અમિત શાહને લઈને ઍઇમ્સે જાહેર કર્યું નિવેદન - TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને શનિવારની રાત્રે AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિત શાહ 2 ઑગસ્ટના રોજ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હોવાની જાણકારી મળી હતી, જે બાદ તેમને હૉસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા.

જોકે, ઇલાજ બાદ કોરોનાનો રિપોર્ટ નૅગેટિવ આવતાં 14 ઑગસ્ટના રોજ તેમને રજા મળી ગઈ હતી.

પરંતુ 18 ઑગસ્ટના રોજ થાક અને શરીરમાં દુખાવાની ફરિયાદ સાથે તેમને ફરી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા અને 31 ઑગસ્ટના રોજ રજા આપવામાં આવી હતી.

ઍઇમ્સના મીડિયા વિભાગે નિવેદન જાહેર કરીને જણાવ્યું, "ગૃહમંત્રી અમિત શાહને કોવિડ કૅર બાદ 30 ઑગસ્ટે ઍઇમ્સમાંથી રજા આપી દેવાઈ હતી. ડિસ્ચાર્જના સમયે તેમને સલાહ અપાઈ હતી અને એ જ અંતર્ગત સંસદ સત્રના પહેલાં સંપૂર્ણ મેડિકલ ચેકઅપ માટે તેમને એક-બે દિવસ માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા છે."

જોકે, આ પહેલાં શાહના અંગત મિત્રોએ બીબીસીને જણાવ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફની સમસ્યાને પગલે ઍઇમ્સમાં દાખલ કરાવાયા હતા.

પૂર્વ નેવી અધિકારી સાથે મારપીટના કેસમાં શિવસેના વિવાદમાં

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે જોડાયેલું એક કાર્ટૂન સોશિયલ મીડિયા પર ફૉરવર્ડ કરવા પર ભારતીય નેવીના પૂર્વ અધિકારી મદન શર્મા સાથે મારપીટ થવાનો વિવાદ વધી રહ્યો છે.

એક તરફ પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઘટનાને લઈને ઉદ્ધવ સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે, તો બીજી તરફ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ મદન શર્મા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે સૈનિકો પર આ પ્રકારના હુમલા અસ્વીકાર્ય છે.

તો ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ કાર્ટૂન ટ્વીટ કરી મદન શર્માને પોતાનું સમર્થન આપ્યું છે.

આ તરફ મારપીટ બાદ શિવસેનાના કાર્યકર્તાઓની ધરપકડ અને પછી તુરંત જામીન મળી જતાં મુંબઈ ભાજપે ધરણાં પણ કર્યા હતાં.

શિવસેનાના કાર્યકર્તાઓને જામીન મળ્યા બાદ મદન શર્માએ રાજ્યના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેના રાજીનામાની માગ કરી છે.

તેમણે કહ્યું, ‘હું ઘાયલ છું અને તણાવમાં છું. જે થયું તે દુઃખદ છે. હું ઉદ્ધવ ઠાકરેને કહેવા માગુ છું કે જો તમે કાયદો અને વ્યવસ્થાની દેખરેખ કરી શકતા નથી તો રાજીનામું આપી દો અને લોકોને એ નક્કી કરવા દો હવે આ કોણે જોવાનું છે.’

મદન શર્માએ ઉમેર્યું, ‘ઉદ્ધવ ઠાકરેજીના દરેક કાર્યકર્તાઓ અને સંગઠનોએ આખા દેશ પાસે માફી માગવી જોઈએ, જેથી આવી ઘટના બીજા કોઈ સાથે ન બને.’

ગુજરાતમાં ફરી વરસાદની આગાહી

આ વર્ષે ગુજરાતમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ નોંધાયો છે અને એ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો જ્યાં સામાન્યપણે દુષ્કાળ હોય છે. હવે આ અઠવાડિયે પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

24 કલાકમાં ગુજરાતના પૂર્વ અને દક્ષિણી જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. ગાંધીનગર, અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, અમરેલી, વલસાડ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો હતો. કંડલા પોર્ટ તેમજ કેશોદમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો.

હાલ તોફાની હવા ઉત્તર પૂર્વ અરબ સાગરમાં, ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં જોવા મળી રહી છે.

'સ્કાયમેટ વૅધર'ના અનુમાન પ્રમાણે આગામી એક અઠવાડિયા સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં વરસાદ વરસશે. કચ્છમાં અપેક્ષાકૃત મધ્યમ કે હળવો વરસાદ રહેશે.

16થી 18 સપ્ટેમ્બર વચ્ચે અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિત પૂર્વી જિલ્લામાં મુસળધાર વરસાદ વરસી શકે છે.

તો શું ભારતમાં 37 કરોડ કોરોના વાઇરસના કેસ છે?

'ડૅક્કન ક્રૉનિકલ'ના એક અહેવાલ અનુસાર ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ પ્રમાણે મેથી જૂન મહિના સુધીમાં દેશની 40 ટકા વસતી કોરોના વાઇરસથી સંક્રમિત હતી.

પરંતુ મહત્ત્વની બાબત એ છે કે જેટલા કેસ નોંધાયા તે દરેક એક કેસની સામે 80થી 130 કેસ ભારત નોંધવાનું ચૂકી ગયું છે.

જો ICMRના સંશોધનને ધ્યાને લેવામાં આવે તો આજે દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા 37,28,00,000 હોત.

તેની સામે અમેરિકામાં દરેક નોંધાયેલા કેસની સામે 10 કેસ ચૂકી ગયા હોવાનું અનુમાન છે.

જે કેસ ચૂકી ગયા છીએ તેમાં લક્ષણ વિનાના લોકો, અથવા તો હળવાં લક્ષણવાળા લોકોનો સમાવેશ થાય છે.

પણ કેસ ચૂકવાનું કારણ શું છે?

તેના જવાબમાં ICMR કહે છે કે આપણા દેશમાં એ જ લોકોનું પરિક્ષણ થયું જેને લક્ષણો જોવા મળ્યાં હતાં અને હાલત ગંભીર હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો