TOP NEWS: ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, NDRFની 17 ટીમો તહેનાત

ઇમેજ સ્રોત, Ani
હવામાન વિભાગે આવનારા દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
8થી 12 ઑગસ્ટ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહીના કારણે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
ગુજરાતમાં વરસાદથી ઊભી થતી સ્થિતિને પહોંચી વળવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રિસપૉન્સ ફોર્સની 17 ટૂકડીઓને તહેનાત કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનને કારણે આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દાહોદ, દાદરાનગર હવેલીમાં 8 ઑગસ્ટના રોજ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
આ ઉપરાંત 9 થી 10 ઑગસ્ટમાં સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક પ્રદેશો અને વડોદરા, ડાંગ, વલસાડ, છોટા ઉદેપુર, તાપી, ભરૂચ, નર્મદા, ખેડા, પંચમહાલ, દાહોદ જિલ્લાઓ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

કાશ્મીર : અજીત ડોભાલે શેરીમાં લોકો સાથે વાત કરતા ભોજન લીધું

ઇમેજ સ્રોત, ANI
કાશ્મીરનો વિશેષ દરજ્જો પરત લઈ લેવાના સરકારના નિર્ણય બાદ હાલ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સઘન છે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ બુધવારે કાશ્મીરના લોકો સાથે શેરીમાં ભોજન લેતા નજરે પડ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે ડોભાલે લોકો સાથે વાતો કરી હતી અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ડોભાલે કહ્યું હતું કે બધું સારું થઈ જશે, તમામ લોકો શાંતિપૂર્વક રહેશે, જે થયું તે સારું થયું છે. તમારી સુરક્ષા અને કાળજી અમારા માટે પ્રાથમિકતા છે. અમે તમારી આવનારી પેઢીઓના કલ્યાણ અને વિકાસ અંગે વિચારી રહ્યા છીએ.

અયોધ્યા કેસમાં નિર્મોહી અખાડા પુરાવા આપી ના શક્યો

ઇમેજ સ્રોત, ANI
અયોધ્યામાં રામજન્મભૂમિ વિવાદની સુનાવણી હાલ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે.
જનસત્તાના અહેવાલ મુજબ બીજા દિવસની સુનાવણીમાં નિર્મોહી અખાડા કોર્ટને પોતાના તરફથી પુરાવા આપી શક્યો ન હતો.
નિર્મોહી અખાડા વિવાદીત સ્થાન પર સરકારના નિયંત્રણ પહેલાં એ સ્થાન પોતાના કબજામાં હોવાનો દાવો કરતો આવ્યો છે.
કોર્ટે જ્યારે પુરાવા અંગે પૂછ્યું તો નિર્મોહી અખાડા વકીલે કહ્યું કે 1982માં એક લૂંટ થઈ હતી, જે બાદ તમામ દસ્તાવેજો ગાયબ થઈ ગયા હતા.
તેમણે કહ્યું કે તે મેળવવામાં અમને સમય લાગશે. જે બાદ કોર્ટે તેમને પુરાવા મેળવવા માટે સમય આપ્યો હતો.

ભારત-વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે આજથી વન-ડે સિરીઝ

ઇમેજ સ્રોત, Getty Images
વેસ્ટ ઇન્ડીઝ સામે ટી-20ની શ્રેણી જીત્યા બાદ ભારતની ક્રિકેટ ટીમ આજે વન-ડે શ્રેણીનો પ્રારંભ કરશે.
કપ્તાન વિરાટ કોહલીની ટીમ વર્લ્ડ કપમાં ન્યૂઝીલૅન્ડ સામે સેમીફાઇનલમાં હાર્યા બાદ પ્રથમ વખત આ ફોર્મેટમાં વેસ્ટ ઇન્ડીઝ સામે ટકરાશે.
ધવન ઓપનર તરીકે ટીમમાં પરત ફરતા હવે લોકેશ રાહુલ ફરીથી ચોથા ક્રમે રમવા ઊતરે તેવી શક્યતા છે.
ભારતના બૉલરો કેરેબિયન પીચો પર કેવો દેખાવ કરે તેના પર પણ સૌની નજર હશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
(આ લેખ બીબીસી સંવાદદાતા આદર્શ રાઠોડ સાથે વાતચીતના આધારે તૈયાર કરવામાં આવ્યો છે.)






















