ગુજરાતમાં મતદાન પૂર્ણ, ચૂંટણીપંચે વડા પ્રધાન મોદી અંગે કરેલી ફરિયાદ વિશે શું કહ્યું?
સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ પત્રકારપરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે દિવસ દરમિયાન આચારસંહિતા ભંગની 312 ફરિયાદો આવી હતી.
કૉંગ્રેસ દ્વારા વડા પ્રધાન મોદીએ રોડ શો યોજ્યો હોવા અંગે કરેલી ફરિયાદ અંગે તેમણે કહ્યું, “આ ફરિયાદ અંગે અમે તપાસ કરી હતી પણ તેઓ સ્થળ પર ગયા અને ત્યાં હાજર ભીડ આપમેળે આવી હોવાનું પુરવાર થયું હતું અને તેમણે કોઈ પણ રીતે પ્રચાર કર્યો ન હતો. જેથી આચારસંહિતા ભંગની ફરિયાદ માન્ય નહોતી.”
તેમણે આગળ કહ્યું, “બીજા તબક્કામાં મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગઈ છે. બીજા તબક્કામાં પણ પ્રથમ તબક્કાની જેમ વિવિધ રીતે શણગારેલા મતદાનમથકો આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતાં.”
બીજા તબક્કાના મતદાનમાં ઈવીએમ ખોટકાવાની ઘટનાઓ વિશે તેમણે કહ્યું, “આ વખતે પ્રથમ તબક્કાની સરખામણીએ ઓછા ઈવીએમ ખોટકાયા હતા અને 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીની ટકાવારી કરતાં અડધાં છે.”
આ સિવાય તેમણે કહ્યું કે ગત રાતથી મતદાન પૂર્ણ થયું ત્યાર સુધીમાં મારામારી, અથડામણના ચાર નાનકડા કિસ્સા બન્યા છે. જેને પોલીસે થાળે પાડ્યા હતા.
આ ઉપરાંત પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવી રહેલાં એક પ્રિસાઇડિંગ ઑફિસર રાકેશ ભાટિયા લો શુગરના કારણે બેભાન થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.