માન્યતા દત્તે કહ્યું સંજય દત્ત માટે દુઆ કરો, અફવાઓ ન ફેલાવો

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

બૉલીવુડ અભિનેતા સંજય દત્તની બિમારીના સમાચાર સામે આવ્યા પછી તેમના પત્ની માન્યતા દત્તે આ અંગે નિવેદન જાહેર કર્યું છે. સંજય દત્તની બીમારીને લઈને અનેક અટકળો બાદ પરિવાર તરફથી નિવેદન આવ્યું છે.

માન્યતાએ બુધવારે જાહેર કરેલાં પોતાના નિવેદનમાં એ તમામ લોકોનો આભાર માન્યો છે, જે સંજય દત્ત જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાથના કરી રહ્યા છે.

માન્યતા કહે છે, "હું સંજુના ફૅન્સને વિનંતી કરું છું કે કોઈ પ્રકારની અફવાઓ અને અટકળોની ઝપેટમાં ન આવે. હું ઇચ્છું છું કે તમે સૌ આ પ્રકારે અમને પોતાનો પ્રેમ, હૂંફ અને સહયોગ આપતા રહો. ગત કેટલાંક વર્ષોમાં અમારા પરિવારે અનેક મુસીબતોનો સામનો કર્યો છે અને મને વિશ્વાસ છે કે આ સમય પણ પસાર થઈ જશે. સંજુ અને અમારો પરિવાર હંમેશાં ફાઇટર રહ્યો છે. ભગવાને એક વાર ફરીથી અમારા પરિવાર સામે પડકાર ઊભો કરીને અમારી પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે."

માન્યતાએ કહ્યું, "આ સમયમાં અમારે તમારા આશીર્વાદ અને પ્રાર્થાનાઓની જરૂરિયાત છે. તમારી મદદથી અમે હંમેશાની જેમ વિજેતા બનીને સામે આવીશું. આ તકનો ઉપયોગ સકારાત્મકતા ફેલાવવા માટે કરજો."

કામમાંથી બ્રેક

આ પહેલાં સંજય દત્તે મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોતાની પોસ્ટમાં કહ્યું કે તેઓ સારવાર માટે કામમાંથી રજા લઈ રહ્યા છે.

તેમણે લખ્યું હતું, "મિત્રો, સારવાર માટે કામમાંથી નાનો બ્રેક લઈ રહ્યો છું. મારા અને મારા પરિવારના શુભચિંતકોને વિનંતી છે કે તેઓ ચિંતા ન કરે અથવા બેજવાબદાર અટકળો ન લગાવે. હું જલદી પરત ફરીશ."

સંજય દત્ત અને તેમના પરિવારે આ અંગે કોઈ જાણકારી નથી આપી કે તેમને શું તકલીફ છે અને કંઈ બિમારીના ઇલાજ માટે તે કામમાંથી બ્રેક લઈ રહ્યા છે.

ગત દિવસોમાં તેમને મુંબઈની લિલાવતી હૉસ્પિટલમાં સારવાર માટે ભરતી કરવામાં આવ્યા હતા. સંજય દત્તે પોતે ટ્વિટ કરીને કહ્યું હતું કે તેઓ લીલાવતી હૉસ્પિટલમાં દાખલ છે, પરંતુ તેમનો કોરોના ટેસ્ટ નૅગેટિવ આવ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો