ભારત અને ઑસ્ટ્રેલિયાની મૅચમાં અદાણીને વિરોધ કેમ થયો? - BBC TOP NEWS

ઇમેજ સ્રોત, Getty Images
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં શરૂ થયેલી વન-ડે મૅચમાં એક વ્યક્તિ વિરોધ પ્રદર્શિત કરવા માટે મેદાનમાં આવ્યો હતો.
આ વિરોધ સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા ભારતની કંપની અદાણીને જે લૉન આપવામાં આવી રહી છે, તેને લઈને હતો.
પ્રદર્શનકારોએ જે બૉર્ડ પકડ્યું હતું તેની પર સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનું નામ અને તેનું સિમ્બોલ હતું. ત્યારબાદ લખ્યું હતું કે "નો, વન બિલિયન ડૉલર અદાણી લૉન".
અદાણી કંપનીને વન બિલિયન ડૉલરની લોન ન આપવામાં આવે.
થોડાક દિવસ પહેલાં ભારતીય મીડિયાએ દાવો કર્યો હતો કે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ઑસ્ટ્રેલિયાની માઇનિંગ કંપની અદાણી ઍન્ટરપ્રાઇઝ લિમિટેડ હાલ જેનું નામ બ્રેવુસ માઇનિંગ અને રિસોર્સિસ છે, તેને પાંચ હજાર કરોડ રૂપિયાની લૉન ઑસ્ટ્રેલિયામાં કોલસાનો પ્રૉજેક્ટ નાખવા માટે આપશે.
2014માં પણ ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો એક અહેવાલ પ્રકાશિત થયો હતો, જેમાં અદાણીને ઑસ્ટ્રેલિયાના કોલસાના માઇનિંગના પ્રૉજેક્ટ માટે એક બિલિયન ડૉલરની લૉન આપવાની વાત કરવામાં આવી હતી.
ઑસ્ટ્રેલિયામાં છેલ્લા ઘણા સમયથી ગૌતમ અદાણીની કંપનીના પ્રૉજેક્ટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ઑસ્ટ્રેલિયામાં યોજાયેલી ચૂંટણીમાં પણ તે એક મુદ્દો બન્યો હતો. વિસ્તારથી અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.
બંગાળની ભૂમિ ગુજરાત જેવી તોફાનીઓની ભૂમિ નથી : મમતા બેનરજી

ઇમેજ સ્રોત, Getty iMages
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ગુરુવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે બંગાળની ભૂમિ સોનાની ભૂમિ છે, ગુજરાત જેવી તોફાનાની ભૂમિ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે ગૃહમંત્રી અમિત શાહ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે દેશના ગૃહમંત્રી દેશ ચલાવશે કે મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી કરાવશે?
મુખ્ય મંત્રીએ ગુરુવારે એક સ્વાસ્થ્ય યોજનાની જાહેરાત સમયે આ ટિપ્પણી કરી હતી.
પશ્ચિમ બંગાળના 10 કરોડ લોકોને સ્પર્શતી આ યોજના હેલ્થ ઇન્સ્યોરન્સ કવરેજ છે.
મમતા બેનરજીએ ભાજપ પર હુમલો કરતાં કહ્યું હતું, "તેઓ હંમેશાં કહે છે કે અમે ગુજરાતને બંગાળ બનાવીશું, કેમ? બંગાળની ભૂમિ ગુજરાત જેવી નથી. તમે બંગાળમાં ગુજરાત જેવાં તોફાનો અને અશાંતિ નહીં જુઓ. આ ધરતી રવીન્દ્ર, નઝરુલની સોનાની ધરતી છે, ગુજરાત જેવી તોફાનોની ભૂમિ નથી."
મમતા બેનરજીએ અમિત શાહ વિશે કહ્યું કે તેઓ દરેક બાબતે ભાષણ આપી રહ્યા છે. તેઓ છેલ્લા એક વર્ષથી વૅક્સિન પર ભાષણ આપી રહ્યા છે.
"દેશના ગૃહમંત્રી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી કરાવી રહ્યા છે. મેં ક્યારેય આવું જોયું નથી. ગૃહમંત્રીએ દેશ ચલાવવાનો હોય છે. જ્યારે દેશની અર્થવ્યવસ્થામાં ગડબડ-ગોટાળો થયો છે ત્યારે તે એક મ્યુનિસિપાલિટીમાં જઈ રહ્યા છે, લોકોના ઘરે જઈ ખાવાનું ખાઈ રહ્યા છે. અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ પણ સમજે છે કે તેમની કોઈ દિશા નથી."

એશિયામાં સૌથી વધુ લાંચ ભારતમાં અપાય છે : વૈશ્વિક ભ્રષ્ટાચારનો અહેવાલ

ઇમેજ સ્રોત, Getty Images
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર એશિયામાં સૌથી વધારે લાંચ ભારતમાં અપાય છે અને મોટી સંખ્યામાં લોકો જાહેર સેવાઓનો લાભ લેવા માટે વ્યક્તિગત સંપર્કનો ઉપયોગ કરે છે.
ધ ગ્લોબલ કરપ્શન બૅરોમીટર (જીસીબી) - એશિયા દ્વારા હાલમાં જ લાંચને લઈને એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં આ વિગતો સામે આવી છે.
રિપોર્ટમાં નોંધ્યું છે કે 50 ટકા જેટલા લોકો જે લાંચ આપે છે, જે તેમની પાસેથી માગવામાં આવે છે, જ્યારે 32 ટકા લોકોએ કહ્યું કે તેમણે વ્યક્તિગત સંપર્કનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું કે તેમને સર્વિસ મળી નથી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૌથી વધારે લાંચનો દર (39 ટકા) ભારતમાં છે, ભારતમાં જાહેર સેવાઓના ઉપયોગ માટે વ્યક્તિગત સંપર્ક હોવા જરૂરી હોઈ તેમાં પણ ટોચના સ્થાને છે.
63 ટકા ભારતીય નાગરિક માને છે કે જો તે ભ્રષ્ટાચારની ફરિયાદ કરશે તો બદલો લેવામાં આવશે.
એશિયાના 17 દેશમાં સર્વે કરવામાં આવ્યા હતો. ભારત પછી કમ્બોડિયા, ઇન્ડોનેશિયા છે. જ્યારે ભ્રષ્ટાચારનો સૌથી ઓછો દર માલદીવ અને જાપાનમાં છે.

ગુજરાતમાં દિવસે કર્ફ્યુ કે લૉકડાઉનની કોઈ વિચારણા નથી : વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગુરુવારે કહ્યું હતું કે જે પ્રકારે સોશિયલ મીડિયામાં દાવો કરવામાં આવે છે કે ગુજરાતના શહેરોમાં કર્ફ્યુ કે લૉકડાઉન લાગુ કરાશે તો તેનો કોઈ પ્લાન નથી.
હાલ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કર્ફ્યુ લાગુ કરાયો છે.
રૂપાણીએ કહ્યું, "સોશિયલ મીડિયામાં અફવાઓ ઉડી રહી છે. હાલમાં, દિવસના કર્ફ્યુ કે લૉકડાઉનનો કોઈ પ્લાન નથી અમે તેના માટે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરીશું."
"હાલ ગુજરાતમાં કોરોના વાઇરસની સ્થિતિ કાબૂમાં છે."

ઇવેન્ટ મૅનેજમૅન્ટ અને સર્વિસ ઇન્ડસ્ટ્રીએ રાત્રી કર્ફ્યુમાં છૂટછાટની માગ કરી
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર દક્ષિણ ગુજરાતની ઇવેન્ટ મૅનેજમૅન્ટ અને સર્વિસ ઇન્ડસ્ટ્રીએ સોમવારે સુરત જિલ્લા ક્લેક્ટરને રજૂઆત કરીને રાત્રી કર્ફ્યુમાં છૂટછાટની માગ કરી છે.
તેમણે રજૂઆત કરી હતી કે આગામી દિવસોમાં લગ્ન અને સામાજિક સિઝન હોવાના કારણે સાડા બાર વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુમાં છૂટછાટ આપવી જોઈએ.
તેમણે આપેલા મેમૉરેન્ડમમાં નોંધ્યું છે કે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા 7 લાખ લોકોને આશરે 1200 કરોડ રૂપિયાની ખોટ ગઈ છે. રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરવી જોઈએ તેવી માગ પણ તેઓએ કરી છે.
રાત્રી કર્ફ્યુ અને 100 માણસની મર્યાદા હોવાથી ઇવેન્ટ રદ્દ થઈ છે અથવા રદ્દ થવાની છે.
સુરતના લાઇટનિંગ અને ડેકૉરેશન્સ ઍસોસિયેશનના પ્રમુખ મોન્ટુ પટેલ કહે છે, "અમે લૉકડાઉન દરમિયાન ખૂબ જ મોટી ખોટ ભોગવી હતી. હવે રાત્રી કર્ફ્યુ લાગુ છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















