You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બૈરુત વિસ્ફોટ : લેબનનની રાજધાનીમાં બ્લાસ્ટ કઈ રીતે થયો, શું રખાયું હતું?
લેબનનની રાજધાની બૈરુતમાં જે શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકોનાં જીવ ગયા અને ચાર હજારથી વધુ લોકો ઘાયલ થયા છે, એ વિસ્ફોટના કેન્દ્રમાં એક વૅરહાઉસ હતું.
જાણવા મળી રહ્યું છે કે આ વૅરહાઉસમાં ગત છ વર્ષથી જપ્ત કરાયેલા ઍમોનિયમ નાઇટ્રેડનો ભંડાર ભેગો કરાયો હતો, જેમા આ વિસ્ફોટ થયો છે.
લેબનનના વડા પ્રધાન હસન દિયાબે આને એક ખતરનાક વૅરહાઉસને ગણાવ્યું હતું, જે ત્યાં વર્ષ 2014માં બન્યું હતું. તેમણે આને એક પ્રલયકારી ઘટના ગણાવી છે અને કહ્યું છે કે જવાબદાર લોકોને છોડવામાં નહીં આવે.
તો લેબનનના રાષ્ટ્રપતિ મિશેલ આઉને કહ્યું છે કે આ વાતને કોઈ પણ કાળે સ્વીકારી શકાય નહીં કે આખરે કઈ રીતે 2,750 ટન ઍમોનિયમ નાઇટ્રેડ ત્યાં અસુરક્ષિત રીતે રાખવામાં આવ્યો હતો.
આ વિસ્ફોટ એટલો જબદસ્ત હતો કે એનો અવાજ 240 કિલોમિટર દૂર સાઇપ્રસ સુધી સાંભળી શકાયો હતો.
લેબનનના વડા પ્રધાન હસન દિઆબે બુધવારે રાષ્ટ્રીય શોકની ઘોષણા કરી છે.
હાલ કાટમાળ ખસેડવાની અને બચાવની કામગીરી ચાલી રહી છે.
લેબનનના રાષ્ટ્રપતિ આઓને 100 બિલિયન લિબ્રા ( અંદાજે 66 મિલિયન ડૉલર)ના ઇમરજન્સી રાહત પૅકેજની જાહેરાત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘટનાસ્થળનો ચિતાર આપે છે આ વીડિયો
અધિકારીઓનું કહેવું છે કે એક ગોદામમાં ભારે માત્રામાં વિસ્ફોટક સામગ્રી સંઘરવામાં આવી હતી અને ત્યાં બ્લાસ્ટ થયો છે. રાષ્ટ્રપતિ માઇકલ ઇયોને ટ્વીટ કરી કહ્યું છે કે 2750 ટન વિસ્ફોટક નાઇટ્રેટ અસુરક્ષિત રીતે રાખવામાં આવ્યો હતો એ સ્વીકારી શકાય એવી વાત નથી.
વિસ્ફોટ કેમનો થયો તેની તપાસ થવી હજી બાકી છે.
ઘટનાસ્થળે હાજર બીબીસી પત્રકારનું કહેવું છે કે ચારેબાજુ શબ વિખરાયેલા છે અને મોટાં પ્રમાણમાં નુકસાન થયું છે.
વડા પ્રધાન હસન દિઆબે આને ભયાનક ઘટના ગણાવી છે અને કહ્યું છે કે દોષીઓને છોડવામાં નહીં આવે.
સોશિયલ મીડિયામાં શૅર થઈ રહેલા વીડિયોમાં ધુમાડાના ગોટેગોટા અને તૂટી પડેલી ઇમારતો નજરે પડે છે.
આ બ્લાસ્ટ 2005માં લેબનનના પૂર્વ વડા પ્રધાન રફીક હરીરીની હત્યાની તપાસ અને અદાલતી સુનવણીનો ચુકાદો આવે તે પહેલાં થયો છે.
કાર-બૉમ્બ દ્વારા 2005માં હરીરીની હત્યા કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્રનું એક ટ્રિબ્યૂનલ આ હત્યાના કેસમાં શુક્રવારે ચુકાદો સંભળાવવાનું હતું. આમાં ચાર સંદિગ્ધ ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ સમૂહના છે.
જોકે તેઓ આ હુમલામાં સામેલ થવાનો ઇનકાર કરી રહ્યા છે. હરીરીના ઘરની બહાર એક બીજો બ્લાસ્ટ થવાની વાત પણ કહેવામાં આવી રહી છે.
ચારે સંદિગ્ધ આરોપી શિયા મુસ્લિમ છે અને તેમની સામે અદાલતી કાર્યવાહી નેધરલૅન્ડમાં ચાલે છે. હરીરીને જ્યારે કાર-બૉમ્બ દ્વારા મારવામાં આવ્યા ત્યારે બીજા 21 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
લેબનનના સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું કે આજે થયેલા બ્લાસ્ટમાં જાન-માલને ઘણું નુકસાન થયું છે. સ્થાનિક મીડિયામાં જોવા મળી રહ્યું છે કે લોકો કાટમાળ નીચે દબાયેલા છે. ઘટનાના એક સાક્ષીએ કહ્યું કે પહેલો બ્લાસ્ટ બહેરો કરી દે તેવો હતો.
હાલ સુધી બ્લાસ્ટનું કારણ ધ્યાને આવ્યું નથી. લેબનનમાં ગત કેટલાક સમયથી સરકારની સામે વિરોધપ્રદર્શન થઈ રહ્યા છે.
લેબનન 1975-1990ના ગૃહયુદ્ધ પછી સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને લોકો સરકારની સામે વિરોધ કરવા રસ્તા પર ઊતર્યા છે.
લેબનનના ભારતીય દૂતાવાસે ટ્વીટ કરીને કહ્યું કે બે મોટા બ્લાસ્ટ સેન્ટ્રલ બૈરુતમાં સંભળાયા છે. તમામ લોકોને શાંત રહેવાની સલાહ આપવામાં આવે છે. કોઈ પણ ભારતીય વ્યક્તિને મદદની જરૂર હોય તો અમારા નંબર પર મદદ માગી શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો