You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ગુજરાત ચૂંટણી : 89 બેઠકનું મતદાન પૂર્ણ, નર્મદા જિલ્લામાં સૌથી વધુ 73 ટકા

ગુજરાત વિધાનસભાની 182 બેઠક પૈકી 89 બેઠકનું પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન અને આઠ ડિસેમ્બરે ચૂંટણીનું પરિણામ આવશે.

લાઇવ કવરેજ

  1. વડા પ્રધાન મોદીએ કહ્યું "કૉંગ્રેસમાં મને અપશબ્દ કહેવાની હોડ લાગી છે"

    ગુજરાતમાં 89 વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજા તબક્કા માટે ચૂંટણીપ્રચાર ચાલી રહ્યો છે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલીમાં કહ્યું કે કૉંગ્રેસમાં તેમને ગાળો આપવાની સ્પર્ધા ચાલી રહી છે.

    સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર વડા પ્રધાન મોદીએ કહ્યું કે, "કૉંગ્રેસમાં સ્પર્ધા ચાલી રહી છે કે કોણ મોદીને વધારે અપશબ્દો કહે."

    પંચમહાલ જિલ્લાના કાલોલમાં વડા પ્રધાન મોદીએ એક રેલીને સંબોધિત કરતાં કહ્યું, "ભારત મોબાઇલની દુનિયામાં આટલી મોટી ક્રાંતિ કરી શકશે એ 2014 પહેલાં કોઈએ વિચાર્યું નહોતું. 2014માં તમે મને દિલ્હી મોકલ્યો ત્યારે ફોન બનાવનારી બે ફેકટરી હતી, આજે 200થી વધારે ફેકટરી છે."

    તેમણે વધુમાં કહ્યું કે, "હું તો ગુજરાતનો દીકરો છું, તમે મને જે ગુણ આપ્યા છે, તે ગુણ લઈને કામ કરી રહ્યો છું, આ કૉંગ્રેસવાળાને ગુજરાતે મને જે શક્તિ આપી છે, એ ખટકે છે. જે મોદીને તમે ઘડ્યો એ મોદીનું અપમાન તમારું અપમાન છે કે નહીં?"

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંચમહાલના કાલોલમાં એક ચૂંટણી રેલીમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન પર નિશાન સાધ્યું.

    તેમણે કહ્યું કે "એક કૉંગ્રેસ નેતાઓ કહ્યું કે અમે મોદીને તેની ઔકાત બતાવશું. અમારી શું ઔકાત છે? અમે સેવક છીએ.... તેમને નથી ખબર કે ગુજરાત રામભક્તોની ધરતી છે. કૉંગ્રેસ હાઈ કમાને નવા અધ્યક્ષને ગુજરાત આવવાનું કહ્યું અને કહ્યું કે મોદી સો માથાંવાળો રાવણ છે. અમે જાણીએ છીએ કે કૉંગ્રેસ ભગવાન રામની ઓળખને પણ નથી માનતી. તેમને અયોધ્યાના રામ મંદિર પર કોઈ શ્રદ્ધા નથી. તેમણે રામસેતુના અસ્તિત્વને પણ નહોતા માનતા પણ હવે તેઓ રામાયણથી રાવણને લઈ આવ્યા.”

    મોદીએ કહ્યું કે "મારા માટે આવા અપશબ્દોથી મને આશ્ચર્ય નથી. મને આશ્ચર્ય છે કે કૉંગ્રેસ પાટી અને તેના ટોચના નેતાઓ ક્યારેય આધિકારિક રીતે માફી નથી માગતા...જોકે, કૉંગ્રેસ પાટી વિચારે છે કે તેમને આ દેશના વડા પ્રધાનનું અપમાન કરવાનો અધિકાર છે. જો તેમને લોકશાહીમાં કોઈ શ્રદ્ધા હોત તો તેઓ આવું ન કરતા હોત. તેમને લોકશાહીમાં નહીં પણ એક જ પરિવારમાં શ્રદ્ધા છે”.

  2. દરિયાની વચ્ચે આવેલા ટાપુ પર કેવી રીતે ઊભું કરાયું મતદાનમથક?

    તસવીરમાં દેખાતું આ મતદાનમથક ખંભાળિયા વિધાનસભા મતક્ષેત્રના અજાડ ટાપુનું છે.

    દરિયાકાંઠેથી 4.3 નોટીકલ માઇલ દૂર આવેલા આ ટાપુ પર મતદાનકેન્દ્ર તૈયાર કરવા માટે ચૂંટણીસ્ટાફે મોટા આસોટાથી 13 કિલોમિટર દૂર ગડુ વિસ્તાર સુધી પહોંચવું પડ્યું હતું.

    અહીં પહોંચવા માટે તેમણે દરિયામાં મુસાફરી કરવી પડી હતી.

    ખંભાળિયા વિધાનસભા બેઠક પર સવારે 11 વાગ્યા સુધીમાં 20.04 ટકા મતદાન નોંધાયું છે.

  3. પરિમલ નથવાણીએ મતદાન કર્યું

    આંધ્ર પ્રદેશમાંથી વાયએસઆરસીપીની ટિકિટ ઉપર રાજ્યસભાના સંસદસભ્ય બનેલા પરિમલ નથવાણીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા ખાતે તેમના વતનમાં મતદાન કર્યું હતું અને ચૂંટણીપંચની કામગીરીની પ્રશંસા કરી હતી.

    બાઉન્સરોથી ઘેરાયેલા નથવાણીએ ગુજરાતી ચેનલ 'ટીવી9' સાથે વાત કરતાં કહ્યું, "આજનો દિવસ લોકશાહીમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જામખંભાળિયા મારું વતન છે અને દર વખતે મત આપવા આવું છું. અગાઉ બે પાર્ટી હતી, હવે ત્રીજી પાર્ટી પણ આવી છે. તેને પ્રજા કેટલી રીતે સ્વીકારે છે કે નથી સ્વીકારતી તેનો પણ આપણને ખ્યાલ આવશે."

    ભાજપ-કૉંગ્રેસે ઉમેદવારોનાં નામોની જાહેરાત કરી એ પહેલાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ડાયરેક્ટર પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને માગ કરી હતી કે 'તમામ રાજકીય પક્ષોએ એવા ઉમેદવારોને ટિકિટ ન આપવી જોઈએ કે જેઓ ગુનાહિત છાપ કે માનસિકતા ધરાવતા હોય. જામનગરની શાંતિ સલામતી, સમૃદ્ધિ અને વિકાસ માટે કામ કરે તેવી નેતાગીરી મળવી જોઈએ.' જેના કારણે જામનગર જિલ્લાની ઉમેદવાર પસંદગી ઉપર લોકોનું ધ્યાન ખેંચાયું હતું.

    જામનગર ખાતેની રિલાયન્સની રિફાઇનરી વિશ્વનું સૌથી પેટ્રોલિયમ કૉમ્પ્લેક્સ છે. ત્યાં એસ્સારની પણ રિફાઇનરી આવેલી છે તથા અન્ય કેટલાક મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક એકમો પણ આવેલા છે.

    ભાજપના નેતા મૂળુભાઈ બેરા જ્યારે ઉમેદવારીપત્રક ભરવા ગયા હતા ત્યારે નથવાણી તેમની સાથે હાજર રહ્યા હતા. આ બેઠક પર કૉંગ્રેસે દિગ્ગજ નેતા વિક્રમ માડમ ઉપર દાવ લગાવ્યો છે.

    માડમ સંસદસભ્ય પણ રહી ચૂક્યા છે, જ્યારે બેરા ગુજરાત સરકારમાં એક કરતાં વધુ વખત મંત્રી રહી ચૂક્યા છે.

    આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીપદના ચહેરા ઇસુદાન ગઢવી પણ અહીંથી ઉમેદવાર છે. પાર્ટીએ મિસ્ડકૉલ, ઈમેલ તથા અન્ય માધ્યમો દ્વારા લોકોના મત જાણ્યા હતા, જેમાં ગઢવીનું નામ બહાર આવ્યું હતું તેવું પાર્ટીએ જણાવ્યું હતું.

  4. સાણંદમાં અમિત શાહનો રોડ શો

    ચૂંટણીપ્રચારને ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ પાર્ટીઓએ પ્રચારપ્રસારમાં એડીચોટીનું જોર લગાવી દીધું છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાણંદમાં રોડ શો યોજી રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી બંને છેલ્લા કેટલાક દિવસોથી સતત ગુજરાતના પ્રવાસે છે.

    અમદાવાદ અને આસપાસની બેઠકો પર બીજા તબક્કામાં પાંચ ડિસેમ્બરે મતદાન યોજાશે.

  5. જામનગરમાં રવીન્દ્ર જાડેજા મતદાન કર્યા બાદ શું બોલ્યા

    ક્રિકેટર રવીન્દ્ર જાડેજા જામનગરમાં મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે મતદાન બાદ કહ્યું, "હું લોકોને વિનંતી કરું છું કે તેઓ મોટી સંખ્યામાં આવીને મતદાન કરે."

    ભાજપે રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબાને જામનગરથી ટિકિટ આપી છે. રીવાબા જાડેજાએ રાજકોટમાં મતદાન કર્યું હતું.

    સૌરાષ્ટ્રની બેઠકો પર 2017માં કૉંગ્રેસને ભાજપ કરતાં વધારે બેઠકો મળી હતી. આ વખતે ભાજપે સૌરાષ્ટ્રમાં વિધાનસભાની બેઠકો પર વધુ જોર અજમાવ્યું છે. આમ આદમી પાર્ટીએ પણ સૌરાષ્ટ્રમાં ઉમેદવારો ઉતાર્યા છે.

    તો રાજકોટના પૂર્વ રાજવી પરિવારના માંધાતા જાડેજા ઠાકોરસાહેબ અને કાદંબરી દેવીએ મતદાન કર્યું. તેઓ પોતાની વિન્ટેજ કારમાં મતદાન કરવા પહોંચ્યાં હતાં.

  6. ગુજરાત વિધાનસભા ચૂંટણી : સવારે 11 વાગ્યા સુધીમાં 18.95 ટકા મતદાન

    ભારતના ચૂંટણીપંચની વોટર ટર્નઆઉટ ઍપ્લિકેશન પર જાહેર કરાયેલા આંકડા અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર સવારે 11 વાગ્યા સુધીમાં 18.95 ટકા મતદાન યોજાયું છે.

    આંકડા પ્રમાણે, સૌથી વધુ 26.47 ટકા મતદાન તાપી જિલ્લામાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું 15.86 ટકા મતદાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નોંધાયું છે.

    પ્રથમ તબક્કાની ચૂંટણીમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે.

  7. હર્ષ સંઘવી અને મનસુખ માંડવિયાએ મતદાન કર્યા બાદ શું કહ્યું?

    ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં મતદાન કર્યું. તેઓ પોતે સુરતમાંથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે.

    સુરતની વિધાનસભા બેઠકો પર સૌની નજર મંડાયેલી છે, કારણ કે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલિયા અને અલ્પેશ કથીરિયા બંને સુરતમાંથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે.

    ગોપાલ ઈટાલિયા સુરતના કતારગામ અને યુવા પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ આમ આદમી પાર્ટી તરફથી સુરતની વરાછા બેઠક ઉપરથી ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે સુરતથી વિધાનસભાની આઠથી નવ બેઠક જીતવાનો દાવો કર્યો હતો.

    તો ભારતના આરોગ્યમંત્રી અને ભાજપ નેતા મનસુખ માંડવિયાએ ભાવનગરમાં મતદાન કર્યું.

    તેમણે ભાવનગરના હનોલ ગામમાં મતદાન બાદ લોકો સાથે વાતચીત કરી હતી.

    સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર તેમણે કહ્યું કે, "હનોલના લોકોએ વિકાસના રાજકારણમાં વિશ્વાસ કર્યો છે. મેં જોયું છે કે ગુજરાતમાં લોકોનો ભાજપ પર વિશ્વાસ વધ્યો છે. આ વખતે અમે રેકૉર્ડ તોડીશું અને નવો રેકૉર્ડ બનાવીશું."

  8. પાટીલનું મતદાન અને ભરોસો

    સુરત ખાતે ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ સીઆર પાટીલે સુરતમાં સહપરિવાર મતદાન કર્યું હતું. પાટીલે પત્રકારો સાથે વાત કરતા કહ્યું, "કોરોનાકાળ હોય કે કોઈ પણ આપત્તિ હોય, ગુજરાત ભાજપના કાર્યકર્તા તથા અમિત શાહ સહિતના નેતાઓ જનતાની વચ્ચે રહ્યા છે. લોકોની સેવા માટે કામો કરે છે અને યોજનાઓને લોકો સુધી પહોંચાડે છે, એટલે આ ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થશે."

    પાટીલ નવસારી બેઠક પરથી ભાજપના સંસદસભ્ય છે અને રેકૉર્ડ મતો સાથે ચૂંટાઈ આવે છે.

    તેમણે આ ચૂંટણીમાં ભાજપને માટે 151 બેઠકનો લક્ષ્યાંક મૂક્યો હતો. આ રીતે પાર્ટી વર્ષ 1985ના માધવસિંહ સોલંકીના સમયના 182માંથી 149 બેઠક જીતવાના રેકૉર્ડને તોડવા માગે છે.

    વર્ષ 2020માં કોરોનાકાળ દરમિયાન પાટીલે ગુજરાત ભાજપની કમાન સંભાળી તે પછી રાજ્યસભા, વિધાનસભાની પેટાચૂંટણી, મહાનગરપાલિકાની કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમને યશ મળ્યો છે, પરંતુ વિધાનસભાની ચૂંટણી તેમના દાવાનું શું થશે એ આઠમી ડિસેમ્બરે સ્પષ્ટ થશે.

  9. ‘મોરબીમાં લોકો પુલ દુર્ઘટનાને ભૂલ્યા નથી’

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના કવરેજ માટે બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી મોરબીમાં છે. તેમણે મતદાનમથક બહારથી લોકો સાથે વાત કરી હતી.

    તેઓ કહે છે, “મોરબીમાં લોકો હજી સુધી પુલ દુર્ઘટનાને ભૂલ્યા નથી. પણ આ વખતની ચૂંટણીમાં માત્ર એક જ મુદ્દો નથી. લોકો મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે પણ વાત કરી રહ્યા છે.”

    મોરબીમાં સવારે નવ વાગ્યા સુધી 5.74 ટકા મતદાન નોંધાયું છે.

    મતદાન કરવા આવેલા એક મતદારે જણાવ્યું કે “તેમની માગ છે કે મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળે અને ‘અર્બન ડેવલપમૅન્ટ ઑથૉરિટી મળે.’”

    મોરબી સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગને કારણે પણ જાણીતું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે નગરપાલિકાથી લઈને વિધાનસભા સુધી એક જ પક્ષ સત્તામાં છે અને યોગ્ય વિપક્ષ ન હોવાથી લોકોના મુદ્દા ઉકેલાતા નથી.

  10. LIVE : ગુજરાત વિધાનસભાની ચૂંટણી : ક્યાં કેટલું થયું મતદાન? લોકો કયા મુદ્દાઓને લઈને કરી રહ્યા છે મતદાન?

  11. ગુજરાતમાં કેવું ચાલી રહ્યું છે મતદાન, જુઓ તસવીરોમાં...

    ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. વિવિધ શહેર-જિલ્લામાં વહેલી સવારથી લોકો મતદાનમથક બહાર લાઇન લગાવીને ઊભા રહ્યા છે.

    ચૂંટણીપંચ દ્વારા વિકલાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સવારે નવ વાગ્યા સુધી 4.92 ટકા મતદાન નોંધાયું છે.

  12. ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માની મતદારોને અપીલ

    ગુજરાત કૉંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ રાજ્યમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં નાગરિકોને મતદાન કરવા અપીલ કરી છે.

    તેમણે ટ્વીટ કર્યું, “આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને અપીલ કરું છું કે તેઓ મોંઘવારી અને બેરોજગારીથી છુટકારો મેળવવા અને પોતાના જીવનમાં પરિવર્તન લાવવા મોટા પાયે મતદાન કરે. આ વખતે ગુજરાતમાં પ્રથમ વખત મતદાન કરી રહેલાં યુવા સાથીઓનું સ્વાગત છે.”

    રઘુ શર્માને રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતના વિશ્વાસુ માનવામાં આવે છે.

    ગત વિધાનસભાની ચૂંટણી સમયે પણ તેઓ જ ગુજરાત કૉંગ્રેસના પ્રભારી હતા. ગત ચૂંટણીમાં કૉંગ્રેસનું પ્રદર્શન છેલ્લાં 30 વર્ષમાં સૌથી સારું રહ્યું હતું અને ભાજપ 99 બેઠકો પર સમેટાઈ ગયો હતો.

    જ્યારે ગત વર્ષે કૉંગ્રેસને 77 સીટ મળી હતી.

  13. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ગુજરાતની જનતાને અપીલ

    દિલ્હીના મુખ્ય મંત્રી તથા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જનતાને મોટાપાયે મતદાન કરવા અપીલ કરી હતી.

    તેમણે ટ્વીટ કર્યું: "ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં આજે 89 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. ગુજરાતમાં આજે જે-જે વિધાનસભા ક્ષેત્રોમાં મતદાન યોજાઈ રહ્યું છે, તેના મતદારોને મારી અપીલ છે કે તમારી પાસે સ્વર્ણિમ તક આવી છે, ગુજરાત અને તમારાં સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે મતદાન આપો, આ વખતે કંઇક મોટું કરી આવો."

    આપે ઇસુદાન ગઢવીને ગુજરાતમાં મુખ્ય મંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યા છે અને રાજ્યમાં પાર્ટીની સરકાર બની રહી હોવાનું લેખિતમાં આપ્યું છે.

    ઇસુદાન જામનગરની ખંભાળિયા બેઠક પરથી જ્યારે ગુજરાત આપના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠક પરથી ઉમદેવાર છે. બંને બેઠકો પર પ્રથમ તબક્કામાં જ મતદાન યોજાઈ રહ્યું છે.

  14. હું કૉંગ્રેસ સાથે છું : રવીન્દ્ર જાડેજાના પિતા

    ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે ક્રિકેટર રવીન્દ્રસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ પોતે કૉંગ્રેસ સાથે હોવાની વાત જણાવી હતી.

    સમાચાર સંસ્થા એ એએનનાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું, "હું કૉંગ્રેસ સાથે છું. પરિવારની બાબતોથી પાર્ટીની બાબતો અલગ છે. અમારે અમારા પક્ષ સાથે રહેવું જોઈએ. વર્ષોથી એમાં જ રહ્યો છું. એને (રવીન્દ્ર જાડેજા) પણ જાણ છે કે એ પક્ષની બાબત છે.

    નોંધનીય છે કે રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા જામનગરમાં ભાજપનાં ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે. જ્યારે રવીન્દ્રનાં બહેન નયનાબા કૉંગ્રેસનો પ્રચાર કરી રહ્યાં છે.

  15. LIVE : સુરતમાં મતદાન કરવા આવેલા લોકોએ શું કહ્યું? કોની બનશે સરકાર?

  16. શૅરબજારમાં ઉછાળ

    ગુરૂવારે વિકલી ઍક્સપાયરીના દિવસે ભારતીય શૅરબજારોમાં સકારાત્મક શરૂઆત જોવા મળી હતી. સવારે પોણા દસ વાગ્યે 0.47 %ના (88 પૉઇન્ટ) ઉછાળા સાથે 18 હજાર 845 આસપાસ ટ્રૅન્ડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી બૅન્ક 43 હજાર 417 આસપાસ હતો. જે લગભગ 0.46 %નો વધારો સૂચવે છે.

    અન્ય એક મહત્ત્વપૂર્ણ સૂચકાંક સેન્સેક્સે 63 હજારની મનોવૈજ્ઞાનિક સપાટી જાળવી રાખી છે અને અડધા ટકાના ઉછાળા સાથે (318 પૉઇન્ટ) સાથે 63 હજાર 415 આસપાસ છે.

  17. ગુજરાત વિધાનસભા ચૂંટણી : પ્રથમ તબક્કામાં નવ વાગ્યા સુધી 4.92 ટકા મતદાન

    ભારતના ચૂંટણીપંચની વોટર ટર્નઆઉટ ઍપમાંથી મળી રહેલ માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 4.92 ટકા સવારે નવ વાગ્યા સુધી મતદાન નોંધાયું છે.

    નોંધનીય છે કે ગુજરાતમાં ગુરુવારે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો પર મતદાનપ્રક્રિયા ચાલી રહી છે.

  18. FB Live : મોરબીમાં મચ્છુમંદિર પાસે લોકો મતદાન કરતી વખતે શું કહી રહ્યા છે?

  19. વિજય રૂપાણીએ કર્યું મતદાન

    ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી તથા તેમનાં પત્ની અંજલી રૂપાણીએ મતદાન શરૂ થયાની પ્રારંભિક મિનિટોમાં જ રાજકોટની અનિલ જ્ઞાનમંદિર સ્કૂલ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને ભાજપના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

    રૂપાણીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું, "ગુજરાતમાં સાતમી વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે. ગુજરાતની જનતા ખૂબ જ સમજુ છે. તેમને મોદીજી પ્રત્યે અપાર પ્રેમ, વિશ્વાસ અને ભરોસો છે. ગત બે દાયકા દરમિયાન ભાજપે વિકાસનાં જે કામ કર્યાં છે અને સારી રીતે સરકાર ચલાવી છે, તેના કારણે જનતાનો અનન્ય વિશ્વાસ ભાજપ પર છે."

    રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પ્રથમ તબક્કામાં અને સૌરાષ્ટ્રમાં ગત વખતની સરખામણીમાં વધુ બેઠકો મેળવશે. તેમણે રાજકોટની તમામ ચાર બેઠક પર પાર્ટીના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 11મી સપ્ટેમ્બરના રોજ વિજય રૂપાણી રાજીનામું આપી દીધું હતું, એ પહેલાં તેમણે સત્તા ઉપર પાંચ વર્ષ પૂર્ણ કર્યાં હતાં. સમગ્ર મંત્રીમંડળને 'નો-રિપીટ' કરવામાં આવ્યું હતું.

    ભાજપ દ્વારા ટિકિટોની જાહેરાત કરવામાં આવી તે પહેલાં રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ ટિકિટ નહીં આપવા કેન્દ્રીય નેતૃત્વને વિનંતી કરી હતી.

    જોકે, રૂપાણી કૅબિનેટના અનેક મંત્રીઓને ટિકિટ આપવામાં આવી છે.

  20. નિફ્ટી : 19 હજારને પાર?

    સકારાત્મક આંતરરાષ્ટ્રીય સમાચારોને પગલે ગુરુવારે ભારતનાં શૅરબજાર ગ્રીનઝોનમાં ખુલ્લે તેવી સંભાવના છે. સવારે નવ વાગ્યા અને 50 મિનિટની સ્થિતિ પ્રમાણે બજારો ઉપર નજર કરીએ તો :

    સિંગાપોર નિફ્ટી 85 પૉઇન્ટના ઉછાળા સાથે (0.45%) 19 હજારને પાર કરી ગયો હતો. ગઈ કાલે નિફ્ટી 18 હજાર 778 ઉપર બંધ આવ્યો હતો. જ્યારે બુધવારે સેન્સેક્સ 63 હજારની મનોવૈજ્ઞાનિક સપાટી પાર કરીને 63 હજાર 100 પર બંધ આવ્યો હતો.

    નાણાકીય વર્ષ 2023ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન દેશનો જીડીપી વિકાસદર 6.3 ટકા રહ્યો હતો. જે આગળના ત્રિમાસિક ગાળા દરમિયાન 13.5 ટકા જેટલો હતો. ગત વર્ષે આ ગાળા દરમિયાન આ દર 8.4 ટકા જેટલો હતો.

    જર્મી પૉવેલના નિવેદનને પગલે ડાઉ જોન્સ 2.18 %, નાસડેક 4.41 %ના ઉછાળા સાથે બંધ આવ્યા હતા, જેની સકારાત્મક અસર એશિયાનાં બજારો ઉપર પણ જોવા મળી હતી.

    જાપાનનો નિક્કી આંક 1.12 ટકા, શાંઘાઈ ઇન્ડેક્સ એક ટકા, હૉંગકૉંગ 1.40 % જેટલા ઉપર હતા.