વાઘોડિયા : સુરતથી પાવાગઢ જતા લોકોને અકસ્માત, 11 લોકોનાં મૃત્યુ 17 ઘાયલ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

સુરતથી પાવાગઢ જઈ રહેલા આઇસર ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં પાંચ મહિલા સહિત કુલ 11 લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે 17 લોકો ઘાયલ થયાં છે.

સમાચાર સંસ્થા એએનઆઈએ વડોદરામાં એસએસજી હૉસ્પિટલના સુપરિટેન્ડેન્ટ રંજન અય્યરને ટાંકીને કહ્યું કે આ દુર્ઘટનામાં 11 લોકો મૃત્યુ પામ્યા છે.

બીબીસીના સહયોગી દક્ષેશ શાહે આપેલી માહિતી મુજબ આ અકસ્માત વડોદરાના વાઘોડિયા ખાતે મોડી રીત્રે 4 વાગે નોંધાયો હતો.

પ્રાથમિક માહિતી મુજબ ભોગ બનનાર લોકો મૂળ ભાવનગરના મહુવાના હતા અને પાવાગઢ દર્શન માટે જઈ રહ્યા હતા.

આ ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ શોક વ્યક્ત કર્યો છે.

ટેમ્પામાં ફસાયેલાં લોકોને બચાવવાની કામગીરી ફાયર વિભાગે કરી હતી. અકસ્માતમાં ઘવાયેલા લોકોને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં એડિશનલ પોલીસ કમિશનર અને ક્લેક્ટર પહોંચ્યા હતા.

મૃત્યુ પામેલાં લોકોમાં 5 મહિલા, 1 બાળક અને 3 પુરુષ છે. મૃતકોની સંખ્યા વધી શકે છે.

સુરેન્દ્રનગરમાં અકસ્માત, ચારનાં મૃત્યુ

સુરેન્દ્રનગર-લખતર રોડ પર કોઠારિયા ગામના પાટિયા નજીક કાર ઝાડ સાથે અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ચાર વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીજપ્યાં હતાં.

જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

કારચાલકે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે.

મૃતકોને 108 ઍમ્બ્યુલન્સના કર્મચારીઓએ બહાર કાઢીને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલ ખસેડયા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો