મેક્સિકો દ્વારા બોલિવિયાના પૂર્વ રાષ્ટ્રપતિને આશ્રય આપવાનો પ્રસ્તાવ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

મેક્સિકોએ બોલિવિયાના પૂર્વ રાષ્ટ્રપતિ એવો મોરાલ્સને રાજકીય આશ્રય આપવાની ઑફર કરી છે. નોંધનીય છે કે તેમણે દેશમાં વિવાદાસ્પદ ચૂંટણી બાદ યોજાયેલાં પ્રદર્શનોને પગલે સોમવારે જ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

મેક્સિકો દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર બોલિવિયાના પૂર્વ રાષ્ટ્રપતિ મોરાલ્સે મેક્સિકોમાં આશ્રય આપવાની વિનંતી કરી હતી.

જે બાદ મેક્સિકોના તંત્રએ તેમને 'માનવીય કારણો'ને આગળ ધરી તેમને આશ્રય આપવાનું સ્વીકાર્યું હતું.

જોકે, હજુ સુધી આ બાબતે મોરાલ્સની કોઈ ટિપ્પણી આવી નથી. નોંધનીય છે કે તેમણે પોતાના સમર્થકોને જે શક્તિઓના કારણે તેમને પોતાના પદનો ત્યાગ કરવો પડ્યો છે તેમનાથી બચીને રહેવાની શીખ આપી હતી.

મહારાષ્ટ્ર : શિવસેના પણ ન બનાવી શકી સરકાર, આજે એનસીપીને આમંત્રણ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ભાજપ દ્વારા સરકાર રચવાના ઇનકાર બાદ, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ સોમવારે શિવસેનાને સરકાર રચવાનું આમંત્રણ પાઠવ્યું હતું.

જોકે રાજ્યપાલ દ્વારા અપાયેલી સાંજના 7.30 વાગ્યાની સમયસીમાની અંદર તેઓ સરકાર રચવા જરૂરી સંખ્યામાં ધારાસભ્યોનો ટેકો મેળવી શક્યા નહોતા.

શિવસેનાના પ્રતિનિધિઓ દ્વારા રાજ્યપાલ સમક્ષ વધુ સમય આપવાની માગણી રજૂ કરી, પરંતુ તેમની માગણી ન સ્વીકારાઈ.

નોંધનીય છે કે શિવસેનાએ ભાજપ સાથે છેડો ફાડીને કૉંગ્રેસ અને એનસીપીનું સમર્થન મેળવી સરકાર રચવાની તજવીજ શરૂ કરી હતી, પરંતુ કોઈક કારણોસર તેવું થઈ ન શક્યું.

હવે આજે મહારાષ્ટ્રના રાજ્યપાલે એનસીપીને સરકાર રચવાનું આમંત્રણ પાઠવ્યું છે, ત્યારે એ સવાલ બરકરાર છે કે શું મહારાષ્ટ્રમાં સત્તાની મડાગાંઠ ઉકેલાશે કે કેમ?

જેએનયુ : ફી વધારા સામે વિદ્યાર્થીઓમાં આક્રોશ

હૉસ્ટેલ અને મેસ ફીમાં વધારાનો વિરોધ કરવા માટે જેએનયુના વિદ્યાર્થીઓ સોમવારે રસ્તા પર ઊતરી ગયા હતા.

વિદ્યાર્થીઓ ફી વધારાનો વિરોધ કરવા માટે રેલી યોજ્યા બાદ એઆઈસીટીઈ (ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ ઍજ્યુકેશન) ખાતે ભેગા થયા હતા. જ્યાં યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો હતો.

વિદ્યાર્થીઓના વિરોધના પગલે પદવીદાન સમારોહમાં સામેલ થવા આવેલા કેન્દ્રીય માનવ સંસાધનમંત્રી રમેશ પોખરિયાલને 3 કલાક સુધી બિલ્ડિંગમાં રહેવાની ફરજ પડી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો