સુશાંતસિંહ રાજપૂત કેસ : અનેક મોટાં નામોની તપાસ ચાલુ - અનિલ દેશમુખ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

સુશાંતસિંહ રાજપૂત કેસમાં અનેક નામો બહાર આવ્યાં છે અને તપાસ ચાલી રહી છે. મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે બીબીસી સાથેના ઍક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી.

દેશમુખે કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આ કેસની તપાસ ચાલી રહી છે અને 'દરેક ઍંગલ'થી તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે બોલીવૂડની કેટલીક હસ્તીઓના નિવેદન નોંધ્યા છે અને હજુ કેટલીક હસ્તીઓને પૂછપરછ માટે બોલાવશે અને તેમનાં નિવેદનો લેશે.

મુંબઈ કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સંજય નિરુપમ તથા કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સનું માનવું છે કે બોલીવૂડમાં પ્રવર્તમાન સગાવાદ રાજપૂતને આત્મહત્યા સુધી દોરી ગયો.

બીજી બાજુ, સોશિયલ મીડિયા ઉપર સુશાંતસિંહ રાજપૂતના કેસની સી.બી.આઈ. દ્વારા તપાસ કરાવવાની માગ થઈ રહી છે.

બોલીવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે તા. 14મી જૂને મુંબઈમાં તેમના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

'દરેક આયામથી તપાસ ચાલુ'

સંવાદદાતા નિલેશ ધોત્રેએ મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દેશમુખને આત્મહત્યાનું કારણ પૂછ્યું.

ત્યારે તેમણે જણાવ્યું, "છેલ્લા આઠ દિવસથી વરિષ્ઠ અધિકારીઓ દ્વારા વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે."

"અમને ફરિયાદ મળી છે કે વ્યવસાયિક હરીફાઈમાં આમ થયું છે, આથી દરેક આયામથી તપાસ કરવામાં આવી રહી છે. અમે અલગ-અલગ લોકોનાં નિવેદનો નોંધી રહ્યા છીએ."

દેશમુખે ઉમેર્યું, "હું કોઈ નામ નહીં લઉં, પરંતુ અનેક નામોની તપાસ કરવાની જરૂર છે. તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવશે અને શું વ્યવસાયિક હરીફાઈ કારણભૂત હતી કે કેમ તે જોવામાં આવશે."

સોશિયલ મીડિયા ઉપર અનેક નામ બહાર આવી રહ્યા છે, તે અંગે દેશમુખે કહ્યું, "સમગ્ર તપાસ પૂર્ણ થાય, તે પહેલાં કંઈ પણ કહેવું વહેલું ગણાશે. હાલ તપાસ ચાલી રહી છે અને કશું નક્કર મળ્યે, વિગતો સાર્વજનિક કરવામાં આવશે."

સોશિયલ મીડિયા ઉપર સુશાંતસિંહની આત્મહત્યા મુદ્દે સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા તપાસ કરાવવાની માગ થઈ રહી છે, પરંતુ દેશમુખે આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે 'કેસની તપાસ માટે મહારાષ્ટ્ર પોલીસ સક્ષમ છે.'

સી.બી.આઈ. તપાસની માગ

પશ્ચિમ બંગાળથી ભાજપના સંસદસભ્ય તથા 'મહાભારત' સિરિયલમાં દ્રૌપદીનો રોલ કરનાર રૂપા ગાંગુલીએ સુશાંતસિંહ રાજપૂતના કેસમાં સી.બી.આઈ. તપાસની માગ કરી છે. તેમણે ગુરુવારે લગભગ 40થી વધુ ટ્વીટ સુશાંતસિંહ મુદ્દે કર્યાં.

એક ટ્વીટમાં તેમણે લખ્યું, 'હું એ વિચારે ઊંઘી નથી શકતી કે જ્યારે બાળકો પૂછશે કે માસૂમિયતની હત્યા થઈ, ત્યારે તમે મૂળ સુધી કેમ ન પહોંચી શક્યાં? ત્યારે શું જવાબ આપીશું?'

ભાજપના નેતા મનોજ તિવારીના કહેવા પ્રમાણે, તેઓ સુશાંતસિંહ રાજપૂતના પરિવારજનોને મળ્યા હતા અને તેઓ પણ આ કેસમાં સી.બી.આઈ. દ્વારા તપાસ ઇચ્છે છે.

પત્રકાર મીના નારાયણ દાસે લખ્યું, 'તમે ખૂબ જલદી જતા રહ્યા. તે ઠંડા કલેજે ગણતરીપૂર્વકની હત્યા હતી. સી.બી.આઈ. તપાસ સુશાંતસિંહ રાજપૂત અને તેમના પરિવારને ન્યાય અપાવી શકશે?'

સોશિયલ મીડિયા ઉપર સુશાંતસિંહની આત્મહત્યા મુદ્દે સી.બી.આઈ. (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા તપાસ કરાવવાની માગ થઈ રહી છે, પરંતુ દેશમુખે આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે 'કેસની તપાસ માટે મહારાષ્ટ્ર પોલીસ સક્ષમ છે.'

ટ્વિટર ઉપર વિકાસ રંજને લખ્યું, 'હું સુશાંતસિંહ રાજપૂત છું. મારી હત્યા થઈ છે. મને ન્યાય જોઇએ છે.'

રવિ તિવારી નામના ટ્વિટરાઇટે પણ સમાન પ્રકારના લખાણ સાથેના પ્લાકાર્ડવાળી તસવીર મૂકી હતી અને સુશાંતસિંહ રાજપૂત કેસમાં સી.બી.આઈ. તપાસની માગ કરી હતી.

બોલીવૂડની હસ્તીઓની પૂછપરછ

'મુંબઈ મિરર'ના રિપોર્ટ પ્રમાણે, મુંબઈ પોલીસે સુશાંતસિંહના કેસમાં અત્યારસુધી 28 લોકોની પૂછપરછ કરી છે, જેમાં મૃતકના પરિવારજનો, મિત્રો અને સહકર્મીઓ ઉપરાંત કથિત ગર્લફ્રેન્ડ રિહા ચક્રવર્તી, યશરાજ ફિલ્મ્સના કાસ્ટિંગ ડાયરેક્ટર સાનુ શર્મા, 'દિલ બેચારા'ના ડાયરેક્ટર મુકેશ છાબરા તથા ફિલ્મનાં સંજના સાંઘી સમાવિષ્ટ છે.

આ સિવાય દિગ્દર્શન સંજય લીલા ભણસાલીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે. તેઓ પોતાની ફિલ્મ 'ગોલિયોં કી રાસલીલા રામલીલા' માટે સુશાંતસિંહને લેવા માગતા હતા, પરંતુ અન્ય એક બૅનર સાથે સુશાંતનો કરાર હોય તેઓ લઈ શક્યા ન હતા.

આ સિવાય બોલીવૂડના ડાયરેક્ટર શેખર કપૂરને તેમની ફિલ્મ 'પાની' અંગે પૂછપરછ કરવામાં આવશે, એવા અહેવાલ છે. પ્રસ્તાવિત ફિલ્મ 'પાની'માં સુશાંતને હીરો તરીકે સાઇન કર્યા હતા, પરંતુ યશરાજ ફિલ્મ્સ આ મૂવીમાંથી ખસી જતાં પ્રોજેક્ટ લટકી પડ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો