BCCIએ જાહેર કર્યું IPLનું ટાઇમટેબલ, ચેન્નઈ સુપરકિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે પ્રથમ મૅચ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLની 13મી સીઝનનું ટાઇમટેબલ જારી કર્યું છે.

IPLની પ્રથમ મૅચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે 19 સપ્ટેમ્બરના રોજ અબુ ધાબી ખાતે રમાશે.

આ વખત IPL કોરોના મહામારીને કારણે ભારતથી હજારો કિલોમિટર દૂર સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAEમાં યોજાઈ રહી છે.

આ પહેલાં વર્ષ 2014માં પણ IPLના પ્રથમ ભાગનું આયોજન UAE ખાતે કરાયું હતું.

લીગની તમામ મૅચ 3 નવેમ્બર સુધી પૂર્ણ કરાશે. પ્રથમ મૅચ ભારતીય સમય પ્રમાણે, સાડા ત્રણ વાગ્યે બપોર બાદ શરૂ થશે જ્યારે સાંજે રમાનાર મૅચ રાત્રે સાડા સાત વાગ્યે શરૂ થશે.

પહેલાં IPL એપ્રિલ અને મેમાં યોજાવાની હતી, પરંતુ કોરોનાને કારણે તેનું આયોજન મોકૂફ રખાયું. નોંધનીય છે કે પહેલાં IPL-13 29 માર્ચથી શરૂ થવાની હતી.

લીગની તમામ મૅચો શારજાહ, અબુ ધાબી અને દુબઈમાં રમાશે. જે પૈકી 24 મૅચ દુબઈ, 20 મૅચ અબુ ધાબીમાં અને 12 મૅચ શારજાહ ખાતે રમાશે.

પ્લેઑફ અને ફાઇનલ મૅચોની તારીખની જાહેરાત હજુ સુધી નથી કરાઈ. તેની જાહેરાત અમુક સમય બાદ કરાશે.

આ સીઝનમાં કુલ આઠ ટીમો છે જે એકબીજાની સામે બબ્બે વખત રમશે.

રૈના અને હરભજને IPLમાંથી કરી પીછેહઠ

હાલમાં જ કોરોનાને કારણે સુરેશ રૈના IPL છોડીને ભારત આવ્યા હતા.

ચેન્નઈ સુપરકિંગ્સ તરફથી આધિકારિકપણે એવું કહેવાયું હતું કે સુરેશ રૈના પોતાનાં અંગત કારણોને લીધે ભારત પરત ફર્યા છે અને તેઓ આ વર્ષે કદાચ IPLમાં નહીં રમે.

ત્યાર બાદ ચેન્નઈ સુપરકિંગ્સના જ અન્ય એક ખેલાડી હરભજન સિંહે પણ વ્યક્તિગત કારણોને લીધે આ વખત IPLમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો હતો.

જ્યારે IPL UAEમાં રમાશે તે અંગે કોઈ સ્પષ્ટતા નહોતી કરાઈ ત્યારે BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે ખાલી સ્ટેડિયમમાં પણ IPLનું આયોજન કરાવાની વાત પર વિચાર કરાઈ રહ્યો છે.

આ મુદ્દે સોશિયલ મીડિયા પર ચર્ચા પણ શરૂ થઈ ગઈ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો