You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ગુજરાત વિધાનસભાની ચૂંટણી : બીજા તબક્કામાં 59 ટકા થયું મતદાન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાના મતદાનનો સમય પૂર્ણ થઈ ગયો છે. હવે ગુજરાત વિધાનસભા અને હિમાચલ પ્રદેશ વિધાનસભાનું પરિણામ આઠમી ડિસેમ્બરના આવશે.

લાઇવ કવરેજ

  1. ગુજરાતમાં મતદાન પૂર્ણ, ચૂંટણીપંચે વડા પ્રધાન મોદી અંગે કરેલી ફરિયાદ વિશે શું કહ્યું?

    સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ પત્રકારપરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે દિવસ દરમિયાન આચારસંહિતા ભંગની 312 ફરિયાદો આવી હતી.

    કૉંગ્રેસ દ્વારા વડા પ્રધાન મોદીએ રોડ શો યોજ્યો હોવા અંગે કરેલી ફરિયાદ અંગે તેમણે કહ્યું, “આ ફરિયાદ અંગે અમે તપાસ કરી હતી પણ તેઓ સ્થળ પર ગયા અને ત્યાં હાજર ભીડ આપમેળે આવી હોવાનું પુરવાર થયું હતું અને તેમણે કોઈ પણ રીતે પ્રચાર કર્યો ન હતો. જેથી આચારસંહિતા ભંગની ફરિયાદ માન્ય નહોતી.”

    તેમણે આગળ કહ્યું, “બીજા તબક્કામાં મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ગઈ છે. બીજા તબક્કામાં પણ પ્રથમ તબક્કાની જેમ વિવિધ રીતે શણગારેલા મતદાનમથકો આકર્ષણનું કેન્દ્ર રહ્યાં હતાં.”

    બીજા તબક્કાના મતદાનમાં ઈવીએમ ખોટકાવાની ઘટનાઓ વિશે તેમણે કહ્યું, “આ વખતે પ્રથમ તબક્કાની સરખામણીએ ઓછા ઈવીએમ ખોટકાયા હતા અને 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીની ટકાવારી કરતાં અડધાં છે.”

    આ સિવાય તેમણે કહ્યું કે ગત રાતથી મતદાન પૂર્ણ થયું ત્યાર સુધીમાં મારામારી, અથડામણના ચાર નાનકડા કિસ્સા બન્યા છે. જેને પોલીસે થાળે પાડ્યા હતા.

    આ ઉપરાંત પંચમહાલ જિલ્લામાં ફરજ બજાવી રહેલાં એક પ્રિસાઇડિંગ ઑફિસર રાકેશ ભાટિયા લો શુગરના કારણે બેભાન થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

  2. સી.આર. પાટીલે ઓછા મતદાન અંગે શું કહ્યું?

    મતદાન પૂર્ણ થયા બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પત્રકારપરિષદ યોજી હતી.

    જેમાં તેમણે મતદારો અને ભાજપના તમામ પદાધિકારીઓનો આભાર માન્યો હતો. આ સિવાય ઓછું મતદાન, વડા પ્રધાન મોદીના રોડ શો અને આમ આદમી પાર્ટી વિશે વાત કરી હતી.

    તેમણે કહ્યું, “વિશ્વાસ છે આઠમીએ સવારે જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે અમારી અપેક્ષા મુજબ ત્રણ રૅકોર્ડ બનાવીશું. સૌથી વધારે બેઠકો જીતવાનો, સૌથી વધારે લીડ સાથે જીતવાનો અને સૌથી વધુ વોટશૅરનો. આ માટે મતદાતાઓનો આભાર.”

    મતદાનની ઓછી ટકાવારીને લઈને તેમણે કહ્યું કે મતદારોની સંખ્યા વધવાને કારણે આંકડા ઓછા દેખાય છે પણ ગત વર્ષની સરખામણીએ વધારે મત પડ્યા છે. જે ચૂંટણીપંચના આંકડા પરથી સ્પષ્ટ થશે. પ્રથમ તબક્કામાં જ 10 લાખ મત વધારે પડ્યા હતા. જે સૂચવે છે કે દરેક બેઠક પર 10 ટકા વધારે મત પડ્યા છે.

    આ ઉપરાંત પેજ કમિટીના વખાણ કરતા કહ્યું, “જે રીતે પેજ કમિટીએ મતદાન કરાવ્યું છે એવું અન્ય કોઈ પાર્ટી કરી શકી નથી. બાકીની પાર્ટીના લોકો પોતાના મતદારોને મતદાનમથક સુધી લઈ જવામાં નિષ્ફળ રહ્યા પણ ભાજપે તે સફળતાપૂર્વક કર્યું. જેનું પરિણામ આઠમીએ સવારે લાગશે.

    મતદાન કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો યોજ્યો હોવાના કૉંગ્રેસના આરોપ અંગે પાટીલે કહ્યું, “પીએમ મોદીએ ઇલેક્શન કમિશનના કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી. તેઓ એક શબ્દ બોલ્યા નથી. એ રોડ શો નહોતો. જે લોકો એને રોડ શો કહે છે તે એમની હતાશા છે.”

    આમ આદમી પાર્ટી અંગે તેમણે કહ્યું, ‘મૂંગેરીલાલ કે હસીન સપને’ જોવાનો બધાને અધિકાર છે. જો તેઓ એક બેઠક પણ મેળવી લે તો નસીબ હશે.

  3. EVMs અને VVPAT સીલ

    ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. મતદાન પૂર્ણ થતાં ચૂંટણીપંચે EVMs અને VVPATને સીલ કરી દીધા હતા.

  4. બ્રેકિંગ, 5 વાગ્યા સુધીમાં 58.68 ટકા મતદાન

    ગુજરાતમાં બીજા તબક્કામાં પાંચ વાગ્યા સુધીમાં 58.68 ટકા મતદાન થયું છે.

    ચૂંટણીપંચને ટાંકીને સમાચાર સંસ્થા એએનાઈએ આ આંકડા જાહેર કર્યા છે.

  5. હવે ગુજરાત વિધાનસભા અને હિમાચલ વિધાનસભા ચૂંટણીનું પરિણામ આઠમી ડિસેમ્બરે

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાના મતદાનનો સમય પૂર્ણ થઈ ગયો છે.

    હવે ગુજરાત વિધાનસભા અને હિમાચલ પ્રદેશ વિધાનસભાનું પરિણામ આઠમી ડિસેમ્બરના આવશે.

    ગુજરાત વિધાનસભાનું 2017નું પરિણામ આ પ્રમાણે હતું

    • કુલ : 182
    • ભાજપ : 99
    • કૉંગ્રેસ : 77
    • અન્ય : 6

    હિમાચલ પ્રદેશ વિધાનસભાનું વર્ષ 2017નું પરિણામ

    • કુલ : 68
    • ભાજપ : 44
    • કૉંગ્રેસ : 21
  6. LIVE : ગુજરાતમાં હવે કોની બનશે સરકાર? કઈ પાર્ટીનું કેટલું જોર?

  7. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઓછું મતદાન શું સૂચવે છે?

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં ત્રણ વાગ્યા સુધી સરેરાશ 50 ટકા જેટલું મતદાન શું સૂચવે છે? આ અંગે રાજકીય વિશ્લેષકો શું કહે છે? ત્યારે પ્રથમ તબક્કામાં 63 ટકા જેટલું મતદાન થયું હતું.

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઓછું મતદાન થવા અંગે રાજકીય વિશ્લેષક કૌશિક મેહતાએ બીબીસી ગુજરાતી સાથે લાઇવમાં કહ્યું કે "ઓછું મતદાન બતાવે છે કે મતદાર નીરસ છે. મતદાન માટે ઉત્સાહ પેદા કરવા માટે ભાજપ જે મશીનરી વાપરતો હતો તેનો પણ અભાવ છે. ત્રિપાંખિયો જંગ હોવા છતાં મતદાન વધ્યું નથી. પહેલાં ચરણમાં ગત વખત કરતાં ચારથી પાંચ ટકા ઓછું મતદાન થયું છે. એ ભાજપ કે કૉંગ્રેસને નુકસાન થઈ શકે છે, હવે જોવાનું એ રહેશે કે આપ કેટલો વોટશૅર લઈ જાય છે."

    તેઓ આગળ કહે છે કે,"આમ આદમી પાર્ટીને જો દસ ટકાથી નીચે રહેશે તો ભાજપને ફાયદો થશે. અને 15 ટકાથી વધારે હશે તો ભાજપને પણ નુકસાન થશે. બીજા તબક્કામાં પણ જો ઓછું મતદાન થયું છે. આ વખતે શહેરી વિસ્તાર મતદાર નીરસ છે અને ગ્રામ્ય વિસ્તારમાં શહેરો કરતાં વધુ મતદાન થયું છે."

  8. ગાંધીનગર (દક્ષિણ) : અલ્પેશ ઠાકોર જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે ત્યાં કેવો માહોલ છે?

  9. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં અત્યાર સુધી આ રીતે થયું મતદાન?

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બપોરે ત્રણ વાગ્યા સુધી 50.51 ટકા મતદાન થયું છે.

    બપોરે એક વાગ્યા સુધી 34.74 ટકા મતદાન થયું હતું ત્યારે સવારે 11 વાગ્યા સુધી 19.17 ટકા મતદાન થયું હતું.

    અમદાવાદમાં અન્ય જિલ્લાઓ કરતાં સતત ઓછું મતદાન જોવા મળ્યું છે. બપોરે ત્રણ વાગ્યા સુધી અમદાવાદમાં 44.44 ટકા મતદાન થયું છે જ્યારે સાબરકાંઠામાં સૌથી વધારે 57.24 ટકા મતદાન થયું છે.

    બનાસકાંઠા જ્યાં નવ વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. બનાસકાંઠામાંથી 55.74 ટકા મતદાન થયું છે.

    બોપેર ત્રણ વાગ્યા સુધી મહીસાગરમાં પણ 48.58 અને દાહોદમાં 46.38 ટકા જ મતદાન થયું છે.

  10. અમદાવાદમાં મતદાન કર્યા બાદ PM મોદીએ દિલ્હીમાં ભાજપની બેઠકનું ઉદ્ઘાટન કર્યું

    ગુજરાતમાં આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ભાજપની બે દિવસીય બેઠકનું ઉદ્ઘાટન કર્યું હતું. ભાજપના રાષ્ટ્રીય કાર્યાલય ખાતે મળેલી આ બેઠકમાં અન્ય રાજ્યોમાં યોજાઈ રહેલી આગામી ચૂંટણી અને 2024માં યોજાઈ રહેલી લોકસભાની ચૂંટણીની તૈયારી અને એ માટેની રણનીતિ ઘડવામાં આવશે.અમદાવાદમાં મતદાન કર્યા બાદ મોદી દિલ્હી પહોંચ્યા હતા.

    સમાચાર સંસ્થા પીટીઆઈના જણાવ્યા અનુસાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના વડપણ હેઠળ મળેલી આ બેઠકમાં પીએમ મોદી ઉપરાંત ભાજપના મહામંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ તેમજ અન્ય નેતાઓ પણ ભાગ લઈ રહ્યા છે.

    નોંધનીય છે કે લોકસભાની ચૂંટણી પહેલાં કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, છત્તિસગઢ જેવાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.

  11. છોટુ વસાવા દક્ષિણ ગુજરાતમાં પોતાનો દબદબો જાળવી શકશે?

  12. ગુજરાતમાં ત્રણ વાગ્યા સુધી 50.51 ટકા મતદાન, સાબરકાંઠામાં 57.23 ટકા મતદાન

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં બપોરે ત્રણ વાગ્યા સુધી 50.51 ટકા મતદાન થયું છે.

    બીજા તબક્કામાં 93 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે.

    અત્યાર સુધી અમદાવાદમાં સૌથી ઓછું મતદાન થયું છે. અમદાવાદમાં 44.67 ટકા મતદાન થયું છે. સૌથી વધારે મતદાન સાબરકાંઠામાં 57.23 ટકા મતદાન થયું છે.

    બનાસકાંઠામાં 55.52 ટકા મતદાન થયું છે. છોટા ઉદેપુરમાં 54.40 ટકા, અરવલ્લીમાં 54.19 ટકા, આણંદમાં 53.75 ટકા, ખેડામાં 53.94 ટકા, મહેસાણામાં 51.33 ટકા, પંચમહાલમાં 53.84 ટકા મતદાન થયું છે.

    પાટણમાં 50.97 ટકા અને વડોદરામાં 49.69 ટકા મતદાન થયું છે.

  13. LIVE : કોનો કેટલો દબદબો? અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની હાર-જીતનો આજે ફેંસલો

  14. પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે મતદાન કર્યા બાદ લોકોને શું અપીલ કરી?

    ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે વડોદરામાં મતદાન કર્યું અને કહ્યું કે, "મતદાન એ આપણો અધિકાર અને જવાબદારી બંને છે. મને ખબર પડી કે હજી માત્ર 60 ટકા જ મતદાન થયું છે એટલેુ હું લોકોને અપીલ કરું છું કે આવો અને મતદાન વધારો. મને આશા છે કે આવનારા સમયમાં દેશ સુપરપાવર બનશે કારણ કે આપણી પાસે યુવાઓ અને ક્ષમતા છે."

  15. મમતા બેનરજીએ વડા પ્રધાન મોદીના 'રોડ શો' વિશે શું કહ્યું?

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 'રોડ શો' વિશે કૉંગ્રેસની ફરિયાદ બાદ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું કે, "મતદાનના દિવસે રોડ શોની મંજૂરી નથી પરંતુ વડા પ્રધાન અને અન્ય વીવીઆઈપી તેઓ કંઈ પણ કરી શકે છે અને તેમને મોફ કરી દેવામાં આવશે."

    ગુજરાતમાં વિધાનસભાની 93 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં સવારે મતદાન કર્યું. તેઓ મતદાન કરવા પહોંચ્યા પહેલાં તેમણે ગાડીમાંથી ઉતરીને પગપાળા ચાલતા લોકોનું અભિવાદન કર્યું હતું.

    કૉંગ્રેસ પાર્ટીએ તેને 'રોડ શો' કહેતા તેની સામે વિરોધ વ્યક્ત કર્યો છે.

  16. 'વડા પ્રધાનના રોડ શો' પર કૉંગ્રેસનો વિરોધ, ભાજપ અને ચૂંટણીપંચે શું કહ્યું?

    વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં આજે મતદાન પહેલાં ગાડીમાંથી ઊતરીને પગપાળા લોકોને અભિવાદન કરતાં પહોંચ્યા હતા. કૉંગ્રેસે તેનો વિરોધ નોંધાવ્યો છે.

    કૉંગ્રેસ નેતા પવન ખેડાએ આ અંગે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે, "ગુજરાતમાં બીજા અને અંતિમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. છેલ્લા એક મહિના હું ગુજરાતમાં હતો, અમે સતત ચૂંટણીપંચને પત્રો લખતા રહ્યા. અહીં(આ ઘટનામાં) પણ ચૂંટણીપંચમાં આવેદન આપ્યું છે."

    કૉંગ્રેસના આરોપ અંગે સી.આર. પાટીલે પત્રકારપરિષદમાં કહ્યું, “પીએમ મોદીએ ઇલેક્શન કમિશનના કોઈ કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી. તેઓ એક શબ્દ બોલ્યા નથી. એ રોડ શો નહોતો. જે લોકો એને રોડ શો કહે છે તે એમની હતાશા છે.”

    પવન ખેડાએ પત્રકારપરિષદમાં કહ્યું હતું કે "વડા પ્રધાન વોટ આપવા જાય છે, અઢી કલાકનો રોડ શો કરતા જાય છે, મીડિયાની મજબૂરી છે એટલે લાઇવ બતાવે છે. ચૂંટણીપંચની શું મજબૂર છે કે તે લાઇવ જોયા કરે, ચૂપ પણ રહે છે. તેમને કંઈ દેખાતું કે સંભળાતું નથી."

    "આજે બીજા તબક્કાની ચૂંટણીમાં જ્યારે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે વડા પ્રધાન જે મતદાન કરવા અમદાવાદ ગયા ત્યારે તેમણે અઢી કલાકનો રોડ શો કર્યો. આ જાહેરાત નથી? તમારે ભાજપ પાસેથી ખર્ચો લેવો જોઈએ."

    "શું વડા પ્રધાનનો આ પ્રચાર ભારતીય જનતા પાર્ટીના ખર્ચામાં ન જોડાવો જોઈએ? કોઈ ચૅનલને પૉલિટિકલ જાહેરાત આપીએ તો ચૂંટણીમાં ભાવ લો છો? આ લાઇવ આજે તમામ ચૅનલ્સે બતાવ્યું, તેનું બિલ ભાજપને મોકલો. ત્રણ કલાકની જાહેરાત તમારા ચૅનલ પર ચાલે તો મફતમાં કેમ ચલાવો છો. જો 93 ટકા ઇલેક્ટોરલ બૉન્ડ્સ ભાજપને મળે છે તો ખર્ચ પણ કરાવો તેમની પાસે."

    ચૂંટણીપંચે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ યોજેલી પત્રકારપરિષદમાં આ ફરિયાદ વિશે વાત કરી હતી. પંચે કહ્યું, “આ ફરિયાદ અંગે અમે તપાસ કરી હતી પણ તેઓ સ્થળ પર ગયા અને ત્યાં હાજર ભીડ આપમેળે આવી હોવાનું પુરવાર થયું હતું અને તેમણે કોઈ પણ રીતે પ્રચાર કર્યો ન હતો. જેથી આચારસંહિતા ભંગની ફરિયાદ માન્ય ગણાઈ નહોતી.”

  17. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં આ બેઠકો પર રહેશે નજર

    ઘાટલોડિયા બેઠક પર મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સામે કૉંગ્રેસમાંથી ડૉ. અમી યાજ્ઞિક ચૂંટણી લડી રહ્યા છે.

    વીરમગામ બેઠક પર ભાજપે હાર્દિક પટેલને ટિકિટ આપી છે, તેમની સામે કૉંગ્રેસમાંથી ભરવાડ લાખાભાઈ ભીખાભાઈ ( વર્તમાન ધારાસભ્ય) અને આમ આદમી પાર્ટીના અમરસિંહ રાઠોડ ચૂંટણી લડી રહ્યા છે.

    ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી ભાજપમાંથી અલ્પેશ ઠાકોર સામે કૉંગ્રેસના ડૉ. હિમાંશુ પટેલ અને આપમાંથી દોલત પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

    મહેસાણા બેઠક પરથી ભાજપે મુકેશ પટેલ સામે કૉંગ્રેસના પી.કે.પટેલ અને આપના દીશાંત પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

    છોટા ઉદેપુર બેઠક પરથી ભાજપના રાજેન્દ્રસિંહ રાઠવા અને કૉંગ્રેસમાંથી સંગ્રામસિંહ રાઠવા ચૂંટણી લડી રહ્યા છે

    જેતપુર (એસટી)બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય સુખરામ રાઠવા સામે ભાજપના જયંતીભાઈ રાઠવા તથા આપનાં રાધિકા રાઠવા ચૂંટણી લડી રહ્યાં છે.

    બાયડ બેઠકપરથી કૉંગ્રેસના મહેન્દ્રસિંહ વાઘેલા સામે અપક્ષ ધવલસિંહ ઝાલા અને ભાજપનાં ભીખીબહેન પરમાર ચૂંટણી લડી રહ્યાં છે.

    વડગામ બેઠક પરથીકૉંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણી (ધારાસભ્ય) સામે ભાજપના મણિભાઈ વાઘેલા અને આમના દલપત ભાટિયા તથા એઆઈએમઆઈએમના કલ્પેશ સુંઢિયા ચૂંટણી લડી રહ્યા છે.

