કોરોના વાઇરસ : કોરોના વાઇરસની આફત આવીને કમાણી પર અસર પહોંચી'

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

કોરોના વાઇરસના કારણે શહેર હોય કે ગામ, ઠેરઠેર સ્વૈચ્છિક સંચારબંધી એટલે કે કર્ફ્યુ જેવો માહોલ છે અને બધા વચ્ચે લોકોના ધંધારોજગારને પણ અસર પડી રહી છે.

આને લઈને અમે વાત કરી અમદાવાદના પ્રોફેશનલ ટુર-ગાઇડ નીરવ પંચાલ સાથે.

નીરવ અમદાવાદમાં હેરિટેજવૉક કરાવે છે તેમજ દેશવિદેશના પ્રવાસીઓને ગુજરાતદર્શન કરાવે છે.

કોરોનાને લીધે અચાનક જે ફુરસદ મળી છે એ સમયમાં તે પોતાની દીકરી સાથે વધુ સમય વિતાવે છે. રમેશ પારેખ અને ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો વાંચે છે.

બીબીસી સાથે વાત કરતાં નીરવ પંચાલ કહે છે કે "હું એક પ્રોફેશનસલ ટુર-ગાઇડ છું. હેરિટેજવૉક તો મોટે ભાગે રોજેરોજ હું કરાવતો હતો. તે હવે બંધ છે."

"આ ઉપરાંત આવી 25 જેટલી સિટીટૂર્સ આગોતરી ગોઠવાયેલી હતી, જે રદ થઈ ગઈ છે. "

"કૅનેડા, અમેરિકા તેમજ ઑસ્ટ્રેલિયાથી 14 સભ્યોનું એક ગ્રૂપ આવવાનું હતું, જેમને સમગ્ર ગુજરાતમાં હું ગાઇડ તરીકે ફરવા લઈ જવાનો હતો. "

"12 દિવસના પ્રવાસમાં તેમને અમદાવાદ, ચાંપાનેર, પાલીતાણા, વડોદરા વગેરે સ્થળો પર ફરવા લઈ જવાના હતા."

"આ ઉપરાંત થાઈલૅન્ડથી પાંચ પ્રવાસીઓ આવવાના હતા, જેમને અમદાવાદ, કચ્છ તેમજ પાટણ ફરવા લઈ જવાના હતા. "

કોરોના સામે તકેદારીના ભાગ રૂપે ગુજરાતમાં ઘણાં જોવાલાયક સ્થળો હવે બંધ કરી દેવાયાં છે, પછી તે ગાંધીઆશ્રમ હોય કે રાણકી વાવ.

નીરવ ઉમેરે છે, જે વિદેશીઓને હું ટૂર પર લઈ જવાનો હતો તેમના માટે હોટલ, ટૅક્સી વગેરે મેં બૂક કરાવી રાખ્યાં હતાં. "

"એ બધું કૅન્સલ કરવું પડ્યું છે. મજાની વાત એ છે કે હોટલથી લઈને ટૅક્સીવાળા સુધીના દરેકે ટૂર રદ થતાં પૈસા પાછા આપી દીધા છે."

નીરવ પંચાલનું કહેવું છે કે ઑક્ટોબરથી માર્ચ સુધી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે અને ગાઈડ માચે મહિનાઓ કમાણીની રીતે અગત્યના હોય છે.

"માર્ચમાં આ કોરોના વાઇરસની આફત આવી ગઈ એને લીધે આ મહિનાની કમાણી પર અસર પહોંચી. જો કોરોનાનો કેર લાંબો ચાલશે તો તકલીફો વધતી જશે. "

"એક ગાઇડ તરીકે વાત કરૂં તો પ્રવાસન પર કોરોનોની ખૂબ અસર થઈ છે. મારા જેવા ગાઇડથી લઈને હોચ હોટલના વૅઇટર, ટૅક્સીચાલકો વગેરે અનેક લોકોને ટૂરિઝમથી આર્થિક વળતર મળે છે. "

"કોરોનાને લીધે સ્થાનિક તેમજ વિદેશી પ્રવાસીઓ ન આવે તો આ આખી સાંકળને ધક્કો પહોંચે છે. જે હાલ જોવા મળી રહ્યું છે. ભગવાનને એટલી જ પ્રાર્થના કે કોરોનાનો કેર લાંબો ન ચાલે. "

" એક સારી બાબત એ છે કે આ સ્થિતિમાં બધાએ એકબીજાને સહયોગ આપ્યો છે. કોઈએ કોઈનો ફાયદો લીધો નથી. "

" હોટલથી લઇને ટૅક્સીના બુકિંગ કૅન્સલ કરાવતી વખતે કોઈએ આનાકાની કરી નથી અને નાણાં પરત કરી દીધાં છે."

કોરોનાને લીધે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. નીરવ પંચાલ પણ ઘરમાં જ છે. તેઓ કહે છે કે "કોરોનાને પગલે હું ઘરની બહાર નીકળતો નથી.

આનો એક ફાયદો એ છે કે હું મારી પાંચ વર્ષની દીકરી સાથે વધુ સમય વિતાવું છું. મને વાંચનનો શોખ છે. "

"ઝવેરચંદ મેઘાણી, રમેશ પારેખ મારા ગમતા કવિ-લેખકો છે અને તેમનાં પુસ્તકો વાંચું છું."

"પ્રવાસનના કેટલાંક પુસ્તકો જે મેં વસાવ્યાં હતાં એને વાંચવાનો હવે સમય મળ્યો છે. હું પોતે કપડાં ડિઝાઇન પણ કરૂં છું. "

"ગાઇડના વ્યવસાયમાં આવ્યો એ પહેલાં હું ડિઝાઇનિંગના ક્ષેત્રમાં હતો, તેથી અત્યારે જે નવરાશ મળી છે એમાં ડિઝાઇનિંગના નવા આઇડિયા પર કામ કરવાની મોકળાશ મળી છે."

"હું નેચરલ ડાઇઝ અને ખાદી પર કામ કરૂં છું. મજાની વાત એ છે કે મારી પાંચ વર્ષની દીકરી છે. કોરોનાને કારણે તેને શાળામાં રજા છે અને હું પણ ઘરે જ છું. "

" તેથી અમે બંને ભેગા મળીને ડિઝાઇનિંગનું કામ કરીએ છીએ. એ મને કહે છે કે પપ્પા,મને આ ડિઝાઇન બનાવી દો, પપ્પા આવી ડિઝાઇન સરસ લાગશે."

"એટલે દીકરી સાથેનો આ અનેરો આનંદ પણ હું અત્યારે મેળવી રહ્યો છું. તેની સાથે રમવાની અને ડિઝાઇનીંગ કામ કરવાની ખૂબ મજા આવે છે. "

"ગાઈડ તરીકે જે પ્રવાસીઓને હું ફરવા લઈ જાઉં છું તો તેમને માટે ભેટ વગેરે હું જાતે તૈયાર કરું છું. કોરોનાને લીધે જે ફુરસદ મળી છે એમાં એ વિવિધ ભેટ પણ તૈયાર કરી રહ્યો છું."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો