13 ડિસેમ્બર, 2001ની સવારે 11 વાગ્યે દેશની રાજધાની દિલ્હીના આકાશમાં હૂંફાળો તડકો છવાયેલો હતો.
વિપક્ષની ધમાલ વચ્ચે દેશની સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું હતું. ડિસેમ્બરની તેરમી તારીખ સુસ્ત ચાલે આગળ વધી રહી હતી.
સંસદમાં એ સમયે વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને વિરોધ પક્ષનાં નેતા સોનિયા ગાંધી સહિતનાં અનેક સંસદસભ્ય હાજર હતાં.
અને પછી 11 વાગીને 2 મિનિટે લોકસભા સ્થગિત થઈ ગઈ. એ પછી વડા પ્રધાન વાજપેયી અને સોનિયા ગાંધી પોતપોતાની કારમાં બેસીને સંસદમાંથી રવાના થઈ ગયાં.
સંસદમાંથી સંસદસભ્યોને લઈ જવા માટે દરવાજાઓની બહાર સરકારી ગાડીઓની કતાર લાગવાનું શરૂ થઈ ગયું હતું.
ઉપરાષ્ટ્રપતિ કૃષ્ણકાંતનો કાફલો સંસદના ગેટ નંબર 12થી નીકળવા માટે તૈયાર હતો.
ગાડીને ગેટ પર ઊભી રાખ્યા બાદ સલામતી રક્ષકો ઉપરાષ્ટ્રપતિ બહાર આવે તેની રાહ જોઈ રહ્યા હતા.
સંસદની બહાર નીકળી રહેલા નેતાઓ તથા પત્રકારો વચ્ચે તત્કાલીન રાજકારણ સંબંધી અનૌપચારિક વાતચીત ચાલુ હતી.
વરિષ્ઠ પત્રકાર સુમિત અવસ્થી એ સમયે ગેટ નંબર એકની બહાર તત્કાલીન કેન્દ્રીય મંત્રી મદનલાલ ખુરાના સાથે વાતચીત કરતા હતા.
સુમિત અવસ્થીએ બીબીસીને કહ્યું હતું:
"હું અને મારા કેટલાક સાથીઓ મદનલાલ ખુરાના પાસેથી ખરડો સંસદમાં રજૂ થશે કે નહીં તેની માહિતી મેળવવા ઇચ્છતા હતા."
"એ સમયે જ અમને એક અવાજ સંભળાયો...એ ગોળીનો અવાજ હતો."