You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

ગુજરાતમાં 650 પૉઝિટિવ કેસ, અમદાવાદના વિસ્તારોમાં કર્ફ્યૂ

ગુજરાત સહિત દેશ-વિદેશની કોરોના વાઇરસ સંબંધિત માહિતી અને અપડેટ્સ અહીં વાચો.

લાઇવ કવરેજ

  1. એ ભારતીય ડૉક્ટર જેણે રસી શોધવા પોતાને ચેપ લગાડ્યો અને પોતાના પર પ્રયોગો કર્યા

  2. ઘરે જવાની માગ સાથે સુરતમાં ફરી મજૂરો રસ્તા પર ઊતર્યા

  3. ગુજરાતમાં હાઈ-પ્રોફાઇલ કોરોના દર્દી બનનાર ઇમરાન ખેડાવાલા કોણ છે?

  4. કોરોના સારાંશ

    • દુનિયાભરમાં 1 લાખ 20 હજાર લોકોનાં મૃત્યુ, સંક્રમિતોની સંખ્યા 20 લાખની નજીક પહોંચી
    • ભારતમાં કોરોનાને કારણે કુલ 353 લોકોનાં મૃત્યુ અને સંક્રમિતોની સંખ્યા 10,815 થઈ
    • ગુજરાતમાં કોરોના વાઇરસ સંક્રમણના કુલ 650 કેસ નોંધાયા, 28નાં મૃત્યુ
    • અમદાવાદમાં કૉંગ્રેસના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ
    • અમેરિકામાં સૌથી વધુ 22 હજારથી વધુ લોકોનાં કોરોનાને કારણે મૃત્યુ
    • ઇટાલીમાં કોરોનાને કારણે મૃતકોની સંખ્યા વધીને 21,067 થઈ
  5. કોરોના વાઇરસ : દુનિયાભરમાં 1 લાખ 20 હજાર લોકોનાં મૃત્યુ

    કોરોના વાઇસરને કારણે અત્યાર સુધીમાં દુનિયાભરમાં એક લાખ 20 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.

    તેમજ વૈશ્વિકસ્તરે કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા પણ વધીને 20 લાખની નજીક પહોંચી ગઈ છે.

    હાલમાં દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 19 લાખ 30 હજાર 780 પર પહોંચી છે.

    જોકે કહેવાય છે કે બિનસત્તાવાર રીતે આ સંખ્યા ઘણી વધુ હશે.

    ઇટાલીમાં મંગળવારે કોરોનાને કારણે 602 લોકોનાં મૃત્યુ થયાં છે.

    સોમવાર કરતાં મંગળવારે વધુ 36 લોકોનાં મૃત્યુ થયાં છે.

    આ સાથે જ ઇટાલીમાં કોરોનાને કારણે મૃતકોની સંખ્યા વધીને 21,067 થઈ ગઈ છે.

    ઇટાલીમાં અત્યાર સુધીમાં કુલ 162,488 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.

  6. બ્રેકિંગ, કૉંગ્રેસના ધારાસભ્યને કોરોના પૉઝિટિવ

    અમદાવાદમાં કૉંગ્રેસના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાના સમાચાર મળ્યા છે.

    જમાલપુર-ખાડિયાના કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાડાનો કોરોના પોઝિટિવ આવ્યો છે.

    કૉંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બીબીસી સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી છે.

    તેઓએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કહ્યું, "ઇમરાન ખેડાવાલાને બે દિવસથી તાવ હતો. એમણે બે દિવસ પહેલાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો, જે આજે પૉઝિટિવ આવ્યો છે."

    તો અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પણ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

  7. કોરોના વાઇરસ : ગુજરાતમાં વધુ 33 કેસ અને 2નાં મૃત્યુ

    ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજે તારીખ 14 એપ્રિલ સવારે 10 વાગ્યા પછીના કોરોના વાઇરસના કેસની વિગત રજૂ કરાઈ હતી.

    જે અનુસાર, ગુજરાતમાં વધુ 33 નવા કેસ નોંધાયા છે અને 2 લોકોનાં મૃત્યુ થયાં છે. તેમજ 4 દર્દીને રજા અપાઈ છે.

    ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસને કારણે કુલ 28 દર્દીઓનાં મૃત્યુ થયાં છે.

    અમદાવાદમાં સૌથી વધુ 22, વડોદરામાં 6, ભાવનગરમાં 2, છોટાઉદેપુરમાં 2 અને આણંદ જિલ્લામાં એક કેસ નોંધાયો છે.

    આ સાથે જ ગુજરાતમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 650 પર પહોંચી છે.

    આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, 8 દર્દી વૅન્ટિલેટર પર, 555 સ્થિર છે અને અત્યાર સુધીમાં 59 દર્દી સાજા થતાં રજા આપી દેવાઈ છે.

    ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1733 ટેસ્ટ કરાયા છે, જેમાં 78 પૉઝિટિવ અને 1655ના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે.

    ગુજરાતાં અત્યાર સુધીમાં કુલ 15,984 ટેસ્ટ કરાયા છે.

  8. એ વિસ્તાર જ્યાં કોરોના પહોંચે તો હજારો મૃત્યુનો ડર છે

  9. બ્રેકિંગ, સુરત : લૉકડાઉન વધારાતાં કામદારો રસ્તા પર

    ગુજરાતમાં લૉકડાઉનની સ્થિતિમાં કારીગર વર્ગને વેઠવાનો વારો આવ્યો હોવાની ઘટના સામે આવી છે.

    સુરતના વરાછા અને અશ્વિનીકુમાર રોડ પર આવેલી પટેલનગરની પહેલી કાંટાવાળી ગલીમાં 500થી 700 કારીગરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

    આ તમામ કરીગરો યુપી, બિહાર અને રાજસ્થાનના છે. તેઓ ઍબ્રોઇડરી, સંચા અને હીરા ઘસવાના કામ સાથે સંકળાયેલા છે.

    તેમના જણાવ્યા અનુસાર તેઓને શરૂઆતના ચાર દિવસ ભોજન મળ્યું હતું, પગાર પણ થયો નથી. તેઓ છેલ્લા પાંચ દિવસથી માત્ર પાણી પીને જીવી રહ્યા છે.

  10. બ્રિટનમાં મૃતકોની સંખ્યા 12 હજારને પાર

    કોરોના વાઇરસને કારણે છેલ્લા 24 કલાકમાં બ્રિટનમાં 778 લોકોનાં મૃત્યુ થયાં છે.

    આ સાથે જ કોરોના મહામારીને કારણે બ્રિટનમાં મૃતકોની સંખ્યા 12 હજારથી વધુ થઈ ગઈ છે.

    બ્રિટનમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસથી 93,873 લોકો સંક્રમિત થયા છે.

  11. અમદાવાદના કોટ વિસ્તાર અને દાણીલીમડામાં કર્ફ્યૂ નખાશે

    ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે "અમદાવાદમાં 315થી વધુ કેસ પૉઝિટિવ નોંધાયા છે. અમદાવાદમાં પણ કોટ વિસ્તાર અને દાણીલીમડામાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે. આથી સરકારે નિર્ણય કર્યો છે કે આવનારા છ-સાત દિવસમાં જ કોરોનાને ત્યાં જ ડામી દેવામાં આવે અને હેલ્થના લોકો સારી રીતે કામ કરી શકે એ માટે અમદાવાદના કોટ વિસ્તાર અને દાણીલીમડા વિસ્તારમાં આવતી કાલે (15 એપ્રિલ) સવારે 6 વાગ્યાથી 21 એપ્રિલ સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ નાખવાનો નિર્ણય લેવાયો છે."

    "સાથે જ લોકોને તકલીફ ન પડે એ માટે બપોરે એકથી ચાર વાગ્યા સુધી- એમ ત્રણ કલાક રોજ સુધી જરૂરી વસ્તુઓ માટે છૂટ આપવામાં આવશે."

    જોકે તેમણે એમ પણ કહ્યું કે માત્ર મહિલાઓ જ ઘરની બહાર નીકળી શકશે. પુરુષો નહીં.

    મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વીડિયોના માધ્યમથી આ માહિતી આપી હતી.

    તેમની સાથે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.

  12. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ

    ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના કુલ કેસ 10,815 થઈ ગયા છે.

    ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસને કારણે 353 લોકોનાં મૃત્યુ થયાં છે.

    છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોના વાઇરસથી સંક્રમણના 1463 નવા કેસ સામે આવ્યા છે.

    ભારતમાં કોઈ એક દિવસમાં આવેલા આંકડામાં આ અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે.

    ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર દેશભરમાં કુલ 1190 લોકો સારવાર બાદ સાજા થયા છે.

  13. મુંબઈ : વતન પાછા ફરવાની માગ સાથે ટોળું એકઠું થયું

    મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર મંગળવારે હજારો લોકો જમા થઈ ગયા હતા.

    કહેવાય છે કે લૉકડાઉનને કારણે બંધ પડેલી ટ્રેનો શરૂ થવાની છે એવી આશાએ તેઓ અહીં આવ્યા હતા.

    સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, બાંદ્રા સ્ટેશન પર જમા થયેલા લોકોમાં મોટા ભાગે પ્રવાસી મજૂરો છે અને તેઓ પોતાના વતન જવાની પરવાનગી માગી રહ્યા હતા.

    જોકે સમાચાર મળતાં પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને લોકોને ત્યાંથી ખસેડ્યા હતા.

    ભીડને ખસેડવા માટે પોલીસને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

  14. કચ્છમાં કોરોના વાઇરસ પશુઓ માટે પણ કેમ જીવલેણ?

    સમગ્ર વિશ્વને રંજાડી રહેલો કોરોના વાઇરસ, કચ્છનાં અંતરિયાળ ગામડાંમાં રહેતા માલધારીઓ માટે જીવન-મરણનો પ્રશ્ન બની ગયો છે.

    ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર જિલ્લો કચ્છ કુદરતની અદ્વિતિય નવાજિશો ધરાવે છ પણ આ વિસ્તારને કુદરતનો માર પણ એટલો જ વેઠવો પડે છે.

    ઓછા વરસાદની સમસ્યા બાદ કચ્છ સામે કોરોના સ્વરૂપે વધુ એક પડકાર ખડો થઈ ગયો છે.

    પરંતુ કચ્છમાં કોરોનાની મહામારી માત્ર માણસો જ નહીં, પરંતુ પશુઓ માટે પણ જીવલેણ બનતી જઈ રહી છે.

  15. બ્રેકિંગ, કોરોના વાઇરસ : ભારતની અપડેટ

    ભારતમાં કોરોના વાઇસનો ચેપ કુલ 10,363 લોકોને લાગ્યો છે અને અત્યાર સુધી કુલ 339 લોકોનાં મૃત્યુ થયાં છે.

    આરોગ્ય અને કુટુંબકલ્યાણ મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પત્રકારપરિષદમાં જણાવ્યું, “ગત 24 કલાકમાં દેશભરમાં 1211 નવા મામલા સામે આવ્યા. આ દરમિયાન 31 લોકોનાં મૃત્યુ થયાં. જોકે, સારી વાત એ રહી કે 179 લોકો સાજા પણ થઈ ગયા. ભારતમાં અત્યાર સુધી 1036 લોકો સાજા થઈ ચૂક્યા છે.” ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્સ અનુસાર ભારતમાં અત્યાર સુધી 2,31,902 પરીક્ષણ કરાયાં છે. પત્રકારપરિષદમાં એવી પણ માહિતી અપાઈ કે દેશમાં રૅશનનો પુરવઠો મળી રહે એ માટે 24 કલાક નજર રખાઈ રહી છે. આ ઉપરાંત ગરીબોને ત્રણ મહિના સુધી પાંચ કિલો મફત રૅશન આપવાની વ્યવસ્થા પણ કરાઈ હોવી જાણકારી અપાઈ.

  16. લૉકડાઉન લંબાવવા અંગે WHOની પ્રતિક્રિયા

    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં સાઉથ-ઇસ્ટ એશિયાનાં રિજનલ ડિરેક્ટર ડૉ. પૂનમ ખેત્રપાલે ત્રણ મે સુધી લૉકડાઉનને લંબાવવાના ભારતે લીધેલા નિર્ણયનાં વખાણ કર્યાં છે.

    પૂનમ ખેત્રપાલના મતે છ સપ્તાહના લૉકડાઉનથી ફિઝિકલ ડિસ્ટન્સિંગને સફળતાપૂર્વક લાગુ કરવાનું શક્ય બનશે. આટલા લાંબા સમય સુધીમાં કોવિડ-19નો ભોગ બનેલી વ્યક્તિની ઓળખ, આઇસોલેશન અને તેના સંપર્કમાં આવેલા લોકો સુધી પહોંચવું શક્ય બનશે. આનાથી ચેપને ફેલાતો રોકવામાં મદદ મળશે.

  17. ગુજરાતમાં લૉકડાઉનના અમલ માટે સૈન્ય તહેનાત કરવાના અહેવાલો ભારતીયી સૈન્યે ફગાવ્યા

    ગુજરાતમાં લૉકડાઉનના અમલ માટે સૈન્ય ઉતારવાના અહેવાલોને ભારતીય સૈન્યે ફગાવી દીધા છે.

    સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર સૈન્યે જણાવ્યું છે, "પ્રિન્ટ મીડિયાના ચોક્કસ સેક્શનમાં એવા ખોટા અને બનાવટી અહેવાલો છપાયા હતા કે ગુજરાતમાં લૉકડાઉનના અમલ માટે સૈન્ય ઉતારવામાં આવી રહ્યું છે. જે ખોટા સમાચાર છે."

  18. કોરોના વાઇરસ સામે અમેરિકા ક્યાં પાછું પડ્યું?

    કોરોના વાઇરસનો સૌથી વધુ ચેપ અમેરિકામાં ફેલાયો છે. અહીં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા પાંચ લાખ કરતાં વધી ગઈ છે અને મૃતકાંક 20 હજાર કરતાં વધી ગયો છે. વિશ્વની મહાસત્તા ગણાતાં અમેરિકાની આખરે આવી હાલત કેમ થઈ?

  19. શાહરુખ ખાન આપશે 25,000 પીપીઈ કિટ

    ફિલ્મ અભિનેતા શાહરુખ ખાને કહ્યું છે કે તેઓ મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસથી લડવા માટ સ્વાસ્થ્યકર્મીઓને 25,000 પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમૅન્ટ દાન કરશે.

    54 વર્ષના સુપરસ્ટાર ખાને ગત મહિને પણ કોરોના વાઇરસના કારણે સર્જાયેલા સંકટને પહોંચી વળવા માટે કેટલીય જાહેરાતો કરી હતી.

    તેમણે ગરીબોને ભોજન પૂરું પાડવાથી માંડીને પોતાની ચાર માળની ઑફિસ કોરોના વાઇરસના દર્દીઓ માટ ખોલી દીધી હતી.

  20. દેશ સાત વાતો પર રોડમૅપ ઇચ્છે છે : કૉંગ્રેસ

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પર કૉંગ્રેસે કહ્યું કે દેશ સાત વાત પર રોડમૅપ ઇચ્છે છે.

    મોદીએ મંગળવાર સવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં ત્રણ મે સુધી લૉકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન મોદીએ કહ્યું કે તેઓ સાત વાતો પર દેશવાસીઓનો સાથ ઇચ્છે છે. જેના જવાબમાં કૉંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સુજેવાલાએ કહ્યું છે કે દેશ સાત વાતો પર સરકાર પાસેથી રોડમૅપ ઇચ્છે છે. સુરજેવાલાએ કહ્યું, “મોદીજી વાતો તો ઘણી થઈ પણ કોરોના વાઇરસસામે લડવા માટેનો રોડમૅપ શો છે?”