    ઊંઝા બેઠક પરથી અરવિંદ પટેલ સામે ભાજપના કિરિટ પટેલ અને આપના ઉર્વીશકુમાર પટેલ ચૂંટણી લડી રહ્યા છે.

    દાણીલિમડાથી કૉંગ્રેસના શૈલેશ પરમાર (ધારાસભ્ય) સામે ભાજપના નરેશભાઈ શંકરભાઈ વ્યાસ અને આમના દિનેશ કાપડિયા ચૂંટણી લડી રહ્યા છે

    વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ તરફથી અશ્વિન પટેલ અને કૉંગ્રેસ સત્યજિતસિંહ ગાયકવાડ ચૂંટણી લડી રહ્યા છે.

    પાદરા બેઠક પરથી દિનેશ પટેલ અપક્ષ અને ભાજપના ચૈતન્યસિંહ ઝાલા તથા કૉંગ્રેસના જશપાલસિંહ પઢિયાર ચૂંટણી લડી રહ્યા છે.

  18. 'જો લહેર હોય જો 35 કિલોમિટરનો રોડ શો કરવાની શું જરૂર'

    કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યા બાદ કહ્યું, "ગુજરાતના લોકો પોતાને છેતરાયેલા માને છે, આપણે મુખ્ય મંત્રી વારં વાર કેમ બદલવા પડ્યા, સમગ્ર પ્રધાનમંડલ ખારિજ કરવું પડ્યું કારણ કે ગુજરાતના લોકોનો રોષ બહુ છે."

    "યુવા મહેનત કરીને સરકારી પરીક્ષા આપવા જાય છે તે પેપર લીક થાય છે અને પેપર લીક કરવાનો સંબંધ ભાજપ સાથે છે. યુવા બેરોજગારીથી પરેશાન છે, જેમની આવક સારી નથી, એમના પરિવારામાં 415 રૂપિયા ગૅસનો સિલિંડરનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજી સસ્તો થવા છતાં, 1100- 1200 પહોંચ્યો છે."

    "આંતરરાષ્ટ્રીય બજારમાં કાચું ક્રૂડ સસ્તું થયું છતાં પેટ્રોલ-ડીઝલ સો રૂપિયાને પાર પહોંચ્યા છે. વીજળી સરખી મળતી નથી, નર્મદાનું પાણી 19 લાખ હેક્ટરમાં પહોંચવું જોઈતું હતું તે પહોંચ્યું નથી. આ મુદ્દે લોકો નારાજ છે."

    "મનમોહનસિંહજી પણ વડા પ્રધાન હતા, પંજાબના હતા. એક કે બે દિવસ જઈને જનસભા કરતા. પંજાબીઓએ બે વખત તેમની સરકાર બનાવી. આજે અર્થતંત્રની હાલત ખરાબ છે, લોકો પરેશાન છે. હવે વડા પ્રધાન દેશને છોડીને રોડ શો કરી રહ્યા છે. નાનાં-નાનાં શહેરોમાં ચાર ચાર વખત જઈ રહ્યા છે કારણ કે ગુજરાતમાં લોકો તેમનાથી બહુ નારાજ છે."

    તેમણે કહ્યું કે , "જો લહેર હોય તો અહીં કૅમ્પ કરવાની શું જરૂર? અમદાવાદમાં પીએમના 35 કિલોમિટર લાંબો રોડ શો હતો તો લોકોની ટ્રેન અને ફ્લાઇટ છૂટી ગઈ. મોનમોહનસિંહ પંજાબ જતા, એક કે બે રેલી કરે અને કૉંગ્રેસ સત્તામાં આવે. કોઈ લહેર નથી."

  19. Live - અલ્પેશ ઠાકોર જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે, ત્યાં કેવો છે માહોલ?

  20. રાજકોટમાં મતપેટીઓના સ્ટ્રૉંગ રૂમ સામે કૉંગ્રેસ સીસીટીવી કૅમેરા કેમ મૂક્યા છે?