વડા પ્રધાન મોદી અમદાવાદના નિશાન પબ્લિક સ્કૂલમાં મતદાન કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રાણીપના નિશાન પબ્લિક સ્કૂલમાં મતદાન કરવા પહોંંચી રહ્યા છે.
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાના મતદાનનો સમય પૂર્ણ થઈ ગયો છે. હવે ગુજરાત વિધાનસભા અને હિમાચલ પ્રદેશ વિધાનસભાનું પરિણામ આઠમી ડિસેમ્બરના આવશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં રાણીપના નિશાન પબ્લિક સ્કૂલમાં મતદાન કરવા પહોંંચી રહ્યા છે.
દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે ટ્વિટરના માધ્યમથી લોકોને મતદાન કરવાની અપીલ કરી.
તેમણે લખ્યું છે કે, "આ વખતે કંઈક અલગ કરો. બીજા તબક્કામાં ગુજરાતમાં 93 બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. બધા મતદારોને મારી અપીલ છે કે- આ નવી આશા અને આકાંક્ષાઓની ચૂંટણી છે. દાયકાઓ બાદ આવો અવસર આવ્યો છે. ભવિષ્યની તરફ નજર રાખીને ગુજરાતની પ્રગતિ માટે વોટ કરો. આ વખતે, કંઈક અલગ અને અદ્ભુત કરો."
આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં ઝંપલાવ્યું છે અને અત્યાર સુધી મુખ્ય રૂપથી બે પક્ષો વચ્ચે લડાતી ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ લડાઈ રહ્યો છે.
બનાસકાંઠાની દાંતા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને કૉંગ્રેસના ઉમેદવાર કાંતિ ખરાડીએ ભાજપના ઉમેદવારે તેમના પર ‘જીવલેણ હુમલો’ કર્યાનો આક્ષેપ કર્યો હતો.
સ્થાનિક સમાચાર સંસ્થાઓ અનુસાર ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાના મતદાનના અમુક કલાકો પહેલાં જ આ હુમલો થયો હતો. જે બાદ તેઓ ‘ગુમ’ થઈ ગયા હતા.
આ હુમલા અંગે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને જિજ્ઞેશ મેવાણીએ પણ ટ્વીટ કર્યાં હતાં.
જોકે હુમલા બાદ કાંતિ ખરાડી જાતે પોલીસસ્ટેશનમાં હાજર થયા હતા અને ‘ભાજપના દાંતા બેઠકના ઉમેદવાર લઘુ પારઘી, એલ. કે. બારડ અને તેમના ભાઈ વદનજી’ પર હુમલાનો આક્ષેપ કર્યો હતો.
કાંતિ ખરાડીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, “અમારી ગાડીઓ બામોદરા ચોકડીથી પસાર થઈ રહી હતી, તે સમયે ભાજપના ઉમેદવારે અમારો રસ્તો રોક્યો હતો અને પછી અમે પરત ફરવાનું ઠરાવ્યું, તે બાદ વધુ લોકોએ આવી અમારા પર હુમલો કર્યો હતો.”
“જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે. હું મારા વિસ્તારમાં ચૂંટણીના કામે જઈ રહ્યો હતો. જ્યારે મેં જોયું કે મામલો ઉગ્ર બની રહ્યો ત્યારે મેં ત્યાંથી નીકળી જવાનું ઠરાવ્યું હતું. અમારો પીછો કરાઈ રહ્યો હતો અને અમે તેનાથી બચવા માટે બે કલાક જંગલમાં નાસી છૂટ્યા.”
નોંધનીય છે કે ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને અન્ય જિલ્લાઓમાં સોમવારે મતદાન યોજાઈ રહ્યું છે.
ઘાટલોડિયા બેઠક પર મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કૉંગ્રેસમાંથી ડૉ. અમી યાજ્ઞિક ચૂંટણી લડી રહ્યાં છે.
વીરમગામ બેઠક પર ભાજપે હાર્દિક પટેલને ટિકિટ આપી છે, તેમની સામે કૉંગ્રેસમાંથી ભરવાડ લાખાભાઈ ભીખાભાઈ (વર્તમાન ધારાસભ્ય) અને આમ આદમી પાર્ટીના અમરસિંહ રાઠોડ ચૂંટણી લડી રહ્યા છે.
ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપમાંથી અલ્પેશ ઠાકોર સામે કૉંગ્રેસના ડૉ. હિમાંશુ પટેલ અને આપમાંથી દોલત પટેલ ચૂંટણી લડી રહ્યા છે.
મહેસાણા બેઠક પરથી ભાજપે મુકેશ પટેલ સામે કૉંગ્રેસના પી.કે.પટેલ અને આપના દિશાંત પટેલ ચૂંટણી લડી રહ્યા છે.
છોટાઉદેપુર બેઠક પરથી ભાજપના રાજેન્દ્રસિંહ રાઠવા અને કૉંગ્રેસમાંથી સંગ્રામસિંહ રાઠવા ચૂંટણી લડી રહ્યા છે
જેતપુર (એસટી) બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવા સામે ભાજપના જયંતીભાઈ રાઠવા તથા આપનાં રાધિકા રાઠવા ચૂંટણી લડી રહ્યાં છે.
બાયડ બેઠક પરથી કૉંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલા સામે અપક્ષ ધવલસિંહ ઝાલા અને ભાજપનાં ભીખીબહેન પરમાર ચૂંટણી લડી રહ્યાં છે.
વડગામ બેઠક પરથી કૉંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણી (ધારાસભ્ય) સામે ભાજપના મણિભાઈ વાઘેલા અને આપના દલપત ભાટિયા તથા એઆઈએમઆઈએમના કલ્પેશ સુંઢિયા ચૂંટણી લડી રહ્યા છે.
ઊંઝા બેઠક પરથી અરવિંદ પટેલ સામે ભાજપના કિરીટ પટેલ અને આપના ઉર્વીશકુમાર પટેલ ચૂંટણી લડી રહ્યા છે.
દાણીલીમડાથી કૉંગ્રેસના શૈલેશ પરમાર (ધારાસભ્ય) સામે ભાજપના નરેશભાઈ શંકરભાઈ વ્યાસ અને આપના દિનેશ કાપડિયા ચૂંટણી લડી રહ્યા છે
વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ તરફથી અશ્વિન પટેલ અને કૉંગ્રેસ સત્યજિતસિંહ ગાયકવાડ ચૂંટણી લડી રહ્યા છે.
પાદરા બેઠક પરથી દિનેશ પટેલ અપક્ષ અને ભાજપના ચૈતન્યસિંહ ઝાલા તથા કૉંગ્રેસના જશપાલસિંહ પઢિયાર ચૂંટણી લડી રહ્યા છે.
ભાજપના નેતા હાર્દિક પટેલે લોકોને મતદાન કરવા અપીલ કરી છે.
સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા અનુસાર હાર્દિકે લોકોને મતદાન કરવાની અપીલ કરતાં કહ્યું, "ભાજપે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખી છે અને ગુજરાતમાં વિકાસ કર્યો છે. હું ઇચ્છું છું કે તમામ ગુજરાતીઓ ભાજપને મત આપે. મતદાન કરવાની આપણી શક્તિનો આપણે ઉપયોગ કરવો જોઈએ."
મહત્ત્વપૂર્ણ છે કે પાટીદાર અનામત આંદોલન થકી ચમકેલા હાર્દિક પટેલે ગુજરાતની ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઘણો પરેશાન કર્યો હતો અને ભાજપ વિરુદ્ધ માહોલ તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
એ બાદ હાર્દિક કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા. કૉંગ્રેસે હાર્દિકને ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા.
જોકે, બાદમાં તેમણે ભાજપનો ખેસ ઓઢી લીધો હતો. ભાજપે એમને વીરમગામથી ટિકિટ આપી છે.
સોમવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે ઉત્તર પ્રદેશની એક લોકસભા બેઠકો અને પાંચ રાજ્યોમાં છ વિધાનસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી થઈ રહી છે.
ઉત્તર પ્રદેશમાં મૈનપુરી લોકસભા બેઠક પર ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે હાઈવોલ્ટેજ ચૂંટણીજંગ છે.
યુપીના પૂર્વ મુખ્ય મંત્રી અને દેશના પૂર્વ સંરક્ષણ મંત્રી મુલાયમસિંહ યાદવના નિધન બાદ મૈનપુરી લોકસભા બેઠક ખાલી થતાં અહીં પેટાચૂંટણી યોજાઈ રહી છે.
એ સિવાય ઓડિસામાં પદમપુર બેઠક , રાજસ્થાનના સરદારશહર , બિહારની કુરહાની બેઠક, છત્તીસગઢના ભાનુપ્રતાપપુર, ઉત્તર પ્રદેશની ખતૌલી અને રામપુર સદર બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
યુપીની મૈનપુરી લોકસભા બેઠકો અને છ વિધાનસભા બેઠકો પર પરિણામ આઠમી ડિસેમ્બરે જ આવશે.
હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પરિણામ પણ એ જ દિવસે જાહેર કરાશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે.
બીજા તબક્કામાં 2.5 કરોડ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરી રહ્યા છે. મધ્ય અને ઉત્તર ગુજરાતની 93 વિધાનસભા બેઠકો માટે 14 જિલ્લામાં મતદાન થઈ રહ્યું છે.
આઠ ડિસેમ્બરે પરિણામ આવશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા અને આખરી તબક્કામાં સોમવારે 93 બેઠકો પર મતદાન થશે.
આ મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતની જનતા આગામી પાંચ વર્ષ માટે તેમના પ્રતિનિધિઓ અને તેમની પસંદગીની સરકાર ચૂંટવાની પ્રક્રિયા પૂર્ણ કરશે અને સહુની નજર 8 ડિસેમ્બર, ગુરુવારના રોજ થનારી મતગણતરી અને ચૂંટણીનાં પરિણામો પર રહેશે.
ગુજરાત વિધાનસભાની રાજ્યની ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન સોમવારે મધ્ય અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાને આવરી લેતી કુલ 93 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે.
2017ની વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) એ 93 બેઠકોમાંથી કુલ 51 બેઠકો જીતી હતી અને કૉંગ્રેસને 39 બેઠકો મળી હતી, જ્યારે ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારો જીત્યા હતા.
મધ્ય ગુજરાતમાં ભાજપને 37 બેઠકો મળી હતી અને કૉંગ્રેસે 22 બેઠકો પર વિજય મેળવ્યો હતો.
પરંતુ ઉત્તર ગુજરાતમાં કૉંગ્રેસને 17 બેઠકો મળી હતી, જ્યારે ભાજપે 14 બેઠકો જીતી હતી.
ચૂંટણીના બીજા તબક્કા માટે વિવિધ પક્ષો દ્વારા હાઈ વૉલ્ટેજ પ્રચાર 3 ડિસેમ્બર, શનિવાર સાંજે સમાપ્ત થયો.
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત પ્રદેશોની 89 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે યોજાયું હતું. પ્રથમ તબક્કામાં સરેરાશ 63.31 ટકા મતદાન નોંધાયુ હતું.
ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણીમાં લોકોને અચૂક મતદાન કરવાની હાકલ કરી છે.
વડા પ્રધાને ટ્વિટર પર લખ્યું, "ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને અચૂક મતદાન કરવા અનુરોધ કરું છું."
તેમણે પોતે 9 વાગ્યે મતદાન કરશે એવું પણ ટ્વિટર પર લખ્યું હતું.
નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણિપમાં મતદાન કરશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં, બાકીની 93 બેઠકો પર મતદાન થશે, જેના માટે ભાજપ, કૉંગ્રેસ અને નવી ચૂંટણી પ્રવેશ કરનાર આમ આદમી પાર્ટી (AAP) સહિત 61 રાજકીય પક્ષોમાંથી 833 ઉમેદવારો મેદાનમાં છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની ઑફિસ દ્વારા જણાવ્યા મુજબ, આ ઉમેદવારોમાં 285 અપક્ષોનો પણ સમાવેશ થાય છે.
ભાજપ અને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી AAP તમામ 93 બેઠકો પર ચૂંટણી લડી રહી છે.
કૉંગ્રેસ 90 બેઠકો પર ચૂંટણી લડી રહી છે અને તેની સહયોગી રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP) એ બે બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા છે.
અન્ય પક્ષોમાં, ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP) એ 12 અને બહુજન સમાજ પાર્ટી (BSP) 44 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર રવિવારે અમદાવાદની જામા મસ્જિદના શાહી ઇમામે ‘ઇસ્લામ અને મહિલાના અધિકારો’ અંગે ‘વિવાદિત નિવેદન’ આપ્યું હતું.
તેમણે કહ્યું હતું કે જો કોઈ પક્ષો દ્વારા મુસ્લિમ મહિલાને ચૂંટણીનાં ઉમેદવાર બનાવાય તો તે ઇસ્લામ વિરુદ્ધનું પગલું ગણાય.
નોંધનીય છે કે સોમવારે ગુજરાતના 14 જિલ્લાઓમાં બીજા તબક્કાનું મતદાન છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં શબ્બીર અહમદ સિદ્દિકીએ કહ્યું હતું કે, “જો તમે ઇસ્લામની વાત કરો તો ધર્મમાં નમાજ કરતાં વધુ મહત્ત્વનું કંઈ નથી. શું તમે અહીં કોઈ મહિલાને નમાજ પઢતાં જોયાં? જો ઇસ્લામમાં મહિલાઓ બધાની સામે આવે એ યોગ્ય મનાયું હોત તો તેમને આવું કરતાં કોઈ રોકી શક્યું ન હોત.”
તેઓ પોતાના નિવેદનમાં આગળ કહે છે કે, “મહિલાઓને મસ્જિદમાં નમાજ પઢવા માટે નથી આવવા દેવાતાં કારણ કે ઇસ્લામમાં તેમનો એક ચોક્કસ હોદ્દો છે. તેથી જે લોકો મુસ્લિમ મહિલાઓને ચૂંટણી લડવા માટે ટિકિટ આપે છે, તેઓ ઇસ્લામ સામે વિદ્રોહ કરી રહ્યા છે.”
હાલમાં જ ચૂંટણીપંચે ગુજરાતમાં મતદાતાઓની અંતિમ યાદી બહાર પાડી હતી, તેમાં રાજ્યમાં કુલ ચાર કરોડ 90 લાખ 89 હજાર 765 મતદારો છે.
પુરુષ મતદાતાઓની સંખ્યા બે કરોડ 53 લાખ 36 હજાર 610 છે જ્યારે કે સ્ત્રી મતદાતાની સંખ્યા બે કરોડ 37 લાખ 51 હજાર 738 છે.
નવા મતદાતાઓની સંખ્યા 11.62 લાખ વધી છે. થર્ડ જેન્ડર મતદાતાની સંખ્યા પણ વધીને 1,417 થઈ છે. નોંધનીય છે કે માન્ય મતદારોમાં ચાર લાખથી વધુ વિકલાંગ મતદાતા છે.
સૌથી વધુ (59.9 લાખ) મતદારો અમદાવાદમાં છે, જ્યારે સૌથી ઓછા (1.93 લાખ) મતદારો ડાંગમાં છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરે યોજાશે.
પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરે યોજાયું હતું.
પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાશે જ્યારે બીજા તબક્કામાં મધ્ય, પૂર્વ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મતદાન યોજાશે.
બીબીસી ન્યૂઝ ગુજરાતના લાઇવ પેજમાં આપનું સ્વાગત છે.
પાંચમી ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે.
અહીં તમે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનની બધી અપડેટ વાંચી શકો છો.
જોડાયેલા રહો બીબીસી ગુજરાતી સાથે.