You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોવિડ-19 : ગુજરાતમાં આજે ફરી કોરોનાના કેસમાં વિક્રમી વધારો, જાણો ક્યાં કેટલાં કેસ-મોત નોંધાયાં
ગુજરાતમાં કોરોનાના પ્રસારનો સિલસિલો સતત જારી જ છે. શુક્રવારે પણ ગુજરાતમાં કોરોના વાઇરસના નવા કેસોમાં 2190 કેસોનો ઉમેરો થયો હતો. નોંધનીય છે કે પાછલા કેટલાક દિવસોથી રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરાયેલ માહિતી પ્રમાણે સમગ્ર રાજ્યમાં કોરોનાને કારણે છ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
વિભાગ દ્વારા અપાયેલ માહિતી અનુસાર શુક્રવારે પણ ગુજરાતમાં સૌથી વધુ, 745 નવા કેસો સુરતમાં નોંધાયા હતા. ત્યાર બાદ આ યાદીમાં કોરોનાના નવા 613 કેસો સાથે અમદાવાદ હતું. આ સિવાય વડોદરામાં 187 અને રાજકોટમાં 164 નવા કેસો સામે આવ્યા હતા.
ગત રોજ કોરોનાના કેસ રાજ્યમાં 1900ને પણ પાર થઈ ગયા હતા. જોકે આજે તો 2000નો આંકડો પણ પાર થઈ ગયો છે. મુખ્ય મંત્રીએ ગતરોજ કહ્યુ હતું કે હજુ એક અઠવાડિયું કેસ વધશે.
નોંધનીય છે કે ગુરુવારે પણ સમગ્ર ગુજરાતમાં કોરોનાના 1961 કેસો નોંધાયા હતા. શુક્રવારે કોરોનાના નવા કેસોમાં આશરે 11 ટકાનો વધારો થયો હતો.
રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ત્રણ લાખને નજીક
શુક્રવારના વધારાની સાથે ગુજરાતમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારાની સંખ્યા 4,479 સુધી પહોંચી ગઈ હતી. અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના કુલ 2,96,320 થઈ ગયા હતા.
જારી કરાયેલી માહિતી અનુસાર શુક્રવારે રાજ્યમાં કુલ 10,134 ઍક્ટિવ કેસો હતા. જે પૈકી 83 દર્દીઓ વૅન્ટિલેટર પર હોવાનું જાણવા મળ્યું હતું.
અત્યાર સુધી રાજ્યમાં 40,89,217 લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસીનો પ્રથમ ડોઝ અપાઈ ચુક્યો છે. જ્યારે 6,25,153 લોકોને રસીનો બીજો ડોઝ મળી ચુક્યો છે.
મહારાષ્ટ્રમાં નાઇટ કર્ફયૂ
ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ પાછલા ઘણા સમયથી કોરોનાના સૌથી વધુ કેસો નોંધાઈ રહ્યા છે. PIB in Maharastraએ ટ્વિટર દ્વારા માહિતી આપી હતી કે પાછલા 24 કલાકમાં સમગ્ર મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 36,902 કેસો નોઁધાયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોરોનાની પરિસ્થિતિને જોતાં આગામી 28 માર્ચથી સમગ્ર રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ લાદવાની જાહેરાત કરી દેવાઈ છે.
મહારાષ્ટ્રના મુખ્ય મત્રી ઉદ્ધવ ઠાકરેએ આ અંગેની જાણકારી આપતાં કહ્યું હતું કે, "રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ લાદવા અંગેનું જાહેરનામું ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઍન્ડ રિહેબિલિટેશન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો