You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

દુનિયામાં 17 લાખ લોકો સંક્રમિત, મરણાંક એક લાખથી વધારે

મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણાની લૉકડાઉન 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત.

લાઇવ કવરેજ

  1. બીબીસી ગુજરાતીના તમામ વાચકો અને દર્શકોને નમસ્કાર.

    ભારતમાં આજનો દિવસ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યોના મુખ્ય મંત્રી વચ્ચેની લૉકડાઉન લંબાવવાની બેઠકને લઈને અસમંજસભર્યો રહ્યો.

    જોકે, દિવસને અંતે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તેલંગણાએ લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી દીધી છે. હવે આ મામલો રાજ્યો પર જ છોડવામાં આવે છે કે કેન્દ્ર સરકાર કોઈ આદેશ કરશે એ આગામી એક-બે દિવસમાં સમજાશે.

    દુનિયાની વાત કરીએ તો દિવસ અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2000થી વધારે મૃત્યુનો દુખદ દિવસ રહ્યો છે. યુકેમાં ડૉકટરોની સંસાધનોની અછતની સમસ્યા વચ્ચે 917 લોકોનાં મૃત્યુ થયા. ગૃહ સેક્રેટરી પ્રીતિ પટેલે પત્રકારપરિષદમાં આકરા સવાલોનો સામનો કર્યો તેમણે વડા પ્રધાન બોરિસ જોન્સન સાજા થઈ રહ્યા હોવાની માહિતી પણ આપી અને કહ્યું કે તમામ નિર્ણયો વૈજ્ઞાનિક અભિગમથી લેવાઈ રહ્યાં છે.

    આ સાથે ગુજરાતમાં ફસાયેલા યુકેના નાગરિકો માટે 3 વિમાનો અમદાવાદથી ઉડશે એ સમાચાર પણ આવ્યા અને ભારત કોરોના વાઇરસની મહામારી સામે ઝૂઝી રહેલા કુવૈતને સહાય માટે ડૉકટરોની ટીમ મોકલી રહ્યું છે પણ પડોશી દેશમાં મહત્ત્વનું બન્યું.

    ભારતમાં ભરપૂર ખનીજસંપદા ધરાવતા આદિવાસી વિસ્તારોમાં મહામારી સમયે કેવી સ્થિતિ છે એનો એક અહેવાલ પણ આજે અમે પ્રકાશિત કર્યો.

    ગુજરાતમાં મહામારી વચ્ચે કૌટુંબિક હિંસા વધી રહી છે તે સમાચાર પણ આવ્યા અને માસ્ક અને દવાની નવી ડિપ્લોમસી દુનિયાની રાજનીતિ પર કેવો પ્રભાવ કરશે તેની તરફ પણ નજર નાખી.

    આજની જેમ જ આવતી કાલે લૅટેસ્ટ અપડેટ સાથે ફરી મળીશું. શુભ રાત્રિ.

  2. દુનિયામાં 17 લાખ લોકો સંક્રમિત, મરણાંક એક લાખથી વધારે

    દુનિયામાં અત્યાર સુધી કોરોના વાઇરસના સંક્રમણમાં 17,21,353 લોકો આવી ગયા છે એક લાખ કરતા વધારે લોકોનાં મૃત્યુ થયા છે.

    જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ અત્યાર સુધીની સ્થિતિ આ મુજબ છે.

    • ભારતમાં 8,063 લોકો સંક્રમતિ છે અને 249 લોકોનાં મૃત્યુ થયા છે.
    • અમેરિકામાં 5.03.594 લોકો સંક્રમતિ છે અને 18,693 લોકોનાં મૃત્યુ થયા છે.
    • સ્પેનમાં 1,61,852 લોકો સંક્રમતિ છે અને 16,353 લોકોનાં મૃત્યુ થયા છે.
    • ઇટાલીમાં 1,47,577 લોકો સંક્રમતિ છે અને 18,849 લોકોનાં મૃત્યુ થયા છે.
    • ફ્રાંસમાં 1,25,931 લોકો સંક્રમતિ છે અને 13,216 લોકોનાં મૃત્યુ થયા છે.
    • જર્મનીમાં 1,22,855 લોકો સંક્રમતિ છે અને 2,736 લોકોનાં મૃત્યુ થયા છે.
    • ચીનમાં 83,014 લોકો સંક્રમતિ છે અને 3,343 લોકોનાં મૃત્યુ થયા છે.
    • યુકેમાં 79,841 લોકો સંક્રમતિ છે અને 9,891 લોકોનાં મૃત્યુ થયા છે.
    • ઇરાનમાં 70,029 લોકો સંક્રમિત છે અને 4,357 લોકોનાં મૃત્યુ થયા છે.

    આ સિવાય પણ દુનિયાના અનેક દેશોમાં સંક્રમણ અને મૃત્યની ઘટનાઓ બની છે.

  3. લૉકડાઉનમાં ભાજપના ધારાસભ્યે ઊજવી બર્થડે પાર્ટી પણ કેસ આયોજક સામે

    કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યે અનેક લોકોની હાજરીમાં ઉજવણી કરતા વિવાદ.

  4. બ્રેકિંગ, અમદાવાદ ઍરપૉટથી બ્રિટિશ ઍરવૅઝનાં 3 વિમાનો યુકેના નાગરિકોને લઈ જશે

    ગુજરાતમાં ફસાયેલા યુકેના નાગરિકોને પરત લઈ જવા માટે બ્રિટિશ ઍરવૅઝના 3 રાહત વિમાનો અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટથી ઊડશે એવી માહિતી સમાચાર સંસ્થા એએનઆઈએ આપી છે.

    સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટના ડાયરેક્ટર મનોજ ગંગલને ટાંકીને સમાચાર સંસ્થા લખે છે કે યુકેના નાગરિકો અને તેમના પરિવારોને લઈ જવા માટે 3 વિમાનોના ઉડ્યનની પરવાનગી અપાઈ છે.

    તાજેતરમાં યુકેએ ભારતમાં ફસાયેલા તેના નાગરિકોને પરત લાવવા માટે તે વ્યવસ્થા કરશે એમ કહ્યું હતું.

  5. બ્રેકિંગ, ગુજરાતમાં કોરોનાને કારણે વધુ 3નાં મૃત્યુ

    ગુજરાત પરિવાર અને કલ્યાણ વિભાગ દ્વારા તારીખ- 11-04-2020ના સવારે 10 વાગ્યા પછીના કોરોનાના નવા આંકડા જાહેર કર્યા છે.

    ગુજરાતમાં વધુ ત્રણ દર્દીનાં મૃત્યુ થયાં છે અને આજે નવા 36 કેસ નોંધાયા છે. તેમજ 10 દર્દીઓને સાજા થતાં રજા અપાઈ છે.

    એ સાથે ગુજરાતમાં કોરોના વાઇરસથી મૃત્યુની સંખ્યા 22 પર પહોંચી છે.

    અમદાવાદમાં 15, વડોદરામાં 18, ભરૂચ, ગાંધીનગર અને છોટાઉદેપુરમાં એક-એક એમ મળીને કુલ 36 કેસ નોંધાયા છે.

    અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 468 કેસ પૉઝિટિવ છે, 4 દર્દી વૅન્ટિલેટર પર, 398 સ્થિર અને 44 દર્દીઓ સાજા થયા છે.

  6. બ્રેકિંગ, ખાણવિસ્તારના આદિવાસીઓ માસ્ક-સાબુથી પણ વંચિત

    આદિવાસીઓની બહુમતી ધરાવતા છત્તીસગઢ રાજ્યમાં ખનીજો મોટા પ્રમાણમાંછે, પરંતુ અહીં ગરીબી પણ તેટલી જ વિકરાળ છે.

    આ વિસ્તારો માટે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (ડીએમએફ) તૈયાર કરવામાં આવ્યાપરંતુ કોવિડ-19ના આ સમયગાળામાં શું આ વિસ્તારના લોકોને માસ્ક અને સૅનિટાઇઝર મળી રહ્યા છે?

    શું અહીંના લોકો આનાથી સુરક્ષિત છે? શું ડીએમએફનો યોગ્ય ઉપયોગ થયો છે?

  7. લૉક-ડાઉનમાં સેંકડો મજૂરોએ ઘરે પરત જવાની માગ સાથે કરી સુરતમાં તોડફોડ

    સુરતના ડાયમંડનગર ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં સેંકડો મજૂરો એકઠાં થયાં હતાં.

    જે બાદ મામલો બિચક્યો અને પથ્થરમારો થયો તથા કેટલીક શાકભાજીની લારીમાં આગ પણ લગાડાઈ હતી. જુઓ વીડિયો.

  8. બ્રેકિંગ, ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં લૉકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવ્યું

    લૉકડાઉનને લઈને આજે વડા પ્રધાન સાથેની બેઠકો બાદ એક પછી એક નિવેદનો આવી રહ્યા છે ત્યારે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ લૉકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવવાની જાહેરાત કરી છે.

    કેરળ, પંજાબ, ઓડિશા પછી મહારાષ્ટ્ર લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરનાર ચોથું રાજ્ય છે.

    આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી મમતા બેનરજીએ રાજ્યમાં 30 એપ્રિલ સુધી લૉકડાઉન લંબાવવાની અને શાળાઓ જૂન સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે.

  9. બ્રેકિંગ, કેજરીવાલે કહ્યું પીએમએ લીધો લૉકડાઉન લંબાવવાનો યોગ્ય નિર્ણય

    ભારતમાં લૉકડાઉન લંબાવવાને લઈને હજી અસમંજસભરી સ્થિતિ નજરે પડી રહી છે.

    મુખ્ય મંત્રીઓની બેઠક પછી વડા પ્રધાન રાષ્ટ્રજોગ સંબોધન કરશે એવી વાત હતી પરંતુ સમાચાર સંસ્થા સૂત્રોને ટાંકીને લખે છે કે નરેન્દ્ર મોદી આજે કોઈ સંબોધન કરવાના નથી.

    આ દરમિયાન દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે પીએમએ લૉકડાઉન લંબાવવાનો યોગ્ય નિર્ણય લીધો છે.

    સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા લવ અગ્રવાલે પણ પત્રકારપરિષદમાં કહ્યું છે કે લૉકડાઉન કારગર સાબિત થઈ રહ્યું છે.

    ભાજપશાસિત કર્ણાટકના મુખ્ય મંત્રી બીએસ યેદિયુરપ્પાએ પણ મીડિયાને કહ્યું કે કેન્દ્ર સરકાર 15 દિવસ લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લઈ શકે છે.

    એમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર એક-બે દિવસમાં આની જાહેરાત કરી શકે છે.

    ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન સાથેની બેઠકમાં લૉકડાઉન લંબાવવાની માગ કરવામાં આવી હતી.

    કેન્દ્ર સરકારની જાહેરાત અગાઉ કેરળ લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી ચૂક્યું છે.

  10. ભારતમાં અત્યાર સુધીમાં 239 લોકોનાં મૃત્યુ

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા લવ અગ્રવાલે પત્રકારપરિષદમાં જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 1035 કેસ સામે આવ્યા છે અને ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 7447 છે.

    છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 40 લોકોનાં મૃત્યુ થયાં છે. આ સાથે દેશમાં કુલ મૃતાંક 239 થયો છે. જેમાંના 642 દર્દીઓ સાજા થયા છે.

    તેઓએ જણાવ્યું, "આ સમયે દેશમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે 586 વિશેષ હૉસ્પિટલ છે. જેમાં એક લાખથી વધુ આઇસોલેશન બૅડ અને સાડા અગિયાર હજાર આઈસીયુ બૅડ છે."

    અગ્રવાલે કહ્યું કે, "ભારત સરકાર રાજ્ય સરકારો સાથે સમન્વય કરીને પીપીઈ કિટ્સ, વૅન્ટિલેટર અને અન્ય જરૂરી સામાન પહોંચાડી રહી છે."

  11. ઝારખંડની માગ, મનરેગા મજૂરી વધારવામાં આવે

    ઝારખંડના મુખ્ય મંત્રી હેમંત સોરેને વડા પ્રધાન મોદી સાથે વીડિયો કૉન્ફરન્સિંગમાં રિલીફ ફંડ અંતર્ગત મજૂરોને રાહત આપવા અને મનરેગા મજૂરીનો રેટ રૂપિયા 300 પ્રતિદિવસ કરવાની માગ કરી છે.

    હેમંત સોરેનનું કહેવું છે કે છેલ્લી બે વીડિયો કૉન્ફરન્સિંગમાં વડા પ્રધાને તેઓને બોલવાનો મોકો નહોતો આપ્યો.

    મુખ્ય મંત્રી હેમંત સોરેનનું કહેવું છે કે તેમની સરકાર ભૂખ સામે લડવા માટે કામ કરી રહી છે, જેથી લૉકડાઉનમાં કોઈ ભૂખ્યું ન રહે. માટે દાળ-ભાત કેન્દ્રો સહિત અંદાજે 5000 સ્થળોએ લોકોને ભોજન આપવાની વ્યવસ્થા કરાઈ છે.

    સરકારનો દાવો છે કે આમાં રોજના અંદાજે 6 લાખ લોકો ભોજન લઈ રહ્યા છે.

    રાજ્ય સરકારના કોવિડ નિયંત્રણ કક્ષનો સંપર્ક કરીને સાત લાખથી વધુ મજૂરોએ મદદ માગી છે. આ બધા દેશનાં અન્ય રાજ્યોમાં ફસાયેલા છે

    રાજ્યમાં ત્રણ નવા પૉઝિટિવ કેસ મળતાં ઝારખંડમાં પૉઝિટિવ દર્દીઓની સંખ્યા 17 થઈ ગઈ છે.

    બોકારોમાં કોરોનાને કારણે એક વૃદ્ધનું મૃત્યુ પણ થયું હતું. જોકે તેઓ પહેલેથી બીમાર હતા.

    તેમના મૃત્યુ બાદ હૉસ્પિટલને તેમનો કોરોનાનો રિપોર્ટ મળ્યો હતો. એ પહેલાં મોતનું કારણે હૃદયરોગનો હુમલો બતાવ્યું હતું.

  12. કેજરીવાલે કહ્યું, લૉકડાઉન આગળ વધશે

    દેશમાં હાલ ચાલી રહેલું 21 દિવસનું લૉકડાઉન આગળ વધારવાનો કેન્દ્ર સરકારે કોઈ નિર્ણય લીધો નથી.

    દરમિયાન દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે સંકેત આપ્યા છે કે લૉકડાઉન આગળ વધારાશે.

    એક ટ્વીટમાં તેમણે કહ્યું, "વડા પ્રધાને લૉકડાઉનને આગળ વધારવાનો યોગ્ય નિર્ણય લીધો છે."

    આજે વડા પ્રધાન મોદીએ રાજ્યોના મુખ્ય મંત્રીઓ વીડિયો કૉન્ફરન્સિંગથી લૉકડાઉન પર ચર્ચા કરી હતી. ઘણા પ્રદેશોએ લૉકડાઉન આગળ વધારવાનું સૂચન કર્યું હતું.

  13. કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો અને હવામાં કેટલું જીવે છે?

    કોરના વાઇરસને પગલે દેશમાં 25 માર્ચથી 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

    લોકોને સામાજિક અંતર જાળવવાની, હાથ ધોવાની તથા હાથને મોં-આંખ વગેરે પર ન લગાવવાની સલાહ આપવામાં આવી રહી છે.

    કોરોના વાઇરસની મહામારીને પગલે લોકોમાં એ સવાલ છે કે આ વાઇરસ કેટલું જીવે છે?

    ખાસ કરીને દૂધની થેલી, પ્લાસ્ટિક, કાગળ, વાસણો, અખબાર, કાગળ વગેરે જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ પર વાઇરસનું આયુષ્ય કેટલું છે? જુઓ એની હકીકત આ વીડિયોમાં.

  14. બ્રેકિંગ, અરવિંદ કેજરીવાલ અને કૅપ્ટન અમરિદંરસિંહે લૉકડાઉનને વધારવાની માગ કરી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી લૉકડાઉનને વધારવું કે નહીં તે અંગે દેશનાં રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી ચર્ચા કરી રહ્યા છે.

    આ ચર્ચામાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિન્દરસિંહે લૉકડાઉનને વધારવાની માગ કરી હતી.

    ઉલ્લેખનીય છે કે પંજાબના મુખ્ય મંત્રીએ રાજ્યમાં 1લી મે સુધી લૉકડાઉનને લંબાવવાનો ગુરુવારે નિર્ણય કર્યો હતો.

    કૅપ્ટન અમરિંન્દર સિંહે ટ્વિટ કરીને કહ્યું કે "વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે કોરોના વાઇરસના સંક્રમણને લઈને ભવિષ્યની તૈયારીઓ પર ચર્ચા થઈ. અમે ટેસ્ટિંગની સુવિધાઓ વધારવાની માગ કરી. ઉપરાંત ગરીબો અનેે ખેડૂતોની મદદને વધારવાની પણ માગ કરી."

  15. અમેરિકામાં એક જ દિવસમાં 2000 લોકોનાં મૃત્યુ

    દુનિયામાં એક જ દિવસમાં કોરોના વાઇરસને કારણે 2000 લોકોનાં મૃત્યુ થયા હોય તેવો અમેરિકા પ્રથમ દેશ બન્યો છે.

    જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના મતે છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં 2,108 લોકોનાં મૃત્યુ થયા છે.

    કોરોના વાઇરસ કોવિડ-19ની મહામારીમાં દુનિયામાં ઇટાલીમાં સૌથી વધારે મૃત્યુ થયા છે પરંતુ નિષ્ણાતો માને છે કે ઇટાલીના આ મરણાંકને અમેરિકા ખૂબ ઝડપથી વટાવી દેશેય

    જોકે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે શરૂઆતમાં એકાદ લાખ લોકોનાં મૃત્યુની ધારણા હતી તે ખોટી પડશે અને અમેરિકામાં મરણાંક ઓછો રહેશે.

    એમણે કહ્યું કે, આપણી આક્રમક નીતિ અનેક જિંદગીઓને બચાવી રહી છે એવા સંકેતો મળી રહ્યા છે.

  16. તુર્કીમાં 93 વર્ષનાં મહિલાએ કોરોના વાઇરસને હરાવ્યો

    દુનિયાભરમાં કોરોનાના કેરના સમાચારની વચ્ચે તુર્કીથી રાહતના સમાચાર આવ્યા છે.

    અહીં 93 વર્ષનાં એક વૃદ્ધાએ કોરોના સામેની લડાઈ જીતી લીધી છે.

    ઇસ્તંબુલની એક હૉસ્પિટલમાં 10 દિવસ સુધી ચાલેલી સારવાર પછી હવે તેમને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

    સમાચાર સંસ્થા એએફપી અનુસાર હૉસ્પિટલના પ્રમુખ ડૉક્ટર ઝેકાએ કુત્લુબેનું કહેવું છે, "આ હોસલો વધારશે કારણ કે આ ઉંમરના દરદીઓને કોવિડ 19નો ભય વધારે હોય છે. ઘણી બીજી સ્વાસ્થય સમસ્યાઓને કારણે ઘરડાને સાજા થવામાં ઘણો સમય લાગે છે."

    તુર્કીમાં હાલ સુધીમાં કોરોનાના 47,000થી વધારે કેસ સામે આવ્યા છે અને તે વિશ્વનો નવમો દેશ છે જ્યાં સંક્રમણના કેસ સૌથી વધારે છે.

    અહીં કોરોનાના કારણે હાલ સુધી એક હજારથી વધુ લોકોના મૃત્યુ થયાં છે.

    ડૉક્ટર કુત્લુબે કહે છે, "93 વર્ષનાં મહિલા સ્વસ્થ થઈને ઇન્ટેન્સિંવ કૅર યૂનિટમાંથી બહાર જાય એ અમારા અને બીજા દર્દીઓનો હોસલો વધારનારું છે. "

  17. બ્રેકિંગ, વડા પ્રધાન મોદીની માસ્ક પહેરીને મુખ્ય મંત્રીઓ સાથે બેઠક

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસના સંક્રમણ વિશે મુખ્ય મંત્રીઓની સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બેઠક કરી રહ્યા છે.

    આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાપડનો માસ્ક પહેરીને બેઠા છે. મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ પણ માસ્ક પહેર્યું છે.

    બેઠકમાં લૉકડાઉનને લઈને કોઈ મહત્ત્વનો નિર્ણય આવવાની આશા છે. ભારતમાં હાલ સુધી કોરોનાના સંક્રમણના 7400 કેસ સામે આવી ચૂક્યા છે.

    ભારતમાં કોરોના વાઇરસના કારણે 239 લોકોના જીવ ગયા છે.

    વડા પ્રધાન ત્રણ અઠવાડિયાના લૉકડાઉનને લઈને મુખ્ય મંત્રીઓ સાથે વાત કરી રહ્યા છે. મુખ્ય મંત્રી કહેશે કે લૉકડાઉનને લઈને શું નિર્ણય કરવો જોઈએ. બેઠકમાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે લૉકડાઉનને 30 એપ્રિલ સુધી વધારવાની માગ કરી છે.

    જોકે ઓરિસ્સા અને પંજાબે લૉકડાઉનને આગળ વધારવાનો નિર્ણય પહેલાંથી જ કર્યો છે.

  18. બ્રાઝિલમાં 1000થી વધારે મૃત્યુ

    બ્રાઝિલમાં 1,068 લોકોનાં મૃત્યુ થયાં છે અને સંક્રમણના કુલ 19,789 કેસ સામે આવ્યા છે.

    બ્રાઝિલના મોટા ભાગના રાજ્યોમાં લૉકડાઉન છે પરંતુ રાષ્ટ્રપતિ બોલસોનારો પ્રતિબંધ સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

    જાણકારોને ચિંતા છે કે સંક્રમણ ભીડભાડ અને હાસિયાના વિસ્તારોમાં ફેલાયું તો બ્રાઝીલ માટે આને કંટ્રોલ કરવો સરળ નહીં હોય.

  19. ગુજરાતમાં કોરોના વાઇરસના નવા 54 પૉઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં 432 કેસ

    ગુજરાતમાં કોરોના વાઇરસથી સંક્રમિત નવા 54 પૉઝિટિવ કેસ નોંધાયા છે.

    ગુજરાતમાં હાલ સુધી નોંધાયેલાં કુલ કેસની સંખ્યા 432 છે.

    ગુજરાતમાં નવા નોંધાયેલા 54 કેસમાંથી 31 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે 18 વડોદરામાં અને ત્રણ કેસ ભાવનગરમાં નોંધાયા છે.

    આ ઉપરાંત સુરત અને ભાવનગરમાં એક-એક કેસ નોંધાયો છે.

    અમદાવાદમાં કોરોના વાઇરસના કુલ પૉઝિટિવ કેસની સંખ્યા 228એ પહોંચી છે.

    વડોદરામાં 77 કેસ, સુરતમાં 28 કેસ અને ભાવનગરમાં 23 કેસ નોંધાયા છે.

    ગુજરાતમાં મૃતકાંક 19 જ છે. જ્યારે 34 લોકોને હાલ સુધી ડિસ્ચાર્જ કરાયા છે.

    ગુજરાત સરકારે હાલ સુધીમાં 8331 લોકોની ટેસ્ટ કરી છે. જેમાં 432 પૉઝિટિવ આવ્યા છે.

  20. ઇટાલીના વડા પ્રધાને મે સુધી લૉકડાઉન લંબાવ્યું

    ઇટાલીના વડા પ્રધાન જૂઝેપ્પે કૉન્ટેએ દેશમાં લૉકડાઉનને ત્રણ મે સુધી લંબાવ્યું છે.

    ઇટાલીમાં આ પહેલાં 9 માર્ચે લૉકડાઉનની જાહેરાત થઈ હતી. પહેલાં અહીં લૉકડાઉન 3 એપ્રિલ સુધી હતુ, ત્યારબાદ તેને 13 એપ્રિલ સુધી લંબાવવામાં આવ્યું હતું અને હવે આને ત્રણ મે સુધી લંબાવવામાં આવ્યું છે.

    એવું માનવામાં આવી રહ્યું છે કે ઇટાલીમાં લૉકડાઉનની અસર થઈ છે.

    ગત 24 કલાકમાં ઇટાલીમાં 570 લોકોના મૃત્યુ થયા છે જે ગત અઠવાડિયાની સરખામણીએ ઓછા છે. આમ છત્તાં પણ ઇટાલી દુનિયાનો સૌથી પ્રભાવિત દેશ છે.

    અહીં અત્યારસુધી 18,849 લોકોનાં મૃત્યુ થયાં છે.