બર્ડફ્લૂ : ગુજરાતમાં જૂનાગઢમાંથી પૉઝિટિવ કેસ મળ્યો

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

કોરોના મહામારી વચ્ચે બર્ડફ્લૂનું જોખમ અનેક રાજ્યોમાં દેખાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં તેનો પૉઝિટિવ કેસ સામે આવ્યો છે.

જૂનાગઢમાં માણાવદર પાસે મૃત્યુ પામેલા બે પક્ષીઓનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

એક અઠવાડિયા પહેલા બાંટવાના ખારો ડેમ પાસે 55 પક્ષીઓનાં મોત થયાં હતાં. જેના સૅમ્પલ ભોપાલની લૅબોરેટરીમાં મોકલવામાં આવ્યાં હતાં.

જે પૈકી બે ટિટોડી બે પક્ષીઓનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

જોકે, અધિકારીઓએ જણાવ્યું છે કે ચિંતાનું કોઈ કારણ નથી. ગત બે તારીખ પછી એક પણ પક્ષીનું મોત થયું નથી અને હાલ સર્વેની કામગીર શરૂ કરવામાં આવી છે.

અધિકારીઓએ મરઘાં પાલન કેન્દ્રોમાં ચેકિંગ શરૂ કર્યું છે જેમાં હજી સુધી એક પણ કેસ સામે આવ્યો નથી.

ઍલન મસ્ક વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ, અંબાણીથી પણ આગળ

ઍલન મસ્ક હવે વિશ્વના સૌથી ધનિક માણસ બની ગયા છે, કેમ કે તેમની નેટવર્થ $ 185 બિલિયનને પાર કરી ગઈ છે.

મસ્કની ઇલેક્ટ્રોનિક કાર કંપની ટેસ્લાએ આ વર્ષે મૂલ્યમાં વૃદ્ધિ કરી છે અને બુધવારે પહેલી વાર તેમનું બજારમૂલ્ય $ 700 બિલિયન પર પહોંચ્યું છે.

ઍલને બ્લૂમબર્ગ તરફથી જાહેર કરાયેલી અબજોપતિની સૂચિમાં એમેઝોનના માલિક જેફ બેજોસને પાછળ રાખી દીધા છે. આ સૂચિમાં 500 અબજોપતિ સામેલ છે.

એટલું જ નહીં તેઓએ ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પણ પાછળ રાખી દીધા છે.

આજે સરકાર-ખેડૂતો વચ્ચે 8મી વખત બેઠક, શું મુદ્દાનો ઉકેલ આવી જશે?

નવા કૃષિકાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હીની સરહદે આંદોલન ચલાવી રહ્યા છે. હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી તરફ ટ્રેક્ટર લઈને કૂચ પણ કરી રહ્યા છે.

આ દરમિયાન આજે ખેડૂતો અને સરકાર વચ્ચે ફરી એક બેઠકની તૈયારીના અહેવાલ છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, ખેડૂત સંગઠનો સાથે આઠમા રાઉન્ડની વાતચીતના એક દિવસ પહેલાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર ગુરુવારે પંજાબસ્થિત નાનકસાર શીખ સંપ્રદાયના ધાર્મિક વડા બાબા લાખા સિંહને મળ્યા હતા.

વિરોધસ્થળોએ લંગરનું આયોજન કરી રહેલા બાબા લાખા સિંહે કહ્યું હતું કે તેઓ સરકાર અને વિરોધ કરી રહેલા ખેડૂતો વચ્ચે મધ્યસ્થી કરવા ઇચ્છે છે, તો ખેડૂત યુનિયનોએ કહ્યું કે ધાર્મિકનેતાઓ તેમના માટે બોલતા નથી.

એવી પણ વાત જાણવા મળી છે કે બપોરે વાટાઘાટ પહેલાં સરકારના મંત્રીઓ ગૃહમંત્રી અમિત શાહને પણ મળી શકે છે. આજે બેઠક થાય છે કે કેમ અને થાય છે તો તેમાં શું પરિણામ આવે છે તેના પર સૌની નજર છે.

"દિલ્હીના શાસક રાહુલ ગાંધીથી ડરે છે"

જનસત્તાના અહેવાલ અનુસાર, શિવસેનાએ ગુરુવારે કહ્યું કે "દિલ્હીમાં શાસક" રાહુલ ગાંધીથી ડરે છે. સંપાદકીયમાં કહેવાયું કે જો એવું ન હોત તો ગાંધી પરિવારને બદનામ કરવાનું અભિયાન ન ચલાવાત.

એવું પણ કહેવાયું કે રાહુલ ગાંધી કૉંગ્રેસના અધ્યક્ષ બની રહ્યા છે.

શિવસેનાના મુખપત્ર સામનામાં લખાયું કે "એ સ્વીકાર કરવો જોઈએ કે ભાજપ પાસે નરેન્દ્ર મોદીનો કોઈ વિકલ્પ નથી અને કૉંગ્રેસ પાસે રાહુલ ગાંધીનો કોઈ વિકલ્પ નથી."

શિવસેનાએ રાહુલ ગાંધી માટે આ એવા સમયે કીધું છે જ્યારે શિવસેનાના સાંસદ સંજય રાઉતે કૉંગ્રેસના નેતૃત્વવાળા યુપીએને વિસ્તારવાની વાત કહી હતી.

સંજય રાઉતે કહ્યું હતું કે વિપક્ષે કેન્દ્રના "તાનાશાહી વલણ" સામે એક થવું જોઈએ અને એક "વિકલ્પ" આપવો જોઈએ.

મોદી 18 જાન્યુઆરીએ અમદાવાદ, સુરત મેટ્રો પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 18મી જાન્યુઆરીએ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-2નો વર્ચ્યુઅલ શિલાન્યાસ કરશે.

આ રૂટ્સ જીઆઈએફટી (ગિફ્ટ) સિટી કૅમ્પસ અને રાજ્યની રાજધાની ગાંધીનગરને જોડશે.

સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે, વડા પ્રધાન સુરત મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-1નો પણ શિલાન્યાસ કરશે, આ પ્રોજેક્ટ 12,020 કરોડ રૂપિયાનો છે.

અમદાવાદ અને સુરતમાં બંને મેટ્રો પ્રોજેક્ટ્સ ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન (જીએમઆરસી) દ્વારા સંચાલિત છે, જે રાજ્ય અને કેન્દ્ર સરકારનું સંયુક્ત સાહસ છે.

મોઢેરામાં ચાર કાગડાના કથિત રીતે બર્ડ ફ્લૂથી મોત

કોરોના વાઇરસ મહામારી વચ્ચે દેશભરમાં બર્ડ ફ્લૂનું સંકટ પણ વધ્યું છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, મહેસાણા જિલ્લાના મોઢેરાના પ્રસિદ્ધ સૂર્યમંદિર પાસે ચાર કાગડાઓ મૃત મળી આવ્યા છે.

ચાર કાગડાનાં મોત થતાં સ્થાનિક લોકામાં અચરજ ફેલાયું છે.

ઘટનાની જાણ થતાં સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

મહેસાણાના પશુપાલન અધિકારી ભરત દેસાઈએ જણાવ્યું હતું કે, "એવિયન ફ્લૂના કિસ્સામાં મોટી સંખ્યામાં પક્ષીઓ અચાનક મરી જાય છે. આ કિસ્સામાં કોઈ કારણસર ફક્ત ચાર જ મૃત્યુ પામ્યાં છે, જે એવિયન ઇન્ફલ્યુએન્ઝાના કેસ જેવું લાગતું નથી. તેમ છતાં અમે શબને વિશ્લેષણ માટે ભોપાલની પ્રયોગશાળામાં મોકલી દીધા છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો