You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
IND vs ENG : પૂજારા અને કોહલીએ આશા જગાવી છતાં ઇંગ્લૅન્ડ સામે ભારત કઈ રીતે હાર્યું?
ઇંગ્લૅન્ડના લીડ્સમાં ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે યજમાન એવી ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમે ભારતીય ટીમને 76 રન અને ઇનિંગથી હરાવી દીધી છે. આ સાથે જ સિરીઝમાં બંને ટીમો 1-1ની બરોબરી પર આવી ગઈ છે.
નોંધનીય છે કે આ અગાઉ લૉર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મૅચમાં ભારતીય ખેલાડીઓએ અભૂતપૂર્વ પ્રદર્શન કરીને ઇંગ્લૅન્ડ સામે શાનદાર જીત મેળવી હતી.
ઇંગ્લૅન્ડની જીતમાં તેના ફાસ્ટ બૉલર ઑલી રૉબિંસનનો સિંહફાળો રહ્યો. તેમણે પાંચ વિકેટ લીધી.
નોંધનીય છે કે મૅચના પ્રથમ દિવસે ભારતીય ક્રિકેટ ટીમ માત્ર 78 રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી.
જે બાદ ઇંગ્લૅન્ડની ટીમે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરી 432 રનનો સ્કોર કર્યો હતો.
જેના જવાબમાં ભારતની ટીમ 278 રન બનાવીને ઑલઆઉટ થઈ જતાં ઇંગ્લૅન્ડની ટીમનો શાનદાર વિજય થયો હતો.
નોંધનીય છે કે હજુ પાંચ ટેસ્ટ મૅચોની સીરિઝની બે મૅચો બાકી છે. જે સિરીઝ પર કોનો કબજો થશે તેની સ્પષ્ટતા કરશે.
કોહલી અને પૂજારા જગાવી આશા પરંતુ...
મૅચનો ત્રીજો દિવસ સમાપ્ત થતાં થતાં ચેતેશ્વર પૂજારા અને વિરાટ કોહલીએ એકસાથે રોમાંચક પ્રદર્શન કર્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૅચના ત્રીજા દિવસે વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજાર અનુક્રમે 45 અને 91 રનના સ્કોર પર રમી રહ્યા હતા.
તે સમયે ભારતનો સ્કોર બે વિકેટે 215 રન હતો. ભારતીય ક્રિકેટ ફેન્સને તો આશા હતી કે ભારત ચોથા દિવસે ઇંગ્લૅન્ડની ટીમની સરસાઈ વટાવી તેમને એક સન્માનજનક લક્ષ્ય આપશે. પરંતુ એવું ન બન્યું.
ચોથા દિવસની ચોથી ઓવરમાં પૂજારા રૉબિંસનના બૉલ પર LBW આઉટ થયા. આ સાથે જ એક સમયે મજબૂત જણાતી ભારતીય ઇનિંગ પત્તાંના મહેલની જેમ ખડી પડી.
પૂજારાની વિકેટ બાદ માત્ર 63 રનમાં જ ભારતની અન્ય વિકેટો પડી ગઈ.
જોકે, વિરાટ કોહલી પોતાની ટેસ્ટ કારકિર્દીની 26મી અર્ધસદી ફટકારવામાં સફળ જરૂર રહ્યા પરંતુ તેઓ પણ ઝાઝો સમય ક્રિઝ પર ટકી શક્યા નહીં. તેમને પણ રૉબિંસને જ 55 રનના અંગત સ્કોરે આઉટ કર્યા.
આ સિવાય રોહિત શર્માએ પણ 59 રન કર્યા હતા.
પરંતુ બાકીના તમામ ખેલાડીઓનું પ્રદર્શન આશા મુજબનું ન રહ્યું. અને જલદી જ ભારતીય ટીમે હારનું મોઢું જોવું પડ્યું.
ઑલી રૉબિંસને પ્રથમ ઇનિંગમાં બે અને બીજી ઇનિંગમાં ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, વિરાટ કોહલી અને ઋષભ પંત સહિતની અગત્યની વિકેટો લીધી અને મૅચમાં ઇંગ્લૅન્ડની જીત પાકી કરી દીધી હતી.
ઑલી રૉબિંસનને આ પ્રદર્શનને પગલે પ્લેયર ઑફ મૅચનો ખિતાબ પણ આપવામાં આવ્યો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો