You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Top News : હૈદરાબાદના 'વિઝા ટૅમ્પલ' ચિલકુર બાલાજી મંદિરમાં બાળકીઓ સાથે દુષ્કર્મ અટકાવવા ગાયની પૂજા
દેશભરમાં બાળકીઓ સાથે થતી દુષ્કર્મની ઘટનાઓ અટકાવવા માટે રવિવારે હૈદરાબાદના ચિલકુર બાલાજી મંદિરમાં પણ આવી પૂજા કરવામાં આવી હતી.
ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, પૂજારીએ ત્રણ ગાય સાથે ચિલકુર બાલાજી મંદિરની પ્રદક્ષિણા કરી હતી.
પૂજારી રંગ રાજને જણાવ્યું કે, "કોઈ પણ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે ગાયની પૂજા કરવી એ પરંપરા છે. તેથી અમે દેશભરમાં બાળકીઓ પર થતા દુષ્કર્મને અટકાવવા માટે આ પૂજા કરી."
તેમણે કહ્યું, "આપણી પાસે સૌથી જૂનું સાહિત્ય અને શિક્ષણ પદ્ધતિ છે. તેમાં ક્યાંય બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓનો ઉલ્લેખ નથી."
"મહિલાઓ સાથેના દુર્વ્યવહારની વાત ચોક્કસ જોઈ શકાય છે. હવે આપણે પશ્ચિમી શિક્ષણ પદ્ધતિ અને સંસ્કૃતિ અપનાવી લીધી છે. તેથી આવી ઘટનાઓ બની રહી છે, તેને અટકાવવા માટે આ વિધિ કરી."
સચીને ધોની-જાધવની બેટિંગ પર સવાલ ઊઠાવ્યા
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ ભારતની ટીમ ભલે અફઘાનિસ્તાનને 11 રનથી હરાવવામાં સફળ રહી હોય પણ દિગ્ગજ ખેલાડી સચીન તેંડુલકર ભારતના મિડલ ઑર્ડર બૅટ્સમૅનથી ઘણા નારાજ છે.
સચીને કહ્યું કે, અફઘાનિસ્તાન સામેની મૅચમાં મિડલ ઑર્ડરના ખેલાડીઓ કોઈ ઇરાદા વિના રમતા જણાયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધોનીએ 52 બૉલમાં 28 અને કેદાર જાધવે 68 બૉલમાં 52 રન કર્યા હતા, જેના કારણે તેમને અનેક વિશ્લેષકોની ટીકા અને પ્રશંસકોના રોષનો સામનો કરવો પડ્યો.
સચીન તેંડુલકરે કહ્યું કે, એ બંનેની બેટિંગમાં મજબૂત ઇરાદો નહોતો જણાતો, હું તેનાથી થોડો નિ:રાશ થયો છું, તે બન્ને સારું કરી શક્યા હોત.
'બિન ગાંધી' પણ બની શકે છે કૉંગ્રેસ અધ્યક્ષ
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ રવિવારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મણિ શંકર ઐય્યરે કહ્યું છે કે, એક 'બિન ગાંધી' પણ કૉંગ્રેસના અધ્યક્ષ બની શકે છે પણ ગાંધી પરિવારે પણ સક્રિય રહેવું પડશે.
તેમણે દાવો કર્યો છે કે ભાજપનું લક્ષ્ય 'ગાંધીમુક્ત કૉંગ્રેસ'નું છે, જેથી તેઓ ભવિષ્યમાં 'કૉંગ્રેસ મુક્ત ભારત'નું તેમનું લક્ષ્ય પૂરું કરી શકે.
મણિ શંકર ઐય્યરે કહ્યું, "મને વિશ્વાસ છે કે પાર્ટીના અધ્યક્ષ કોઈ નેહરુ-ગાંધી ન હોય તો પણ અમારું અસ્તિત્વ ટકી રહેશે."
"શરત એટલી જ કે નેહરૂ-ગાંધી પરિવાર પાર્ટીમાં સક્રિય રહે તેમજ જ્યારે ગંભીર મતભેદ ઊભા થાય ત્યારે સમાધાન કરવામાં મદદ કરે."
કૉંગ્રેસે નવા અધ્યક્ષ નીમવા માટે એક મહિનાનો સમય આપ્યો છે. સંગઠનના નેતૃત્વમાં ફેરફારની જરૂરિયાત અંગે તેમણે કહ્યું, "જો તમે સર કલમ જ કરી નાંખશો તો ધડ કંપવા લાગશે."
Women's hockey: જાપાનને હરાવીને ભારતીય મહિલા ટીમે એફઆઈએચ સિરીઝ કબજે કરી
ગુરજીત કૌરના બે ગોલની મદદથી ભારતીય ટીમે જાપાનને 3-1થી હરાવીને એએફઆઈએચ વુમેન્સ સિરીઝ ફાઇનલ્સમાં જીત મેળવી હતી.
આ જ ટૂર્નામેન્ટમાં ભારતે શનિવારે ચીલીની ટીમને 4-2થી હરાવીને ઑલિમ્પિક ક્વૉલિફાયર માટે ક્વૉલિફાય કરી લીધું હતું.
ફાઇનલ મૅચમાં ત્રીજી મિનિટે મળેલાં પૅનલ્ટિ કૉર્નરમાં ગોલ કરીને ભારતીય ટીમ 1-0થી આગળ વધી ગઈ હતી, આ ગોલ કૅપ્ટન રાની રામપાલે કર્યો હતો.
કૅબિનેટમાં ઘણા નવા બીલ
કૅબિનેટ અને આર્થિક બાબતોની કૅબિનેટ કમિટીની સોમવારે બેઠક મળશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ પદે યોજાનારી બેઠકમાં રાષ્ટ્રિય તપાસ એજન્સી એટલે કે એનઆઈએને વધુ શક્તિશાળી બનાવવા માટે નવું સંશોધન અધિનિયમ મંજૂર થઈ શકે છે.
તે ઉપરાંત, કેન્દ્રિય કૅબિનેટ એનઆરઆઈની પ્રૉક્સી વૉટિંગ માટે સંસદમાં નવેસરથી બિલ રજૂ કરવા પણ વિચાર કરશે.
આવું જ એક બિલ ગયા મહિને 16મી લોકસભાના વિસર્જન સાથે ખતમ થઈ ચૂક્યું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો