You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

કોરોના વાઇરસ : ગુજરાતમાં પૉઝિટિવ કેસોનો આંક 500ને પાર, અમદાવાદમાં 282 કેસ

કોરોના વાઇરસ અંગે ગુજરાત અને દેશદુનિયાની અપડેટ્સ અહીં જાણો

લાઇવ કવરેજ

  1. બ્રેકિંગ, સુરતના ડેપ્યુટી મેયર અને ભાજપના નેતા મંદિરમાં હાજર રહ્યા

    કોરોના વાઇરસના ચેપનો ફેલાવો અટકાવવા માટે સમગ્ર દેશમાં જ્યારે લૉકડાઉનનો અમલ કરવા માટે તંત્ર કામે લાગ્યું છે ત્યારે સુરતના ડેપ્યુટી મેયર અને ભાજપના નેતા નિરવ શાહ એક કાર્યક્રમ દરમિયાન જૈન મંદિરમાં હાજર રહ્યા હતા.

    જેને પગલે સુરત પોલીસે શાહ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ મામલે શાહ ઉપરાંત અન્ય 17 લોકો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

    'અમદાવાદ મિરર'ના અહેવાલ અનુસાર શહેરના પાલ વિસ્તારમાં આવેલા ગુરુ રામપવન ભૂમિમંદિર ખાતે શાહ અને અન્ય લોકો પશુપંખીને ચારો અને ચણ નાખવા માટે એકઠા થયા હતા.

    આ વખતનો વીડિયો વાઇરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

  2. કોરોના વાઇરસ : ગુજરાતમાં નવા 25 કેસ

    દેશની સાથેસાથે ગુજરાતમાં પણ કોરોના વાઇરસનો આંકડો ઝડપથી વધી રહ્યો છે.

    રવિવારે સવારે આરોગ્ય સચિવ જયંતી રવિએ આપેલા આંકડા મુજબ ગુજરાતમાં કોરોના વાઇરસના નવા 25 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદમાં 1 વ્યક્તિનું મૃત્યુ થયું છે.

    મૃત્યુ પામેલી 75 વર્ષીય વ્યક્તિને હાઇપરટેન્શનની બીમારી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

    આ આંકડા 11 એપ્રિલની સાંજે 6 વાગ્યા પછીના છે.

    નવા કેસ પૈકી 23 કેસ અમદાવાદમાં નોંધાયા છે, જ્યારે 2 કેસ આણંદમાં નોંધાયા છે.

  3. કોરોના વાઇરસ : પાકિસ્તાન પાસે પૂરતાં સાધનોનો અભાવ

    પાકિસ્તાનમાં કોરોના વાઇરસને લીધે શનિવારે રાતે બાર વાગ્યા સુધી 86 લોકોનાં મૃત્યુ થયાં છે અને 5031 લોકોને ચેપ લાગ્યો છે. આ વાઇરસનો ભોગ બનેલા 786 લોકો સારવાર બાદ સાજા પણ થયા છે. પાકિસ્તાનમાં સૌથી વધુ પ્રભાવિત રાજ્ય પંજાબ છે, જ્યાં 2,425 લોકોને ચેપ લાગ્યો છે. જોકે, મૃતકોની સૌથી વધુ સંખ્યા સિંધમાં છે.

    પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કોરોના વાઇરસથી લડવા માટે પૂરતાં સાધનો ન હોવાની વાત સ્વીકારી છે. ઇમરાન ખાને કહ્યું છે કે ‘જે દેશ અણુબૉમ્બ બનાવી શકે છે શું તે વૅન્ટિલેટર અને તપાસ માટે ટેસ્ટિંગ કિટ ન બનાવી શકે?’

  4. બ્રેકિંગ, 52 દેશોમાં 22,073 સ્વાસ્થ્યકર્મીઓને વાઇરસનો ચેપ - WHO

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 11 એપ્રિલના પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે કોરોના વાઇરસના દરદીઓ સાથે કામ કરનારા 22,073 સ્વાસ્થ્યકર્મીઓને અત્યાર સુધી ચેપ લાગ્યો છે.

    સંગઠનનું કહેવું છે કે સ્વાસ્થ્યકર્મીઓને લાગેલા ચેપ અંગેની સચોટ માહિતી તમામ દેશોમાંથી તેને મળી રહી નથી. એટલે આ આંકડો વધારે પણ હોઈ શકે.

    સંગઠનનું એવું પણ કહેવું છે કે સ્વાસ્થ્યકર્મીઓ કોરોના વાઇરસ વિરુદ્ધની લડાઈમાં ફ્રન્ટલાઇન પર મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

  5. વિશ્વમાં અત્યાર સુધી શું થયું?

    17.7 લાખ લોકોનો વાઇરસનો ચેપ લાગ્યો.

    જૉન હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર વિશ્વના 185 દેશોમાં 17,73,358લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે અને 1,08,702 લોકોનાં મૃત્યુ થયાં છે.

    અમેરિકામા 20 હજાર કરતાં વધુ મૃત્યુ જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં મૃતકોની સંખ્યા 20 હજારને પાર પહોંચી ગઈ છે. અહીં કુલ 5,27,111 લોકોને વાઇરસનો ચેપ લાગ્યો છે. અમેરિકા વિશ્વનો પ્રથમ એવો દેશ બન્યો છે, જ્યાં કોરોના વાઇરસને લીધે એક જ દિવસમાં 2000 લોકોનાં મૃત્યુ થયાં છે.

    અમેરિકા ઇટાલી કરતાં પણ આગળ

    શુક્રવાર સુધી ઇટાલીમાં મૃતકોની સંખ્યા સૌથી વધુ હતી. જોકે, અમેરિકામાં મૃતકોનો આંક શુક્રવારે ઇટાલી કરતાં વધી ગયો. શનિવારે બપોર સુધી ઇટાલીમાં મૃતકોની સંખ્યા 19,468 થઈ ગઈ હતી. જ્યારે અમેરિકામાંથી 20 હજાર કરતાં વધુ મૃત્યુના સમાચાર હતા.

    બ્રિટનમાં મૃતકોનો આંક દસ હજાર નજીક

    બ્રિટનમાં 24 કલાકમાં 917 લોકોનાં મૃત્યુ થયાં અને આ સાથે જ બ્રિટનમાં કુલ મૃતકાંક 9,875 થઈ ગયો.

    સ્પેનમાં મૃત્યુના આંકમાં ઘટાડો

    સ્પેનમાં ગત 24 કલાકમાં 510 લોકોનાં મૃત્યુ થયાં. ગત ત્રણ સપ્તાહમાં અહીં થયેલાં મૃત્યુની આ સૌથી ઓછી સંખ્યા છે.

    ફ્રાન્સ અને ઇટાલીમાં મૃતકોની સંખ્યામાં વધારો નોંધાયો છે. જોકે, આઈસીયુમાં જનારા દરદીની સંખ્યા ઘટી છે.

    ભારતમાં લૉકડાઉન લંબાવાશે?

    શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોનાં મુખ્ય મંત્રીઓ સાથે એક મહત્ત્વની બેઠક કરી. જેમાં લૉકડાઉનને લઈને ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન કેટલાંય રાજ્યોના મુખ્ય મંત્રીઓએ લૉકડાઉનને આગળ વધારવાની વાત કરી.

    ભારતમાં અત્યાર સુધી 7,529લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. જ્યારે 242 લોકોનાં મૃત્યુ થયાં છે. દેશમાં કુલ 652 લોકો સાજા પણ થયા છે.

  6. બ્રિટનમાં શું સ્થિતિ છે?

    બ્રિટનમાં કોરોના વાઇરસને લઈને રોજ પત્રકારોને સંબોધવામાં આવે છે. શનિવારે પ્રથમ વખત આ મામલે બ્રિટનનાં ગૃહમંત્રી પ્રીતિ પટેલે પત્રકારોને સંબોધ્યા. મહત્ત્વના મુદ્દા

    • એક નવીન પબ્લિક ઇન્ફર્મેશન કમ્પૅઇનની શરૂઆત કરવામાં આવશે. તેમાં એ લોકોને મદદ કરવામાં આવશે, જેઓ ઘરેલુ હિંસાનો ભોગ બને એવી આશંકા છે.
    • બ્રિટનમાં મોટા ભાગના લોકો લૉકડાઉનના નિયમોને અનુસરી રહ્યા છે. જોકે, પોલીસની તહેનાતી છે અને જે કોઈએ પણ લૉકડાઉના નિયમો તોડ્યા એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
    • ચેપ લાવવાના નવા કેસોમાં પહેલાંની સરખામણીએ ઘટાડો નોંધાયો. બની શકે કે આવનારા દિવસોમાં મૃત્યુના આંકમાં પણ ઘટાડો થાય.
    • બ્રિટનમાં કોરોના વાઇરસનો ચેપ 79 હજાર કરતાં વધુ લોકોને લાગ્યો છે અને મૃતકોની સંખ્યા નવ હજારથી વધી ગઈ છે.
  7. બ્રેકિંગ, અમેરિકામાં મૃતકોનો આંક 20 હજારને પાર

    જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના આંકડા અનુસાર અમેરિકામાં મૃતકોની સંખ્યા 20 હજારને પાર પહોંચી ગઈ છે.

    અમેરિકા બાદ ઇટાલીમાં કોરોના વાઇરસથી સૌથી વધુ મૃત્યુ થયાં છે. ઇટાલીમાં મરનારા લોકોની સંખ્યા 19,469 છે.

    ચેપ લાગવાની વાત કરીએ તો અમેરિકામાં સૌથી વધુ લોકો વાઇરસના સંક્રમણનો ભોગ બન્યા છે. અહીં પાંચ લાખ કરતાં વધુ લોકોને વાઇરસનો ચેપ લાગ્યો છે.

  8. બીબીસી ગુજરાતીના તમામ વાચકો અને દર્શકોને નમસ્કાર. અહીં અમે આપને કોરોના વાઇરસની મહામારી અંગે દેશદુનિયાની તમામ અપડેટ્સ આપીશું. ગત 24 કલાકની અપડેટ્સ મેળવવા માટે જુઓ બીબીસીનું LIVE કવરેજ