ઇન્ડિયન આર્મીના હેલિકૉપ્ટરનું નડિયાદ પાસે ઇમર્જન્સી લૅન્ડિંગ, પાઇલટ સુરક્ષિત - BBC TOP NEWS

ઇમેજ સ્રોત, DAXESH SHAH
તાજા સમાચાર અનુસાર શનિવારે મોડી સાંજે ઇન્ડિયન આર્મીના એક હેલિકૉપ્ટરે નડિયાદના વીણા ગામમાં એક ખેતર પાસે ઇમર્જન્સી લૅન્ડિંગ કર્યું હતું. ઘટનાની જાણ થતાં વીણા અને આજુબાજુના ગામના લોકો હેલિકૉપ્ટર જ્યાં લૅન્ડ થયું ત્યાં ધસી ગયા હતા.
બીબીસીના સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા અનુસાર ખેડા જિલ્લા ડીએસપી દિવ્યા મિશ્રાએ જણાવ્યું કે ઍન્જિનમાં યાંત્રીક ખામીના કારણે હેલિકૉપ્ટરે ઇમર્જન્સી લૅન્ડિંગ કર્યું હતું.
હેલિકૉપ્ટરમાં આર્મીના બે અધિકારીઓ કેવડિયાથી અમદાવાદ પરત જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
હેલિકૉપ્ટરના ઇમર્જન્સી લૅન્ડિંગ બાદ હેલિકૉપ્ટરમાં સવાર બન્ને આર્મી અધિકારીઓને પોલીસે સુરક્ષિત રીતે નડિયાદ સર્કિટ હાઉસ ખાતે ખસેડ્યાં હતા. જ્યાંથી તેઓ અમદાવાદ જવા રવાના થયા હતા.

તૃણમૂલ કૉંગ્રેસને ઝટકો, રાજીનામું આપનારા દિનેશ ત્રિવેદી ભાજપમાં

ઇમેજ સ્રોત, ANI
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી પહેલાં તૃણમૂલ કૉંગ્રેસને ઝટકો લાગ્યો છે. તૃણમૂલ કૉંગ્રેસમાંથી રાજીનામું આપનારા દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાઈ ગયા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની હાજરીમાં દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા. આ સમયે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ હાજર રહ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
તૃણમૂલ કૉંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને મમતા બેનરજીના વિશ્વાસુ ગણાતા ગુજરાતી મૂળના નેતા દિનેશ ત્રિવેદીએ ગત મહિને રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું.
રાજ્યસભામાં પોતાના રાજીનામાની જાહેરાત કરતાં દિનેશ ત્રિવેદીએ કહ્યું હતું, "હું મારી પાર્ટીનો આભારી છું કે તેમણે મને અહીં મોકલ્યો. મારો શ્વાસ રુંધાઈ રહ્યો છે, કેમકે અમે રાજ્યમાં હિંસા સામે કંઈ કરી નથી રહ્યા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજીનામા બાદ ગુજરાતી મૂળના દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાશે એવા કયાસ લગાવવામાં આવી રહ્યા હતા.
ત્રિવેદીએ રાજીનામું આપ્યું ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું હતું કે દિનેશ ત્રિવેદીએ ભાજપમાં જોડાવું હોય તો તેમનું સ્વાગત છે.

મોદી ગુજરાતમાં

ઇમેજ સ્રોત, BJP Gujarat/twitter
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસીય ગુજરાતના પ્રવાસે છે. નરેન્દ્ર મોદી અમદાવાદ ઍરપૉર્ટ પર આવી પહોંચ્યા છે, જ્યાં મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે તેમનું સ્વાગત કર્યું હતું.
મોદી આજે કેવડિયામાં કમાન્ડર કૉન્ફરન્સમાં સમાપન ભાષણ પણ આપશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
વડા પ્રધાન ઉપરાંત સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, સેનાધ્યક્ષ જનરલ મુકુંદ નરવણે સહિત સેના, વાયુદળ તથા નૌકાદળના અનેક ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.
કૉન્ફરન્સ પહેલાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી પરિસરને જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યું છે.
આ બેઠકમાં સંરક્ષણક્ષેત્રે સ્વદેશીકરણ, સશસ્ત્ર બળોની સંયુક્ત કમાન્ડ તથા થિયેટર કમાન્ડ અંગે ચર્ચા કરવામાં આવશે.
યુદ્ધ કે શાંતિ સમયે પણ સશસ્ત્રદળોનાં સંશાધનોનો સંયુક્ત રીતે વધુ સારો ઉપયોગ થઈ શકે તથા તેમાં બેવડી મહેનત કે ખર્ચ ન થાય તે માટે થિયેટર કમાન્ડ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

ગુજરાતમાં છેલ્લાં બે વર્ષમાં રોજની બે હત્યાઓ, બળાત્કારની ચાર ઘટના

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ગુજરાત વિધાનસભામાં ગત બુધવારે ગુનાના આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સામે આવ્યું કે ગત બે વર્ષમાં રાજ્યમાં પ્રતિદિન સરેરાશ બે હત્યા, ચાર બળાત્કાર અને અપહરણની છ ઘટનાઓ ઘટી છે.
'ધ વાયરે' દ્વારા ગુજરાતના ગૃહવિભાગના આંકડાનો હવાલો આપીને લખ્યું કે 31 ડિસેમ્બર, 2020 સુધી ગત બે વર્ષમાં રાજ્યમાં વિવિધ ભાગોમાં 1,944 હત્યાઓ, 3,095 બળાત્કાર, 4,829 અપહરણના કેસ અને આત્મહત્યાના 14,000થી વધુ કેસ સામે આવ્યા છે.
વિધાનસભાના બજેટસત્રમાં પ્રશ્નકાળ દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સવાલના જવાબમાં આ માહિતી સામે આવી છે.
આંકડાઓ પરથી ખ્યાલ આવે છે કે સુરત જિલ્લામાં સૌથી વધુ 280 હત્યાઓ થઈ છે, તો અમદાવાદ લૂંટની 479 અને ચોરીની 5,566 ઘટનાઓ સાથે રાજ્યમાં સૌથી ઉપર છે.

સરકારે ફ્રીડમ હાઉસના રિપોર્ટને ભ્રામક ગણાવ્યો

ઇમેજ સ્રોત, GETTY IMAGES
ભારત સરકારે ફ્રીડમ હાઉસના એ રિપોર્ટને ભ્રામક ગણાવ્યો છે, જેમાં ભારતને આંશિક રીતે સ્વતંત્ર દેશ દર્શાવાયો હતો.
વૉશિંગ્ટનસ્થિત પ્રતિષ્ઠિત થિન્ક ટેન્ક ફ્રીડમ હાઉસે પોતાના 2021ના રિપોર્ટમાં ભારતનો ફ્રીડમ સ્કોર ઘટાડી દીધો હતો.
આ રિપોર્ટમાં ભારતનો દરજ્જો ગત વર્ષથી "ફ્રી" એટલે કે સ્વતંત્રથી "પાર્ટલી ફ્રી" એટલે કે આંશિક રીતે સ્વતંત્ર કરી દીધો છે.
આ રિપોર્ટને ભારત સરકારે ભ્રામક, ખોટો અને અનુચિત ગણાવ્યો છે. સંઘીય ઢાંચા હેઠળ અનેક રાજ્યોમાં વિપક્ષી દળની સરકારો હોવાનું ઉદાહરણ આપતા સરકારે કહ્યું કે આ ભારતમાં જીવંત લોકતંત્રને દર્શાવે છે, જેના હેઠળ કેન્દ્રથી ભિન્ન વિચારધારાવાળાઓને પણ મહત્ત્વ આપવામાં આવતું હોવાનું દર્શાવે છે.
સૂચના અને પ્રસારણ મંત્રાલયે એ પણ કહ્યું કે સરકાર કાયદાનો અમલ કરતી વેળાએ કોઈ સાથે ભેદભાવ કરતી નથી અને બધાને સન્માન આપે છે.

હાર્દિક પટેલને 15 દિવસ માટે રાજ્યથી બહાર જવાની મંજૂરી

ઇમેજ સ્રોત, HARDIK PATEL SOCIAL
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને 15 દિવસ માટે ગુજરાતથી બહાર જવા માટેની મંજૂરી મળી છે.
'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક અહેવાલ અનુસાર શહેરની સેશન્સ કોર્ટે હાર્દિક પટેલને 15 દિવસ માટે ગુજરાત છોડવાની મંજૂરી આપી છે.
હાર્દિક પટેલ દિલ્હી અને અન્ય સ્થળે પાર્ટીના કામ માટે જઈ શકે છે.
23 માર્ચ સુધી હાર્દિક પટેલ પોતાની પાર્ટીના કામ માટે દિલ્હી જઈ શકશે અને સુપ્રીમ કોર્ટમાં પડતર પોતાના કેસ મામલે વકીલોની સલાહ લઈ શકશે.
આ સિવાય હાર્દિક પટેલને પોતાના મિત્રનાં લગ્ન માટે રાજસ્થાન જવાની પણ મંજૂરી આપવામાં આવી છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















