You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિવાળી પર પીએમ મોદીનો સંદેશ, 'ભારતમાંથી મળશે પ્રચંડ જવાબ'
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે, "જો ભારતને ઉશ્કેરવામાં આવશે તો ભારત તેનો 'પ્રચંડ જવાબ' આપશે."
મોદી જેસલમેર (રાજસ્થાન)માં લોંગેવાલા પોસ્ટ પર સૈન્યના જવાનો સાથે દિવાળી મનાવવા પહોંચ્યા હતા.
જવાનોને દિવાળીની શુભેચ્છા આપ્યા બાદ તેમણે ચીન તરફ ઇશારો કરતા કહ્યું, "આજે આખું વિશ્વ વિસ્તારવાદી શક્તિઓથી હેરાન થઈ રહ્યું છે. આ એક પ્રકારની માનસિક વિકૃતિ છે અને 18મી સદીના વિચારો દર્શાવે છે."
તેમણે કહ્યું, "ભારત બીજાની વાતો સમજવાની અને પોતાની વાતો સમજાવવાની નીતિ પર વિશ્વાસ કરે છે. જોકે, તેને ઉશ્કેરવામાં આવે તો આ દેશ પ્રચંડ જવાબ આપવામાં સક્ષમ છે."
મોદીનો આ સંદેશ, ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદવિવાદ દરમિયાન આવ્યો છે.
હાલમાં બન્ને દેશોના સૈન્ય કમાંડરો વચ્ચે વિવાદના ઉકેલ માટે આઠમા તબક્કાની વાતચીત થઈ હતી, જેમાં બન્ને દેશોના રાજનાયકો પણ હાજર રહ્યા હતા.
લોંગેવાલા પોસ્ટ પર સૈનિકોને સંબોધિત કરતાં મોદીએ કહ્યું, 'વિશ્વની કોઈ પણ શક્તિ સૈનિકોને સરહદની સુરક્ષા કરતા અટકાવી શકે એમ નથી.'
મોદીએ યુવાનોને આગ્રહ કર્યું, "કંઈક ને કંઈક નવું ઇનોવેટ કરવાની ટેવને પોતાની રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવો. બીજું, યોગને પોતાના જીવનનો ભાગ બનાવો. ત્રીજું- પોતાની માતૃભાષા, હિંદી અને અંગ્રેજી ઉપરાંત, ઓછામાં ઓછી એક ભાષા ચોક્કસથી શીખો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ભારત આતંકના આકાઓને ઘરમાં ઘૂસીને મારે છે'
પાકિસ્તાનનું નામ લીધા વિના મોદીએ કહ્યું, "જ્યારે પણ જરૂર પડી ત્યારે ભારતે વિશ્વને બતાવ્યું છે કે તેની પાસે શક્તિ પણ છે અને સાચો જવાબ આપવાની રાજકીય ઇચ્છાશક્તિ પણ. આજે ભારત આતંકના આકાઓને ઘરમાં ઘૂસીને મારે છે. આજે દુનિયા એ સમજી રહી છે કે આ દેશ પોતાનાં હિત સાથે કોઈ પણ કિંમતે રતીભાર સમાધાન નહીં કરે."
પીએમ મોદીએ કહ્યું, "દિવાળીના દિવસે દરવાજે કે ગેટ પર શુભ-લાભ કે રિદ્ધિ-સિદ્ધિ વગેરે રંગોળીની પરંપરા છે. આ પાછળનો એ જ વિચાર હોય છે કે દિવાળી પર સમૃદ્ધિ આવશે."
"એ જ રીતે રાષ્ટ્રની સરહદ એક પ્રકારે દેશનાં દ્વાર હોય છે. ત્યારે રાષ્ટ્રની સમૃદ્ધિ, શુભ-લાભ અને રિદ્ધિ-સિદ્ધિ આપથી (સૈન્યથી) છે."
તેમણે ઉમેર્યું, "કોરોનાકાળમાં રસી બનાવવાનો પ્રયાસ કરી રહેલૈ વૈજ્ઞાનિકો સાથે જ મિસાઇલ બનાવનારા વૈજ્ઞાનિકોએ દેશનું ધ્યાન ખેંચ્યું છે. આ દરમિયાન મિસાઇલ ટેસ્ટિંગના સમાચાર સતત આવતા રહ્યા."
"આપ કલ્પના કરી શકો છો કે ગત કેટલાક મહિનામાં દેશની શક્તિ કેટલી વધી ગઈ છે."
કુલદીપસિંઘ ચાંદપુરી આજે 'રાષ્ટ્રદીપ' બની ગયા
વડા પ્રધાને કહ્યું, "આજે જે રીતે બીજાં ક્ષેત્રોમાં મહિલાઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, એ જ રીતે આપણા સુરક્ષાતંત્રમાં પણ વીમૅન પાવરની ભૂમિકા વધુ વ્યાપક કરાઈ રહી છે."
તેમણે આ અવસરે પાકિસ્તાન સાથે 1971ના યુદ્ધમાં લોંગેવાલા પોસ્ટની ભૂમિકા પણ યાદ અપાવી અને એ લડાઈના હીરો ગણાતા બ્રિગેડિયર કુલદીપસિંઘ ચાંદપુરીને પણ યાદ કર્યા.
તેમણે કહ્યું કે પોતાની બહાદુરીને કારણે કુલદીપસિંઘ ચાંદપુરી આજે 'રાષ્ટ્રદીપ' બની ગયા છે.
કુલદીપસિંઘ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં લોંગેવાલા પોસ્ટ યુદ્ધના નાયક હતા.
તેમની પાસે માત્ર 120 જવાન હતા, જ્યારે પાકિસ્તાન પાસે સમગ્ર ટેન્ક રેજિમૅન્ટ હતી, છતાં તેને ધૂળ ચટાડી હતી.
ભારતીય સૈન્યમાં એમનાં ઉત્તમ પ્રદર્શન માટે એમને 'મહાવીર ચક્ર' અને 'વિશિષ્ટ સેવા ચક્ર' પણ મળ્યાં હતાં.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો