You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પગમાં શ્રીફળની કાચલી વાગી અને ગુજરાતીએ ઊભી કરી દીધી મહિલાઓને હજારો રળી આપતી સંસ્થા
મોટા ભાગે તો શ્રીફળનાં છોતરાં અને કાચલીને નકામી વસ્તુઓ ગણી ફેંકી દેવામાં આવે છે. પરંતુ શું તમે વિચારી શકો છો કે આ જ વસ્તુઓ સેંકડો મહિલાઓનાં જીવનમાં પરિવર્તન લાવવા માટેનો રસ્તો બની શકે છે.
આવું જ કંઈક શક્ય બન્યું છે અંબાજીની નજીક આવેલા નંદનવન ગ્રામોદ્યોગના પ્રયાસોથી.
આ સંસ્થા શ્રીફળનાં છોતરાં અને કાચલી વડે સેંકડો પ્રોડક્ટ બનાવી ન માત્ર બગાડનો ઘટાડો કરવામાં ભૂમિકા ભજવી રહી છે પરંતુ આસપાસના વિસ્તારોમાં રહેતી સેંકડો મહિલાઓને રોજગારીનો એક વિકલ્પ પણ મળ્યો છે.
શ્રદ્ધાના પ્રતીકરૂપે વધેરવામાં આવતાં શ્રીફળના પવિત્ર નિર્માલ્યનો ઉપયોગ કરી મહિલા સશક્તીકરણ માટે ભૂમિકા ભજવતી આ સંસ્થા વિશે વધુ જાણવા માટે બીબીસી ગુજરાતીએ સંસ્થાના સંચાલક સાથે વાત કરી હતી.
કેવી રીતે આવ્યો વિચાર?
નંદનવન ગ્રામોદ્યોગના સંચાલક હિતેન્દ્રભાઈ રામી આ સંસ્થાના આરંભ સાથે સંકળાયેલ વાત કરતાં જણાવે છે કે:
"1998માં અમે અંબાજી મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. મંદિરમાં જતી વેળા મારા પગમાં શ્રીફળની કાચલી આવી અને પગ લોહીલુહાણ થઈ ગયો. એ દિવસે વિચાર આવ્યો કે આ કાચલી જેવી રીતે મને વાગી એવી રીતે ન જાણે કેટલાયની ઈજા માટેનું કારણ બનતી હશે. આ સમસ્યાના નિવારણ માટે વિચારવું જોઈએ. આનો સદુપયોગ થાય એવા પ્રયત્નો કરવા જોઈએ."
હિતેન્દ્રભાઈના આ વિચારે જ જન્મ આપ્યો નંદનવન ગ્રામોદ્યોગ સંસ્થાને. જે આજે નાળિયેરની કાચલી અને તેનાં છોતરાંમાંથી આકર્ષક અને કલાત્મક વસ્તુઓ બનાવી માત્ર દેશ નહીં પરંતુ વિદેશમાં પણ ગુજરાતનું નામ ઉજાળી રહી છે.
પવિત્ર નિર્માલ્યના સદુપયોગની સાથોસાથ આ સંસ્થા પોતાની સામાજિક જવાબદારી પણ ભજવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંસ્થા 400 કરતાં વધારે મહિલાઓને રોજગારી આપી અને તેને પગભર બનાવવાનું ભગીરથ કાર્ય કરી બતાવ્યું છે.
કેટલું કમાય છે મહિલાઓ?
હિતેન્દ્રભાઈ રામી પોતાની સંસ્થાના ઉદ્દેશ વિશે વાત કરતાં જણાવે છે કે, "અમે માત્ર પવિત્ર નિર્માલ્યનો સદુપયોગ થાય તે માટે પ્રયત્ન નહોતા કરી રહ્યા. અમે તો આના થકી મહિલાઓને રોજગારી પણ આપવા માગતા હતા."
"આજે અમારી સાથે કામ કરનાર મહિલાઓ મહિને 15 હજાર રૂપિયા રળી શકે છે. અને પોતાના કુટુંબનું ગુજરાન ચલાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે."
તેઓ આ અંગે આગળ વાત કરતાં જણાવે છે કે, "મહિલાઓને પહેલાં કામ શીખવાડી, યોગ્ય તાલીમ આપી, ડિઝાઇન આપી, કાચો માલ પૂરો પાડી અને તૈયાર માલ ખરીદવા સુધીની સુવિધાઓ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે."
"જરૂરિયાતમંદ મહિલાઓ કાચો માલ ઘરે લઈ જઈ કુટુંબના લોકો સાથે કામ કરી વધુ પૈસા રળી શકે છે."
નાળિયેરમાંથી કઈ-કઈ વસ્તુઓ બનાવાય છે?
નાળિયેરનાં છોતરાં અને કાચલીમાંથી બનાવાતી વિવિધ વસ્તુઓ વિશે માહિતી આપતાં દક્ષાબહેન રામી જણાવે છે કે, "નાળિયેરની કાચલીમાંથી કલાત્મક ચાના કપ, પગલુછણિયાં, તોરણો, લગ્ન માટે સુશોભનની ચીજ-વસ્તુઓ અને ગણેશજીની નાની-મોટી મૂર્તિઓ બનાવવામાં આવે છે."
હિતેન્દ્રભાઈ રામી પોતાની સંસ્થાના વ્યાપ વિશે વાત કરતાં કહે છે કે, "અમે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિદેશમાં પણ આ તમામ પ્રોડક્ટની માર્કેટિંગ કરીએ છીએ."
"તેમજ સમગ્ર દેશમાં 20 હજાર કરતાં વધુ લોકોને તાલીમ આપી આ ક્ષેત્રે પગભર કરવાનું કામ અમારી સંસ્થાએ કર્યું છે."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો