પાકિસ્તાન: 'લાહોરમાં નથી પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ કે નથી ATMમાં કૅશ'

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

પાકિસ્તાનના પૂર્વ ઑલરાઉન્ડર મોહમ્મદ હાફિઝે સોશિયલ મીડિયામાં ફરિયાદ કરી છે કે લાહોરમાં કોઈ પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ? નથી કોઈ ATMમાં કૅશ? નથી સામાન્ય માણસે રાજકીય નિર્ણયોથી શા માટે વેઠવાનું.

આ કૉમેન્ટ એમણે પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન સહિતના નેતાઓને ટાંકીને કરી છે અને તે પાકિસ્તાનમાં સર્જાયેલા રાજકીય તણાવની ઝલક માત્ર છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની આઝાદી કૂચને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને સતત તણાવ વધી રહ્યો છે.

ઇમરાન ખાને લૉંગ માર્ચનું એલાન કર્યું એ પછી ઇસ્લામાબાદ જનારા તમામ માર્ગો પર બેરિકેડિંગ કરી દેવામાં આવી છે તો અનેક સ્થળોઓ મોટાં શિપિંગ કન્ટેનરો ખડકી દેવામાં આવ્યા છે. જોકે આ છતાં પ્રદર્શનકારીઓ એને વટાવીને આગળ વધી રહ્યાં છે.

પાકિસ્તાનના પંજાબમાં પોલીસે અનેક પીટીઆઈ કાર્યકરોની અટકાયત કરી છે તો ટિયરગૅસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, એ પછી સાંજે છએક વાગે પીટીઆઈ ચીફ ઇમરાન ખાન સહિત નેતાઓનો કાફલો અતોકના માર્ગે પંજાબ સુધી પ્રવેશી ગયો છે. ઇમરાન ખાને આ અંગે ટ્વીટ કરી હતી.

ઇમરાન ખાને લખ્યું કે અમે પંજાબમાં પ્રવેશી ગયા છીએ અને ઇન્શાઅલ્લાહ ઇસ્લામાબાદ તરફ જઈ રહ્યાં છીએ. રાજયની કોઈ તાકાત અને તાનાશાહી અને આ આયાતી સરકાર અમને નહીં અટકાવી શકે.

ઇમરાન ખાને ખરી આઝાદીની જાહેરાત કરીને માર્ચનું એલાન કર્યું હતું અને સરકારે માર્ચની પરવાનગી આપવા ઇનકાર કર્યો હતો.

ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ સમર્થકોને ઇસ્લામાબાદના ડી-ચોકમાં પહોંચવાની હાકલ કરી છે.

ઇમરાન ખાનની પાર્ટીની માગણી છે કે સંસદ ભંગ કરીને ચૂંટણી યોજવામાં આવે.

સુપ્રીમ કોર્ટે માર્ચની પરવાનગી આપી

માર્ચ યોજવાને લઈને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ અને સુપ્રીમ કોર્ટે માર્ચ યોજવાની તથા ઇસ્લામાબાદમાં એચ-9 વિસ્તારમાં વિરોધપ્રદર્શનની પરવાનગી આપી છે તેમજ સરકારને બળપ્રયોગ ન કરવા, નેતાઓને ત્યાં રેડ કરી પરેશાન ન કરવા તથા પબ્લિક ઑર્ડરના કાયદા હેઠળ જે વકીલોની ધરપકડ કરી લેવાઈ છે તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત મહિને અવિશ્વાસમત બાદ ઇમરાન ખાને સત્તા ગુમાવી દીધી હતી. ઇમરાન ખાને શનિવારે સમર્થકોને ઇસ્લામાબાદ પહોંચવા અને વર્તમાન સંસદનો ભંગ ન થાય અને નવી સરકાર ન બને ત્યાં સુધી ત્યાં જ રહેવા હાકલ કરી છે.

હાલમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ છે અને પાકિસ્તાન મુસ્લિમ લીગની સંયુક્ત સરકાર છે.

શાહબાઝ શરીફે ચૂંટણી નિયત સમયે જ થશે અને સરકાર તેની ટર્મ પૂરી કરશે એમ કહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો