પશ્ચિમ બંગાળમાં ભાજપની રેલીમાં શીખની પાઘડી ઉતરતા થયો મોટો વિવાદ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

પશ્ચિમ બંગાળમાં ગુરુવારે ભારતીય જનતા પાર્ટીના 'નવાન્ન ચલો અભિયાન' દરમિયાન પોલીસ અને ભાજપ સમર્થકો વચ્ચે અનેક સ્થળોએ હિંસક ઘર્ષણ થયાં હતાં.

બીબીસીના સહયોગી પત્રકાર પ્રભાકર મણિ તિવારી પ્રમાણે આ જ વિરોધપ્રદર્શનો દરમિયાન શીખ બલવિંદર સિંહ (46 વર્ષ)ની પાઘડી ઉતારવાની અને તેમની પાસેથી પિસ્તોલ મળી આવ્યાની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ આ મુદ્દે વિવાદ સર્જાયો છે.

ભાજપ સિવાય શિરોમણિ અકાલ દળ અને ક્રિકેટર હરભજન સિંહ પણ આ મુદ્દે ટિપ્પણી કરતાં દોષિતો વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે.

શીખ સમુદાયના કેટલાક લોકોએ બલવિંદર સિંહ માટે ન્યાયની માગ સાથે એક રેલી પણ કાઢી હતી.

બલવિંદર સિંહ ભાજપના નેતા પ્રિયાંશું પાંડેના અંગત સુરક્ષાકર્મી છે.

બીજી તરફ, પશ્ચિમ બંગાળ પોલીસે પોતાના ટ્વીટમાં આ મુદ્દે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, "બલવિંદર સિંહ પાસે હથિયાર હતું. પોલીસકર્મીઓ સાથે ધક્કામુક્કીમાં તેમની પાઘડી પડી હતી. કોઈ પોલીસકર્મીએ તેમની પાઘડી નહોતી ખોલી. અમારો હેતુ કોઈ પણ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી. તેમની ધરપકડ કરતા પહેલાં તેમને પોતાની પાઘડી બાંધવા જણાવવામાં આવ્યું હતું."

પોલીસનું કહેવું છે કે સિંહ પાસેનું લાઇસન્સ જમ્મુ-કાશ્મીરના રાજૌરી ખાતેથી જારી કરાયેલું છે. તે પશ્વિમ બંગાળમાં માન્ય નથી. સિંહને શુક્રવારે હાવડાની એક કોર્ટમાં રજૂ કર્યા બાદ કસ્ટડીમાં મોકલી દેવાયા છે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની હાલત ખરાબ થઈ રહી હોવાનો આરોપ મૂકવાની સાથે ભાજપ દ્વારા રાજ્ય સચિવાલય નવાન્ન ચલો અભિયાન આયોજિત કરાયો હતો.

જોકે, નવાન્ન સૅનિટાઇઝેશન માટે બે દિવસ માટે બંધ હતું. પરંતુ ભાજપના કાર્યકરો અનેક જગ્યાએ પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરી ગયા.

ઘણાં સ્થળોએ પોલીસએ લાઠીચાર્જ અને પાણીનો મારો ચલાવવો પડ્યો.

ભાજપનો દાવો છે કે સરકારે તેમના અભિયાનથી ગભરાઈને રાજ્ય સચિવાલય બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે આરોપ લગાવ્યો છે, "શીખ વ્યક્તિ પાઘડી ખોલવાની કાર્યવાહીથી એ સ્પષ્ટ છે કે મમતા બેનર્જીની સરકારને કોઈ સમુદાયની ધાર્મિક ભાવનાઓથી કોઈ મતલબ નથી."

પાકિસ્તાનમાં ટિકટૉક પર 'અનૈતિકતા અને અશ્લીલતા'ના નામે પ્રતિબંધ

પાકિસ્તાનની ટેલિકૉમ ઑથૉરિટીએ (PTA) શુક્રવારે ચીની વીડિયો શૅરિંગ ઍપ ટિકટૉક પર પ્રતિબંધ લાદી દીધો છે.

પાકિસ્તાન સરકારનું કહેવું છે કે આ પ્રતિબંધ 'અનૈતિક અને અશ્લીલ' સામગ્રીને ફિલ્ટર કરવામાં નિષ્ફળ રહેવાને કારણે લાદવામાં આવ્યો છે.

PTA મુજબ, "વીડિયો શૅરિંગ ઍપ્લિકેશન પર અનૈતિક અને અશ્લીલ સામગ્રી વિરુદ્ધ સમાજના વિભિન્ન ક્ષેત્રોમાંથી ફરિયાદો" આવ્યા બાદ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

PTAનું કહેવું છે કે જો ટિકટૉક અવૈધ સામગ્રીને નિયંત્રિત કરવાની દિશામાં સંતોષજનક રીત અપનાવે તો PTA મુજબ તેઓ આ પ્રતિબંધની સમીક્ષા કરી શકે છે.

તેમજ, આ મામલે ટિકટૉકે ન્યૂઝ એજન્સી રૉયટર્સને જણાવ્યું કે, "જે સ્થળોએ આ ઍપનો ઉપયોગ કરાઈ રહ્યો છે ત્યાં કંપની કાયદાના પાલન માટે પ્રતિબદ્ધ છે."

કંપનીએ કહ્યું છે કે, "અમે PTA સતત વાતચીત કરતા આવ્યા છીએ. અમને એક પરિણામ પર પહોંચવાની આશા છે જેથી દેશના જીવંત અને રચનાત્મક ઑનલાઇન સમુદાયને સેવા પ્રદાન કરી શકાય."

ટિકટૉક ચીની બાઇટડાન્સની ઍપ છે જેની પર નાના વીડિયો નાખવામાં આવે છે. તેની વધતી જતી લોકપ્રિયતા સાથે ઍપ પર બતાવાઈ રહેલી સામગ્રીને લઈને પણ પ્રશ્નો ઊઠતા રહ્યા છે.

સ્વિસ બૅંકના ભારતીય ખાતેદારોની બીજી યાદી મળી

ભારત અને સ્વિટઝર્લૅન્ડ વચ્ચે કાળાં નાણાંની સૂચના શૅર કરવાની વ્યવસ્થા અંતર્ગત ભારતને સ્વિટઝર્લૅન્ડ સરકાર પાસેથી સ્વિસ બૅંક ખાતાંની બીજી યાદી મળી ગઈ છે.

જનસત્તા અખબારે આ સમાચાર પ્રથમ પાને પ્રકાશિત કર્યા છે.

અહેવાલ અનુસાર ભારત એ 86 દેશો પૈકી એક છે જેની સાથે સ્વિટઝર્લૅન્ડના સંઘીય કર પ્રશાસને (FTA) AEOI (સૂચનાઓનું આપમેળે આદાનપ્રદાન) હેઠળ આ વર્ષે નાણાકીય ખાતાંની જાણકારી શૅર કરી છે.

અહેવાલ અનુસાર શુક્રવારે FTAએ કહ્યું કે આ વર્ષે સૂચનાના આદાનપ્રદાનમાં લગભગ 31 લાખ નાણાકીય ખાતાં સામેલ છે.

આ અગાઉ સપ્ટેમ્બર, 2019માં ભારત સહિત 75 દેશો સાથે જાણકારી શૅર કરી હતી. આ વર્ષે પણ લગભગ 31 લાખ નાણાકીય ખાતાંની જાણકારી શૅર કરાઈ હતી.

ગુજરાત સરકારે પેટાચૂંટણી માટે કોવિડ ગાઇડલાઇન જારી કરી

ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ગુજરાતમાં 3 નવેમ્બરે યોજાનારી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીને ધ્યાને રાખી વિગતવાર માર્ગદર્શિકા જારી કરાઈ છે.

નોંધનીય છે કે નવી માર્ગદર્શિકા મુજબ રાજકીય જમાવડા માટે તૈયાર કરાયેલ સ્ટૅજ પર સોફા રાખવાની મનાઈ ફરમાવાઈ છે તેમજ આ પ્રકારના આયોજનમાં વધુમાં વધુ 200 લોકો હાજર રહી શકશે તેવું સૂચવવામાં આવ્યું છે.

કોઈ પણ પ્રકારના કાર્યક્રમના આયોજન માટે સંબંધિત સ્થળના ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટ અથવા પોલીસ કમિશનરની પૂર્વ પરવાનગી લેવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

આ સિવાય આ પ્રકારના કાર્યક્રમના આયોજક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજરનું પાલન કરાવવા માટે જવાબદાર હશે.

આ સિવાય બંધિયાર સ્થળોએ ચૂંટણીલક્ષી સભામાં સભાખંડની મર્યાદા કરતાં અડધા અથવા વધુમાં વધુ 200 વ્યક્તિઓ હાજર રહી શકશે.

આસામમાં સરકારી મદરેસા બંધ કરાશે

ધ ફર્સ્ટપોસ્ટના એક અહેવાલ અનુસાર આસામ સરકારના મંત્રી હિમંતા બિસ્વાએ ગુરુવારે જાહેર કર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત તમામ મદરેસા બંધ કરવામાં આવશે.

આ બાબતે આધિકારિક નોટિફિકેશન આવતા મહિને જાહેર કરાશે.

તેમણે આ વિષય અંગે વધુ વાત કરતાં જણાવ્યું હતું કે, “જાહેર ક્ષેત્રનાં નાણાંનો ઉપયોગ ધાર્મિક ભણતર માટે ન કરી શકાય.”

“રાજ્યમાં ધાર્મિક શિક્ષણ આપતી કોઈ પણ સંસ્થાને રાજ્યની સહાય મળી શકશે નહીં, ખાનગી નાણાકીય વ્યવસ્થાથી ચાલતી મદરેસાઓ અંગે અમારે કંઈ કહેવું નથી.”

તેઓ આગળ વાત કરતાં જણાવે છે કે, “સંસ્કૃત આશ્રમોનું સંચાલન પારદર્શી છે. જોકે, નવેમ્બરમાં આ બાબતે રજૂ થનાર નોટિફિકેશનમાં આ આશ્રમોની સ્થિતિ અંગે પણ સંપૂર્ણ સ્પષ્ટતા કરી દેવાશે.”

પટણા ઍરપોર્ટ પર પાસવાનનાં પુત્રી અને જમાઈનું વિરોધપ્રદર્શન

શુક્રવારે દિવગંત નેતા રામવિલાસ પાસવાનનો મૃતદેહ મેળવવા માટે પટણા ઍરપોર્ટમાં પ્રવેશ ન અપાતાં પાસવાનનાં પુત્રી અને જમાઈએ ઍરપોર્ટ પર વિરોધપ્રદર્શન કર્યું હતું.

રામવિલાસ પાસવાનનાં પ્રથમ પત્નીનાં પુત્રી આશા દેવી અને તેમના પતિ અનિલ સાધુએ બિહારના ઉપમુખ્ય મંત્રી સુશીલ કુમાર મોદીની કાર સામે વિરોધપ્રદર્શન કર્યું હતું.

નોંધનીય છે કે મોદી રામ વિલાસ પાસવાનનો મૃતદેહ મેળવવા માટે ઍરપોર્ટ આવ્યા હતા.

એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર પાસવાનના જમાઈ સાધુ લાલુ પ્રસાદના પક્ષ આર. જે. ડી. સાથે સંકળાયેલા છે.

તેમણે આ ઘટના અંગે વાત કરતાં કહ્યું હતું કે, “આવા દુ:ખદ પ્રસંગે કેમ રાજકારણ રમાઈ રહ્યું છે? કેમ તેમનાં પુત્રી અને અન્ય પરિવારજનોને ઍરપોર્ટની અંદર પ્રવેશ નથી અપાઈ રહ્યો?”

નોંધનીય છે કે બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમાર પણ મૃતદેહ મેળવવા માટે ઍરપોર્ટ પર આવ્યા હતા.

આ મામલે અધિકારીઓએ કહ્યું હતું કે સુરક્ષા કારણોસર કેટલાક ચુનંદા લોકોને ઍરપોર્ટમાં પ્રવેશ અપાઈ રહ્યો હતો.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો