બ્રેકિંગ, બાબરી મસ્જિદના ચુકાદાને પાકિસ્તાને શરમજનક ગણાવ્યો
પાકિસ્તાને બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે આવેલા ચુકાદાની નિંદા કરતાં આરોપીઓને છોડી મુકવાને શરમજનક ગણાવ્યું.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને લખ્યું, "જો દુનિયાના તથાકથિત સૌથી મોટા લોકતંત્રમાં ન્યાયનો થોડો પણ અનુભવ થતો હોત તો એ લોકો જેમણે જાહેરમાં એક ગુનાહિત કૃત્યની ડિંગ મારી હતી એ મુક્ત કરાયા ન હોત." નિવેદનમાં આ ચુકાદાને ભાજપ-આરએસએસ શાસનમાં એક નબળા ન્યાયતંત્રનું વધુ એક ઉદાહરણ ગણાવાયો છે, જ્યાં અતિવાદી હિંદુત્વ વિચારધારા ન્યાય અને આંતરરાષ્ટ્રીય માપદંડોના તમામ સિદ્ધાંતો પર ભારે પડે છે. પાકિસ્તાની વિદેશમંત્રાલયે લખ્યું છે, "ભારતની સુપ્રીમ કોર્ટે ગત વર્ષે બાબરી મસ્જિદ સંકુલને એ જ લોકોને રામમંદિર બનાવવા માટે સોંપી દેવાનો નિર્ણય કરીને ખોટો રસ્તો દેખાડ્યો હતો, જેણે ઐતિહાસિક મસ્જિદને તોડી પાડી હતી. આજનો ચુકાદો એ ચુકાદા વિરુદ્ધ છે, જેમાં એ વાત નોંધવામાં આવી હતી કે વિધ્વંસ ન્યાયના શાસનનું પ્રબળ ઉલ્લંઘન હતું."
તેણે લખ્યું છે કે અયોધ્યાના નિર્ણયથી ઉત્સાહિત થઈને, હિંદુ કટ્ટરપંથી હવે સરકારમાં બેઠેલા આરએસએસ સમર્થકોના પીઠબળે મથુરામાં કૃષ્ણમંદિરની નજીક સ્થિત શાહી ઇદગાહ મસ્જિદને પણ હઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેણે ભારત સરકારને આગ્રહ કર્યો છે કે તે લઘુમતીઓ અને ખાસ કરીને મુસલમાનો અને તેમના ધર્મસ્થળો તેમજ ઇસ્લામિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરે. તેણે સાથે જ આંતરરાષ્ટ્રીય સમુદાય, સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને સમક્ષ પણ અપેક્ષા જાહેર કરી કે ભારતમાં ઇસ્લામિક વારસાના રક્ષણ માટે તેઓ પોતાની ભૂમિકા ભજવે.

ઇમેજ સ્રોત, Deepak Gupta/Hindustan Times via Getty Images




