દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસમાં આગ, હાલ શું સ્થિતિ છે? - TOP NEWS

ઇમેજ સ્રોત, ANI
દિલ્હી દહેરાદૂન એક્સપ્રેસના કોચ નંબર C4 માં આગ લાગવાની ઘટના ઘટી હતી.
સામાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે આગ લાગવાની આ ઘટના શૉર્ટ સર્કિટના કારણે થઈ છે. જોકે, અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગ પર કાબુ મેળવી લેવાયો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે જણાવ્યું છે કે ઘટના કંસારો પાસે ઘટી હતી. બધા જ યાત્રીઓ સુરક્ષિત બહાર કઢાયા છે. અને હાલ કોઈ જાનહાનિના સમાચાર નથી.

અમદાવાદના ક્લબ્સમાં નહીં થાય હોળીની ઉજવણી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં કોરોના વાઇરસના કેસો સતત વધી રહ્યાં છે અને ગુજરાતમાં પણ કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.
આ દરમિયાન અમદાવાદના રાજપથ તેમજ કર્ણાવતી ક્લબે ધૂળેટીની ઉજવણી નહીં કરવાનો નિર્ણય લીધો છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સતત ચોથા વર્ષે ક્લબમાં હોળીની ઉજવણી નહીં થાય.
કર્ણાવતી ક્લબના પ્રમુખ નગીનભાઈ પટેલે ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે, "અમે 28 માર્ચે હોળીની ઉજવણી નહીં કરવાનો નિર્ણય લીધો છે. અમે અહીં કોઈ ઉજવણી નહીં કરીએ અને લોકોને ભેગા નહીં થવા દઈએ. આવું ત્યાં સુધી કરવામાં આવશે જ્યાં સુધી કોરોના વાઇરસના કેસોની સંખ્યા નિયંત્રણમાં ન આવે અને જેથી અમારા મહેમાનોના સ્વાસ્થ્યને કોઈ નુકસાન ન થાય."
આવું સતત ચોથા વર્ષે થઈ રહ્યું છે જ્યારે આ ક્લબમાં ધૂળેટીની ઉજવણી કરવામાં નહીં આવે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજપથ ક્લબના સેક્રેટરી મિશાલ પટેલે કહ્યું છે, "છેલ્લા ત્રણ વર્ષથી પાણીની તંગી અને પછી કોરોના વાઇરસના કારણે અમે ધૂળેટીની ઉજવણી કરી નથી. આ વર્ષે પણ કોરોનાના વધતા કેસોના પગલે અમે કોઈ ઉજવણી કરવાના નથી."
શહેરના બીજા ક્લબમાં પણ કોરોના વાઇરસના કારણે હોળીની ઉજવણી રદ થઈ શકે છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ બાદ હવે મોંઘવારી પણ વધી

ઇમેજ સ્રોત, NURPHOTO/ CONTRIBUTOR
છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવે તેની અસર મોંઘવારી ઉપર પણ જોવા મળી રહી છે.
'બિઝનેસ સ્ટાન્ડર્ડ'ના રિપોર્ટ મુજબ, ફેબ્રુઆરી મહિનામાં મોંઘવારીનો દર ત્રણ મહિનાની સર્વોચ્ચ સપાટી 5.03 ટકા ઉપર પહોંચી ગયો હતો.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા ખાદ્યપદાર્થોના ભાવ વધ્યા છે, જેની અસર મોંઘવારી ઉપર પડી રહી છે. જાન્યુઆરી મહિનામાં મોંઘવારીનો દર 4.06 ટકા હતો.
જાન્યુઆરી મહિનામાં પેટ્રોલના ભાવોમાં 12.53 %નો વધારો જોવા મળ્યો હતો, જે ફેબ્રુઆરી મહિનામાં વધીને 20.57 ટકા ઉપર પહોંચી ગઈ. આવી જ રીતે ડીઝલની મોંઘવારી 12.79 ટકાથી વધીને 20.57 ટકા ઉપર પહોંચી છે.

2011 પછી જાહેર રસ્તા પર અથવા તેની આજુબાજુમાં બનેલાં ધાર્મિક બાંધકામને હઠાવવાનો યોગી સરકારનો આદેશ

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશ સરકારે આદેશ આપ્યો છે કે 2011 પછી રસ્તાઓ પર, ફૂટપાથ કે તેની આસપાસમાં બનાવવામાં આવેલા ધાર્મિક પ્રકૃતિના તમામ બાંધકામને તાત્કાલિક ધોરણે દૂર કરી દેવામાં આવે.
ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જાહેર રસ્તાઓ, શેરીઓ, ફૂટપાથ અને રસ્તાની બાજુમાં બનાવવામાં આવેલાં કોઈ પણ પ્રકારના ધાર્મિક પ્રકૃતિના બાંધકામને પરવાનગી હોવી ન જોઈએ.
આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો આવું કોઈ બાંધકામ 1 જાન્યુઆરી 2011ના રોજ કે તે પછી કરવામાં આવ્યું હોય તો તેને તાત્કાલિક ધોરણે હઠાવી દેવું જોઈએ.
સરકારે હાઇકોર્ટના આદેશનું પાલન કરીને આ સૂચનો જાહેર કર્યા હોવાનું રીલિઝમાં કહેવાયું છે.
જાહેરનામામાં જિલ્લાકક્ષાના વરિષ્ઠ અધિકારીઓને કહેવામાં આવ્યું છે કે જો 1 જાન્યુઆરી, 2011 પહેલા રાજમાર્ગ સહિતના જાહેર માર્ગ પર કોઈપણ ધાર્મિક બાંધકામ કે અતિક્રમણ કરવામાં આવ્યું હોત, તો તેને ધર્મના અનુયાયીઓ દ્વારા આપવામાં આવતી જમીન પર સ્થળાંતર થવું જોઈએ.

CBIના વડા કોણ?

ઇમેજ સ્રોત, Getty Images
સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્ડિયાના વડા તરીકે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીના વડા વાય.સી. મોદી તથા રાકેશ અસ્થાનાના નામ અગ્રેસર છે.
'ધ ટેલિગ્રાફ' સૂત્રોને ટાંકતા જણાવે છે કે બંને અધિકારીને પ્રધાન મંત્રીની નજીક માનવામાં આવે છે. બે વર્ષના કાર્યકાળ બાદ ઋષિકુમાર શુકલા બીજી ફેબ્રુઆરીના નિવૃત્ત થયા હતા. હાલ પ્રવીણકુમાર સિંહા વચગાળાના વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે.
ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનલ ઍન્ડ ટ્રેનિંગ દ્વારા ગૃહવિભાગ પાસેથી 1984,1985 અને 1986ની બેચના આઈ.પી.એસ. અધિકારીના નામ મંગાવવામાં આવ્યા છે.
કૉમન કોઝ નામની સ્વૈચ્છિક સંસ્થાએ સર્વોચ્ચ અદાલતમાં અરજી દાખલ કરીને માગ કરી છે કે તત્કાળ અસરથી નિયમિત સીબીઆઈ વડાની નિમણૂક કરવામાં આવે. અદાલતે આ મુદ્દે કેન્દ્ર સરકારને નોટિસ કાઢી છે અને 15 દિવસમાં જવાબ આપવા જણાવ્યું છે.
ઉપરોક્ત બંને અધિકારી ઉપરાંત ગુજરાત કૅડરના અધિકારી કેશવ કુમાર તથા ખુદ પ્રવીણ સિંહાના નામ અગ્રેસર હોવાનું અખબાર નોંધે છે.
ઉલ્લેખનીય છે કે દેશના પ્રધાન મંત્રી, સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ ન્યાયાધીશ તથા સૌથી મોટા વિરોધપક્ષના નેતા કે તેમના પ્રતિનિધિ મળીને કોઈ નામ ઉપર મંજૂરીની મહોર મારે છે અને કેન્દ્રીય કૅબિનેટ દ્વારા તેની ઉપર મંજૂરીની મહોર મારવામાં આવે છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















