મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ: બંને ગઠબંધન વચ્ચે ખરાખરીનો જંગ
મહારાષ્ટ્રમાં મુખ્ય મુકાબલો મહાવિકાસ અઘાડી અને મહાયુતિ ગઠબંધન વચ્ચે છે.
મહાવિકાસ અઘાડીમાં કૉંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે) અને એનસીપી(શરદચંદ્ર પવાર) જેવા પક્ષો સામેલ છે. જ્યારે સત્તાધારી મહાયુતિ ગઠબંધનમાં ભાજપ, શિવસેના(શિંદે) અને એનસીપી(અજિત પવાર) સામેલ છે.
રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ અનેક બેઠકો પર ચૂંટણી લડી રહી છે. એ સિવાય વંચિત બહુજન અઘાડી અને અન્ય પક્ષોનું એક ત્રીજું ગઠબંધન પણ મેદાનમાં છે. આ સાથે જ અનેક બેઠકો પર અપક્ષો અને બળવાખોરો મેદાનમાં હોવાથી મહારાષ્ટ્રનો ચૂંટણીનો જંગ અતિશય રોચક બન્યો છે.
મહાયુતિ ગઠબંધનમાં કોણ કેટલી બેઠકો પર લડ્યું?
- ભાજપ: 149 બેઠકો
- શિવસેના(શિંદે): 81 બેઠકો
- એનસીપી(અજિત પવાર): 59 બેઠકો
મહાવિકાસ અઘાડીમાં કોણ કેટલી બેઠકો પર લડ્યું?
- કૉંગ્રેસ: 101 બેઠકો
- શિવસેના (ઉદ્ધવ ઠાકરે): 95 બેઠકો
- એનસીપી(શરદચંદ્ર પવાર): 86 બેઠકો
એ સિવાય રાજ ઠાકરેનો પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના 95 બેઠકો, વંચિત બહુજન અઘાડી 200 બેઠકો અને એઆઈએમઆઈએમ 17 બેઠકો પર ચૂંટણી લડી.
2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કુલ 105 બેઠકો પર જીત મેળવી હતી અને શિવસેનાએ 56 બેઠકો પર જીત મેળવી હતી. બંને પક્ષોએ સાથે મળીને આ ચૂંટણી લડી હતી.
એનસીપીએ 54 બેઠકો અને કૉંગ્રેસે 44 બેઠકો પર જીત મેળવી હતી. જોકે, હવે શિવસેના અને એનસીપીના પણ બે ભાગ થઈ ચૂક્યા છે.