You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ગુજરાતમાં ભાજપ ભવ્ય જીત તરફ, સુરતમાં ચાલ્યું આમ આદમી પાર્ટીનું ઝાડું

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 21 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને સરેરાશ ટકાવારી 41.75 રહી હતી, આજના પરિણામની અસર જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પર પડી શકે છે.

લાઇવ કવરેજ

  1. વડોદરામાં ભાજપ જીત ભણી

    બપોરે સવા બે વાગ્યાની સ્થિતિ પ્રમાણે, ભાજપને 157, કૉંગ્રેસને 21, આપને આઠ તથા બસપાને ત્રણ બેઠક ઉપર વિજય મળ્યો છે.

    પ્રારંભિક રસાકસી બાદ વડોદરામાં ભાજપે જીત ભણી પ્રસ્થાન કર્યું છે. જાહેર થયેલાં 44 પરિણામમાંથી 37 ઉપર ભાજપનો અને સાત ઉપર કૉંગ્રેસનો વિજય થયો છે. હજુ 32 બેઠક ઉપર ચૂંટણીપરિણામ જાહેર થવાનાં બાકી છે.

    સુરતમાં આમ આદમી પાર્ટીનું આગમન થયું છે. પુણા-પશ્ચિમ તથા કાપોદ્રાની તમામ ચાર બેઠક ઉપર આપની પૅનલનો વિજય થયો છે. અહીં ભાજપને આઠ બેઠક મળી છે, જ્યારે કૉંગ્રેસ ખાતું નથી ખોલાવી શકી.

    મુખ્ય મંત્રી વિજય રુપાણીના મતવિસ્તાર રાજકોટની મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં 72માંથી 20 બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે, જ્યારે કૉંગ્રેસ ખાતું નથી ખોલાવી શકી.

    અમદાવાદમાં ભાજપનો 32 અને કૉંગ્રેસનો ચાર બેઠક ઉપર વિજય થયો છે. જામનગરમાં 64માંથી 26 ઉપર ભાજપનો અને પાંચ ઉપર કૉંગ્રેસનો વિજય થયો છે. ત્રણ બેઠક ઉપર વિજય સાથે બહુજન સમાજ પાર્ટીએ રાજકીય પરિદૃશ્યમાં દેખા દીધી છે. ભાવનગરમાં ભાજપને 15 અને કૉંગ્રેસને પાંચ બેઠક મળી છે.

  2. ભાજપમાં ખુશીની લહેર

    અમદાવાદ, જામનગર, રાજકોટ અને ભાવનગરમાં ભાજપની વિજેતા પૅનલ ઉપરાંત પાર્ટીના કાર્યકરોમાં વિજયનો ઉત્સાહ જોવા મળ્યો હતો. હજુ સુધી તમામ બેઠક ઉપર પરિણામ જાહેર નથી થયાં, છતાં ભાજપના કાર્યકરોએ વિજયની ઉજવણી શરૂ કરી દીધી હતી.

    બીજી બાજુ, અમદાવાદસ્થિત ગુજરાત કૉંગ્રેસના મુખ્યાલયે કાર્યકરોની નહિવત્ હાજરી જોવા મળી હતી.

    અમદાવાદમાં ભાજપના કાર્યકરે બીબીસીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથે વાત કરતા જણાવ્યું કે 'કોરોનાકાળ દરમિયાન ભાજપના કાર્યકરો જે રીતે જનતાની પડખે રહ્યાં અને જે કામગીરી કરી છે, જેના પરિણામે આ વિજય થયો છે.'

  3. અઢી વાગ્યા સુધી કોને કેટલી સીટ મળી?

    અમદાવાદમાં ભારતીય જનતા પાર્ટીએ 36 સીટ પર જીત મેળવી છે, જ્યારે 4 સીટ પર કૉંગ્રેસ પાર્ટીએ જીત મેળવી છે. ગુજરાતમાં ભાજપે 181 અને કૉંગ્રેસે 22 સીટ પર જીત મેળવી છે.

    રાજકોટ અને સુરતમાં માં કૉંગ્રેસ પાર્ટી ખાતુ ખોલાવી શકી નથી. ભાજપે રાજકોટમાં 24 અને સુરતમાં 36 બેઠકો પર જીત મેળવી છે.

    જામનગરમાં ભાજપને 30, કૉંગ્રેસને 6 અને બહુજન સમાજવાદી પાર્ટીને 3 સીટ મળી છે.

    ભાવનગરમાં ભાજપે 15 સીટ પર જીત મેળવી છે, જ્યારે કૉંગ્રેસે 5 સીટ પર જીત મેળવી છે.

    વડોદરામાં 45 સીટ પર ભાજપ અને 7 સીટ પર કૉંગ્રેસ પક્ષ વિજેતા બન્યો છે.

  4. શું સુરતમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કૉંગ્રેસ પર ભારે પડી?

    સુરતમાં આમ આદમી પાર્ટીએ ચાર બેઠક મેળવી લીધી છે જ્યારે અનેક વૉર્ડમાં આગળ ચાલી રહી છે.

    આમ આદમી પાર્ટીના વિજય માટે એવું માનવામાં આવે છે કે તેણે ભાજપ અને કૉંગ્રેસ બંનેના મતમાં ગાબડું પાડ્યું છે.

    સ્થાનિક પત્રકાર ધર્મેશ અમીને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું છે. સુરતના લોકોને ત્રીજો વિકલ્પ મળી ગયો છે.

    "સુરતમાં આમ આદમી પાર્ટીએ કૉંગ્રેસના મોટા વોટ શૅરને તોડ્યો છે. એવું નથી કે આનાથી માત્ર કૉંગ્રેસને નુકસાન થયું છે પરંતુ ભાજપને પણ નુકસાન થયું છે."

    આમ આદમી પાર્ટી જ્યાં વિજેતા બની છે તે ભાજપનો પણ ગઢ ગણાય છે અહીં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ જ વિજેતા બનતો રહ્યો છે.

  5. બપોરે સવા કલાકે : ગુજરાતમાં ક્યાં પક્ષને કેટલી સીટ મળી?

    અત્યાર સુધી જાહેર થયેલાં કુલ પરિણામમાં 84 બેઠક સાથે ભાજપ સૌથી અગ્રેસર છે, જ્યારે 15 બેઠક સાથે કૉંગ્રેસ બીજા ક્રમે છે.

    રાજકીય પરિદૃશ્યમાં આપ (સુરતમાં પુણા-પશ્ચિમમાં ચાર બેઠક) તથા બહુજન સમાજ પક્ષ (જામનગર વૉર્ડ નંબર છમાં ત્રણ બેઠક)નું આગમન થયું છે.

    અમદાવાદ (ભાજપને 19), સુરત (ભાજપને ચાર), રાજકોટ (ભાજપને 16) બેઠક મળી છે, જ્યારે કૉંગ્રેસ ખાતું નથી ખોલાવી શકી.

    વડોદરાની બેઠક ઉપર ભાજપને 21 જ્યારે કૉંગ્રેસને સાત બેઠક મળી છે. ભાવનગરમાં ભાજપને 11 જ્યારે કૉંગ્રેસને પાંચ બેઠક મળી છે.

    જામનગરમાં ભાજપને 12 તથા કૉંગ્રેસને ત્રણ બેઠક મળી છે.

  6. બ્રેકિંગ, સુરતના પુણા(પશ્ચિમ)માં આપની આખી પૅનલ વિજેતા બની

    મહાનગરપાલિકાની ચૂંટણીમાં પુણા(પશ્ચિમ)ની બેઠક પરથી આમ આદમી પાર્ટીની આખી પૅનલ વિજેતા બની છે.

    આ બેઠક પરથી આમ આદમી પાર્ટીના જીતેન્દ્ર કાછડિયાને 24119 મત મળ્યા છે. જ્યારે વિપુલભાઈ મોવલીયાને 22510 મત મળ્યા છે.

    આપના પાયલબહેન સાકરિયાને 23154 મત, જ્યારે શોભાબહેન કેવડિયાને 21348 મત મળ્યા છે.

  7. પાંચેક વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે

    જામનગરના કલૅક્ટર રવિશંકરે મતગણતરી મથકની મુલાકાત લીધી હતી અને તૈયારીઓનું જાતનિરીક્ષણ કર્યું હતું.

    તેમના કહેવા પ્રમાણે, મતગણતરી આઠેક કલાક સુધી ચાલશે. અહીં ચાર ટૅબલ ઉપર પોસ્ટલ બૅલેટની ગણતરી હાથ ધરવામાં આવી છે.

    જામગનરમાં 16 વૉર્ડની 64 બેઠક ઉપર રવિવારે મતદાન યોજાયું હતું.

  8. રાજ્યની 84 બેઠક પર ભાજપ અને 13 બેઠક પર કૉંગ્રેસ વિજેતા

    બપોરેના એક વાગ્યા સુધીમાં 6 મહાનગરપાલિકાની કુલ 84 બેઠક પર ભાજપે જીત મેળવી છે. જ્યારે કૉંગ્રેસ પાર્ટીએ 13 બેઠક પર જીત મેળવી છે.

    અમદાવાદમાં ભાજપે 19 બેઠક જીતી લીધી છે. કૉંગ્રેસે અહીં હજુ સુધી ખાતુ ખોલ્યું નથી. રાજકોટમાં પણ 16 બેઠક પર ભાજપે જીત મેળવી છે. રાજકોટમાં પણ કૉંગ્રેસનું ખાતું ખૂલ્યું નથી.

    ભાવનગરમાં 11 બેઠક પર ભાજપ અને 5 બેઠક પર કૉંગ્રેસ વિજેતા બન્યાં છે.

    વડોદરાની 76માંથી 21 બેઠક પર ભાજપ અને 7 બેઠક પર કૉંગ્રેસનો વિજય થયો છે. સુરતમાં ચાર બેઠકોનાં પરિણામ આવ્યાં છે ત્યાં ચારેય સીટ ભાજપે જીતી છે.

    જામગનરમાં ભાજપે 12 બેઠક, બહુજન સમાજવાદી પાર્ટીએ 3 બેઠક અને કૉંગ્રેસે એક બેઠક મેળવી છે. જીતી છે.

  9. કૉંગ્રેસના પ્રદર્શન પર રાજકીય વિશ્લેષણ

    મતગણતરીને અડધો દિવસ પૂર્ણ થઈ ગયો છે અને જે વલણો આવી રહ્યાં છે તે પ્રમાણે ભાજપ એક વખત ફરીથી જીત તરફ આગળ વધી રહ્યો છે.

    ત્યારે પ્રશ્ન થાય કે કૉંગ્રેસ પાર્ટી જીતથી કેમ દૂર રહી ગઈ છે. આ અંગે વાત કરતાં રાજકીય વિશ્લેષક જગદીશ આચાર્ય કહે છે કે કૉંગ્રેસ છેલ્લાં અનેક વર્ષોથી અસ્તિત્વનો જંગ લડી રહી છે.

    તેઓ કહે છે, “કૉંગ્રેસ પાસે સંગઠન નથી, મૅન્ડેટ નહોતા અપાયા, આક્રમક પ્રચાર નહોતો કર્યો. તે સારા મુદ્દાઓ પણ ઉપાડી શકી નહોતી.”

    "તેમને એમ હતું કે માત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાથી કે કોરોનામાં માસ્કના નામે દંડ લેવાથી લોકો નારાજ હશે અને મત આપશે. પરંતુ લોકો માત્ર આ વાતને ધ્યાને રાખીને મત નથી આપતા. તે ઘણી બધી બાબતો જોતા હોય છે."

    "કૉંગ્રેસના સંગઠનની નબળાઈ, બૂથ મૅનેજમૅન્ટ, ચૂંટણીના મૅનેજમૅન્ટનો અભાવ.ચૂંટણીમાં એવું લાગ્યું કે જાણે મોટા નેતાઓ દેખાયા જ નહીં. આવી રીતે ચૂંટણીમાં મત ન મળે."

    જગદીશ આચાર્ય વધુમાં કહે છે, “ભાજપને પહેલાંથી ખબર હતી કે અમે જીતીશું તો પણ ભાજપ સંપૂર્ણ ઍનર્જીથી આક્રમક વલણ સાથે ચૂંટણી લડ્યો. તેનું આ એક સબળું પાસુ છે.”

  10. બ્રેકિંગ, બપોરે 12.20 કલાક : તમામ મહાનગરપાલિકામાં ભાજપ આગળ

    વડોદરામાં શરૂઆતમાં કૉંગ્રેસ પાર્ટી આગળ રહી હતી, જોકે બાદમાં ભાજપે પુનરાગમન કર્યું હતું. અહીં જાહેર થયેલાં કુલ 20 પરિણામોમાંથી 13 ઉપર ભાજપ અને સાત ઉપર કૉંગ્રેસ આગળ છે.

    રાજકોટમાં જાહેર થયેલાં તમામ 12 પરિણામ ભાજપની તરફેણમાં આવ્યાં છે. જામનગર અને ભાવનગરમાં 11-11 બેઠક ઉપર ભાજપ અને 1-1 બેઠક ઉપર કૉંગ્રેસ આગળ છે.

    અમદાવાદમાં એક બિનહરીફ સહિત ભાજપને પાંચ બેઠક મળી છે, જ્યારે કૉંગ્રેસે હજુ સુધી ખાતું નથી ખોલાવ્યું. સુરતમાં ચાર બેઠક ઉપર ભાજપ આગળ છે, જ્યારે કૉંગ્રેસે હજુ ખાતું નથી ખોલાવ્યું.

  11. બ્રેકિંગ, બપોરે બાર વાગ્યાની સ્થિતિ પ્રમાણે

    મતગણતરી શરૂ થયાના ત્રણ કલાક બાદ બપોરે 12 વાગ્યાની સ્થિતિ ઉપર નજર કરીએ તો, વડોદરામાં રસાકસી જોવા મળી રહી છે. અહીં ભાજપને પાંચ જ્યારે કૉંગ્રેસને સાત બેઠક મળી છે.

    સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાજપતરફી વલણ જોવા મળી રહ્યું છે. જામનગરમાં સાત બેઠક ઉપર ભાજપ અને કૉંગ્રેસ એક બેઠક ઉપર આગળ છે. ભાવનગરમાં ભાજપને સાત અને કૉંગ્રેસને એક બેઠક મળી છે. જ્યારે અમદાવાદ અને સુરતમાં ભાજપ ચાર-ચાર બેઠક ઉપર આગળ છે.

  12. બ્રેકિંગ, અમદાવાદના ખોખરા વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા

    અમદાવાદના ખોખરા વૉર્ડમાં ભાજપની આખી પેનલ વિજેતા બની છે.

    ભાજપના મહિલા ઉમેદવાર જીગીશાબહેન સોલંકી, શિવાનીબહેન જનઇકર અનુક્રમે 19087 અને 18283 મત મેળવી વિજેતા બન્યાં હતાં.

    પુરુષ ઉમેદવારોમાં ચેતનભાઈ પરમાર 20028 મત મેળવી વિજેતા બન્યા હતા, જ્યારે કમલેશભાઈ પટેલ 21835 મતથી વિજેતા બન્યા હતા.

    અમદાવાદમાં ભાજપે અત્યાર સુધીમાં કુલ પાંચ બેઠકો જીતી છે નારણપુરાની એક બેઠક પર ચૂંટણી પહેલાં જ બિનહરીફ રહ્યો હતો.

  13. બ્રેકિંગ, અમદાવાદ : સાત રાઉન્ડ પછી ઔવેસીની પાર્ટીને મળ્યા સાત હજાર મત

    અમદાવાદ દરિયાપુર વૉર્ડમાં ઔવેસીની પાર્ટીના ઉમેદવારોને સાત રાઉન્ડ પૂર્ણ થયા પછી સાત હજારથી વધારે મત મળ્યા છે.

    દરિયાપુર વૉર્ડમાં કૉંગ્રેસની પેનલ હાલ આગળ ચાલી રહી છે. બીજા ક્રમે ભાજપની પૅનલ છે.

    ઔવેસીની પાર્ટીના ઉમેદવાર ફરહાન સૈયદને અત્યાર સુધી 7999 મત અને સમીર શેખને 7363 મત મળ્યા છે.

  14. બ્રેકિંગ, 6 મહાનગરપાલિકામાં ભાજપે 26 અને કૉંગ્રેસ 7 બેઠક જીતી

    પોણા અગિયાર વાગ્યા સુધીમાં છ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ કુલ 26 બેઠકો જીતી છે.

    જ્યારે કૉંગ્રેસે સાત બેઠકો પર જીત મેળવી છે.

    ભાજપે રાજકોટમાં આઠ, જામનગરમાં સાત, ભાવનગર સાત અને વડોદરામાં ત્રણ બેઠક પર જીત મેળવી છે.

    જ્યારે કૉંગ્રેસે જામનગર અને ભાવનગરમાં એક-એક બેઠક જીતી છે અને વડોદરામાં પાંચ બેઠકો જીતી છે.

  15. જામનગરમાં વૉર્ડ નંબર 13માં ત્રણ ભાજપ અને એક કૉંગ્રેસને

    જામનગરની ચાર બેઠક પર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં ત્રણ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.

    જ્યારે એક કૉંગ્રેસના ઉમેદવાર જીત્યા છે.

    જાનગરના વૉર્ડ નંબર 13ના ઉમેદવાર પ્રવીણાબેન જેરામભાઈ રુપડીયા ભાજપમાંથી 6127 મતે વિજેતા બન્યા છે. જ્યારે બીજા ક્રમે ભાજપનાં બબીતા મુકેશભાઈ લાલવાણીને 5455 મત મળ્યા છે.

    ભાજપના કેતનભાઈ નાખવા 8813 મતે વિજેતા બન્યા છે. જ્યારે કૉંગ્રેસ પાર્ટીના ધવલ નંદા 7036 મત મેળવીને વિજેતા બન્યા છે.

  16. બ્રેકિંગ, વડોદરામાં કૉંગ્રેસ પાંચ અને ભાજપ ત્રણ સીટ પર વિજેતા

    વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં પાંચ બેઠકો પર કૉંગ્રેસ પાર્ટી વિજેતા બની છે જ્યારે ત્રણ સીટ પર ભારતીય જનતા પાર્ટી વિજેતા બની છે.

    વડોદરના વૉર્ડ નંબર એક પર કૉંગ્રેસની આખી પેનલ જીતી છે. જ્યારે વોર્ડ નંબર 13માં એક ઉમેદવારે જીત મેળવી છે.

    ભાજપના ત્રણ ઉમેદવાર વૉર્ડ નંબર 13 પરથી જીત્યા છે.

    વોર્ડ નંબર 1 ના કૉંગ્રેસના ઉમેદવાર પુષ્પાબહેન વાઘેલાને 19416, અમી રાવતને 19059, જહાભાઈ દેસાઈને 18767 અને હરીશભાઈ પટેલને16116 મત મળતા તે વિજેતા બન્યા હતા.

  17. બ્રેકિંગ, જામનગરમાં ભાજપે ત્રણ અને કૉંગ્રેસે એક બેઠક જીતી

    જામનગરમાં કુલ 64 બેઠકોમાંથી ભાજપે ત્રણ બેઠકો જીતી લીધી છે, જ્યારે એક બેઠક પર કૉંગ્રેસે વિજય મેળવ્યો છે. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર જામનગરનાં પરિણામો ભાજપ માટે આશ્ચર્યકારક બની શકે છે.

  18. બ્રેકિંગ, ભાવનગરમાં ભાજપના ત્રણ અને કૉંગ્રેસના એક ઉમેદવાર વિજેતા

    ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે ભાવનગર જિલ્લાના ચિત્રા-ફૂલસર નારી વૉર્ડમાં ભાજપના ત્રણ અને કૉંગ્રેસના એક ઉમેદવાર વિજેતા બન્યા છે.

    વૉર્ડ નંબર એકમાં ભાજપના ઉમેદવાર કીર્તિબાળા દાણીધારિયા, હીરાબહેન કુકડિયા અને ઉપેન્દ્રસિંહ ચુડાસમા વિજેતા બન્યાં છે.

    જ્યારે કૉંગ્રેસના કાંતિભાઈ ગોહિલ વિજેતા બન્યા છે.

    કીર્તિબહેનને 8398 મત, હીરાબહેનને 6285 મત અને ઉપેન્દ્રસિંહને 8659 મત મળ્યા છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર કાંતિભાઈને 7517 મત મળ્યા છે.

  19. FB LIVE : અમદાવાદમાં કેવી સ્થિતિ છે?

    અમદાવાદમાં ગુજરાત કૉલેજ ખાતેથી બીબીસી સંવાદદાતાએ ફેસબુક લાઇવમાં વાત કરી હતી કે પહેલાં બે કલાકમાં ભાજપ 40થી વધારે બેઠક પર આગળ છે. કૉંગ્રેસ પાંચથી છ બેઠક પર આગળ છે.

    તેમણે કહ્યું હતું કે હાલ અહીં નીરસ માહોલ ચાલી રહ્યો છે. પોલીસ બંદોબસ્ત ચુસ્ત છે ઉમેદવારો અને તેમના એજન્ટ સિવાય કોઈને પણ અંદર આવાની પરમિશન અપાઈ નથી.

  20. બ્રેકિંગ, રૂપાણીના મતક્ષેત્રમાં ભાજપે ચાર બેઠકો જીતી

    રાજકોટ મહાનગરપાલિકાની કુલ 72 બેઠકોમાંથી ભાજપે ચાર બેઠકો જીતી લીધી છે. રાજ્યના ચૂંટણીપંચની વેબસાઇટ પર સંબંધિત માહિતી આપવામાં આવી છે. રાજકોટ મુખ્ય મંત્રી વિજય રૂપાણીના મતક્ષેત્રનો વિસ્તાર છે. રવિવારે કોરોનામુક્ત થયા બાદ મુખ્ય મંત્રી વિજય રૂપાણી રાજકોટમાં મતદાન કરવા માટે પહોંચ્યા હતા. નોંધનીય છે કે રાજકોટ વર્ષોથી ભાજપનો ગઢ રહ્યું છે.