ગુરપ્રિત સૈની, બીબીસી હિન્દી
મધ્ય પ્રદેશમાં કોરોનાથી હાલત બગડતી જઈ રહી છે. સંક્રમણના કેસ 5 લાખ 25 હજારના આંકડાને પાર કરી ગયા છે.
મધ્ય પ્રદેશનાં મોટાં ભાગનાં શહેરોમાં લાદેલા સીમિત લૉકડાઉન છતાં પણ સંક્રમણ ઓછું થયું નથી.
મંગળવારે રાજ્યમાં સંક્રમણના 13,417 કેસ નોંધાયા હતા. ગત 26 દિવસોમાં કેટલાક દિવસોને બાદ કરતાં દરેક દિવસે રેકૉર્ડ કેસ નોંધાઈ રહ્યા છે.
મંગળવારે પૉઝિટિવિટી રેટ 22.6 ટકા રહ્યો, એટલે કે રાજ્યમાં ટેસ્ટ કરાવનારો દર ચોથો માણસ પૉઝિટિવ આવ્યો છે.
આ મહિને રોજનો પૉઝિટિવિટી રેટ ત્રણ ગણો વધારે રહ્યો છે. જોકે મંગળવારે સોમવારે નોંધાયેલા 23 ટકા પૉઝિટિવિટી રેટથી થોડો ઓછો રહ્યો.
છેલ્લા કેટલાક દિવસોમાં પૉઝિટિવિટી રેટમાં સામાન્ય ઘટાડો થયો છે.
મંગળવારે 98 લોકોનાં મૃત્યુ થયાં. આ સાથે જ રાજ્યમાં આ બીમારીથી મૃત્યુ પામનારની સંખ્યા 5,319 પર પહોંચી ગઈ છે.
સૌથી વધુ 1837 કેસ ઇન્દોરમાં નોંધાયા છે. બાદમાં ભોપાલમાં 1836 અને ગ્વાલિયરમાં 1198 દર્દીઓ મળ્યા.
રાહતની વાત એ છે કે 11,577 લોકો સાજા થઈ ગયા અને હૉસ્પિટલથી ઘરે ગયા છે.
અત્યાર સુધીમાં રાજ્યમાં સાજા થવાનો આંકડો 4,25,812 છે.
27 એપ્રિલે રાજ્યમાં 94,276 કેસ સક્રિય હતા. આ પણ એક રેકૉર્ડ છે, કેમ કે અગાઉ રાજ્યમાં ક્યારેય આટલા સક્રિય કેસ નહોતા.
મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઇન્જેક્શન માટે ઝૂઝતા લોકોની તસવીરો પણ જોવા મળી હતી, જેવી દેશના અન્ય ભાગોમાં પણ જોવા મળી હતી.
અહીં ઇન્દોરમાં એક એવા પણ સમાચાર આવ્યા છે કે બ્લડ બૅન્કોમાં પ્લાઝ્મા કલેક્શનની કિટ ખૂટી પડી છે.
એવામાં જે લોકો પ્લાઝ્મા દાન કરવા માટે જઈ રહ્યા છે, તેમને પાછા મોકલાઈ રહ્યા છે.
મધ્ય પ્રદેશમાં મેડિકલ ઓક્સિજનના સપ્લાય માટે મંગળવારે સવારે ઝારખંડના બોકારોથી છ ટૅન્કર લઈને ટ્રેન રવાના થઈ, જેમાં 64 મેટ્રિક ટન ઓક્સિજન ભરેલો હતો.
એક અઠવાડિયા પહેલાં શનિવાર અને રવિવાર દરમિયાનની રાતે શહડોલની સરકારી મેડિકલ કૉલેજમાં કમસે કમ છ કોવિડ દર્દીઓનાં મેડિકલ ઓક્સિજન ઓછું મળવાને કારણે મૃત્યુ થયાંના સમાચાર સામે આવ્યા હતા.
પીટીઆઈએ આ સમાચાર સંસ્થાના ડીનના હવાલાથી આપ્યા હતા.
બાદમાં મધ્ય પ્રદેશના મેડિકલ એજ્યુકેશન મંત્રી વિશ્વાસ સારંગે ઓક્સિજનની કમીની વાતનો ઇનકાર કર્યો હતો અને તપાસના આદેશ આપ્યા હતા.
હવે મધ્ય પ્રદેશ માનવાધિકાર આયોગે મુરૈનામાં ત્રણ અને કટનીમાં બે કોરોના પૉઝિટિવ દર્દીનાં મૃત્યુ ઓક્સિજનની કમીને કારણે થવા મામલે સંજ્ઞાન લીધું છે અને સ્વાસ્થ્ય સચિવ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો અને મુખ્ય ચિકિત્સા અધિકારીઓ પાસેથી 3 મે સુધીમાં જાણકારી માગી છે.
બંને ઘટના સોમવારે ઘટી હતી. બાદમાં મૃતકના સ્વજનો અને સ્વાસ્થ્યકર્મીઓ વચ્ચે વિવાદ પણ થયો હતો.