ભારતે કોરોનાની રસીના 100 કરોડ ડોઝ લગાવ્યા પણ પૂર્ણ રસીકરણ કેટલાનું થયું?

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

"ભારતનાં વિજ્ઞાન, ઍન્ટરપ્રાઇઝ અને 130 કરોડ દેશવાસીઓના સંયુક્ત પ્રયાસ થકી આપણે ઇતિહાસ રચી રહ્યા છીએ."

"ભારતે દેશમાં 100 કરોડ ડોઝનું વૅક્સિનેશન કરી લીધું તે બદલ અભિનંદન. આપણાં તબીબો, નર્સસમૂહ અને તમામ લોકો જેમણે આમાં યોગદાન આપ્યું છે તેમનો આભાર. વૅક્સિનની સૅન્ચૂરી"

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટ્વિટર પર આ ઘોષણા કરી હતી. ભારતે કોરોનાની રસીના 100 કરોડ ડોઝ આપ્યા હોવાની બાબતે તેમણે આ વાત કહી છે.

જે પાંચ રાજ્યોએ સર્વાધિક વૅક્સિનેશન કર્યું, તેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્ય પ્રદેશ સામેલ છે.

નીતિ આયોગના ડૉ. વી. કે. પોલે આ મામલે કહ્યું, "ભારતમાં રસીકરણના નવ મહિનામાં જ આ લક્ષ્ય પ્રાપ્ત કરી લેવાયું છે."

જ્યારે અન્ય એક ટ્વિટમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે અભિનંદન પાઠવ્યાં છે.

વિશ્વ આરોગ્ય સંગઠને પણ ભારતને 100 કરોડ ડોઝના વૅક્સિનેશન મામલે અભિનંદન પાઠવ્યાં છે.

આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં બુધવાર સુધી કુલ 99.85 ડોઝ વૅક્સિનેશન થયું હતું. જ્યારે આજે અત્યાર સુધી કુલ 27.18 લાખ ડોઝ અપાયા છે. આમ ભારતે કુલ 100 કરોડ ડોઝનો આંક વટાવી લીધો છે.

જોકે એનો અર્થ એ નથી કે 100 કરોડ લોકોને ડોઝ અપાઈ ચૂક્યા છે, પરંતુ એનો અર્થ એ છે કે પ્રથમ અને બીજો ડોઝ થઈને કુલ 100 કરોડ ડોઝ અત્યાર સુધી આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં કેટલા ડોઝ?

કેન્દ્ર સરકારની આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6.74 કરોડ ડોઝ રસીકરણ થયું છે. તેમાં 4.41 કરોડ પ્રથમ ડોઝ જ્યારે 2.33 કરોડ બીજો ડોઝ છે.

ગુજરાતમાં ગત 24 કલાકમાં કુલ 2.96 લાખ ડોઝ વૅક્સિનેશન થયું હતું તથા કોરોનાના નવા કુલ 14 કેસ આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના 136 ઍક્ટિવ કેસ છે. જેમાંથી 3 વૅન્ટિલેટર પર છે.

આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા લાલ કિલ્લા પરથી ગાયક કૈલાશ ખેર દ્વારા લખવામાં આવેલા એક ગીત અને ફિલ્મનો શુભારંભ કરાવશે.

લાલ કિલ્લાથી મોટો તિરંગો પણ ફરકાવવામાં આવવાની તૈયારી છે.

સરકારે આ પ્રસંગે હવાઈ જહાજ, જહાજો, મહાનગરો અને રેલવે સ્ટેશનો પર તેની સાર્વજનિક જાહેરાત કરાવવાનું પણ આયોજન કર્યું છે.

માંડવિયાએ કહ્યું છે કે જેમણે પ્રથમ ડોઝ લઈ લીધો છે તેમને બીજો ડોઝ મળી જાય તે માટે અમે મજબૂત કામગીરી કરીશું.

રસીકરણ પૂર્ણ થયું ક્યારે કહેવાય?

એક તરફ સરકાર 100 કરોજ ડોઝ પર ઉજવણીમાં છે ત્યાં બીજી તરફ કેટલાક આરોગ્ય નિષ્ણાતો માને છે કે વ્યક્તિને બંને ડોઝ મળી ગયો હોય તો જ તેને કોરોના સામે પૂરતું રક્ષણ મળે છે.

જ્યારે હજુ સુધી ભારતમાં 100 ટકા વયસ્ક વસતિનું પ્રથમ ડોઝનું રસીકરણ નથી થયું. અને જેટલાંને પ્રથમ ડોઝ મળ્યો છે, તેમાંથી મોટા ભાગે અડધાંને જ બીજો ડોઝ મળેલ છે.

અહેવાલો અનુસાર ભારતમાં વૅક્સિન માટે લાયક 75 ટકા વસતિને પ્રથમ ડોઝ મળી ગયો છે. જ્યારે 31 ટકા વસતિને બંને ડોઝ મળી ચૂક્યા છે.

જોકે, અત્યાર સુધી ભારત સિવાય ચીન એક માત્ર દેશ છે જેણે કોરોનાની રસીના કુલ 100 કરોડ ડોઝ લગાવ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો