You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસ : ઇટાલીમાં ફસાયેલા 211 ભારતીય વિદ્યાર્થીઓને ઍરલિફ્ટ કરાયા
ઇટાલીમાં ફસાયેલા 211 ભારતીય વિદ્યાર્થીઓને ભારત પાછા લાવવામાં આવી રહ્યાં છે.
આ વિદ્યાર્થીઓને ઍર ઇન્ડિયાની સ્પેશિયલ ફ્લાઇટના માધ્યમથી પરત લવાઈ રહ્યા છે.
આ ફ્લાઇટમાં એ 7 લોકો પણ છે જેમની હાલત ખૂબ ખરાબ છે.
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા કોરોના વાઇરસને મહામારી જાહેર કર્યા બાદ આ વિદ્યાર્થીઓ ઇટાલીમાંથી બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ યૂરોપ કોરોના વાઇરસનું કેન્દ્રબિન્દુ છે.
માત્ર ઈટાલીમાં કોરોના વાઇરસના કારણે 1440 કરતાં વધુ લોકોનાં મોત થયા છે.
ઈરાનથી 234 ભારતીયો પહોંચ્યા ભારત
આ તરફ ઈરાનથી પણ 234 ભારતીયોને ઍરલિફ્ટ કરી ભારત પરત લવાયા છે.
આ અંગે વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને માહિતી આપી છે.
એસ. જયશંકરે ઈરાનમાંથી ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરવા માટે ઈરાનના વહીવટીતંત્રનો આભાર માન્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટ્વીટમાં એસ. જયશંકરે લખ્યું છે, "ઈરાનમાં ફસાયેલા 234 ભારતીયો પરત આવી ગયા છે. આ લોકોમાં 131 વિદ્યાર્થીઓ છે અને 103 તીર્થયાત્રીઓ છે. તમારા પ્રયાસ માટે રાજદૂત ધામુ ગદ્દામ અને ઈરાનમાં ભારતીય ટીમને ધન્યવાદ. ઈરાની અધિકારીઓનો પણ ધન્યવાદ."
4 દેશો સાથે જોડાયેલી ભારતની સીમા સીલ કરવા આદેશ
ભારતમાં કોરોના વાઇરસના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે કડક પગલાં ઉઠાવ્યા છે.
નરેન્દ્ર મોદી સરકારે નેપાળ, ભૂતાન, મ્યાંમાર અને બાંગ્લાદેશ બૉર્ડરને સીલ કરવાના આદેશ આપ્યા છે.
PTIના અહેવાલ પ્રમાણે 15 માર્ચની અડધી રાત્રે આ દેશોમાંથી લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.
- ભારતના વિઝા પર પ્રતિબંધ બાદ કોણ આવી શકશે અને કોણ નહીં જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
બ્રિટન અને આયર્લેન્ડ પર પણ અમેરિકાએ મૂક્યો પ્રતિબંધ
અમેરિકા દ્વારા યુરોપનાં 26 રાષ્ટ્રો પર લાદવામાં આવેલા પ્રવાસનિષેધનો અમલ શરૂ થઈ ગયો છે. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે અમેરિકાએ આ પગલું લીધું છે.
અમેરિકાએ યાત્રા મામલે બ્રિટન અને આયર્લેન્ડ પર પણ પ્રતિબંધ લગાવી દીધા છે કે જે સોમવારથી લાગુ થશે.
અમેરિકાના ઉપ-રાષ્ટ્રપતિ માઇક પેંસે આ નિર્ણયની પુષ્ટિ કરતા કહ્યું છે કે આ પ્રતિબંધ બાદ પણ અમેરિકાના નાગરિકો આ દેશોમાંથી સ્વદેશ પરત ફરી શકશે.
ઉપ-રાષ્ટ્રપતિ માઇક પેંસની આ ઘોષણા પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે શુક્રવારની રાત્રે તેમણે પણ કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવ્યો છે.
જોકે, ડોનાલ્ડ ટ્રમ્પનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
અમેરિકામાં કોરોનાને કારણે 43 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે લગભગ 2000 કન્ફર્મ કેસ નોંધાયા છે.
બીજી બાજુ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઇરસને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે, જેના પગલે સરકાર હવે 50 અબજ ડૉલરનાં રાહતકાર્ય હાથ ધરી શકશે.
ટ્રમ્પે નાગરિકોને સફાઈ ઉપર ધ્યાન રાખવાની, બિનજરૂરી પ્રવાસ નહીં ખેડવાની તથા મોટી સંખ્યામાં એકત્ર નહીં થવાની અપીલ કરી છે.
અમેરિકાએ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટો પર નાગરિકોની પ્રાથમિક તપાસ કરવાની જાહેરાત કરી હતી.
આ સિવાય 30 દિવસ માટે ક્રૂઝયાત્રાઓને પણ રદ કરી દેવાઈ છે.
બ્રિટનમાં મૃતકોનો આંકડો 21 પર પહોંચ્યો
બ્રિટનમાં કોરોના વાઇરસથી પીડિત વધુ 10 લોકોનાં મોત થયા છે.
આ સાથે જ મૃતકોનો આંકડો 21 પર પહોંચી ગયો છે.
બ્રિટનના ચીફ મેડિકલ ઑફિસરે જણાવ્યું છે કે મૃતકોની સ્વાસ્થ્ય ખૂબ જ ખરાબ હતું.
બ્રિટનમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 1140 થઈ ગઈ છે.
ભારતમાં કોરોના વાઇરસ 'નોટિફાઇડ ડિઝાસ્ટર'
ભારત સરકારે ઝડપથી પ્રસરી રહેલા કોરોના વાઇરસની આફતને 'નોટિફાઇડ ડિઝાસ્ટર' એટલે કે 'અધિસૂચિત આપદા' જાહેર કરી છે.
આ આફતને નોટિફાઇડ ડિઝાસ્ટર જાહેર કરાતાં સરકાર કોરોના પીડિત પરિવારોને વળતર અને સહાય કરશે. આ માટે રાજ્યોના 'ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફંડ'માંથી મદદ કરવામાં આવશે.
અહીં એ પણ મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલાં સરકારે કોરોના વાઇરસની આફતને 'સ્વાસ્થ્ય કટોકટી' જાહેર કરવાથી ઇન્કાર કર્યો હતો.
ગૃહમંત્રાલયના દ્વારા જાહેર કરાયેલી અધિસૂચના અનુસાર કોરોના વાઇરસથી મરનારી વ્યક્તિના પરિવારને ચાર લાખ રૂપિયા આપવામાં આવશે અને દરદીની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.
આ ઉપરાંત ક્વૉરેનટાઇન કૅમ્પમાં પણ દરદીને અસ્થાયી આવાસ, અન્ન-પાણી, કપડાં અને મેડિકલ સહાય પૂરી પાડવામાં આવશે. આ માટે રાજ્યની આપદા રાહત ફંડનો પણ ઉપયોગ કરવામાં આવશે.
કોરોના વાઇરસને લઈને ગુજરાતમાં કેવી સ્થિતિ છે?
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નહીં નોંધાયો હોવાની માહિતી અપાઈ છે.
ગુજરાતનાં આરોગ્ય અને કુટુંબકલ્યાણનાં અગ્ર સચિવ જયંતિ રવિએ આ મામલે પત્રકારપરિષદ યોજીને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં હજુ સુધી આ મામલે કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
જયંતિ રવિએ કહ્યું, "ઍપિડેમિક 1897 અંતર્ગત નોટિફિકેશન જાહેર કરાયું છે અને હાલમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ઍપિડેમિક નથી. "
જોકે, તેમણે લોકોને સાવચેતી વર્તવા માટે જણાવ્યું છે. તેમણે લોકોને મળતી વખતે હાથ મિલાવવા કે ગળે મળવાને બદલે 'નમસ્તે'ની મુદ્રામાં અભિવાદન કરવા કહ્યું છે.
આ ઉપરાંત તેમણે લોકોને સારી રીતે હાથ ધોવા પણ ભલામણ કરી છે. રાજ્યનાં 17 બંદરો પર આવેલાં 71 જહાજોના 2,568 ક્રૂમેમ્બર સહિતના લોકો દેખરેખ હેઠળ હોવાની પણ તેમણે જાણકારી આપી છે.
શું છે લેટેસ્ટ વિગતો
- સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝનાં પત્ની બેગોના ગોમેઝનો કોરોના વાઇરસનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે.
- કોરોના વાઇરસનો સામનો કરવા માટે ફ્રાંસમાં તમામ બિન-જરૂરી સાર્વજનિક સ્થળોને શનિવારે અડધી રાત્રે બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
- કેન્દ્રીય ગૃહમંત્રાલયની ભલામણના આધારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે દોડતી રેલ તથા બસસેવાને 15મી એપ્રિલ સુધી માટે બંધ કરી દેવામાં આવી છે.
- કેન્દ્ર સરકારે સેનિટાઇઝર તથા માસ્કને આવશ્યક ચીજવસ્તુ જાહેર કરી, જેના કારણે તેની સંગ્રાહકોરી અને નફાખોરી ગુનાહિત અપરાધ બની રહેશે.
- ભારતમાં કોરોનાને કારણે બીજી વ્યક્તિનું મૃત્યુ થયું છે. કર્ણાટકના કલબુર્ગી બાદ દિલ્હીમાં મૃત્યુનો કેસ નોંધાયો હતો.
- BCCIએ કોરાના વાઇરસના જોખમને જોતાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020ને 29 માર્ચની જગ્યાએ 15 એપ્રિલે શરૂ કરવાનો નિર્ણય લીધો છે. સિરીઝમાં વિદેશી ખેલાડીઓના ભાગ લેવા ઉપર પણ જોખમ ઊભું થયું હતું.
- ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીને રદ કરી દેવાઈ છે. બીસીસીઆઈએ લખનૌ અને કોલકતામાં રમાનારી બાકીની બે મૅચને રદ કરવાની જાહેરાત કરી છે.
- ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કોરોના મામલે બેઠક યોજી હતી. તો બિહારના મુખ્ય મંત્રી નીતીશ કુમાર અને મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી કમલનાથે પણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
- ઓડિશામાં પણ તમામ શૈક્ષણિક સંસ્થાઓ (જ્યાં પરીક્ષા હોય એ સિવાયની) 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ અપાયા છે. તેમજ સિનેમાહૉલ, સ્વિમિંગ-પૂલ અને જીમ પણ 31 માર્ચ સુધી બંધ રહેશે.
- બિહારમાં 31 માર્ચ સુધી શાળાઓ, કૉલેજો, પ્રાણીસંગ્રહાલયો તેમજ બગીચાઓને બંધ કરી દેવામાં આવ્યાં છે. આ વખતે બિહારદિનનું આયોજન પણ રદ કરી દેવાયું છે.
- અધિકારીઓને ટાંકીને સમાચાર સંસ્થા પીટીઆઈએ જણાવ્યું છે કે મધ્યપ્રદેશમાં આગામી આદેશ ન આવે ત્યાં સુધી તમામ સરકારી અને ખાનગી શાળાઓ બંધ કરી દેવાઈ છે. પંજાબમાં પણ તમામ શાળાઓ બંધ કરી દેવાઈ છે.
- કર્ણાટકમાં તમામ મૉલ, સિનેમાહૉલ, પબ અને નાઇટ ક્લબોને બંધ કરી દેવાયાં છે. રાજ્યમાં તમામ તબીબોની રજાઓ રદ કરી દેવાઈ છે.
- છત્તીસગઢમાં પણ સરકારે શહેરી વિસ્તારોમાં આવેલાં, જીમ, પાર્ક, સ્વિમિંગ પૂલ, જાહેર લાઇબ્રેરી તેમજ આંગણવાડી-કેન્દ્રોને 31 માર્ચ સુધી બંધ રાખવાના આદેશ આપ્યા છે.
- ઑસ્ટ્રેલિયાના ગૃહમંત્રી પીટર ડટનને પણ કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. તેમને હૉસ્પિટલમાં ભરતી કરાયા છે.
- કોરોના વાઇરસના ખતરાને પગલે અમેરિકાના રક્ષામંત્રી માર્ક ઍસ્પરે તેમની 15-16 માર્ચની ભારતની યાત્રા રદ કરી દીધી છે.
- ભારતે 15 એપ્રિલ, 2020 સુધી તમામ પ્રકારના વિઝા રદ કરી દીધા છે. જેથી કોઈ પણ ભારત નહીં આવી શકે. તેમાં ખાસ પ્રકારના વિઝામાં કેટલીક છૂટછાટ અપાઈ છે.
- ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઑફ રિસર્ચે ગુરુવારે કહ્યું છે કે કોવિડ-19 કોરોના વાઇરસની રસી શોધતા લગભગ દોઢ વર્ષ લાગી શકે છે.
- ગરમી વધવાથી વાઇરસની અસર ઘટશે એ અંગે પણ આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, હાલ કોરોના વાઇરસ પર અભ્યાસ ચાલી રહ્યો છે અને હાલ તાપમાન વધવાથી વાઇરસ પર શું અસર પડશે એ કહી શકાય એમ નથી.
- ઝી ગ્રૂપે ઍવૉર્ડ સમારંભ આયોજિત નહીં કરવાનો નિર્ણય કર્યો છે. ટિકિટ લેનાર દર્શકોને રિફંડ અપાશે તથા તેને ટેલિવિઝન ઇવેન્ટની જેમ પ્રસારિત કરાશે.
- કોરોના વાઇરસને પગલે દિલ્હીમાં તમામ સિનેમા બંધ કરવામાં આવ્યા છે. મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પરીક્ષા હોય એ સિવાયની તમામ શાળા-કૉલેજો પણ 31 માર્ચ સુધી બંધ રહેશે.
ક્યાં કેટલા કેસ?
શનિવારે સવારે નવ વાગ્યાની સ્થિતિ પ્રમાણે, દેશમાં ભારતીય અને વિદેશી નાગિરકોમાં કોરોનાના 83 કન્ફર્મ કેસ નોંધાયા હતા.
શૈક્ષણિક સંસ્થામાં રજા નહીં
કોરોનાના લીધે ભારતમાં પ્રથમ મૃત્યુ ગુરુવારે થયું. મૃતકના સંપર્કમાં આવેલા 30 લોકોની ઓળખ કરી લેવાઈ છે અને તેમને આગામી 14 દિવસ સુધી દેખરેખ હેઠળ રાખવામાં આવશે. આમાંથી હૉસ્પિટલના કેટલાક કર્મચારીઓ પણ સામેલ છે, જેમણે મૃતકની સારવાર કરી હતી.
આ દરમિયાન કેન્દ્ર સ્વાસ્થ્યમંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સોશિયલ મીડિયામાં 'સરકારી આદેશ' તરીકે જે પત્રને શૅર કરવામાં આવી રહ્યો છે, તે બનાવટી છે. કેન્દ્ર સરકારે આવો કોઈ પણ પરિપત્ર જાહેર કર્યો નથી.
સોશિયલ મીડિયા પર શૅર કરાઈ રહેલા પરિપત્રમાં ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને સિક્કિમમાં આગામી 14થી 21 માર્ચ દરમિયાન શૈક્ષણિક સંસ્થાનોને ફરજિયાત બંધ રાખવાના આદેશ હતા.
દિલ્હી હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે અધિસૂચના જાહેર કરીને જણાવ્યું છે કે કોરોના વાઇરસના ચેપના લીધે 16 માર્ચ સુધી જરૂરી મામલાઓમાં જ સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટે આ ઉપરાંત એક ઍડવાઇઝરી પણ જાહેર કરી છે, જેમાં જિલ્લાની કોર્ટોના જજોને કહેવાયું છે કે જ્યાં સુધી જરૂરી ન હો ત્યાં સુધી લોકોને કોર્ટમાં હાજર ન રહેવા દે.
કોરોના વાઇરસના કોપને જોતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાતને મુલતવી રાખવામાં આવી છે.
આગામી 21 અને 22 માર્ચે મોદી ગુજરાતની મુલાકાતે આવવાના હતા અને કેટલાંક વિકાસકાર્યોનું ઉદ્ઘાટન કરવાના હતા.
આ અંગે જણાવતાં ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું છે, "કોવિડ-19ની સ્થિતિને જોતાં વડા પ્રધાનની મુલાકાત મુલતવી રાખવામાં આવી છે."
તેમણે ઉમેર્યું, "આ અંગે જાણ કરતો પત્ર વડા પ્રધાનકાર્યાલયનો પત્ર અમને મળ્યો છે. આ મુલાકાતને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે અને બાદમાં આગામી તારીખની જાહેરાત કરવામાં આવશે."
SAARCને મોદીનું સૂચન
આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસ સામે લડવા માટે સાર્ક દેશોને સાથે આવીને એક રણનીતિ ઘડવાનું આહ્વાન કર્યું છે.
તેમણે એક ટ્વીટ કરીને કહ્યું છે, "હું સાર્ક દેશોના નેતાઓને કોરોના વાઇરસ સામે લડવા માટે એક મજબૂત રણનીતિ બનાવવા માટે વિનંતી કરૂં છું."
"આપણે નાગરિકોના રક્ષણ બાબતે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ચર્ચા કરી શકીએ છીએ. આપણે સ્વસ્થ ગ્રહ માટે સાથે મળીને દુનિયા સામે એક ઉદાહરણ મૂકી શકીએ."
સાર્ક રાષ્ટ્રોમાં ભારત સિવાય અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ, નેપાલ, પાકિસ્તાન તથા શ્રીલંકા સામેલ છે.
રમતગમતના કાર્યક્રમો રોકાયા
ભારતની પૅરાલિમ્પિક કમિટીએ તેમની તમામ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાની ચૅમ્પિયનશિપ તાત્કાલિક અસરથી રોકી દીધી છે.
કોરોના વાઇરસની અસર અને ભારત સરકારના નિર્ણય બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ભારતે 15 એપ્રિલ સુધી તમામ વિઝા રદ કર્યા
ભારતે બુધવારે કોરોનાના સંક્રમણને રોકવા માટે 15 એપ્રિલ સુધી તમામ વિઝા રદ કરી દીધા છે.
બીજી તરફ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને (WHO) કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે.
સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કોરોના વાઇરસ કોવિડ-19ના સંક્રમણને ફેલાતું રોકવા માટે અને તેના બચવાના ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં 15 એપ્રિલ સુધી રાજદ્વારી, સરકારી, સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, ઍમ્પ્લૉયમૅન્ટ અને પ્રોજેક્ટ વિઝાને છોડીને બાકીના તમામ પ્રકારના વિઝા 15 એપ્રિલ સુધી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સાથે જ ઓસીઆઈ કાર્ડધારકો (પ્રવાસી ભારતીય નાગરિકો)ને આપવામાં આવતી વિઝા મુક્ત યાત્રાની સુવિધા પર પણ 15 એપ્રિલ 2020 સુધી રોક લગાવી દેવામાં આવી છે.
આ પ્રતિબંધ તમામ ઍરપૉર્ટ્સ અને બંદરો પર 13 માર્ચ 2020ની મધ્યરાત્રીથી લાગુ થઈ જશે.
પ્રતિબંધ છતાં ભારત આવવું હોય તો?
સરકારનું કહેવું છે કે ભારત આવવાની ઇચ્છા રાખનારા લોકોએ હવે સીધો તેમના દેશમાં રહેલા ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવાનો રહેશે.
સરકારે કહ્યું કે 15 ફેબ્રુઆરી બાદ ચીન, ઇટાલી, ઈરાન, કોરિયા, ફ્રાંસ, સ્પેન અને જર્મનીથી ભારત આવેલા તમામ યાત્રીઓને ઓછામાં ઓછા 14 દિવસ સુધી ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવશે.
તેમાં એ ભારતીય નાગરિક પણ હશે જેઓ આ દેશોમાં ફરીને પરત ભારત આવ્યા છે.
WHOએ કોરોનાને મહામારી જાહેર કરી
બુધવારે સાંજે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોનાને મહામારી જાહેર કરી દીધી છે. સંગઠનના મહાનિદેશન ટેડ્રૉસ એડહૈનોમ ગીબ્રેયસૂસે કહ્યું છે કે કોરોના જેવી મહામારી અગાઉ પહેલાં જોવા મળી નથી.
તેમણે કહ્યું, "સાથે અમે એ પણ કહેવા માગીએ છીએ કે આજથી પહેલાં અમે ક્યારેય આવી મહામારી નથી જોઈ કે જેને કાબૂમાં કરી શકાય."
ગીબ્રેયસૂસે કહ્યું, "અત્યાર સુધી દુનિયામાં 114માં દેશોમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસો સામે આવ્યા છે. જેમાં 90 ટકા મામલા ચીન અને કોરિયા સહિત માત્ર ચાર દેશોમાં છે. "
દુનિયાભરમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 1,18,000થી વધુ મામલાની પુષ્ટિ થઈ છે અને 4,291 લોકોનાં મોત થયાં છે.
ભારતીય નાગરિક વિદેશયાત્રા ન કરે : સરકાર
ભારત સરકારે એવું પણ કહ્યું છે કે જો ખૂબ જરૂરી ના હોય તો ભારતની યાત્રા ના કરવી.
ઉપરાંત સરકારે કહ્યું છે કે ભારત આવનારા તમામને ઓછામાં 14 દિવસ સુધી ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવી શકે છે.
ભારતીય નાગરિકોને કહેવામાં આવ્યું છે કે તેઓ જરૂરિયાત ન હોય તો વિદેશની યાત્રા ના કરે. તેમને દેશમાં પરત ફર્યા બાદ ઓછામાં ઓછા બે અઠવાડિયાં સુધી ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવશે.
સરકારે એ સ્પષ્ટતા કરી છે કે વિદ્યાર્થીઓ અને જરૂરી કામથી બહાર જનારા લોકોની જલદી તપાસ કરવામાં આવશે અને સંક્રમણ ન હોવાના નાતે તેમને વિદેશ જવા દેવામાં આવશે.
જોકે, તેઓ પરત આવશે ત્યારે તેમને ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવી શકે છે.
સરકારે એવું પણ કીધું છે કે રોડ-રસ્તેથી દેશમાં પ્રવેશતા લોકો માટે તપાસની વ્યવસ્થા કરવામાં આવશે અને તેના માટેની વધુ જાણકારી ગૃહમંત્રાલય આપશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો