શિંજો એબેએ જાપાનના વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું

ઇમેજ સ્રોત, Getty Images
જાપાનના વડા પ્રધાન શિંજો એબેએ સ્વાસ્થ્ય કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી છે.
રાજીનામું આપતી વખતે તેમણે કહ્યું કે તેઓ પોતાની બીમારીને નિર્ણયો લેવામાં આડે આવવા દેવા માગતા નથી. સાથે જ તેઓ પોતાનો કાર્યકાળ પૂરો ન કરી શકાવાને કારણે જાપાનના લોકોનો આભાર માન્યો હતો.
65 વર્ષના શિંજો એબે ઘણા સમયથી બીમાર હતા પરંતુ તેમનું કહેવું છે કે તેમની સ્વાસ્થ્ય હાલના સમયમાં વધારે ખરાબ થયું છે.
તેઓ જાપાનમાં સૌથી લાંબો સમય વડા પ્રધાન પદ પર રહેનારા નેતા છે. 2012માં તેઓ સૌથી પહેલાં વડા પ્રધાન બન્યા હતા.
વર્ષ 2007માં પણ તેમણે વડા પ્રધાનના શરૂઆતના કાર્યકાળ દરમિયાન બીમારીને કારણે રાજીનામું આપી દીધું.
તેમને કિશોરાવસ્થાથી આંતરાડા સંબંધી બીમારી છે. જેની સારવાર ચાલી રહી છે.
તેમનો કાર્યકાળ સપ્ટેમ્બર 2021માં પૂર્ણ થવાનો હતો.
કોરોના વાઇરસની મહામારીમાં કામગીરી મામલે વડા પ્રધાન શિંજો આબેની ટીકા થઈ રહી હતી. તે સિવાય તેમના પક્ષના સભ્યો પર લાગેલા સ્કૅન્ડલના આરોપોને કારણે પણ તેમના પર સતત આરોપો થતા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોરોના વાઇરસ મહામારીને કારણે જાપાનની અર્થવ્યવસ્થા ઐતિહાસિક રીતે સૌથી નીચલા સ્તર પર છે. વડા પ્રધાન એબેએ વચન આપ્યું હતું કે તેઓ અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવશે.
શિંજો એબે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મિત્રતા અને ગુજરાતના પ્રવાસને લઈને પણ ભારતમાં ચર્ચામાં રહ્યા છે.

'જો પાર્ટીમાં ચૂંટણી ન થઈ તો કૉંગ્રેસ 50 વર્ષ સુધી વિપક્ષમાં બેઠી રહેશે'

ઇમેજ સ્રોત, Getty Images
કૉંગ્રેસ પાર્ટીમાં મોટા સ્તરે ફેરફારની માગ પછી શરૂ થયેલું ઘમસાણ રોકાવાનું નામ નથી લેતું.
કૉંગ્રેસમાં વ્યાપક સ્તરે ફેરફારોની માગ ઉઠાવનાર નેતાઓમાં સામેલ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે કહ્યું છે કે જો પાર્ટીમાં ચૂંટણી ન થઈ તો આવનારાં 50 વર્ષ સુધી કૉંગ્રેસ વિપક્ષમાં જ બેઠી રહેશે.
હિંદુસ્તાન ટાઇમ્સ મુજબ કૉંગ્રેસ વર્કિંગ કમિટીને તેમણે કહ્યું કે નિમાયેલા અધ્યક્ષને પાર્ટીમાં એક ટકો સમર્થન પણ ન હોય, એવું બની શકે છે.
તેમણે રાજ્ય કૉંગ્રેસ પ્રમુખ, જિલ્લા અને બ્લૉક પ્રમુખ પદો પર પણ ચૂંટણી કરાવવાની માગ કરી.
તેમણે કહ્યું કે જે લોકો ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે તેઓ પોતાના પદ ગુમાવવાથી ડરી રહ્યા છે.
આની પહેલાં 20થી વધારે નેતાઓએ કૉંગ્રેસમાં ભારે ફેરફાર કરવાની માગ સાથે કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો.
પછી સોનિયા ગાંધીએ પદ છોડવાની તૈયારી બતાવી હતી. જોકે હાલ તેઓ કાર્યકારી અધ્યક્ષ છે.

ભારતને મજબૂત વિપક્ષની જરૂર, 'કૉંગ્રેસે બેઠા થવું જોઈએ'

ઇમેજ સ્રોત, Getty Images
શિવસેનાના નેતા સંજય રાઉત ગુરુવારે કહ્યું કે દેશને મજબૂત વિપક્ષની જરૂર છે માટે કૉંગ્રેસ પોતાને પુનર્જીવિત કરવાની જરૂર છે.
તેમણે કહ્યું કે રાહુલ ગાંધી કૉંગ્રેસના એકમાત્ર નેતા છે જેમને પાર્ટીમાં સર્વસંમતિથી સ્વીકાર કરી શકાય છે.
ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, "સોનિયા ગાંધીની ઉંમર થઈ ગઈ છે અને હું પ્રિયંકા ગાંધીને સંપૂર્ણ રીતે રાજકારણમાં નથી જોતો. પાર્ટીમાં ઘણા વરિષ્ઠ નેતાઓ છે જેમને કારણે રાહુલ ગાંધી કામ નથી કરી શકતા.
સામનાના સંપાદક સંજય રાઉતે કહ્યું કે "હું કૉંગ્રેસના પ્રમુખ તરીકે બિન-ગાંધી પરિવારના કોઈ નેતાને નથી જોઈ શકતો."
તેમણે આગળ કહ્યું કે ભારતને મજબૂત વિપક્ષની જરૂર છે અને કૉંગ્રેસની ઓળખ દેશવ્યાપી છે.

નર્મદા ડેમમાં જળસ્તર વધ્યું

ઇમેજ સ્રોત, TWITTER/NARENDRAMODI
સરદાર સરોવર નર્મદા ડૅમમાં આ વર્ષે પહેલી વખત જળસ્તર 130 મીટરને પાર પહોંચી ગયું હતું.
શનિવારથી ગુરુવાર સુધી ડૅમમાં પાણીની સપાટીમાં નવ મીટરનો વધારો થયો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસ મુજબ ગુરુવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ડૅમમાં પાણીની સપાટી 130.53 મીટર પર પહોંચી હતી, આ ડૅમની અધિકતમ ક્ષમતા 138.68 મીટર છે. હાલની પાણીની સપાટી તેના કરતાં લગભગ આઠ મીટર ઓછી છે.
હવે ડૅમમાં રિવરબૅડ પાવરહાઉસમાં તબક્કાવાર રીતે પાણીથી ઉત્પન્ન થતી વિજળીનું ઉત્પાદન શરૂ થયું છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ પ્રમાણે નર્મદા ડૅમમાં 63,723 ક્યૂસેક પાણીનો વધારો થયો છે.
એસએસએનએલના નિદેશક પી. સી. વ્યાસે કહ્યું, "ડૅમમાંથી 40 હજાર ક્યૂસેક પાણીની નિકાસ થાય છે. પાવર હાઉસમાં વિજ ઉત્પાદન 26 ઑગસ્ટથી શરૂ થયું છે."

સી. આર. પાટીલ હવે ઉત્તર ગુજરાતની મુલાકાતે

ઇમેજ સ્રોત, FACEBOOK/C R PAATIL
ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ સૌરાષ્ટ્ર બાદ હવે ઉત્તર ગુજરાતની મુલાકાત લેશે.
સૌરાષ્ટ્રમાં તેમની રૅલીઓ અને બેઠકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન હોવાનું સામે આવ્યું હતું.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ તેઓ ત્રીજી સપ્ટેમ્બરે અંબાજી મંદિરથી પોતાની યાત્રા શરૂ કરશે અને પછી બનાસકાંઠા અને પાટણ જિલ્લાની મુલાકાત લેશે.
ત્યાર બાદ તેઓ મહેસાણા જિલ્લામાં ઉમિયા મંદિર, રાણકી વાવ અને વીરમાયાની ટેકરીની મુલાકાત લેશે.
તેઓ આ યાત્રા દરમિયાન ભાજપના કાર્યકરોને મળશે અને સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ સાથે પણ મુલાકાત કરશે.
સી. આર. પાટીલ પાંચ સપ્ટેમ્બરે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મુલાકાત પણ લેશે.
આની પહેલાં તેમની રૅલીમાં ગરબા રમવા અને માસ્ક તથા અન્ય નિયમોનું કથિત રીતે પાલન ન થવાથી વિવાદ પણ થયો હતો.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















