VIVO IPL-2020 : મુખ્ય સ્પૉન્સરશિપથી દૂર થઈ શકે છે ચીન કંપની - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર રવિવારે આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલમાં નિર્ણય લેવાયો હતો કે ચીની કંપની સાથે કરાર નહીં તોડવામાં આવે.

જોકે બાદમાં સોશિયલ મીડિયામાં ચીની કંપની સામે અવાજ ઊઠવા લાગ્યો હતો. એટલે સુધી કે દેશના ઘણા નામાંકિત લોકોએ પણ બીબીસીઆઈની આ મામલે ટીકા કરી હતી.

વાત વધી જતાં હવે બીસીસીઆઈ Vivoને મુખ્ય સ્પૉન્સરથી અલગ કરવાનો નિર્ણય લઈ શકે છે.

લદ્દાખ સીમા પર ભારત અને ચીન વચ્ચેનો વિવાદ હજુ શમવાનું નામ નથી લેતો. એવા સમયે આઈપીએલમાં ચીની કંપનીની સ્પૉન્સરશિપ પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે.

રામમંદિરનો ભાજપે ફાયદો ન ઉઠાવવો જોઈએ

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ રામમંદિરના ભૂમિપૂજન પહેલાં સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે રામમંદિરના નામે રાજકીય ફાયદો મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.

તેઓએ પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનો રથયાત્રા સમયને એક કિસ્સો પણ યાદ કર્યો હતો.

શંકરસિંહ વાઘેલાએ ભાજપની રામમંદિર મામલે ટીકા કરતાં કહ્યું કે ભગવાન રામ સૌના છે, આથી અયોધ્યામાં બનનારું મંદિર માત્ર ભાજપનું ન રહેવું જોઈએ.

તેમણે કહ્યું કે ભગવાન રામ કોઈ ચોક્કસ ધર્મ સાથે જોડાયેલા નથી, બધાને તેમનામાં શ્રદ્ધા છે.

તેમણે કહ્યું કે રામમંદિર માટે ઘણા કારસેવકોએ જીવ ગુમાવ્યા છે, અનેક લોકોએ તેના માટે લડત ચલાવી છે. આ કોઈ એક પાર્ટીના લાભ માટે ન હોય, ભાજપ માટે ન હોય એટલું તેઓ ધ્યાન રાખશે, તો ભગવાન રામ અને દેશની સેવા થશે.

અર્થવ્યવસ્થાને પાટે ચડાવવા કૃષિક્ષેત્રની ભૂમિકા મહત્ત્વની રહેશે

ભારતીય અર્થવ્યવસ્થા માટે ખરાબ સમય સંભવતઃ સમાપ્ત થઈ ગયો છે. નાણા મંત્રાલયના મંગળવારે જાહેર થયેલા એક રિપોર્ટમાં આ નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે.

ધ વાયરે લખ્યું કે રિપોર્ટમાં કહેવાયું છે કે સારા ચોમાસાની સંભાવના જોતાં કૃષિ ક્ષેત્ર કોરોના વાઇરસથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને બેઠી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

આર્થિક મામલાના વિભાગ તરફથી જાહેર કરાયેલા જુલાઈના રિપોર્ટમાં કહેવાયું કે એપ્રિલના સંકટ બાદ ભારત હવે પુનરોત્થાનની રાહ પર છે. તેમાં સરકાર અને કેન્દ્રીય બૅન્કની નીતિઓનું સમર્થન મળ્યું છે.

રિપોર્ટમાં કહેવાયું કે ભારત અનલૉક તબક્કામાં છે. તેનાથી ખબર પડે છે કે અર્થવ્યવસ્થાનો ખરાબ સમય વીતી ગયો છે.

જોકે કોવિડ-19ના કેસ દેશમાં સતત વધી રહ્યા છે અને વિભિન્ન રાજ્યોમાં લાગતાં લૉકડાઉનથી જોખમ પણ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો