશે - મોદી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં સંબોધન કરતાં કહ્યું કે રમઝાન દરમિયાન અગાઉ કરતાં વધુ બંદગી કરીએ, જેથી ઈદ આવે તે પહેલાં દુનિયા કોરોનાથી મુક્ત થઈ જાય

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું :-

    • કોરોના વાઇરસને કારણે ઘરઘાટી, કામદાર, શ્રમિક, રિક્ષાચાલક વગેરેની કિંમત સમજાઈ
    • કોરોના દરમિયાન પોલીસ તંત્રે બજાવેલી ફરજથી તેમના વિશેની માન્યતામાં નાગરિકોનું વિચાર-પરિવર્તન થયું છે અને ભાવનાત્મક જોડાણ સ્થપાયું
    • ભારતે સમૃદ્ધ દેશોને દવાઓ મોકલાવીને દેશની સંસ્કૃતિનો પરચો આપ્યો
    • આયુષ મંત્રાલયે કોરોના વાઇરસના અનુસંધાને આપેલી માર્ગદર્શિકાને નિયમિત દિનચર્યામાં સામેલ કરવાનો પ્રયાસ કરશો
    • શહેર કે ગામમાં કોરોના વાઇરસ ન હોવાથી અતિઉત્સાહમાં બિન્દાસ ન બનશો અને સાવચેત રહેજો, તેમણે ઉમેર્યું કે 'નજર હઠશે, દુર્ઘટના ઘટશે'
    • કોરોના સામેની ભારતની લડાઈ લોકો દ્વારા સંચાલિત, સરકાર અને તંત્ર તેમની સાથે રહ્યા છે.
    • માસ્ક એ સભ્ય સમાજનું પ્રતીક બની જશે, બીમારીથી ખુદને તથા અન્યોને બચાવવા માટે તેનો ઉપયોગ જરૂરી બન્યો; હવે જાહેરમાં થૂંકવાની ખરાબ આદતને સમાપ્ત કરવાનો સમય આવ્યો
  2. બ્રેકિંગ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1990 નવા પૉઝિટિવ કેસ નોંધાયા, 49 લોકોનાં મૃત્યુ

    ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણને ટાંકીને સમાચાર સંસ્થા એએનઆઈ લખે છે કે દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાઇરસના 1990 નવા પૉઝિટિવ કેસ નોંધાયા છે.

    કોરોના વાઇરસના કારણે સંક્રમિત લોકોની સંખ્યા 26,496 પર પહોંચી છે.

    દેશમાં છેલ્લા 24 કલાકમાં 49 લોકોનાં મૃત્યુ થતાં કુલ મૃતાંક 824 પર પહોંચ્યો છે.

    ભારતમાં ઍક્ટિવ કેસની સંખ્યા 19,868 છે, જ્યારે 5803 લોકો સાજા થતા તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

  3. કિમ જોંગ-ઉનના આરોગ્ય અંગે અટકળો કેમ શરૂ થઈ?

    ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉનના સ્વાસ્થ્યને લઈને અટકળો લાગવાની ત્યારે શરૂ થઈ, જ્યારે તેઓએ ઉત્તર કોરિયાના સૌથી મોટા નેતા અને પોતાના દાદા કિમ ઇલ-સુંગની જન્મજયંતી નિમિત્તે તા. 15મી એપ્રિલે યોજાયેલા સમારોહમાં ભાગ ન લીધો.

    શનિવારે ફરી એક વાર કિમ ઉત્તર કોરિયાના સૈન્ય સ્થાપનાદિવસે પણ જોવા મળ્યા નહોતા. તેમના સ્વાસ્થ્યને લઈને અનેક અટકળો વધુ વેગવાન બની.

    'ન્યૂઝવીક'માં છપાયેલા અહેવાલ અનુસાર, અમેરિકાની ગુપ્તચર સંસ્થાએ કોઈ પણ પ્રકારની કોઈ અસામાન્ય સૈન્ય હિલચાલ જોઈ નથી, પરંતુ તેઓ સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છે.

    'ન્યૂઝવીક'એ પૅન્ટાગનના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું, "અમે કોઈ પણ પ્રકારનો કોઈ સંકેત અથવા કોઈ પણ પ્રકારની વધારે માહિતી મેળવી નથી કે જેના આધારે ઉત્તર કોરિયાના નેતૃત્વ અથવા કિમ જોંગ-ઉનના સ્વાસ્થ્ય અંગે કોઈ કયાસ કાઢી શકાય."

    પરંતુ અધિકારીઓએ કહ્યું કે વાનસેનમાં ટ્રેનની હાજરી અને હાલના કાર્યક્રમોમાં કિમની ગેરહાજરી તેમના બીમાર હોવાના અહેવાલને વિશ્વસનીય બનાવે છે.

    ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ છેલ્લી વખત એક પખવાડિયા પૂર્વે એક બેઠકમાં ભાગ લીધો હોવાના સમાચાર આપ્યા હતા.

  4. સાઉદીમાં કર્ફ્યૂમાં ઢીલ અપાશે

    સાઉદી અરેબિયાએ રવિવારથી દેશભરમાં અમુક ધંધાકીય સંસ્થાઓને આંશિક રાહત આપવાની જાહેરાત કરી છે.

    મક્કામાં હજુ પણ 24 કલાકનો કર્ફ્યૂ ચાલુ રહેશે. જોકે રમઝાનના કારણે અમુક રિટેલ સ્ટોલને પણ ખોલવાની છૂટ આપવામાં આવી છે.

  5. કોરોના વાઇરસ : ટ્રમ્પના જંતુનાશક અને સૂર્યપ્રકાશ વિશેના દાવામાં સત્ય કેટલું?

  6. શું ગુજરાતમાં લૉકડાઉન બિનઅસરકારક રહ્યું?

    લૉકડાઉન દરમિયાન પણ ગુજરાતમાં કોરોનાના કેસોમાં વૃદ્ધિ જોવા મળી છે. ત્યારે એક ચર્ચા ઉઠી છે કે ગુજરાતમાં લૉકડાઉન બિનઅસરકારક સાબિત થયું, શું તે દલીલમાં તથ્ય છે?

  7. કિમ જોંગ-ઉનના આરોગ્ય અંગે અટકળો

    વૉશિંગટનમાં આવેલા ઉત્તર કોરિયા મૉનિટરિંગ પ્રોજેક્ટે સેટેલાઇટ તસવીરની સમીક્ષા કરીને જણાવ્યું છે કે ઉત્તર કોરિયાના રિસોર્ટ શહેરના વોનસનમાં એક ટ્રેન ઊભી છે, જેનો સંભવતઃ ઉપયોગ કિમ જોંગ-ઉન કરે છે.

    મૉનિટરિંગ પ્રોજેક્ટ 38 નૉર્થ કહે છે કે ટ્રેન 21 એપ્રિલે વોનસન શહેરના લીડરશિપ સ્ટેશન પર પાર્ક કરાઈ હતી.

    મૉનિટરિંગ પ્રોજેક્ટ 38 નૉર્થ મુજબ, કિમ જોંગ-ઉનના પરિવાર માટે આ સ્ટેશન અનામત છે. આ અહેવાલ ન્યૂઝ એજન્સી રૉઇટર્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.

    રૉઇટર્સે મૉનિટરિંગ જૂથના અહેવાલની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરી નથી અને કિમ જોંગ-ઉન પોતે વોનસન શહેરમાં હોવાનું પણ જણાવ્યું નથી.

    અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, "ટ્રેનની હાજરીથી એ ખુલાસો કરી શકાયો નથી કે કિમ જોંગ-ઉન ક્યાં છે તથા તેમના સ્વાસ્થ્ય વિશે કોઈ માહિતી મળી નથી." પરંતુ એ ચોક્કસપણે જાણી શકાયું છે કે હાલમાં તેઓ ઉત્તર કોરિયાના ખૂબ જ ખાસ પૂર્વીય દરિયાકાંઠાના વિસ્તારોમાં છે.

    દક્ષિણ કોરિયાની રાજધાની સોલમાં આવેલ ન્યૂઝ વેબસાઇટ 'ડેઇલી એન.કે. રિપોર્ટ'ના અહેવાલ અનુસાર, કિમ જોંગ-ઉન પ્યોંગયાંગના ઉત્તરી વિસ્તાર કાઉન્ટી ઑફ હ્યાગસનમાં મેડિકલ ટ્રિટમેન્ટ લઈ રહ્યા છે.

    'ડેઇલી એનકે'એ આ સમાચાર ઉત્તર કોરિયામાં રહેલા તેમના ગુમનામ સૂત્રને આધારે લખ્યા છે.

    દક્ષિણ કોરિયાની સમાચાર એજન્સી 'ન્યૂઝઇજ'ના અહેવાલ અનુસાર, કોવિડ-19થી બચવા માટે વાનસેનમાં છે.

  8. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન સોમવારથી ઑફિસ જશે

    ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ આ વાતની પુષ્ટિ કરી છે કે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સન સોમવારથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈને ઑફિસ આવવાનું ફરીથી શરૂ કરશે.

    બોરિસ જૉન્સન કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા, ત્યારબાદ તેમને હૉસ્પિટલમાં ત્રણ દિવસ માટે આઈ.સી.યુ. (ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં રાખવામાં આવ્યા હતા.

    ઑફિસમાં પરત ફર્યા પછી તેમની સામે સૌથી મોટો પડકાર લૉકડાઉનના નિયમોને હળવા કરવાના નિર્ણયનો છે.

    વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે નવા કેસની સંખ્યા જે પ્રકારે વધી રહી છે, તેને જોતા આ નિર્ણય સાવચેતીપૂર્વક લેવાવો જોઈએ.

  9. નરેન્દ્ર મોદી કરશે 'મન કી બાત'

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે પોતાના 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશની જનતા સાથે સંવાદ કરશે.ગત મહીને યોજાયેલાં 'મન કી બાત' કાર્યક્રમમાં વડા પ્રધાને કોરોના અંગે ચર્ચા કરી હતી. લૉકડાઉનમાં આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો બીજી વખત 'મન કી બાત' કાર્યક્રમ હશે.

  10. જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, વિશ્વમાં અત્યાર સુધી મૃતકાંક બે લાખને પાર કરીને બે લાખ બે હજાર 455 પર પહોંચી ગયો છે. જ્યારે વિશ્વમાં ચેપગ્રસ્તોની સંખ્યા 29 લાખને સ્પર્શવામાં 7,500 ઓછી છે.

    ઇટાલી, સ્પેન, અમેરિકા અને ફ્રાન્સ બાદ બ્રિટનમાં પણ મૃતકાંક 20 હજારને પાર કરી ગયો છે.

    વિશ્વમાં સૌથી વધુ મૃત્યુ અમેરિકામાં થયાં છે. કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 52 હજાર 400 પર પહોંચી છે.

    આ સિવાય ઇટાલીમાં (26,384), સ્પેનમાં (22,902) મૃત્યુ થયાં છે. આ સિવાય ફ્રાન્સમાં (22,614) અને યુ.કે.માં 20,319 મૃત્યુ થયાં છે.

    ગુજરાત સરકારના આરોગ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 3071 પર છે. સાજા થઈને ડિસ્ચાર્જ થનાર પેશન્ટ્સની સંખ્યા 282 પર પહોંચી છે.

    2003 કેસ સાથે કોરોનાના દરદીઓની સંખ્યા બાબતે અમદાવાદ રાજ્યમાં ટોચ પર છે. સુરતમાં કેસની સંખ્યા 500 પર પહોંચવામાં છે, હાલ આ સંખ્યા 496 પર છે. વડોદરામાં 230 કેસ નોંધાયેલા છે.

    ભારત સરકારના આરોગ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં કોરોનાને કારણ મૃત્યુ પામનારાઓની સંખ્યા 779 પર પહોંચી ગઈ છે. દેશમાં 18,953 ઍક્ટિવ કેસ છે, જ્યારે 5209 પેશન્ટ્સને રજા આપી દેવાઈ છે.

  11. ગુજરાતમાં આજથી શું-શું ખૂલશે?

    મુખ્ય મંત્રી કાર્યાલયના સચિવ અશ્વિની કુમારે શનિવારે પ્રેસ-કૉન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે રવિવારથી ગુજરાતમાં નાની-મોટી દુકાનોને સશર્ત ખોલી શકાશે.

    સચિવે આ જાહેરાત પણ કરી હતી :-

    • માર્કેટિંગ કૉમ્પ્લેક્સ તથા મૉલમાં હાલના તબક્કે કોઈ છૂટછાટ નહીં અપાય; ગુમાસ્તાધારા હેઠળ નોંધાયેલી દુકાનો ખોલી શકાશે.
    • હૉટસ્પૉટ વિસ્તારમાં ધંધાકીય પ્રવૃત્તિને છૂટ નહીં
    • ધંધાકીય સ્થળે માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અનિવાર્ય.
    • પાન-મસાલા, સ્પા-સલૂન હાલ નહીં ખુલે
    • ફૉર-વ્હિલરમાં ચાલક તથા એક સવારી, જ્યારે દ્વિ-ચક્રી વાહનમાં એક જ ચાલકને મંજૂરી.
  12. આ પહેલાં શું થયું.

    દુનિયાભરમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામેલાં લોકોની સંખ્યા બે લાખને પાર પહોંચી છે.

    જોન હૉપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર, ફ્રાન્સમાં એક દિવસમાં 369 લોકોનાં મૃત્યુ પછી દુનિયામાં કોરોના વાઇરસનાં કારણે મૃત્યુ પામનારની સંખ્યા બે લાખથી વધી ગઈ છે.

    ફ્રાન્સમાં હાલ સુધી કોરોના વાઇરસના કારણે 22,614 લોકોનાં મૃત્યુ થયાં છે.

    શનિવારે અમેરિકા, ઇટાલી, સ્પેન અને ફ્રાન્સ પછી બ્રિટન પણ એવો દેશ બની ગયો છે, જ્યાં મૃત્યુનો આંક 20 હજાર પાર પહોંચ્યો છે.

    વિશ્વ સ્વાસ્થય સંગઠને(WHO) ચેતવણી આપતા કહ્યું છે કે સરકાર લૉકડાઉનમાં ઢીલ આપવા માટે પોતે કહેવાતાં 'ઇમ્યુનિટી પાસપોર્ટ' અથવા 'રિસ્ક-ફ્રી સર્ટિફિકેટ' ન આપે.

    વિશ્વ સ્વાસ્થય સંગઠને એમ પણ કહ્યું કે વાઇરસથી સ્વસ્થ થયા પછી ફરીથી સંક્રમિત ન થાય તે માટે ઍન્ટિબૉડી બનાવવામાં આવી હોય તેના 'કોઈ પુરાવા' નથી.

    સ્પેનમાં રવિવારથી છ અઠવાડિયા પછી 14 વર્ષથી નાની ઉંમરના બાળકને બહાર જવાની પરવાનગી અપાઈ છે.

    ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું કે કોરોના વાઇરસના કારણે આખું વર્ષ તકલીફોમાં પસાર થશે, આ માટે સૌથી ખરાબ સ્થિતિને ધ્યાનમાં રાખીને એક આર્થિક યોજના બનાવવી જોઈએ.

  13. નમસ્કાર. બીબીસી ગુજરાતીના કોરોના સંબંધિત કવરેજમાં આપનું સ્વાગત છે. અહીં અમે આપને દેશ-વિદેશની કોરોના સંબંધિત માહિતીથી વાકેફ કરીશું.

    આ પહેલાં શનિવારે શું ઘટ્યું, તે જાણવા માટે અહીં ક્લિક કરો.