TOP NEWS: સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતેથી 5000 આદિવાસીઓનું સ્થળાંતર થશે

ઇમેજ સ્રોત, TWIITER/@VIJAYRUPANIBJP
'ડેક્કન હેરાલ્ડ'નો અહેવાલ જણાવે છે કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારમાંથી 5000 આદિવાસીઓનું સ્થળાંતર થશે.
પ્રવાસન વિકસાવવાના ભાગરૂપે હોટલ તેમજ અન્ય સુવિધાઓ માટે નવાગામ, કેવડિયા, વાધડિયા, લીંબડી, કોઠી અને ગોરા ગામના આદિવાસીઓનું સ્થળાંતર કરવામાં આવશે તેમ અહેવાલ જણાવે છે.
આ અંગે તાજતરમાં ગુજરાત હાઈ કોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હોવાની માહિતી પણ અખબાર આપે છે.
જાહેરહિતની અરજીમાં સરકાર હોટલ, ટાઇગર સફારી, 33 રાજ્યોનાં ભવનો વગેરે માટે આદિવાસીઓને વિસ્થાપિત કરી રહી હોવા અંગે દાદ માગવામાં આવી છે.

ભારત સાથે હવે વાતચીતનો કોઈ અર્થ નથી : ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને બુધવારે કહ્યું કે કાશ્મીર મામલે ભારત સાથે વાતચીતનો હવે કંઈ અર્થ નથી નીકળતો.
ઇમરાન ખાને કાશ્મીર પર બન્ને અણુસત્તા વચ્ચે સૈન્યસંઘર્ષનું જોખમ પણ વ્યક્ત કર્યું છે.
ન્યૂયૉર્ક ટાઇમ્સ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાને કહ્યું કે તેમણે નરેન્દ્ર મોદી સાથે વાતચીત માટે ઘણી વખત પ્રયાસ કર્યો પણ દર વખતે તેમણે ઇન્કાર કરી દીધો.
ખાને પોતાના ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું, "હવે વાત કરવાનો કોઈ અર્થ નથી. મેં વાતચીતના ઘણા પ્રયાસ કર્યા.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇમરાન ખાન ભારત પ્રશાસિત કાશ્મીરની સ્વાયત્તતા ખતમ કરવા અંગે ભારતની સરકાર પર સતત નિશાન તાકી રહ્યા છે.
પાકિસ્તાન આ મામલો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયું છે અને ભારતની અંદર વિપક્ષ પણ આ મામલે મોદી સરકારની ટીકા કરી રહ્યો છે.

ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લાહ ખામનેઈની કાશ્મીર પર ચિંતા

ઇમેજ સ્રોત, Getty Images
ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લાહ ખામનેઈએ બુધવારે ભારત પ્રશાસિત કાશ્મીરમાં મુસ્લિમોને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
ઈરાન તરફથી આ પ્રતિક્રિયા જમ્મુ-કાશ્મીરની સ્વાયત્તતા ખતમ કરવાના બે સપ્તાહ બાદ આવી છે.
ભૂતકાળમાં પણ ખામનેઈ કાશ્મીર મામલે ઈરાની સરકારની સરખામણીએ વધુ વાચાળ રહ્યા છે. જોકે, ખામનેઈએ કાશ્મીર પર ટ્વીટ કરીને ચિંતા વ્યક્ત કરી હોય એવું પ્રથમ વખત બન્યું છે.
ખામનેઈએ ટ્વીટ કરીને કહ્યું, "કાશ્મીરમાં મુસલમાનોની સ્થિતિને લઈને અમે ચિંતિત છીએ. ભારત સાથે અમારા સારા સંબંધો છે પણ અમે ભારત સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ કે તેઓ કાશ્મીરીઓના હકમાં નીતિ ઘડે અને આ વિસ્તારમાં મુસલમાનો પર થતા જુલમને અટકાવે."
ખામનેઈએ કાશ્મીરના વિવાદને લઈને બ્રિટનને પણ જવાબદાર ઠેરવ્યું છે.
તેમણે કહ્યું કે 1947માં બ્રિટિશ સંસ્થાન તરીકે ભારત મુક્ત થયું ત્યારે બ્રિટન જાણીજોઈને એક ઘા છોડીને ગયું હતું.

અર્થતંત્ર મામલે નીતિ આયોગના ઉપાધ્યક્ષે ચિંતા વ્યક્ત કરી

ઇમેજ સ્રોત, Getty Images
નાણાકીય ક્ષેત્ર પ્રવર્તી રહેલી 'ખરાબ સ્થિત' અને અર્થતંત્રમાં ધીમા પડેલા ખાનગી રોકાણને લઈને નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે જણાવ્યું છે કે 'અભૂતપૂર્વ સમસ્યા'નો સામનો કરી રહેલી સરકારને તેને પહોંચી વળવા માટે 'અસામાન્ય પગલાં' લેવાંની જરૂર છે.
'ઇન્ડિયન એક્સપ્રેસ'માં છપાયેલા અહેવાલ અનુસાર 'હીરો મિડમાઇન સમિટ'માં બોલતા રાજીવ કુમારે કહ્યું, "ભારત સરકાર સામે આ એક અભૂતપૂર્વ સમસ્યા છે. છેલ્લાં 70 વર્ષમાં આપણે નાણાકીય પ્રવાહીપણામાં રોકડની આટલી ખરાબ સ્થિતિનો સામનો નથી કર્યો. સમગ્ર નાણાક્ષેત્ર વલોવાઈ રહ્યું છે અને કોઈ કોઈના પર વિશ્વાસ નથી કરી રહ્યું. તમારે અસામાન્ય પગલાં ભરવાં પડશે."

સ્ટૅચ્યૂ ઑફ યૂનિટી ખાતેથી 5000 આદિવાસીઓનું સ્થળાંતર થશે

ઇમેજ સ્રોત, STATUEOFUNITY.IN
'ડેક્કન હેરાલ્ડ'નો અહેવાલ જણાવે છે કે સ્ટૅચ્યૂ ઑફ યૂનિટી વિસ્તારમાંથી 5000 આદિવાસીઓનું સ્થળાંતર થશે.
પ્રવાસન વિકસાવવાના ભાગરૂપે હોટલ તેમજ અન્ય સુવિધાઓ માટે નવાગામ, કેવડિયા, વાધડિયા, લીંબડી, કોઠી અને ગોરા ગામના આદિવાસીઓનું સ્થળાંતર કરવામાં આવશે તેમ અહેવાલ જણાવે છે.
આ અંગે તાજતરમાં ગુજરાત હાઈ કોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હોવાની માહિતી પણ અખબાર આપે છે.
જાહેરહિતની અરજીમાં સરકાર હોટલ, ટાઇગર સફારી, 33 રાજ્યોના ભવનો વગેરે માટે આદિવાસીઓને વિસ્થાપિત કરી રહી હોવા અંગે દાદ માગવામાં આવી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















